વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ બધું શીખવા માટે ઘણીવાર આપણે વર્કશોપ અને સેમિનારમાં ભાગ લેતા હોઈએ છીએ. જોકે, આવી વ્યાવહારિક કળાનો ઉપયોગ આપણે આપણા પાર્ટનર સાથેના સંબંધોમાં નથી કરતા.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.”

નીચે દર્શાવેલ અનુભવો દ્વારા આપણે પત્ની અથવા પતિ સાથે કેવો વ્યવહાર કરવો એના વિશે શીખીશું. પરમ પૂજ્ય દાદા ભગવાન સાથે થયેલા આધ્યાત્મિક સત્સંગોમાંથી અમુક ભાગ જેમ છે તેમ નીચે દર્શાવવામાં આવ્યો છે.
આપણે જેમની સાથે રહેતાં હોઈએ, એમની પ્રકૃતિની ઓળખાણ તો આપણે રાખવી જોઈએ ને? પત્ની અથવા પતિ સાથે કેવો વ્યવહાર કરવો એ શીખતા પહેલાં, એમની પ્રકૃતિના દરેક પાસાને સમજવું જરૂરી છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી, જો એમની પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું તો એમની પ્રકૃતિ સરળતાથી ઓળખી શકાશે. જો આપણે આ પ્રમાણે કરીશું તો એમની સાથે પ્રેમવાળો વ્યવહાર રાખવાનું આપણા માટે સરળ થઈ જશે.
જ્યારે, પાર્ટનરની પ્રકૃતિનો અભ્યાસ કરીશું ત્યારે એમના ગમા-અણગમાનો પણ ખ્યાલ આવશે, જેથી આપણે અથડામણ ટાળી શકાય તેવું વર્તન કરી શકીશું.
જો પતિ-પત્ની બેઉ જણ નિશ્ચય કરે કે મારે એડજસ્ટ થવું છે તો બંનેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે એડજસ્ટ થઈ જવું તો ઉકેલ આવે. એડજસ્ટ નહીં થઈએ તો ગાંડા જ થઈ જઈશું! સામાને છંછેડવાથી જ સહન કરવું પડે છે. કૂતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી તો બહુ છંછેડ છંછેડ કરીએ તો એય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે! આ સમજવા જેવું છે. કોઈને છંછેડવું નહીં. એડજસ્ટ એવરીવ્હેર.
પતિ-પત્નીમાં બંનેની પસંદગી જુદી હોવી સ્વાભાવિક છે. તો પછી આપણને પણ ગમતું અને પાર્ટનરને ગમતું એકસાથે કેવી રીતે માણી શકાય? એકબીજાની પસંદગી બદલ્યા વગર, ફક્ત એક નાનકડી ચાવી વાપરવાની જરૂર છે; જે છે સમાધાન. આપણને બહાર જવું ગમતું હોય અને પાર્ટનરને ઘરે સમય પસાર કરવો હોય ત્યારે એવું કંઈક કરી શકાય, જેથી બંને પોતાની રીતે આનંદ માણી શકે. જેમ કે, અમુક સાંજે ઘરે રહેવું અને બાકીની સાંજે બહાર ફરી આવવું. આ રીતે, સંબંધ પર અસર લાવ્યા વગર એકબીજાનો સાથ અને પસંદગી માણી શકાશે. દરેક સંજોગમાં એકબીજા માટેનો પ્રેમ તૂટવા ન દઈએ અને એકબીજાને જેવા છે તેવા સ્વીકારી લઈએ, એ સફળ લગ્નજીવનની ચાવી છે.
પાર્ટનર સાથે વાત કરતી વખતે આપણા શબ્દોનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણી વાત કરવાની રીતનું પણ છે. તેઓ છંછેડાઈ ના જાય એ રીતે આપણે વાત કરવી જોઈએ. અહીં એક બહેને પરમ પૂજ્ય દાદાશ્રીને કહેલો પોતાના અનુભવનો અંશ છે.
“એક બેન છે તે મને કહે છે, તમે મારા ફાધર હોય એવું લાગે છે ગયા અવતારના. બેન બહુ સરસ બહુ સંસ્કારી. પછી બેનને કહ્યું કે આ ધણી જોડે શી રીતે મેળ પડે છે? ત્યારે કહે, ‘એ કોઈ દહાડો બોલે નહીં. કશું બોલે નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘કોઈક દહાડો કશુંક તો થતું હશેને?!’ ત્યારે કહે, ‘ના, કોઈક દહાડો ટોણો મારે.’ હા, એટલે સમજી ગયો. ત્યારે મેં પૂછયું કે એ ટોણો મારે ત્યારે તમે શું કરો? તમે તે ઘડીએ લાકડી લઈ આવો કે નહીં? ત્યારે એ કહે કે ‘ના, હું એમને કહું કે કર્મના ઉદયે તમે અને હું ભેગા થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શું કરવા કરો છો?’ શેના માટે ટોણા મારવાના અને આ બધું શું છે? આમાં કોઈનોય દોષ નથી. એ બધું કર્મના ઉદયનો દોષ છે. માટે ટોણા મારો એના કરતાં કર્મને આપણે ચૂકતે કરી નાખોને! એ વઢવાડ સારી કહેવાયને! અત્યાર સુધી તો બધી બહુ બઈઓ જોઈ, પણ આવી ઊંચી સમજવાળી તો આ બઈ એકલી જ જોઈ.”
પતિ અને પત્ની વચ્ચે ક્લેશની આગ કેવી રીતે ઠારી શકાય, એ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન આ પ્રમાણે સમજણ આપે છે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો? એનો અર્થ જ શું? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએને? શું વહેંચીને લઈ જવાનું છે? ઘરમાં ભેગું ખાવું-પીવું ને કકળાટ શા કામનો? અને કો’ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોયને, તો છોકરાંનાં જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાંય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયાં છે!”
