Related Questions

છૂટાછેડા થવાના કારણો શું છે?

આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે અને કેવા હોવા જોઈએ, તે વિશેના જુદા જુદા અભિપ્રાયોમાંથી ઉદ્ભવે છે. આ બધાંથી ક્લેશ, કકળાટ, મતભેદ, સમજણનો અભાવ વર્તાય છે અને પરિણામે આંતરિક ભેદ પડે અને છેવટે એ ભેદ છૂટાછેડાની હદ સુધી પહોંચી જાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રીની દૃષ્ટિએ છૂટાછેડા થવાના કારણો સમજીએ:

સમજણનો અભાવ

છૂટાછેડા અંગે પતિ-પત્નીની વચ્ચે કઈ રીતે સમજણનો અભાવ વર્તે છે, એ પરમ પૂજ્ય દાદાશ્રી આપણને સમજાવે છે:

હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી, ઘરમાં? તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય. કેટલાય માણસોને આવું! શું થાય તે પણ? છૂટકો જ નહીં ને! અણસમજણથી બધું છૂટું થઈ જાય અને પોતાનું ઝાલેલું છોડે નહીં અને અણસમજણની વાત હોય. એમાં પછી હું સમજણ પાડું ત્યારે કહેશે, ના. ત્યારે તો એવું નથી, એવું નથી.

પ્રશ્નકર્તા: આમેય ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય.

દાદાશ્રી: એવું છૂટાછેડા જેવું જ.

પ્રશ્નકર્તા: તમે બધાને ભેગા કરી આપ્યા.

દાદાશ્રી: એક અવતાર નભે કે ના નભે? ઉકેલ લાવો ને જ્યાં ત્યાંથી. એક અવતાર માથે પડ્યા તો માથે પડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ?

મતભેદ

પતિ-પત્નીના સંબંધમાં અભિપ્રાયોને કારણે થતા મતભેદોનું નિવારણ કઈ રીતે લાવી શકાય, એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાનનો આ સંવાદ વાંચીએ:

દાદાશ્રી: 'વાઈફ' જોડે મતભેદ પડે છે?

પ્રશ્નકર્તા: હા, ઘણી વાર પડે.

દાદાશ્રી: 'વાઈફ' જોડે પણ મતભેદ થાય? ત્યાંય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે. એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે તમે?

પ્રશ્નકર્તા: આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.

દાદાશ્રી: હા, તે વિચારવું પડશે ને? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા! મતભેદ ગમે છે?

પ્રશ્નકર્તા: ના.

દાદાશ્રી: મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તે મતભેદમાં આવું થાય છે તો મનભેદમાં શું થાય? મનભેદ થાય, ડાઈવોર્સ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે!

પતિ-પત્ની વચ્ચે મતભેદ ખૂબ જ વધી જાય ત્યારે શું કરવું એ વિશે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે:

દાદાશ્રી: મતભેદ ગમે છે? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય? મનભેદ થાય તો, 'ડિવોર્સ' લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે!

પ્રશ્નકર્તા: વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય?

દાદાશ્રી: એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે!

પ્રશ્નકર્તા: મતભેદ ઓછો રહે તો એ સારું ને?

દાદાશ્રી: માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે, મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે 'તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું.

ઝઘડા

આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે? પત્ની કહે કે 'હું તમારી છું' ને પતિ કહે કે 'હું તારો છું' પછી મતભેદ કેમ? તમારા બેની અંદર પ્રોબ્લેમ વધે તેમ જુદું થતું જાય. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુઃખ છે. અને બધાને પ્રોબ્લેમ ઊભા થવાના, આપણે એકલાને થાય છે એવું નથી. જેટલાએ શાદી કરી તેને પ્રોબ્લેમ ઊભા થયા વગર રહે નહીં. અને ઘણા બધા પ્રસંગોમાં, ડિવોર્સ થવા પાછળનું આ એક મોટું કારણ હોય છે.

તમારા લગ્નજીવનમાં ઊભી થતી સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ મેળવવા માટે અહીં ક્લિક કરો. 

×
Share on