Related Questions

શું તમને તમારા બાળકો પ્રત્યે પ્રેમ છે?

એટલે વસ્તુ સમજવી પડે ને ! અત્યારે તમને એમ લાગે છે કે પ્રેમ જેવી વસ્તુ છે આ સંસારમાં ?

પ્રશ્નકર્તા : અત્યારે તો, છોકરાં ઉપર વહાલ કરીએ એને જ પ્રેમ માનીએ છીએ ને !

દાદાશ્રી : એમ ? પ્રેમ તો આ ચકલીને એનાં બચ્ચાં પર હોય છે. એ ચકલી નિરાંતે દાણા લાવી અને માળામાં આવે, એટલે પેલાં બચ્ચાં 'માજી આવ્યાં, મમ્મી આવ્યાં' કરી મૂકે. ત્યારે ચકલી એ બચ્ચાનાં મોઢામાં દાણા મૂકે. 'એ દાણા કેટલાક રાખી મૂકતી હશે મહીં મોઢામાં ? અને કેવી રીતે એક-એક દાણો કાઢતી હશે ?' એ હું વિચારમાં પડેલો. તે ચારેય બચ્ચાંને એક-એક દાણો મોઢામાં મૂકી આપે.

પ્રશ્નકર્તા : પણ એમનામાં આસક્તિ ક્યાંથી આવે ? એમનામાં બુદ્ધિ નથી ને !

દાદાશ્રી : હા, તે જ હું કહું છું ને ? એટલે આ તો એક જોવા માટે કહું છું. ખરેખર તો એ પ્રેમ ગણાય નહીં. પ્રેમ સમજણપૂર્વકનો હોવો જોઈએ. પણ એ ય પ્રેમ ગણાય નહીં. પણ છતાં ય આપણે આ બેનો ભેદ સમજવા દાખલો મૂકીએ છીએ. આપણા લોકો નથી કહેતા કે ભઈ, આ ગાયનો વાછરડા પર કેટલો ભાવ છે ? તમને સમજ પડી ને ? એની મહીં એ બદલાની આશા ના હોય ને ! 

બદલાની આશા, ત્યાં આસક્તિ !

એટલે આસક્તિ ક્યાં હોય ? કે જ્યાં એની પાસે કંઈક બદલાની આશા હોય, ત્યાં આસક્તિ હોય અને બદલાની આશા વગરના કેટલા માણસો હશે હિન્દુસ્તાનમાં ?

એક આંબો ઉછેરે છેને આપણા લોક, તે કંઈ આંબાને ઉછેરવા માટે ઉછેરે છે ? ‘શા સારુ ભઈ, આંબાની પાછળ આટલી બધી માથાકૂટ કરો છો ?’ ત્યારે એ કહે છે, ‘આંબો મોટો થશેને, તે મારા છોકરાનાં છોકરાં ખાશે અને પહેલાં તો હું ખાઈશ.’ એટલે ફળની આશાથી આંબો ઉછેરે છે. તમને કેમ લાગે છે ? કે નિષ્કામ ઉછેરે છે ? નિષ્કામ કોઈ ઉછેરતા નહીં હોય ! એટલે બધાય પોતાની ચાકરી કરવા સારુ છોકરાં ઉછેરતાં હશે ને કે ભાખરી કરવા સારુ !

પ્રશ્નકર્તા : ચાકરી કરવા માટે.

દાદાશ્રી : પણ અત્યારે તો ભાખરી થઈ જાય છે. મને એક જણ કહે છે, ‘મારો છોકરો ચાકરી નથી કરતો.’ ત્યારે મેં કહ્યું, ‘ત્યારે ભાખરી ના કરે તો શું કરે તે ? હવે કંઈ લાડવા થાય એવા છો નહીં, તે ભાખરી કરે એટલે ઉકેલ(!) આવી જશે.’

×
Share on
Copy