પ્રાર્થના એટલે શું? પ્રાર્થના કરવાથી આપણને શક્તિ કેવી રીતે મળે?

નાનપણથી જ, આપણે ઘણી પ્રાર્થનાઓ ગાતા અને સાંભળતા આવ્યા છે. પરિણામે, આપણને પ્રાર્થનામાં શ્રદ્ધા બેસતી ગઈ. આજે ચાલો, પ્રાર્થના પ્રત્યેની આપણી આ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીએ. એ માટે આ વાતોને ઊંડાણપૂર્વક સમજીએ કે, ‘પ્રાર્થનાનો સાચો અર્થ શું છે? પ્રાર્થના કરવાથી શું ફાયદા થાય છે? ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? આપણે ક્યાં ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ? પ્રાર્થના કરતી વખતે ખરેખર શું માંગવું?

આ સમજણ આપણને સારું જીવન જીવવામાં મદદરૂપ થશે અને સાથે જ આપણા આધ્યાત્મિક પ્રગતિમાં પણ મદદરૂપ થશે. જ્યારે સાચી સમજણ સાથે પ્રાર્થના કરવામાં આવે, ત્યારે તે આપણા કલ્યાણ અને આધ્યાત્મિક પ્રગતિ પર ખૂબ જ ઊંડી અસર કરે છે.

તો સૌ પ્રથમ, ચાલો આપણે પ્રાર્થનાનો સાચો અર્થ શું છે, તે સમજીએ...

પ્રાર્થના એટલે ભગવાન સાથેનો સંવાદ!

Prayer

આ સંવાદ આપણી અંદર રહેલા ભગવાન સાથે અથવા આપણે જે મૂર્તિ કે જે ભગવાનના ફોટાની પૂજા કરીએ છીએ, તેમની સાથે હોઈ શકે અથવા તો એવી દૈવી શક્તિ કે જેમનામાં આપણે અતૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ.

પ્રાર્થના એ એક પ્રકારનું 'વાયરલેસ કનેક્શન' છે! એટલે જ, પ્રાર્થના ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકાય છે!

સામાન્ય રીતે, આપણા વડીલો અને ગુરૂ ભલામણ કરે છે કે પ્રાર્થના દરરોજ વહેલી સવારે કરવી જોઈએ. તેની પાછળનો વિચાર એ છે કે, દિવસની શરૂઆતમાં જ પ્રાર્થના કરવાથી આપણે તેને યોગ્ય મહત્ત્વ આપીએ છીએ અને ત્યારબાદ આપણે રોજિંદા જીવનની ભાગદોડમાં પરોવાઈ જઈએ છીએ. છતાં, જો કોઈ કારણસર સવારે સમય ન મળે, તો દિવસ દરમિયાન ગમે ત્યારે પ્રાર્થના કરવામાં કોઈ વાંધો નથી.

પ્રાર્થના એટલે ભગવાનને વિશેષ વિનંતી

જ્યારે પણ આપણે કંઈક ઈચ્છીએ છીએ, પરંતુ તે મેળવી શકતા નથી અથવા આપણને કોઈની મદદ અને માર્ગદર્શનની જરૂર હોય, પણ તે ક્યાંયથી મળતું ન હોય, ત્યારે આપણે પૂરી શ્રદ્ધા અને પ્રેમથી હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આપણી એ પ્રાર્થનાનો જવાબ પણ ચોક્કસ મળે છે!

જ્યારે આપણે સાચા દિલથી દેવ-દેવીઓ પ્રાર્થના કરીએ છીએ તેઓ સહાય કરવા માટે હંમેશાં તૈયાર હોય છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માંગતા હોય એવા મુમુક્ષોને દેવ-દેવીઓ હંમેશાં સહાય કરે છે.

Prayer to God

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પ્રાર્થના એટલે ભગવાન પાસે કંઈક વિશેષ હેતુ માટે માંગણી કરવી! પ્રાર્થના એટલે આપણા ધ્યેય સુધી પહોંચવામાં આપણને જે કંઈ પણ શક્તિઓ ખૂટે છે, તે ભગવાન પાસે માંગવી. ઉદાહરણ માટે જો આપણો ધ્યેય બીજાને સુખ આપવાનો હોય તો, દરરોજ સવારે આપણે હૃદયપૂર્વક આ પ્રાર્થના પાંચ વખત બોલવી જોઈએ: હે ભગવાન! મારા મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર પણ દુ:ખ ન હો.” અને ધારો કે, કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે, તો પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વ્યકિત પર કૃપા ઉતારો. તે વ્યક્તિને બદલવાના પ્રયત્ન કરવાને બદલે, તેમના માટે સારી ભાવનાઓ કરવી એ વધુ યોગ્ય છે.

