
હાલિક ખેડૂતે ગૌતમ સ્વામી પાસેથી દીક્ષા લીધી, પણ એને સિંહ તથા નાગદેવના પૂર્વભવના વેરના હિસાબે શ્રી મહાવીર ભગવાનને જોતાં જ દ્વેષ થયો તથા વેર ભભૂકી ઊઠ્યું. હાલિક ખેડૂત દીક્ષા છોડીને ચાલ્યો ગયો. આગળ, પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાવોના પરિવર્તન વિશે જાણીએ.
પોતનપુરમાં પ્રસન્નચંદ્ર નામે એક ખૂબ મહાન રાજા હતા. તેમને ભગવાન મહાવીરની દેશના સાંભળીને ખૂબ જ આનંદ થયો અને વૈરાગ આવ્યો. એમના પુત્ર વયમાં નાના હતા અને તેઓ હજુ રાજ્ય સંભાળી શકે એટલા પરિપક્વ થયા ન હતા. છતાં, ભગવાન પાસે જ જવાની તીવ્ર ઈચ્છાના કારણે પ્રસન્નચંદ્ર રાજાએ પોતાની રાજગાદી રાજકુમારને સોંપી અને પછી દીક્ષા લીધી અને ખૂબ જબરજસ્ત તપ-આરાધના અને ભક્તિ કર્યાં.
એક વખત એવું થયું કે એક જંગલમાં પ્રસન્ન મુનિ, ભગવાને બતાવેલા આત્માના રાહ પર ચાલી રહ્યા હતા. તેઓ એક પગ પર ઊભા રહીને આત્મધ્યાનમાં લીન હતા. એ વખતે શ્રેણિક મહારાજા પોતાના સૈન્ય, લાવલશ્કર સાથે ભગવાન મહાવીરને વંદન કરવા આવ્યા. ત્યાં રસ્તામાં બે સેનાનીઓ અંદર-અંદર વાતો કરતા હતા અને એટલામાં એમણે ત્યાં પ્રસન્ન મુનિને જોયા. મુનિને જોતાં જ સૈનિકો તેમને ઓળખી ગયા અને બંને અંદર-અંદર વાતો કરવા લાગ્યા. એમની વાતો પ્રસન્ન મુનિએ સાંભળી.
સેનાનીઓ વાત કરતા હતા, “આ તો વૈરાગ લઈને નીકળી પડ્યા, પેલા નાનકડા રાજકુમારને ગાદી પર બેસાડી દીધા. પણ નાના છોકરાને શું રાજ્ય કરતા આવડે? એનામાં એટલી બધી કુશળતા ક્યાંથી હોય? એટલે રાજ્યના જે બે મુખ્યમંત્રીઓ હતા એમણે દુશ્મન રાજા જોડે કપટથી સુલેહ કરીને રાજકુમાર પર ચડાઈ કરી અને રાજકુમારને જેલમાં નાખી દીધો. હવે, આ બે મંત્રીઓ તો ખંડણી રાજા થઈને ત્યાં રાજ્ય ચલાવે છે. પેલા રાજકુમાર બિચારાને કેવી દશા થઈ છે!”
આ સાંભળીને પ્રસન્ન મુનિને અંદર જબરજસ્ત દ્વેષ થયો. પ્રસન્ન મુનિએ અંદર ચિત્તમાં બે મંત્રીઓને લાવીને એમની સાથે ખૂબ મોટું યુદ્ધ કર્યું. આમ તો પોતે ધ્યાનમાં હતા પણ બીજી બાજુ એમના ચિત્તમાં આવું ચાલતું હતું. પછી શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર પાસે આવીને વંદન કર્યા અને પ્રસન્ન મુનિની વાત કરી, “મેં પ્રસન્ન મુનિને આટલી બધી જબરજસ્ત તપશ્ચર્યા કરતા જોયા. જો અત્યારે એમનો દેહ છૂટે, તો એમની ગતિ શું થાય?” ભગવાન મહાવીરે કહેલી આ બહુ સુંદર, સૈદ્ધાંતિક અને તાત્ત્વિક, સમજવા જેવી વાત છે. શ્રેણિક મહારાજાએ જ્યારે પ્રસન્ન મુનિ વિશે ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું, “અત્યારે જો એમનો દેહ છૂટે તો એ સાતમી નર્કે જાય.”
