Related Questions

જીવનમાં અન્યાય કેમ છે?

જીવનમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, જ્યાં આપણને એમ લાગે કે મારી સાથે જ આવો અન્યાય કેમ? મારી કોઈ ભૂલ નથી, છતાં મારા જીવનમાં જ કેમ દુઃખો આવે છે? પછી, દુઃખ આપનાર વ્યક્તિ દોષિત દેખાય અને ન્યાય ખોળવા જતા છેવટે આપણે પોતે જ દુઃખી દુઃખી થઈ જઈએ છીએ.

વાસ્તવિકતામાં, કર્મના સિદ્ધાંત પ્રમાણે આ જગતમાં ક્યાંય અન્યાય થતો જ નથી. બન્યું એ જ ન્યાય! કુદરત ક્યારેય ન્યાયની બહાર ગઈ નથી. પોતાને જે દુઃખ ભોગવવું પડે છે, એ પોતાના જ કોઈ દોષને લઈને છે, બીજા કોઈનો દોષ નથી. જે દુઃખ આપે તેની ભૂલ નહીં, પણ ભોગવે તેની ભૂલ છે!

એનો અર્થ એવો નથી કે આપણે દરેક પરિસ્થિતિમાં ‘મારી જ ભૂલ છે, હું જ ખરાબ છું.’ એમ માનીને હતાશ થઈ જઈએ. અથવા તો સામો ભોગવે છે એટલે એની ભૂલ છે, એમ કહીને સામાને દુઃખ આપ્યા કરીએ. પણ આ સમજણ હાજર રહે તો પોતે તમામ ગૂંચો અને દુઃખોમાંથી મુક્ત થઈ શકે છે.

Just and unjust

જગત આખું એક કોયડો છે. ક્યારેક બહારની પરિસ્થિતિ તો ક્યારેક અંદરના ગૂંચવાડા માણસને મૂંઝવે છે. બન્યું તે જ ન્યાય છે, એમ સ્વીકારીએ એટલે બહારનો કોયડો ઉકલી જાય, અને હું ભોગવું છું એટલે મારી કંઈક ભૂલ છે, એમ સ્વીકારવાથી અંદરનો કોયડો ઉકલી જાય. આ બંને ચાવીઓ અધ્યાત્મના સિદ્ધાંત સ્વરૂપ છે, જેને વાપરવાથી સંસારના તમામ ગૂંચવાડાનું સોલ્યુશન આવી જાય છે. આપણે આ બંનેને અહીં વિસ્તારથી સમજીશું.

બન્યું તે જ ન્યાય:

કુદરતનો નિયમ એવો છે કે કર્મની જેવી ગૂંથણી કરેલી હોય, તેવી રીતે જ ગૂંથણી ઉકલે. જેમ ઉનનું સ્વેટર ગૂંથ્યું હોય, પછી છૂટા દોરાનો છેડો ખેંચીએ તો જેમ ગૂંથણી કરી હોય બરાબર એની વિરુદ્ધમાં દોરો ઉકલશે. તેવી જ રીતે, જે રીતે કૉઝીઝ ચીતર્યા હશે, તેવી જ રીતે ઇફેક્ટ આવશે. આપણે અન્યાયપૂર્વક ગૂંથણી કરેલી હોય તો અન્યાયથી ઉકલશે અને ન્યાયથી કરેલી હોય તો ન્યાયથી ઉકલશે. એટલે કે, ગયા ભવમાં ગોટાળા કર્યા હોય, ખોટા કામો કર્યા હોય તો આ ભવમાં ગોટાળાવાળું જીવન આવશે, અને લોકોને મદદ કરી હોય કે બધાને સમાધાન થાય તેવું જીવન જીવ્યા હોય તો આપણા જીવનમાં સમાધાન રહેશે.

Nature is Justice

જેમ નવથી ગુણેલું નવથી ભાગીએ તો જ રકમ નિ:શેષ થાય. તેમ આપણે જે કર્મ બાંધ્યું છે, તે ઉકલશે તો જ કર્મથી મુક્ત થવાશે. એટલે, જે બની રહ્યું છે તે કર્મ નિ:શેષ કરવા બને છે એમ સમાધાન રહેશે તો જીવનના ગૂંચવાડામાં શાંતિ રહેશે.

