Related Questions

પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરીએ છીએ?

श्रद्धया दीयते यत् तत् श्राद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.)

શ્રાદ્ધ માટે પ્રવર્તતી માન્યતાઓ પ્રમાણે, શ્રાદ્ધ એટલે પિતૃઓના આત્માની શાંતિ માટે દાન-ધર્મ કરવાનો અવસર, કાગવાસ એટલે કાગડાને ખીર-પૂરી ખવડાવી પિતૃઓને તર્પણ કરવાનો અવસર. સ્વજનના મૃત્યુ પછી વારસ તરીકે સોળ વર્ષ શ્રાદ્ધ કરી ઋણ અર્પણ કરવાનો અવસર.

પિતૃપક્ષ ૧૫ થી ૧૬ દિવસનો કાળ હોય છે. એવી માન્યતા પ્રવર્તે છે કે આ પખવાડિયામાં પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓ બહુ સંતુષ્ટ થાય છે.

પણ શું પિતૃઓ સંતુષ્ટ ના થાય તો તેઓ આપણને નડે એ વાત સાચી છે?

પિતૃદોષની યથાર્થ સમજણ:

લૌકિક સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે દર વર્ષે શ્રાદ્ધના સમયે આપણા પિતૃઓ પાણી પીવા આવે છે. તેમના નામે ખીર-પૂરી કરીને મૂકવામાં આવે છે. એવું મનાય છે કે પિતૃઓ કાગડા થઈને આવે અને જમીને જાય, એટલે તેઓ તૃપ્ત થાય અને તેમની મુક્તિ થાય. અહીં કોઈ પણ વિચારકને ઘણા પ્રશ્નો ઊભા થવા જોઈએ.

  • પિતૃઓ કોને કહેવા?

    આત્મા એક દેહ છોડે કે તરત બીજી યોનિમાં જન્મ લઈ લે છે, એક સેકન્ડના વિલંબ વગર. તો જો આપણા મા-બાપ કે દાદા-દાદીને પિતૃ કહીએ, તો એ લોકો ક્યાંક અત્યારે જન્મી ચૂક્યા છે. આપણે પોતે પણ પૂર્વભવમાં કોઈકના મા-બાપ, દાદા-દાદી હોઈશું. તો ખરેખર પિતૃ કોને કહેવા? આપણા પૂર્વજો આપણા પિતૃ કે આપણે કોઈકના પિતૃ?

    આપણને યાદ છે કે આપણા ગયા ભવના છોકરાંઓ કોણ હતાં? કે છોકરાંના છોકરાંઓ કોણ હતા? આપણે એમને નડવા ગયા? તો આપણા પિતૃઓને પણ ક્યાં યાદ હશે કે જેથી તે આપણને નડવા આવે?

  • પિતૃઓ આપણને હેરાન શું કામ કરે?

    જે મા-બાપ, દાદા-દાદી આપણને લાડકોડથી ઉછેરીને મોટા કરે છે, તેઓ આપણને હેરાન કરવા પાછાં આવે એવું કેવી રીતે વિચારી શકાય? આપણને ઘરમાં આર્થિક કે પારિવારિક મુશ્કેલી આવે તો આપણને દિલના કટકાની જેમ રાખનાર મા-બાપ, દાદા-દાદી, વડવાઓ ઉપર એનો આક્ષેપ કેવી રીતે આપી શકાય? જ્યાં આપણા કર્મોનું ફળ આપણે સ્વતંત્ર રીતે ભોગવીએ છીએ, તેમાં મા-બાપના દોષ આપણને ભોગવવા પડે એ ક્યાંનો તર્ક છે?

    ઊલટું આવી માન્યતા મગજમાં ઘૂસી જાય કે મારા બાપ-દાદાને કારણે મારા ઘરમાં ધનોતપનોત થયું તો આપણને અંદર કેટલું દુઃખ રહે અને બાપ-દાદા પ્રત્યે કેટલો દ્વેષ, અભાવ અને વેર ઊભાં થાય! આપણા ક્રોધ-માન-માયા-લોભ જ આપણને અંદર નડે છે, બહારનું કોઈ નડવા આવતું નથી.

  • પિતૃઓ કાગડા થઈને કેમ આવે?

    shraddh

    જો આપણે પૂર્વભવમાં કોઈના પિતૃ હતા, તો આપણે આ ભવે શ્રાદ્ધમાં કાગડા થઈને કાગવાસમાં ખીર-પૂરી ખાવા જઈએ છીએ? તો આપણા પૂર્વજો ક્યાંથી આવી શકે? અને જો આવે તો કાગડા થઈને જ કેમ આવે, મેના, પોપટ કે મોર થઈને કેમ ના આવે?

    મનુષ્ય મૃત્યુ પછી પોતાના પુણ્ય અને પાપના આધારે ચાર ગતિમાંથી કોઈ એક ગતિમાં જાય છે. તો પોતાની ગતિ બદલીને કાગડા થઈને કેવી રીતે આવી શકે?

    આપણને કોઈપણ મુશ્કેલી આવતી હોય તે આપણા પાપકર્મના ઉદયને કારણે છે. તેમાં આવી અંધશ્રદ્ધાનો આશરો લઈને આપણા પિતૃઓને દોષિત ઠરાવવાને બદલે આપણે ખરાબ સમયમાં ભગવાનનું નામ લઈને તપ પૂરું કરવું જોઈએ. દ્વેષ, અભાવ, ઝઘડા કરવાને બદલે શાંતિ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અને પિતૃઓનો દોષ કાઢ્યો હોય તો તે ભૂલ માટે પસ્તાવા લેવા જોઈએ.

