Related Questions

ભગવાન કેવી રીતે થઈ શકાય?

દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા રહે છે અને વિનાશી છે. જ્યાં સુધી “આ દેહ હું છું” એવી માન્યતા છે ત્યાં સુધી જીવાત્મદશા કહેવાય છે. પોતે આત્મા છે તેનું જ્ઞાન નથી તે દશા માટે જીવાત્મા કે મૂઢાત્મા શબ્દ વપરાય છે. પછી જ્યારે પોતાને ભાન થાય છે કે, “હું આ દેહ નથી, નામધારી નથી, હું તો આત્મા છું.” અને “હું શું છું? કેવો આત્મા છું?” એનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પોતે જીવાત્મામાંથી અંતરાત્મામાં આવે છે. આત્મજ્ઞાન લાધ્યા પછી, મન-વચન-કાયાના તમામ કર્મો પૂરા થાય અને સંપૂર્ણ કેવળજ્ઞાન થાય, ત્યારે પોતાનો આત્મા જ પરમાત્મા કહેવાય છે. એ પછી જ મોક્ષે જવાય છે.

જીવાત્મા, મૂઢાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આ બધા ઓળખવા માટેના વિશેષણો છે. ખરેખર તો આત્મા સંજ્ઞાથી ઓળખવાનો છે, પોતે અનુભવવાનો છે. એકવાર આત્માનો અનુભવ થાય પછી અંદરની બધી અજ્ઞાન માન્યતાઓ ખલાસ થઈ જાય છે.

લોકો એમ માને છે કે મારામાં ભગવાન પ્રગટ થયા એટલે બ્રહ્માંડના દર્શન થયા એમ કહેવાય. વાસ્તવિકતામાં એવું નથી હોતું. પહેલાં "હું કોણ છું" તેનું ભાન થાય અને આત્મા જ મારું સ્વરૂપ છે, એ જ ભગવાન છે એવું લક્ષ બેસે, પછી આત્માની જાગૃતિ વધે અને અનુભવના અંશ વધતા જાય. આત્માનો અનુભવ વધતાં વધતાં છેવટે જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે લોકાલોક પ્રકાશે! એટલે કે, કોઈ હૉલમાં અરીસો રાખ્યો હોય અને તેના ઉપર હોય, તો તે પડદા ખસે અને આખો હૉલ ઝળકે. એમ આત્મા ઉપરના આવરણો ખસવાથી તેમાં આખું બ્રહ્માંડ ઝળકે એવી સ્થિતિ ઉભી થાય.

માટે મૂળ વાત “આપણે પોતે કોણ છીએ” તેની ઓળખાણ પ્રાપ્ત કરવી તે છે. મૂળ ભગવાન આપણી અંદર જ, દરેક જીવમાત્રમાં બેઠા છે. પોતાની અંદર ભગવાન છે, પણ તેઓ અજ્ઞાનના આવરણથી ઢંકાયેલા છે. આવરણ તૂટે તો આત્માનો સ્વાદ આવે, ભગવાનનો સાક્ષાત્કાર થાય.

કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને ચોખ્ખું કહ્યું છે, “હે અર્જુન ! તું જેને કૃષ્ણ કહે છે, તે હું નથી. તું મને તત્ત્વસ્વરૂપે ઓળખ!” ખરેખર જેમને પારધીનું તીર વાગ્યું તે શરીર કૃષ્ણ ભગવાન નહોતા, પણ શરીરમાં બિરાજેલ અવિનાશી આત્મા એ ખરા કૃષ્ણ ભગવાન છે.

સહજાનંદ સ્વામીએ પણ ચોખ્ખું લખ્યું છે, “જો તારે આત્મા જાણવો હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાની પાસે જજે.”

ભગવાન ક્યાંય દૂર નથી બેઠા, પણ આપણી અંદર જ રહેલા છે. જ્યારે આપણે પોતાના સાચા સ્વરૂપને ઓળખી લઈએ છીએ, ત્યારે સંસારના તમામ દુઃખો અને ઉપાધિઓનો અંત આવે છે અને કાયમી સુખનો અનુભવ થાય છે.

મનુષ્યનો ધ્યેય પોતાની અંદર બેઠેલા ભગવાનને ઓળખવાનો અને તે સ્વરૂપ થવાનો છે. એ ભગવાનની ઓળખાણ થશે, પછી મહીં કાયમ માટે સુખ અને શાંતિ થઈ જશે.

જેવો મારામાં આત્મા છે, તેવો જીવમાત્રમાં આત્મા ભગવાનરૂપે રહેલો છે, એમ અનુભવ થાય પછી કોઈ જીવની હિંસા કરવાનો કે કોઈને દુઃખ આપવાનો ભાવ ના થાય.

ઈશ્વરની પ્રાપ્તિ થાય એટલે પરમ આનંદ થયા વગર રહે નહીં. પરમાનંદ કલ્પનાની વસ્તુ નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ અંદર સમાધિ રહે, આકુળતા-વ્યાકુળતા થાય નહીં. અંદર સતત નિરાકૂળતાનો અનુભવ જ રહ્યા કરે.

આ આત્માનો અનુભવ કરવા માટે અનુભવી જ્ઞાની પાસે જવું પડે. જેમ આપણે પગથી માથા સુધી દોરડાથી બંધાયેલા હોઈએ. પછી કોઈ આપણને કહે કે બાજુમાં જ કાતર પડી છે, છરી પડી છે, બ્લેડ આપું છું, તું છૂટી જા. તો આપણે કયા સાધનથી છૂટી શકીએ? બધા સાધન નજર સામે હોય, કઈ રીતે વાપરવા, શેનાથી છૂટાય બધી ખબર હોય, પણ પોતે બંધાયેલો છે ત્યાં સુધી કઈ રીતે છૂટી શકે?

જો ત્યાંથી કોઈ છૂટેલા પસાર થાય અને આપણે એમને કહીએ કે મારું આ દોરડું કાપી આપો તો છૂટી શકાય. એટલે છૂટેલા હોય તે છોડાવી શકે. જ્ઞાની પુરુષ જે પોતાનો સંપૂર્ણ આત્મા અનુભવીને બેઠા છે, તેઓ આપણી અજ્ઞાન માન્યતાઓરૂપી દોરડું કાપીને આત્માનો અનુભવ કરાવી આપે. પછી ધીમે ધીમે તમામ અજ્ઞાન માન્યતાઓ દૂર થાય તેમ તેમ આપણે ભગવાન સ્વરૂપ થતા જઈએ.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on