ધારો કે, પરીક્ષામાં રિઝલ્ટ વખતે ગણિતમાં સો માર્કમાંથી પંચાણું માર્ક આવે અને ઇંગ્લિશમાં સો માર્કમાંથી પચ્ચીસ માર્ક આવે, તો આપણને ખબર ના પડે કે મારી ક્યાં કચાશ રહી? ત્યારે ટીચરનો વાંક કાઢીએ તો આપણી ભૂલ કહેવાય કારણ કે, આપણે જે લખ્યું તે પ્રમાણે રિઝલ્ટ આવે છે. હવે પરીક્ષાના રિઝલ્ટ વખતે આ સમજાય છે. પણ કર્મનું ફળ આવે ત્યારે આપણને નથી સમજાતું કે ગયા ભવમાં આપણે જ પેપર લખેલું હતું, તેનું આ ભવમાં રિઝલ્ટ આવ્યું છે. આપણો જ કર્મનો હિસાબ આપણે ભોગવવાનો છે, એમાં જે નિમિત્તે હિસાબ ચૂકવાય છે તેમને દોષિત જોવાનો શો અર્થ?

Life is Unfair

બીજું એક ઉદાહરણ લઈએ, તો રસ્તામાં ઘણા માણસો આવતાં-જતાં હોય અને બાવળનો કાંટો આમ ઊભો પડેલો હોય. ટોળું આવતું-જતું હોય, પણ કાંટો એમનો એમ જ પડેલો હોય. એમાં કોઈ દિવસ સંજોગ એવા બને કે આપણે ઉઘાડા પગે નીકળીએ. કોઈકને ત્યાં ગયા હોઈએ અને ત્યાં બૂમ પડે કે ‘એય ચોર આવ્યો, ચોર આવ્યો!’ તો આપણે બૂટ-ચપ્પલ પહેર્યા વગર નાસીએ, અને એ કાંટો આપણા પગમાં આરપાર નીકળી જાય. તો કોણે આ સંજોગ ભેગા કર્યા? તે હિસાબ આપણો! પછી એમાં જો આપણે બીજાને દોષિત ઠરાવવા એમ બોલ બોલ કરીએ કે, ‘કોઈ ચોર હતું નહીં ને ખોટી હો હો કરીને મારા પગમાં કાંટો વગાડી દીધો, ત્રણ મહિના સુધી મને પગે બાંધીને રાખવું પડ્યું હતું, અને સેપ્ટિક થયું તે બાર દિવસ તો ઓફિસમાં રજા લેવી પડી.’ તો સામાનું મગજ બગડી જાય. આવા સંજોગો બને એમાં કોનો વાંક? ખરેખર, જગતમાં કોઈનો વાંક કાઢવા જેવો છે જ નહીં.

Nature is Justice 

જગત એટલું નિયમવાળું છે કે જે તમારું છે તેને કોઈ હલાવી નહીં શકે, અને જે તમારું નથી તેમાં એક સેન્ટ પણ આઘુપાછું નહીં થાય. મુંબઈના ફોર્ટ જેવા વ્યસ્ત એરિયામાં સોનાનું ઘડિયાળ પડી જાય, અને આપણે ઘરે આવીને આશા છોડી દીધી હોય કે મળશે. પછી બે દિવસે પેપરમાં ખબર આવે કે જેમનું ઘડિયાળ તેમણે પુરાવો આપીને લઈ જવું અને છપાવાના પૈસા આપવા. લાખો રૂપિયાનો દાગીનો રીક્ષા કે ટેક્સીમાં ભૂલી ગયા હોઈએ, ને ડ્રાઈવર આપણા ઘરે પાછો આપવા આવે. કુદરત સંપૂર્ણ ન્યાય સ્વરૂપ છે.

ટૂંકમાં, જનમ્યા ત્યારથી મરતા સુધી જે-જે દેખાય છે એ કર્મના ફળરૂપે છે, અને ફળમાં કોઈ ગુનેગાર નથી. બીજ નંખાયા ત્યારે જેણે બીજ નાખ્યા તે જવાબદાર કહેવાય. પછી, ફળ વખતે પોતાને પણ ખબર નથી પડતી કે કેવા બીજ નખાઈ ગયા છે, એટલે ત્યારે પોતે મૂંઝાય છે. ન્યાય ખોળવા જતા મનુષ્ય પોતે જ પોતાની આજુબાજુ જાળું વીંટે છે, પછી તેમાં પોતે જ ફસાઈને દુઃખી થાય છે.

ન્યાય ખોળવા નીકળ્યા એટલે વિકલ્પો વધતા જ જાય, કશું પ્રાપ્ત તો ના થાય ને દુઃખી દુઃખી થઈ જવાય. જ્યારે આ કુદરતી ન્યાય વિકલ્પોને નિર્વિકલ્પ બનાવતો જાય. માટે બન્યું એ ન્યાય. એટલે પહેલેથી જ કુદરતના ન્યાય ઉપર શ્રદ્ધા રાખીએ જીવનમાં ગમે તેવા કપરા સંજોગો આવે, નજીકની વ્યક્તિ આપણી સાથે અન્યાય કરતી લાગે, તો પણ આપણને સમાધાન રહે.

×
Share on