Related Questions

આધ્યાત્મિકતા શા માટે જરૂરી છે?

આધ્યાત્મિકતા એટલે આત્માની ઓળખાણ કરવી, આપણા દરેકની અંદર રહેલી ચેતના એ જ આત્મા. આવી ઓળખાણ કરવી શા માટે જરૂરી છે? આપણા આધુનિક જીવનમાં આધ્યાત્મિકતાનું શું મહત્ત્વ છે? ચાલો જાણીએ!

આજે, એવું જોવું સાવ સામાન્ય છે કે લોકો દુ:ખ, પીડા, તણાવ, થાક, ડિપ્રેશન, નિરાશા, ચિંતા, ખોટ, નુકસાની, માંદગી, આઘાત, દર્દ, માનસિક રોગો, એકલતા, નફરત અને ગુસ્સાથી પીડાય રહ્યા છે. ભોગવટાનું મુખ્ય કારણ અજ્ઞાનતા, આ જ બધી સમસ્યાનું મોટું કારણ છે. આ જગતની બધી મૂંઝવણો સ્વરૂપની અજ્ઞાનતાના કારણે જ ઊભી થયેલી છે.

આપણે શુદ્ધાત્મા છીએ! આત્મા અવિનાશી છે; તે અનંત જ્ઞાનવાળો છે, અનંત દર્શનવાળો છે, અનંત શક્તિવાળો છે અને અનંત સુખનું ધામ છે; અને તે સમગ્ર બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ ધરાવે છે. છતાં પણ આપણે નિ:સહાયતા, દુ:ખ, પીડા અને અસલામતી અનુભવીએ છીએ.

તેની પાછળનું શું કારણ છે? તેવું એટલા માટે કે આપણે પોતાથી જ અજાણ છીએ; આપણે આપણી પોતાની શક્તિઓને જાણતા નથી; આપણે આપણી સ્વસત્તાને જાણતા નથી. અધ્યાત્મ આપણને તેનું ભાન કરાવે છે. આમ, તે બધી સમસ્યાઓથી મુક્ત એવું શાંતિપૂર્ણ અને સુખપૂર્ણ જીવન માટે મહત્ત્વનું છે. આ વસ્તુ સમજાવે છે કે શા માટે આધ્યાત્મિકતા આપણા આધુનિક જીવનમાં જરૂરી છે.

આધ્યાત્મિકતા ‘હું કોણ છું’ તેનું ભાન કરાવે છે

આધ્યાત્મિકતા સાચી સમજણનો પાયો છે. આ સંસારમાં, ઘણા બધા ધર્મો છે. ઘણા લોકો કહેતા હોય છે કે આપણે અમુક મંત્ર જપવો જોઈએ, ભજન કરવા જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ. જો કે, ઉપવાસ અથવા મંત્ર ગાવાથી આત્મજ્ઞાન થતું નથી. અંતે તો આ બધી ક્રિયાઓ અથવા કર્મકાંડની પ્રક્રિયાઓ આધ્યાત્મિક પ્રગતિ કાજે જ છે; તે પ્રત્યેકને વિકાસ માટે મદદ કરે છે.

આત્મજ્ઞાનની પ્રાપ્તિ થકી આપણે સમ્યક્ જ્ઞાન મેળવીએ છીએ, જે આપણને ‘હું કોણ છું’ તેનું ભાન કરાવે છે. આ જ આધ્યાત્મિકતા માટેની અગત્યની ચાવી છે. શાશ્વતની જાગૃતિ એ અનંતનું સુખ છે‍! જો આપણી પોતાની જાતનું ભાન કરીએ તો આ સંસારની કોઈ ચીજ આપણને અસર કરી શકતી નથી.

Spirituality

આધ્યાત્મિકતા દ્વારા સમ્યક્ દર્શનની પ્રાપ્તિ થાય છે

મોક્ષ માટે તમારે ખાલી દ્રષ્ટિ જ બદલવાની જરૂર છે અને આધ્યાત્મિકતા તેને બદલાવી શકે તેમ છે.

વ્યક્તિ ત્યારે જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ પામ્યો કહેવાય, જ્યારે તેની પાસે સમકિત (પોતાની જાત વિશેની સાચી દ્રષ્ટિ) હોય, અન્યથા નહીં. વ્યક્તિ કેટલા શાસ્ત્રો વાંચે છે તેને આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ થવા માટે કોઈ મહત્ત્વ નથી. જો કે, જ્યારે વ્યક્તિ સમ્યક્ દર્શન એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે વસ્તુને જેમ છે તેમ જોઈ શકે છે અને ત્યારે જ આધ્યાત્મિક માર્ગે પ્રવેશ કર્યો કહેવાય.

મિથ્યાદ્રષ્ટિ શું કરે છે? તેના દ્વારા વ્યક્તિ આવું જોવે છે, “આ વ્યક્તિએ મને નુકસાન પહોંચાડ્યું; આ વ્યક્તિએ મને લાભ કરાવ્યો; આ વ્યક્તિએ મારું અપમાન કર્યુ; આ વ્યક્તિએ મને દુ:ખ પહોંચાડ્યું; આ વ્યક્તિએ મને સુખ આપ્યું અને આવું ઘણું બધું.”

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ખરી રીતે તો આ જગતમાં તમને દુ:ખ કે સુખ આપી શકે તેવું કશું જ નથી. દરેક વસ્તુ મિથ્યા જ છે. ક્રોધ-માન-માયા-લોભ જ છે, જે તમને દુ:ખી કરે છે અને આ જ આપણા શત્રુઓ છે. બહાર કોઈ શત્રુઓ નથી. બહાર તો માત્ર નિમિત્ત જ છે. જો તમને આવું સાચું દર્શન (સમકિત, આત્મજ્ઞાન) મળે તો પછી તમે જાણો કે આનો ઉકેલ કઈ રીતે આવે.”