મુશ્કેલીના સમયમાં પ્રાર્થના એક આધાર તરીકે મુખ્ય ભૂમિકા ભજવે છે.

ક્યારેક વ્યક્તિ પોતાના નસીબને બદલવાના પ્રયત્ન માટે પ્રાર્થનાનો સહારો લે છે. દાખલા તરીકે, જો આપણે માંદગીથી પીડાતા હોઈએ અથવા આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય, ત્યારે આપણે ભગવાનને આપણા પાપકર્મો ધોવાઈ જાય, તે માટે પ્રાર્થના કરીએ છીએ.

તો, શું પ્રાર્થનાથી આપણા ખરાબ કર્મો ધોવાઈ જાય છે? ચાલો સમજીએ...

કર્મોના ઉદય પણ ઘણા બધા પ્રકારના હોય છે. અમુક પ્રકારના કર્મો એવા હોય છે, જે પ્રાર્થનાથી ધોવાઈ જાય છે. બીજા પ્રકારના કર્મો એવા હોય છે, જે સાચા આધ્યાત્મિક પુરુષાર્થથી ધોઈ શકાય છે અને ત્રીજા પ્રકારના કર્મો એવા હોય છે, જેમાં ગમે તેટલો પુરૂષાર્થ કરીએ પણ તેને ભોગવ્યા વગર છૂટકો જ નથી. આ ત્રીજા પ્રકારના કર્મો ખૂબ જ ચીકણાં હોય છે.

શાસ્ત્રોમાં આવા ચીકણા કે ભારે કર્મોને ‘નિકાચિત’ કર્મ કહેવામાં આવે છે, જેને કોઈ પણ સંજોગોમાં ભોગવવા જ પડે છે. જો કે, આ સમયે પણ આપણે પ્રાર્થના દ્વારા થોડી રાહત મેળવી શકીએ છીએ. તેથી જ, નિયમિત પ્રાર્થના કરવી એ ખૂબ જ મહત્ત્વનું છે. પ્રાર્થના કદાચ એ કર્મને પૂરેપૂરું ઓગાળી ના શકે, પરંતુ આપણને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવા માટે સ્થિરતા અને અંદર શાંતિ જરૂરથી આપે છે.

જ્યારે આપણા કર્મો આપણને દુઃખ આપે છે, ત્યારે મહીંથી જ જાગૃતિ ઉત્પન્ન થાય છે. આવા સમયે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, ‘હે ભગવાન, મને આ કર્મોમાંથી બચાવો.’ ત્યારે મહીંથી જાગૃતિ ઉત્પન્ન થાય છે. ભગવાન જાગૃતિ આપતા નથી, પણ તેમનું નામ લેવાથી મહીંથી જાગૃતિ આવે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “બહુ ઉપાધિ હોય, બહુ અશાંતિ હોય તો ભજન સારા. ખૂબ જ અશાંતિ થઈ ગઈ હોય તો ભજન મોટેથી ગા-ગા કરે, તે મહીં ટાઢું પડી જાય. અને જો બીજા કોઈ કારણ માટે જોઈતું હોય તો મૌન પ્રાર્થના જેવી તો વસ્તુ જ નહીં.”

પ્રાર્થના એટલે આપણી શંકાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી!

Prayer means surrendering

જ્યારે પણ આપણને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરીએ છીએ, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તેનો અર્થ એ છે કે પ્રાર્થના એટલે આપણી બધી જ શંકાઓ અને ચિંતાઓ અને ગૂંચામણોને ભગવાનના ચરણકમળમાં સમર્પિત કરી દેવી.

આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ, કે ‘હે પ્રભુ! હું તમારા શરણે આવ્યો છું.’ જો આપણે ભગવાનના ચરણમાં આશરો લીધો હોય તો પછી ચિંતા કરવાની શું જરૂર છે?