આ સાંભળીને શ્રેણિક મહારાજાએ કહ્યું, “શું વાત કરો છો! પ્રસન્ન મુનિ તો ધ્યાનમાં છે.” ભગવાને કહ્યું , “બહારથી તેઓ ધ્યાનમાં છે પણ અત્યારે એમની અંદર ચિત્તમાં એમના બે મંત્રીઓ જોડે જબરજસ્ત યુદ્ધ ખેલાઈ રહ્યું છે. એ ભાવથી મંત્રીઓ સાથે યુદ્ધ કરે છે અને મંત્રીઓને મારી નાખે છે. એટલું બધું જબરજસ્ત યુદ્ધ પ્રસન્ન મુનિની અંદર ચાલે છે અને એમની અંદરની આખી પરિણતિ ભયંકર કષાયની થઈ ગઈ છે. હવે એ સમયે જો એમનો દેહ છૂટે તો એ સાતમી નર્કે જાય.”
પછી થોડીવાર બાદ ભગવાન મહાવીરને ફરી શ્રેણિક મહારાજાએ પૂછ્યું, “પ્રભુ, અત્યારે જો પ્રસન્ન મુનિનો દેહ છૂટે તો એ ક્યાં જાય?” તો મહાવીર ભગવાને કહ્યું, “દેવગતિમાં જાય.” આ સાંભળીને શ્રેણિક મહારાજાને એકદમ જ આશ્ચર્ય થયું, “આ કેવી રીતે? પહેલા તમે કહ્યું કે નર્કે જશે અને હજુ તો થોડી ક્ષણ પણ નથી થઈ અને અત્યારે આપ કહી રહ્યા છો કે તેઓ દેવગતિમાં જશે. આવું કેવી રીતે બની શકે?”
ત્યારે ભગવાને કહ્યું, “હા, અત્યારે એવું બન્યું છે કે અંદર યુદ્ધ કરતા કરતા પ્રસન્ન મુનિના બધા આયુધો ખૂટી ગયા છે, એમની પાસે કોઈ પણ શસ્ત્ર નથી. આ બધું મનમાં ને મનમાં ચાલે છે, વાસ્તવિકતામાં આવું કશું નથી. પ્રસન્ન મુનિ હતાશ થઈ ગયા અને એમને થયું, ‘લાવ, હું મારા મુગટથી મંત્રીઓને મારી નાખું.’ પ્રસન્ન મુનિને અંદર એટલી બધી અસર થઈ ગઈ કે પોતે મહારાજા છે, માથે મુગટ અને પોતાની પાસે બધા શસ્ત્રો છે. જેવા પોતે મુગટ કાઢવા માટે હાથ ઊંચો કરે છે ત્યાં તો એમના માથા પર મુગટ તો શું પણ વાળ પણ ન હતા!” તેઓ મુનિ હતા એટલે લોચ કરેલું માથું હતું. આથી પ્રસન્ન મુનિને અંદર તરત જ ચમકારો થયો, ‘અરર, હું ક્યાં ખોવાઈ ગયો? કઈ નર્કમાં હું પેસી ગયો! મેં તો દીક્ષા લીધી છે. મારે તો કોઈ શસ્ત્ર તો શું, કંઈ પણ ના ઉગામાય.’ અને પોતે પશ્ચાત્તાપ કરીને પાછા વળ્યા. અત્યારે એમની પરિણતિ જબરજસ્ત પશ્ચાત્તાપની છે એટલે જો આ વખતે એમનો દેહ છૂટે તો તેઓ દેવગતિમાં જાય.”
ભગવાન મહાવીરની વાત સાંભળી શ્રેણિક મહારાજાને ખરેખર આશ્ચર્ય થયું. થોડીવાર પછી શ્રેણિક મહારાજાએ પાછું પૂછ્યું, “ભગવાન, અત્યારે જો પ્રસન્ન મુનિનો દેહ છૂટે તો ક્યાં જાય?” ત્યારે ભગવાને કહ્યું, “મોક્ષે જાય.” અને ખરેખર એ જ ક્ષણે દુંદુભિ વાગી, દેવોએ વૃષ્ટિ કરી અને આકાશવાણી થઈ કે પ્રસન્ન મુનિ કેવળજ્ઞાન પામીને તરત મોક્ષે ચાલ્યા ગયા.
