Related Questions

ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.

ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય છે.

ભગવાન આપણને શા માટે પ્રેમ કરે છે?

ભગવાનના પ્રેમની પાછળ કોઈ આશય નથી હોતો. ભગવાન આપણને પ્રેમ કરે છે કારણ કે ભગવાન એ કંઈ બીજું નહીં ફક્ત પ્રેમ એ છે. ભગવાનનો સ્વાભાવિક ગુણ એ પ્રેમ છે.

જો આપણને ભગવાન ખરા દિલથી ગમતા હોય તો, તેઓ આપણાથી દૂર કયારેય હોતા જ નથી. પરંતુ, આજે આપણને ભગવાન સિવાય બીજું બધું જ ગમે છે. છતાં પણ ભગવાન આપણને પ્રેમ કરે છે અને હંમેશા પ્રેમ કરશે, તેઓ આપણાથી દૂર ક્યાંય ગયા જ નથી.

શું ભગવાનનો પ્રેમ કોઈ શરતોને આધીન હોય છે?

ભગવાનનો પ્રેમ બિનશરતી હોય છે. ભગવાનનો પ્રેમ કોઈપણ પ્રકારના આસક્તિ કે લાગણી (મમતા)થી પર છે. એ કોઈપણ પ્રકારની અપેક્ષા વગરનો હોય છે. ભગવાનનો પ્રેમ બધા ઉપર નિરંતર, એકધારો કોઈપણ શરત વગરનો, કોઈપણ બદલાની અપેક્ષા વગરનો વહેતો હોય છે.

ભગવાન કોઈનો પણ કિંચિત્તમાત્ર દોષ જોતા નથી. તેઓ કોઈને પણ સારા કે ખરાબ, ઊંચા કે નીચા, તવંગર કે ગરીબ સાચા કે ખોટા તરીકે જોતા નથી. ભગવાન ક્યારેય પણ પક્ષપાત કરતાં નથી. ભગવાનને ત્યાં ‘મારું કે તારું નથી હોતું’ અને એટલા માટે જ તેમનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે, કારણકે શુદ્ધ પ્રેમ ત્યાં જ રહે છે કે જ્યાં “મારા તારા” ની લાગણી નથી હોતી.

ભગવાનનો શુદ્ધ પ્રેમ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ?

ચાલો આપણે શીખીએ એ રીતે પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી:

દાદાશ્રી : તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો છે ?

પ્રશ્નકર્તા: હા, કરવો છે. છેવટે દરેક માનવનો ધ્યેય આ જ છે ને ? મારો પ્રશ્ન અહીંયા જ છે કે ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવો કેવી રીતે ?

દાદાશ્રી : પ્રેમ તો અહીં બધા લોકોને કરવો હોય, પણ મીઠો લાગે તો કરે ને ? એવું ઈશ્વર કોઈ જગ્યાએ મીઠો લાગ્યો એ મને દેખાડો ને !

પ્રશ્નકર્તા: કારણ કે આ જીવ છેલ્લી ક્ષણે જ્યારે દેહ છોડે છે, છતાં પણ ઈશ્વરનું નામ નથી લઈ શકતો.

દાદાશ્રી : શી રીતે ઈશ્વરનું નામ લઈ શકે ? એને જ્યાં રુચિ હોય ને તે નામ લઈ શકે. જ્યાં રુચિ ત્યાં એની પોતાની રમણતા હોય. ઈશ્વરમાં રુચિ જ નથી ને તેથી ઈશ્વરમાં રમણતા જ નથી. એ તો જ્યારે ભય લાગે ત્યારે ઈશ્વર સાંભરે છે.

પ્રશ્નકર્તા : ઈશ્વરમાં રુચિ તો હોય. છતાં અમુક આવરણ એવાં બંધાઈ જાય એટલે ઈશ્વરનું નામ નહીં લઈ શકતા હોય.

દાદાશ્રી : પણ ઈશ્વર પર પ્રેમ આવ્યા વગર શેનો નામ લે તે ? ઈશ્વર પર પ્રેમ આવવો જોઈએ ને ! અને ઈશ્વરને બહુ પ્રેમ કરીએ એમાં શું ફાયદો ? મારું કહેવાનું કે આ કેરી હોય તે મીઠી લાગે તો પ્રેમ થાય ને કડવી લાગે કે ખાટી લાગે તો ? એવું ઈશ્વર ક્યાં આગળ મીઠો લાગ્યો, તે તમને પ્રેમ થાય ?

એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે, કે જે ચેતન જગતના લક્ષમાં જ નથી અને ચેતન જે નથી તેને ચેતન માને છે.

આ શરીરમાં જે ભાગ ચેતન નથી તેને ચેતન માને છે અને જે ચેતન છે એ એના લક્ષમાં જ નથી, ભાનમાં જ નથી. હવે એ શુધ્ધ ચેતન એટલે શુધ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે.

એનું નામ ક્યારે યાદ આવે ? કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને 'દાદા' યાદ આવે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એમને પ્રેમ છે તમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો ? કારણ કે 'દાદા'એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને ! એ યાદ કરવાનું હોય જ નહીં.

એટલે ભગવાન યાદ ક્યારે આવે ? કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે.

આ પ્રેમ તો ઈશ્વરીય પ્રેમ છે. એવું બધે હોય નહીં ને ! આ તો કોઈક જગ્યાએ આવું હોય તો બને, નહીં તો બને નહીં ને !

એટલે પ્રેમ 'જ્ઞાની પુરુષ'નો જ જોવા જેવો ! આજે પચાસ હજાર માણસ છે, પણ કોઈ પણ માણસ સહેજે ય પ્રેમરહિત થયો નહીં હોય. એ પ્રેમથી જીવી રહ્યા છે બધા.

હમણે શરીરે જાડો દેખાય તેની ઉપરેય પ્રેમ, ગોરો દેખાય તેની પરેય પ્રેમ, કાળો દેખાય તેની ઉપરેય પ્રેમ, લૂલો-લંગડો દેખાય તેની પરેય પ્રેમ, સારા અંગવાળો માણસ દેખાય તેની પરેય પ્રેમ. બધે સરખો પ્રેમ દેખાય. કારણ કે એના આત્માને જ જુએ. બીજી વસ્તુ જુએ નહીં. જેમ આ સંસારમાં લોકો માણસનાં કપડાં જોતા નથી, એનાં ગુણ કેવાં છે એવું જુએ, એવી રીતે 'જ્ઞાની પુરુષ' આ પુદ્ગલને ના જુએ. પુદ્ગલ તો કોઈનું વધારે હોય, કોઈનું ઓછું હોય, કંઈ ઠેકાણું જ નહીં ને !

અને આવો પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહે. અભણ બેસી રહે, ભણેલા બેસી રહે, બુધ્ધિશાળીઓ બેસી રહે. બધા લોકો સમાય. બાળકો તો ઊઠે નહીં. કારણ કે વાતાવરણ એટલું બધું સુંદર હોય.

આપણે ભગવાનને જોઈ કે અનુભવી નથી શકતા. તેથી આપણાં સ્ટેજ પર ભગવાનના પ્રેમ ને સમજવો મુશ્કેલ છે. પરંતુ જ્ઞાનીનો પ્રેમ એવો છે કે જેને આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ: આ રીયલ પ્રેમ છે કે જેનું આ પૃથ્વી પર અસ્તિત્વ છે! જ્ઞાનીનો પ્રેમ તે શુધ્ધ પ્રેમ અને તે પરમાર્થ પ્રેમનું અલૌકિક ઝરણું હોય. એ પ્રેમઝરણું આખાય જગતના અગ્નિને ઠારે. જ્ઞાનીને સંસારી જીવનના કાદવમાં સપડાયેલા સૌની મોક્ષની ઉત્કટ ભાવના હોય છે.

આત્મજ્ઞાન વિના મોક્ષ શક્ય નથી; અને આ જ્ઞાન શસ્ત્રોમાં (પુસ્તકોમાં) નથી, તે જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. સંસારમાં જ્યારથી જ્ઞાની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તે ઘડી એ સાચો પ્રેમ ઉત્પન્ન થવાનો શરૂ થાય.!

આત્માનું જ્ઞાન સાચો પ્રેમ ઉત્પન્ન કરે છે. જો કોઈ સાચા પ્રેમના રસ્તા પર ચાલવાનું શરૂ કરે તો તે ભગવાન બની જાય. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં મુકિત છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on