પતિ-પત્નીના સંબંધમાં સત્તાના દુરુપયોગથી અસરમાં ન આવવા માટે પરમ પૂજ્ય દાદા ભગવાન કેટલીક ચાવીઓ આપે છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
પ્રશ્નકર્તા: અહીંયાં અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરેને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.
દાદાશ્રી: પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે! ગાડું સારું ચાલેને? આ ગાડાના બળદ ઢીલા હોય તો સારું કે પાવરવાળા?
પ્રશ્નકર્તા: પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતા હોય તો સારું.
દાદાશ્રી: એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.
પ્રશ્નકર્તા: તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું.
દાદાશ્રી: સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને?
પ્રશ્નકર્તા: બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે?
દાદાશ્રી: ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.
પ્રશ્નકર્તા: હં... નહીં તો વધારે વંઠે.
દાદાશ્રી: આજ વંઠ્યું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો? માટે આ બે મિત્રો જ કહેવાય, સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે. અને આવી દશા કરી નાખી. આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ગ્રીન કાર્ડવાળાને?! આવું કરવા હારુ? તો પછી આ શોભે આપણને? તમને કેમ લાગે છે? ના શોભે આપણને! સંસ્કારી કોને કહેવાય? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે?
ક્લેશ ના થાય એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે એ વાંચીએ:
પ્રશ્નકર્તા: ક્લેશ ના થાય તેના માટે શું કરવાનું? એનો રસ્તો શું?
દાદાશ્રી: શેના માટે ક્લેશ થાય છે, એ કહો મને, તો હું તમને તરત જે માટે થતો હોય તેની દવા બતાવી દઉં.
પ્રશ્નકર્તા: પૈસા માટે થાય છે, છોકરાઓ માટે થાય, બધા માટે થાય. નાની નાની બાબતમાં થઈ જાય.
દાદાશ્રી: પૈસા બાબતમાં શું થાય?
પ્રશ્નકર્તા: બચતા નથીને, વપરાઈ જાય છે બધા.
દાદાશ્રી: એમાં ધણીનો શો ગુનો?
પ્રશ્નકર્તા: કશો ગુનો નહીં. એમાંથી ઝઘડો થઈ જાય, કોઈ કોઈ વાર.
દાદાશ્રી: એટલે ક્લેશ તો કરવો નહીં. બસો ડૉલર ખોઈ નાખે તોય ક્લેશ ના કરવો. કારણ કે ક્લેશની કિંમત ચારસો હોય. બસો ડૉલર ખોવાઈ જાય છે એના કરતાં ડબલ કિંમતનો ક્લેશ થાય છે અને ચારસો ડૉલરનો ક્લેશ કરવો તેના કરતાં બસો ડૉલર ગયા એ ગયા. પછી ક્લેશ ના કરવો. પછી વધવું-ઘટવું એ તો પ્રારબ્ધને આધીન છે.
કકળાટ કરવાથી પૈસો વધે નહીં. એ તો પુણ્યૈ પાકે તો વારેય ના લાગે, પૈસા વધવાને. એટલે જે જે બાબતોમાં થાય તે મને કહોને કે પૈસાની બાબતમાં થાય. તો પૈસા વધારે વપરાઈ જતા હોય તો કચકચ નહીં કરવી. કારણ કે છેવટે વપરાઈ ગયા એ તો ગયા, પણ ક્લેશ કરીએને તે પચાસ રૂપિયા વધારે વપરાયા તેને બદલે સો રૂપિયાનો ક્લેશ થઈ જાય. એટલે ક્લેશ તો કરવો જ ના જોઈએ.

“પ્રોમિસ ટુ પે”
હીરાબાની એક આંખ ’૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું. એટલે લોકોના મનમાં એમ કે આ ‘નવો’ વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઈચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, “શું છે તમારે?” ત્યારે એ કહે, “આવું તમારું થયું?” હવે તે દહાડે ’૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, “કેમ તમે આમ પૂછવા આવ્યા છો?” ત્યારે એ કહે, “એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું પ્રજા કશું નથી.” મેં કહ્યું, “પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.” વળી તેમને મેં કહ્યું, કે “હવે શેના હારુ તમે આ કહો છો? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે! બે જતી રહેશે તોય હાથ પકડીને હું દોરવીશ.” એ કહે, “તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું?” મેં કહ્યું, “કૂવામાં નાખવી છે તમારી છોડીને? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય? મારી આંખ ગઈ ત્યારે આ થયું ને?” અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, “હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ!” કારણ કે મેં પ્રોમિસ આપેલું છે. પ્રોમિસ આપ્યા પછી ફરી ના જવાય. આપણે એક અવતાર એના માટે, એમાં શું બગડી જવાનું હતું! બીજા બધા બહુ અવતાર મળવાના છે! લગ્નમાં ચોરીમાં હાથ આપ્યો હતો, આપણે હાથ આપ્યો તે પ્રોમિસ કર્યું આપણે. અને આ બધાની હાજરીમાં પ્રોમિસ કર્યું છે. એ પ્રોમિસ આપણે ક્ષત્રિય તરીકે એને આપ્યું હોય, તો એ પ્રોમિસ માટે એક અવતાર મૂકી દેવો પડે!
પરમ પૂજ્ય દાદાશ્રીએ હીરાબા સાથેના પોતાના સંબંધોમાંથી આ તારણ કાઢેલું, એ કહેતા હતા કે, “મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં, પણ તોય એને અવળું પડી જાય પછી એનો ઉપાય શો? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો.”
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events