ભગવાને હંમેશાં કહ્યું છે કે વ્યક્તિએ ચિંતા ન કરવી જોઈએ. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ચિંતા ત્યારે જ થાય છે, જ્યારે આપણે એવું માની લઈએ છીએ કે, ‘આ બધું મારે જ કરવાનું છે.’ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.” ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે, “રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, એ નિશ્ચય કર જાણીએ, ત્યજીએ આર્તધ્યાન.”

પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે, કે ”જેને ભગવાન ઉપર વિશ્વાસ જરાય ના હોય તે જ ચિંતા કરે છે. જો તમને ખરેખર ભગવાન ઉપર વિશ્વાસ હોય, તો તમારે બધું તેમના પર છોડીને શાંતિથી સૂઈ જવું જોઈએ. આ રીતે ચિંતા કોણ કર્યા કરે? એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમે જે કહો છો, શું ભગવાન તે નહીં સાંભળતા હોય?”

તેઓ આગળ કહે છે કે, “એક અઠવાડિયા માટે બધું જ ભગવાન પર છોડી દો અને ચિંતા કરવાનું બંધ કરી દો. પછી એક દિવસ મારી પાસે આવજો, હું તમને ભગવાનનો સાક્ષાત્કાર કરવામાં મદદ કરીશ, જેથી તમારી ચિંતાઓ કાયમ માટે દૂર થઈ જશે.”

પ્રાર્થના એ આપણી પોતાની પ્રગતિ માટેનું સાધન છે!

Prayer for world

દરેક માતા-પિતાએ પોતાના બાળકોને શીખવવું જોઈએ કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી, હૃદયપૂર્વક આ રીતે પ્રાર્થના કરવી જોઈએ: “હે ભગવાન! મને અને આ જગતના સર્વે જીવોને સદ્‌બુદ્ધિ આપો, આખા જગતનું કલ્યાણ કરો.”

જો એક માતા-પિતા તરીકે આપણે આટલું કરીએ, તો તેનો અર્થ એ છે કે આપણે આપણા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં સફળ થયા છીએ. શરૂઆતમાં કદાચ બાળકો આનો વિરોધ કરશે, પણ થોડા સમય પછી તેમને પ્રાર્થના કરવી ગમવા લાગશે અને તેઓ પોઝિટિવ પ્રતિભાવ આપશે.

સામાન્ય રીતે, બાળક નાનપણથી જ પ્રાર્થનાનું મહત્ત્વ સમજવા લાગે છે. આ જ સમયમાં તેમને એવો દૃઢ વિશ્વાસ બેસે છે કે ભગવાન એમની પ્રાર્થના સાંભળે છે, કારણ કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ચોક્કપણે ફળ આપે જ છે અને થોડા જ સમયમાં, ભગવાન બાળકના કાયમ માટેના મિત્ર બની જાય છે!

પ્રાર્થના વ્યક્તિને નમ્ર બનાવે છે!

જ્યારે આપણે નમ્ર થઈને પ્રાર્થના માટે બે હાથ જોડીએ છીએ, ત્યારે આપણે એવું સ્વીકારીએ છીએ કે આપણે હજી ઘણું બધું શીખવાનું બાકી છે. તેથી જ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે આપણા અહંકારને સમર્પિત કરીને, આપણી અંદર રહેલી અશુદ્ધિઓને ખાલી કરીએ છીએ. આપણો અહંકાર ઓછો થવો, એ જ આપણી આધ્યાત્મિક પ્રગતિ છે, જે આપણા ‘હું’ પણાની અજ્ઞાન માન્યતાઓને ધીમે-ધીમે દૂર કરવાનો રસ્તો છે. જ્યારે આપણે ભગવાન પાસે આપણા અહંકારને સંપૂર્ણપણે ઓગળવાની શક્તિ માંગીએ છીએ, ત્યારે આપણામાં પરમ વિનય પ્રગટ થાય છે.

પ્રાર્થના ધીમે-ધીમે આપણને ભગવાન જેવા બનાવે છે!