આત્મજ્ઞાન પછી આપણે આપણા પોતાના દોષને જોઈ શકીએ છીએ. દોષો આપણી દ્રષ્ટિમાં આવતા જાય છે! આપણે સતત વધુ ને વધુ દોષો જોઈ શકીએ છીએ કારણ કે, આપણી દોષ જોવાની દ્રષ્ટિ ખૂલે છે. આપણે નાનામાં નાનો દોષ પણ જોઈ શકીએ છીએ. આધ્યાત્મિકતા શા માટે આપણા જીવનમાં જરૂરી છે તેના માટેનું આ બીજું કારણ છે.

એક વખત જ્યારે આપણે પોતાની જાતનો (આત્માનો) સાચો અનુભવ કરીએ છીએ, આપણી દ્રષ્ટિ આપોઆપ જ શુદ્ધ થતી જાય છે. આપણે પછી બીજામાં પણ શુદ્ધાત્મા જોઈ શકીએ છીએ. વધુમાં, આપણે આપણા પોતાના દોષો, અહંકાર, માન, ક્રોધ વગેરે પણ જોઈ શકીએ છીએ. જ્યારે આપણે પોતાના દોષ જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તેવું એટલા માટે જ બને છે કે સાચો આત્મા ઘણા બધા પાસા ધરાવે છે. જ્યારે આપણે પોતાના દોષ જોઈએ છીએ, ત્યારે તેઓ આપોઆપ જ દૂર થઈ જાય છે અને આપણે વધુ ને વધુ ચોખ્ખા થતા જઈએ છીએ.

આધ્યાત્મિકતા જ બધી સમસ્યાઓનો કાયમી ઉકેલ છે

જ્યારે ઘરમાં લાઈટ ન હોય અને ત્યારે આપણે નાનો દીવો પ્રગટાવીએ છીએ, તેમાં પૂર્ણ પ્રકાશની લાઈટ આવે તો કશો ફરક પડે ખરો? હા, ખરેખર પડે જ ને! આપણે ખાવા-પીવાનું તો શરૂ જ રાખીશું, પરંતુ ભેદ સાથે. પહેલા અભિપ્રાયોની ભિન્નતાને કારણે પતિ અને પત્ની વચ્ચે ક્લેશ થતા હતા અને બાળકો સાથે ઝઘડાઓ થતા હતા. હવે, આત્મજ્ઞાન પછી ‘હું શુદ્ધાત્મા છું’ તેવું રહે છે અને બધા ક્લેશ જતા રહે છે!

આપણું ખાવા-પીવાનું જેમ છે એમ યથાર્થ જ રહેશે અને આપણી પત્ની અને બાળકો પણ તેમ જ રહેશે. આપણું જીવન પહેલા જેવું જ રહેશે. પરંતુ, આપણા જીવનમાંથી બધા ક્લેશ જતા રહેશે. તેવું એટલા માટે કે હવે આપણા ઘરમાં પૂર્ણ પ્રકાશ (શુદ્ધ આત્માનો પ્રકાશ) પથરાયો છે!

ખાવું, પીવું, ઊઠવું, જાગવું વગેરે બધી દેહની ક્રિયાઓ છે. કોઈ આત્મધર્મમાં એક ક્ષણ પણ રહ્યું નથી. જ્યારે કોઈ તેમાં રહે છે ત્યાર પછી તો તે ભગવાન પાસેથી ક્યારેય ખસે જ નહીં.

ચાલો, નીચેની વાતચીત પરથી સમજીએ કે પરમ પૂજ્ય દાદાશ્રી આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ હાજરી વિશે શું કહે છે.

પ્રશ્નકર્તા: મોક્ષ કેવી રીતે મળે? કોની પાસેથી મોક્ષ મળી શકે?

દાદાશ્રી: મોક્ષ તો એકલા ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જ મળે. જે મુક્ત થયા હોય તે જ આપણને મુક્ત કરી શકે. પોતે બંધાયેલો બીજાને કઇ રીતે છોડી શકે? એટલે આપણે જે દુકાને જવું હોય તે દુકાને જવાની છૂટ છે. પણ ત્યાં પૂછવું કે, ‘સાહેબ, મને મોક્ષ આપશો?’ ત્યારે કહે કે, ‘ના, મોક્ષ આપવાની અમારી તૈયારી નથી.’ તો આપણે બીજી દુકાન; ત્રીજી દુકાને જવું. કોઇ જગ્યાએ આપણને જોઇતો માલ મળી આવે. પણ એક જ દુકાને બેસી રહીએ તો? તો પછી અથડાઇ મરવાનું. અનંત અવતારથી આવું ભટક ભટક કરવાનું કારણ જ આ છે કે આપણે એક જ દુકાને બેસી રહ્યા છીએ, તપાસેય ના કરી. ‘અહીં બેસવાથી આપણને મુક્તિનો અનુભવ થાય છે કે નહીં? આપણાં ક્રોધ-માન-માયા-લોભ ઘટ્યાં?’ એય ના જોયું. પૈણવું હોય તો તપાસ કરે કે કયું કુળ છે, મોસાળ ક્યાં છે ? બધું ‘રિયલાઇઝ’ કરે. પણ આમાં ‘રિયલાઇઝ’ નથી કરતા. કેવડી મોટી ‘બ્લંડર’ કહેવાય આ?

×
Share on