આ અંદરની પરિણતિનું કેવું સુંદર વિજ્ઞાન છે જેની સામાન્ય લોકોને ખબર નથી હોતી. લોકો તો બાહ્ય ક્રિયા જોઈને એની પરિણતિ એ જ હશે એવું માને છે. પણ ના, એવું નથી! બહારની ક્રિયા, જે સ્થૂળ ક્રિયા છે, પાંચ ઇન્દ્રિયોથી થતી ક્રિયા છે, તે બધી જ ઈફેક્ટ (પરિણામ) છે. અને કોઝ (કારણ), જે ચાર્જ થનારી વસ્તુ છે, એ અંદર છે, સૂક્ષ્મમાં છે, જે ભાવથી થાય છે. આ ભાવવિજ્ઞાન ખરેખર ભગવાને તો આપેલું અને જ્ઞાનીઓ પણ આજે આપે છે, પણ સામાન્ય જગતને આ ભાવવિજ્ઞાન પહોંચતું નથી ને એમને એની કશી જ ખબર હોતી નથી. બધાને બાહ્ય દૃષ્ટિથી જ દેખાય છે.
ધર્મમાં પણ ક્રિયાઓ શીખવાડવામાં આવે, પણ અંદર ભાવનું સેટિંગ તે વખતે કેવું હોવું જોઈએ એ સેટિંગ કરાવવાની તાકાત નથી હોતી. એટલે બધા બધું કરતા હોય છે છતાંય અંદર ચિંતા, ઉપાધિ, ક્લેશ, કષાયો, આ બધું જતું નથી. જ્ઞાનીઓ પાસે એવી ચાવી હોય છે કે જે અંદરનું સેટિંગ કરી આપે, આપણો ભાવ જ ન બગડે, બહાર ગમે એટલું ખરાબ હોય પણ અંદર જબરજસ્ત આત્મસ્વભાવમાં, સ્વભાવભાવમાં રહેવાય. તીર્થંકર ભગવાન તો કેવળજ્ઞાનમાં જ હોય. પ્રસન્ન મુનિ પણ સમકિતી તો હતા જ. એમના ભાવો બગડ્યા પણ એમને તરત પાછા આત્મસ્વભાવમાં આવી જતા વાર ના લાગી. તેઓ પશ્ચાત્તાપ કરીને શ્રેણી ચડ્યા અને કેવળજ્ઞાન પામ્યા.
ક્રિયાની પાછળ ભાવ એ જુદી વસ્તુ છે. પ્રસન્ન મુનિનો દાખલો જોઈએ તો બહારની ક્રિયામાં તેઓ ત્રણેય વખતે જબરજસ્ત ધ્યાનમાં જ હતા, એ જ આત્મધ્યાનની મુદ્રામાં જ હતા. એમને જોઈ બધાને એમ જ થાય કે તેઓ આત્મધ્યાનમાં લીન થઈને આખા જગતથી અલિપ્ત થયેલા છે. પણ ના, જેવી એમણે પેલા સેનાનીની વાત સાંભળી તેવી તરત જ એમની અંદર પરિણતિ બદલાઈને ભયંકર કષાયવાળી થઈ ગઈ અને સાતમી નર્કે જાય એવો અંદર ભાવ ઊભો થયો.
એવી જ રીતે આપણે પણ બધી ક્રિયાઓ કરતી વખતે જેમ કે, ભગવાનના દેરાસરમાં એમની સેવા-પૂજા કરતા હોઈએ અથવા તો સામાયિક કે પ્રતિક્રમણ કરતા હોઈએ, પણ તે વખતે આપણને અંદર કેવું રહે છે, ધ્યાન એનું કરતા હોઈએ પણ આપણી અંદર પરિણતિ કેવી હોય છે એના આધારે આપણું કર્મ ચાર્જ થાય છે. અંદરની પરિણતિ પર આધાર છે. આપણે માનીએ કે મેં બાહ્ય ક્રિયા કરી એટલે મને જબરજસ્ત પુણ્ય મળી ગયું. પણ ના, એવું નથી!