એવો નિયમ છે, કે જ્યારે આપણે કોઈ મહાન પુરુષો કે સંતોના આધ્યાત્મિક સર્વોચ્ચ સદ્‌ગુણોની પ્રસંશા કરીએ છીએ, તો ધીમે-ધીમે કોઈ પણ પ્રકારના પુરુષાર્થ વિના જ તેવા ગુણો આપણામાં પણ આવવા લાગે છે. આ એક અદ્ભુત સિદ્ધાંત છે! જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે બહારથી તો આપણું ધ્યાન એ મહાન પુરુષોના ઉચ્ચ ગુણો પર હોય છે, જેમની આપણે પ્રસંશા કરી રહ્યા છીએ; પણ અંદરખાને આપણામાં પણ તે ગુણો પ્રગટ થાય, તેવી ભાવના રહ્યા કરે છે.

પ્રાર્થના આપણી વાણીને મીઠી-મધુરી બનાવવામાં મદદ કરે છે

વ્યક્તિના ચારિત્ર્યની શક્તિનો ખ્યાલ તેની વાણી પરથી ઓળખી શકાય છે. જ્ઞાની પુરુષની વાણી એટલી મીઠી અને મધુરી હોય છે કે તેને સંભાળનાર કોઈ પણ વ્યક્તિના મનમાં ક્યારેય પણ નેગેટિવ ભાવ આવતા નથી.

આવી મીઠી-મધુરી વાણીની પ્રાપ્તિ માટે, પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, કે “આપણે ભાવથી દરરોજ માંગણી કરવાની કે મારી વાણીથી કોઈનેય દુઃખ ન હો અને સુખ જ હો.” જ્યારે આપણે આવી વાણીના કારણો સેવીએ છીએ, ત્યારે જ આવી વાણી પ્રાપ્ત થાય છે.

પ્રાર્થનાનું મહત્ત્વ

પ્રાર્થનાનું શું મહત્વ રહેલું છે? શું પ્રાર્થનાથી પરિણામ બદલી શકાય?

પ્રાર્થના જો સાચા દિલથી ન કરવામાં આવે, તો તે પોતાનું મહત્ત્વ ગુમાવી દે છે!

પ્રાર્થના કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રાર્થના તદ્દન સાચી હોવી જોઈએ, ઠોકાઠોક ના ચાલે. પોપટ આયારામ-ગયારામ બોલે, રામ-રામ બોલે, તે સમજીને બોલે કે સમજ્યા વગર? તેવી રીતે આ પ્રાર્થનાઓ સમજીને, વિચારપૂર્વક, હૃદયને અસર થાય એવી હોવી જોઈએ.

પ્રાર્થના કરતી વખતે જો આપણું ચિત્ત એમાં હાજર ન હોય, તો તે પ્રાર્થના સાચી પ્રાર્થના ગણાતી નથી. સાચી પ્રાર્થના કેવી હોવી જોઈએ, પ્રાર્થના કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, આ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે એ સમજીએ:

પ્રશ્નકર્તા: જ્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે, ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં આપણું મન તે જ વખતે ભટકવા નીકળે છે.

દાદાશ્રી: એવું છે ને, મનને-ચિત્તને જ્યાં આગળ પ્રેમ હોય ને ત્યાં આગળ સ્થિર રહે. પ્રેમ જ ના હોય તો શી રીતે સ્થિર રહે? હમણે બેંકમાં જાય તો ડૉલર જોડે આખો દહાડોય સ્થિર રહે અને ભગવાન જોડે સ્થિર રહે નહીં. ભગવાન જોડે પ્રેમ જ નથી લોકોને. લોકોને સ્ત્રીઓ ઉપર પ્રેમ છે ને આ ડૉલર ઉપર પ્રેમ છે. બે જગ્યાએ પ્રેમ છે. સ્ત્રીઓમાંય થોડીક જ વાર, ડૉલર (લક્ષ્મી) ઉપર આખો દહાડો પ્રેમ છે. એટલે ત્યાં સ્થિર રહે નિરાંતે. બેંકમાં રહે કે ના રહે? બેંકમાં દસ હજાર ડૉલર, રૂપિયા છૂટા આપ્યા હોય તો ગણવામાં સ્થિર રહે કે ના રહે?

પ્રશ્નકર્તા: એ તો થોડીક જ વાર ને!

દાદાશ્રી: ના, ઠેઠ સુધી, દસ હજાર ગણતા સુધી રહે. છોકરો વચ્ચે આવે તોય આમ જુએય નહીં, ખરી વાત કે ખોટી વાત?

પ્રશ્નકર્તા: તદ્દન ખરી વાત.