    શ્રાદ્ધ પાછળનું સાચું કારણ ઢંકાઈ જવાથી અને દેખાદેખીથી સમાજમાં આવી માન્યતાઓ ઘૂસી ગઈ છે. પરમ પૂજ્ય દાદા ભગવાન શ્રાદ્ધની ઉજવણી પાછળનું યથાર્થ કારણ ખુલ્લું કરે છે!

શ્રાદ્ધ પાછળનું વિજ્ઞાન:

શ્રાદ્ધની ઉજવણી પાછળનું ખરું કારણ આપણા પિતૃઓ નહીં, પણ આયુર્વેદ અને વિજ્ઞાન છે. ભારતમાં આજથી અમુક વર્ષ પહેલાં મેલેરિયાના રોગની દવા નહોતી શોધાઈ ત્યારની આ વાત છે.

દર વર્ષે શ્રાદ્ધનો સમયગાળો ૧૫ થી ૧૬ દિવસનો ભાદરવા માસમાં હોય છે. એ વખતે ભાદરવા મહિનામાં ગામમાં દરેક ઘરની બહાર એકાદ ખાટલો પડ્યો હોય ને તેમાં બીમાર વ્યક્તિ ઓઢીને સૂતી હોય. એને મેલેરિયાનો ખૂબ તાવ અને તેની બધી અસરો હોય કારણ કે ભાદરવા મહિનામાં મચ્છરો બહુ થતા અને એનાથી મેલેરિયાનો તાવ ખૂબ ફેલાતો.

મેલેરિયા એ પિત્તનો તાવ કહેવાય છે. કફનો તાવ કે વાયુનો તાવ નહીં, પણ પિત્તનો તાવ. શરદ ઋતુ અને ભાદરવો મહિનો એટલે પિત્ત પ્રકોપનો કાળ. ચોમાસાના દિવસોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય, એમાં પિત્તનો તાવ આવે અને ઉપરથી એને મચ્છર કરડે પછી એ મચ્છર બીજાને જઈને કરડે તો તેના શરીરમાં પણ તાવ ફેલાય. તે સમયે વધુ પડતા તાવમાં કોઈ દવા ન મળે, એટલે ટપોટપ લોકોનું મૃત્યુ થતું જાય. ત્યારે એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી કે જો કોઈ ઉપાય નહીં મળે તો ભારતની વસ્તી અડધી થઈ જશે!

એટલે આ પિત્તના તાવને શમાવવા માટે આપણા ઋષિમુનિઓએ અને સંતોએ એવી શોધખોળ કરી કે લોકોને આ દિવસોના ગાળામાં રોજ દૂધપાક અથવા ખીર ખવડાવો. તેમાં દૂધ અને ખાંડ હોય જેનાથી પિત્ત શમે અને મેલેરિયાનો રોગચાળો અટકે. એ વખતે પરિવારો મોટા હતા. એમાં રોજેરોજ ઘરમાં દૂધપાક બનાવવો હોય તો ઘણું બધું દૂધ જોઈએ એટલે લોકો રોજેરોજ ઘરમાં દૂધપાક કે ખીર બનાવે નહીં.

shraddh

એટલે પછી ધર્મના નામે આ રિવાજ શરૂ કરાવ્યો કે ભાદરવાની પૂનમથી સોળ દિવસ સુધી રોજ દૂધપાક બનાવીને લોકોને જમાડો. ફક્ત ધર્મના નામે બધા નિયમ ના પાળે, એટલે સાથે સામાજિક હેતુ ઉમેર્યો. લોકો કહેતા કે બાપદાદાના નામનું ‘સરાદ સરાવો’ (શ્રાદ્ધ કરાવો). એટલે પછી ઘરમાં જે સ્વજનો ગુજરી ગયા છે તેમના નામે લોકોએ શરૂ કર્યું. એમાંય જો કોઈ આડાઈ કરે કે ‘હું નહીં કરું’, તો ‘બાપદાદાનું પણ શ્રાદ્ધ નથી સરાવતો’ એવા સામાજિક દબાણને કારણે છેવટે તે શ્રાદ્ધ કરી નાખે. એક દિવસ કોઈ એકના ઘરે દૂધપાક બને અને તે બધાને જમાડે. બીજા દિવસે બીજાને ત્યાં બને, એમ વારાફરતી થાય. લોકોને આ માફક આવ્યું. ખરેખર આ રીતે કરેલા શ્રાદ્ધનું ફળ પૂર્વજોને પહોંચતું નથી, પણ એની પાછળ પૂર્વજોને સાંકળવાનો હેતુ આવો હતો.

પછી તો પૂનમથી લઈને સોળ દિવસ સુધી રોજ લોકોને દૂધપાક જમવા મળે. તેનાથી પિત્ત બધું શમી જાય. જેનાથી મેલેરિયા થાય નહીં અને મૃત્યુ પણ થાય નહીં. એટલે લોકો કહેતા કે સોળ શ્રાદ્ધ પછી જો જીવતો રહ્યો, તો ‘નવરાત્રિ’ માં આવ્યો, એટલે કે નવી રાત જોઈ. આમ નવરાત્રિ એટલે નવ રાતોની નહીં પણ જીવનમાં ‘નવી રાત’ જોવા મળી એની ઉજવણી છે!

×
Share on