આપણે બાહ્ય ક્રિયામાં પાંચ લાખનું દાન કરીએ, મોટું જબરજસ્ત પુણ્ય કમાઈએ અને બધા વાહવાહ કરે, “ઓહોહો, ધન્ના શેઠે તો જબરજસ્ત દાન કર્યું, બહુ મોટું નામ કમાયું અને આવતા ભવ માટે બહુ મોટું પુણ્ય બાંધ્યું.” પણ ભાવવિજ્ઞાન પ્રમાણે તે વખતે ધન્ના શેઠની અંદર પરિણતિ શું હતી? જો ધન્ના શેઠની અંદર એવું હોય, “આ સંસ્થાના લોકોએ મારી પાસેથી દબાણ કરીને પૈસા લઈ ગયા અને એમાં જે સંસ્થાના ચેરમેન હતા એ અમારા વેવાઈ હતા. જો એ ન આવ્યા હોત તો હું પૈસોય ન આપત પણ એ આવ્યા એટલે એમના દબાણથી મારે આપવા પડ્યા.” શેઠે પાંચ લાખનું દાન તો બહાર સરસ કર્યું અને પુણ્ય કમાયા પણ કર્મના સિદ્ધાંતે એ કબૂલ ન કર્યું.
કર્મના સિદ્ધાંત પ્રમાણે, “શેઠનો અંદર શું ભાવ હતો તો કે પાંચ રૂપિયા પણ ન આપું, આ દબાણથી આપવા પડ્યા છે.” એટલે આવતા ભવ માટે એમણે પાપકર્મ બાંધ્યું કે પાંચ રૂપિયા પણ ના આપું. અને એવું જ એમને આવતા ભવે થશે. જો કોઈ ગરીબ માણસ પાસે પાંચ જ રૂપિયા હોય પણ એ સાચા દિલથી, ભાવથી આપે છે, અને કહે છે, “અત્યારે મારી પાસે પાંચ લાખ હોત તો પાંચે લાખ આપી દેત.”, એવા ભાવથી પૈસા આપે તો પાંચ રૂપિયા આપીને પણ એ પાંચ લાખનું પુણ્ય બાંધે છે. આવતા ભવે એ પાછા એટલા આપી શકશે.
દરેક ક્રિયાની પાછળ અંદર આપણો હેતુ, ભાવ શું છે, એ તપાસ કરતા રહેવાની જરૂર છે. એ તપાસ કરીએ તો આપણને જડે એવું છે કે આપણે શુભ ભાવમાં છીએ કે અશુભ ભાવમાં! અશુભ ભાવમાં હોઈશું તો પાપ બંધાશે અને શુભ ભાવમાં હોઈશું તો પુણ્ય બંધાશે. અને જો સ્વભાવભાવમાં, આત્મભાવમાં હોઈશું તો પુણ્ય પણ નથી બંધાતું કે પાપ પણ નથી બંધાતું, પણ કર્મમાંથી છૂટાય છે અને મોક્ષે જવાનો રસ્તો આગળ કપાય છે.
સ્વભાવભાવ એટલે આત્માનો સ્વભાવ, જોવું-જાણવું, જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ! એમાં કોઈ ક્રિયા નથી. કેવળ જાણપણું જ છે. એ આપણા સ્વભાવમાં આવીએ તો આ બધાથી આપણે મુક્ત થઈએ છીએ. કર્મોથી મુક્ત થઈને મોક્ષનો સાચો રસ્તો જ આ છે. બહાર ગમે તે ક્રિયા હોય પણ અંદર ભાવને સાચવવા. ભાવ બગાડવા નહીં. ભાવ હંમેશા ચોખ્ખા રાખવા, શુદ્ધ રાખવા. ભાવ જ આપણને તારવાવાળા છે.
રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.

હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.
રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.
અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.
તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.
હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.
તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.
ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.

ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.
એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!
હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.
તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.
જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.

એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.

એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.
અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.

આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!
પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.

આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!
subscribe your email for our latest news and events