દાદાશ્રી: તે આ તો એની ડૉલર ઉપર પ્રીતિ છે. ભગવાન ઉપર જરાય પ્રીતિ નથી લોકોને. ભગવાન ઉપર એક જ દહાડો પ્રીતિ થાય ને, તો બધી વસ્તુ તમને મળે. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે જે એને ના મળે, પણ ભગવાન ઉપર પ્રીતિ નથી.

પ્રશ્નકર્તા: ભગવાન ઉપર પ્રીતિ આવે (એ) માટે શું કરવું, દાદા?

દાદાશ્રી: એને જાણવું જોઈએ કે ભગવાનથી શું મને ફાયદો થશે? આ ડૉલરથી જેમ ફાયદો થાય છે ને લોકો જાણે છે, એવું આનાથી શું ફાયદો થશે એ બધું જાણવું જોઈએ.

સાચી પ્રાર્થનાથી આપણે પોતાની મહીં બિરાજેલા ભગવાન (પોતાના આત્મા) સાથે વધુ ને વધુ જોડાયેલા રહીએ છીએ. આવી શુદ્ધ પ્રાર્થનાથી આપણી સમગ્ર પરિણતિ બદલાઈ જાય છે.

પ્રાર્થના એ આપણને પોતાના આત્મા સાથે અનુસંધાન કરાવતો સેતુ છે!

Prayer

પ્રાર્થનાનું ફળ એ છે કે આપણે જે માંગીએ છીએ, તે આપણને મળે છે. જો સાંસારિક સુખો માંગીએ, તો પછી સાંસારિક સુખ મળે છે.

જ્યારે આપણે સાંસારિક કારણો માટે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે શાંતિની પ્રાપ્તિ સાથે આપણને આપણી સમસ્યાનું સમાધાન મળી જાય છે. પણ, પ્રાર્થનાના મહત્ત્વને આટલા સુધી જ સીમિત રાખવું કેટલા અંશે યોગ્ય ગણાય? પ્રાર્થના તો આગળના બીજા રસ્તાઓ પણ શોધી આપે છે.

પરમ પૂજ્ય દાદાશ્રી અહીં બે પ્રકારની પ્રાર્થના વિશે વાત કરે છે:

  1. એક, સાંસારિક કે વ્યવહારિક જીવનના હેતુ માટે અને
  2. બીજું, આત્માના કલ્યાણ અને અંતિમ ધ્યેય (મોક્ષ) માટે.

આ સંસારમાં પ્રત્યેક જીવને સાંસારિક મુશ્કેલી તો હોય જ છે, પણ ખરી મુશ્કેલી તો આપણી અંદર રહેલા કષાયો છે. જેમ કે, રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા અને લોભ; કારણ કે તેઓ આપણને આત્માથી દૂર લઈ જાય છે.

જેમણે અધ્યાત્મમાં આગળ વધવું છે, તેના માટે પ્રાર્થના ખૂબ જ મહત્ત્વની છે. સાચા હૃદયથી કરેલી આધ્યાત્મિક પ્રાર્થનાથી તમામ સાંસારિક ઈચ્છાઓનો અંત આવે છે અને અંતિમ ધ્યેય (મોક્ષ) પણ પૂર્ણ થાય છે. જ્યારે મોક્ષના માર્ગ ચાલતા એવું લાગે કે હવે હારી ગયા છીએ અથવા આપણે અટકી ગયા છીએ અને કોઈ પ્રગતિ નથી થઈ રહી, ત્યારે હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના આધ્યાત્મિક પ્રગતિના આગળના દ્વાર ખોલી આપે છે.

પ્રાર્થના એટલે શક્તિઓ માંગવી

આપણા પ્રગતિના માર્ગમાં આપણી ભૂલો ખૂબ અવરોધરૂપ છે. જે આપણી અંદર રહેલા છે તે આપણા બધા દોષોનું લિસ્ટ બનાવવું જોઇએ અને આ ભૂલોમાંથી બહાર આવી શકાય તે માટે શક્તિઓ માગવી જોઈએ. જ્યારે વ્યક્તિ માફી માંગશે અને ભગવાન પાસે આવી ભૂલ ફરી ન થાય તે માટે શક્તિઓ માંગશે ત્યારે આ ભૂલો ધીમે-ધીમે ખલાસ થઈ જશે. નાની ભૂલો તો પ્રાર્થના દ્વારા ચોક્ક્સપણે દૂર થાય છે. ભૂલો વારંવાર એટલા માટે થાય છે કારણ કે આપણે પૂર્વે તેના માટે પ્રાર્થના કરી નથી હોતી. હવે પ્રાર્થના કરવાથી ભૂલો ધોવાઈ જશે.

જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે પોતાના જ આત્મા પાસે અથવા ભગવાન પાસેથી શક્તિ માંગી શકે છે. જેમણે હજુ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, તેઓ પોતે જે ભગવાનમાં માનતા હોય અથવા દાદા ભગવાન પાસે શક્તિ માંગી શકે છે.

અહીં એવી કેટલીક પ્રાર્થનાઓ છે, જે આપણા જીવનમાં મોટો બદલાવ લાવવાની શક્તિ ધરાવે છે:

સવારે ઊઠીને કરવાની પ્રાર્થના

દરરોજ સવારે, જ્યારે આપણે પૂરી નિષ્ઠાપૂર્વક નીચેની પ્રાર્થના કરીએ છીએ, ત્યારે તે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

“હે ભગવાન! મારા મનથી, વાણીથી અને વર્તનથી કોઈને ક્યારેય દુ:ખ ના થાય, એવી આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
હે ભગવાન! મને તમારા જેવો જ બનાવો અને મને મોક્ષે લઈ જજો.”

અભ્યાસ શરૂ કરતા પહેલા દરરોજ કરવાની પ્રાર્થના

દરેક બાળકની પ્રાથમિક જવાબદારી સારી રીતે ભણવાની છે. તેથી, જો દરેક માતા-પિતા અથવા શિક્ષક તેમના બાળકોને ભણતા પહેલાં નીચે મુજબ પ્રાર્થના કરતા શીખવે, તો તે બાળકોને તેમની આ જવાબદારી નિભાવવા માટે ખૂબ જ શક્તિ આપશે:

બાળકોને આંખ બંધ કરીને અને એકદમ સ્થિરતા સાથે ૧૦ મિનિટ સુધી આ મોટેથી બોલવા માટે કહો: ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો!’ અને જ્યારે તેઓ આ બોલતા હોય, ત્યારે સાથે સાથે આંખ બંધ રાખીને આનો પ્રત્યેક અક્ષરે અક્ષર વાંચવાનું કહો.

યાદશક્તિ વધારવા અને ભણવાનું સરળતાથી યાદ રહે તે માટે અભ્યાસ શરૂ કરતા પહેલાની આ ખાસ પ્રાર્થના છે.

પરીક્ષા પહેલા સામાન્ય રીતે મનમાં એવો ભય રહેતો હોય છે, કે ‘મેં જે કંઈ પણ વાંચ્યું છે, તે જો મને યાદ નહીં આવે તો? આ ભયને દૂર કરવા માટે નીચેની પ્રાર્થના ઉત્તમ ઉપાય છે: 

“હે ભગવાન! હું આપણે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કે હું જે ભણું તે મને યાદ રહે એવી આપ મને શક્તિ આપો. મારી ચિત્તવૃતિના જે જે દોષો થયા હોય, તેની હું આપણી પાસે ક્ષમા માંગું છું, મારું ચિત્ત ભણવામાં એકાગ્ર રહે એવી આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.”

અંતિમ સમયની પ્રાર્થના!

જ્યારે આપણા જીવનની અંતિમ ઘડી આવી પહોંચે, ત્યારે આપણે ખૂબ હૃદયપૂર્વક નીચેની પ્રાર્થના ચોક્કસપણે કરવી જોઈએ! જો કોઈ વ્યક્તિ મરણપથારીએ હોય અને પોતાની બીમારીને કારણે આ પ્રાર્થના બોલવા સક્ષમ ન હોય, તો એમની નજીકની કોઈ પણ તે મરણપથારીએ પડેલા વ્યક્તિ માટે મોટેથી આ પ્રાર્થના બોલી શકે છે: 

“હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ! હું મન-વચન-કાયા, મારા નામની સર્વ માયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હે પ્રભુ! હું આપનું અનન્ય શરણું લઉં છું. મને આપનું અનન્ય શરણું હોજો. છેલ્લી ઘડીએ હાજર રહેજો. મને આંગળી ઝાલીને મોક્ષે લઈ જજો. ઠેઠ સુધીનો સંગાથ કરજો. હે પ્રભુ! મને મોક્ષ સિવાય આ જગતની બીજી કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. મારો આવતો ભવ આપના ચરણમાં ને શરણમાં જ હોજો.”

ઉપરાંત, દાદા ભગવાન*ના અસીમ જય જયકાર હો’ બોલવાથી પણ પરમ શાંતિ અને આનંદનો અનુભવ થશે.

મુશ્કેલીમાં હોય તે લોકો માટે પ્રાર્થના

આ જગતમાં ઘણા દુ:ખ અને દર્દ રહેલા છે! ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે શું મદદ કરી શકીએ?

પ્રાર્થના! હા, સાચા દિલથી કરેલી પ્રાર્થના સવળા સંજોગો ભેગા કરી આપે છે.

ચાલો, પરમ પૂજ્ય દાદા ભગવાનની મુમુક્ષુ સાથેની નીચેની વાતચીત દ્વારા તેને વધુ વિગતવાર સમજીએ...

પ્રશ્નકર્તા: આપણા દેશમાં તો વરસાદ ના પડતો હોય તો પ્રાર્થના કરે એટલે પછી વરસાદ પડે, એ શું સમજાવો?

દાદાશ્રી: હા, એવું છે ને પ્રાર્થના એ નિમિત્ત છે એમાં. સારું નિમિત્ત હોય અને પ્રાર્થના કરે તો વરસેય ખરો. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તમારે ભાવના કરવી જોઈએ કે ટાઈમ થયો છે (તો) તમે આવો તો સારું. એટલી ભાવના કરવી જોઈએ.

પ્રશ્નકર્તા: કોઈ પણ જગ્યાએ ધરતીકંપ થયો હોય કે હુલ્લડ થયું હોય, કુદરતી આફત આવી હોય તો આપણે અહીંયા બેઠા બેઠા એમ પ્રાર્થના કરીએ કે હે ભગવાન! ત્યાં શાંતિ થાવ અને બધાને હેલ્પ (મદદ) થાય એવું કરો, તો એ પહોંચે છે કે ખાલી એમને એમ ગપ્પું છે?

દાદાશ્રી: ના, એ પહોંચે. પહોંચે અને આ લોક દુઃખી થાવ એવી ભાવના કરીએ તો એય પહોંચે. સાચું દિલ હોય તો પહોંચે. એ મહીં સત્યતા, મહીં ચોખ્ખું છે કે નહીં, (એના) ઉપર આધાર રાખે છે.

પ્રશ્નકર્તા: જો સાચી, બરોબર અંદરથી પૂરેપૂરી અંતઃકરણપૂર્વક પ્રાર્થના હોય તો, પેલો માંદો હોય તો એના પરિણામ ઉપર અસર કરે?

દાદાશ્રી: ફળે ને, પણ એટલો ચોખ્ખો હોય તો ફળે. મુખ્ય સવાલ ચોખ્ખાનો, હાર્ટ (હૃદય)નું ચોખ્ખાપણું એ તો બહુ ઊંચી વાત. હાર્ટ ચોખ્ખું, ‘પ્યૉર’ હાર્ટ. તદ્દન ‘પ્યૉર’ હાર્ટ થવું એ ભગવાન કહેવાય.

આ સંસારના પ્રત્યેક જીવમાત્ર માટે પ્રાર્થના!

અંતે, સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે દરેક માટે પ્રાર્થના કરવી જોઈએ. નીચે આપેલી પ્રાર્થના દિવસમાં જેટલી વખત ઈચ્છા થાય તેટલી વાર બોલી શકીએ છીએ!

“હે દાદા જગ કલ્યાણ કરો,
સૌ જીવો મોક્ષ જ્ઞાન પામો,
દુનિયાના અંતરાયો તૂટો,
સ્વામી સૌને શરણે લો.
દાદા ભગવાન*ના અસીમ જય જયકાર હો.”

જ્યારે આપણી પ્રાર્થના સાચા હૃદયથી હોય, ત્યારે તે દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકે છે.

*નોંધ: ‘દાદા ભગવાન’ એટલે આપણી અંદર રહેલા ભગવાનને સંબોધાય છે.

×
Share on