Related Questions

તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો

ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી વ્યવહાર કુશળતાનો કેવી રીતે વિકાસ કરવો એ શીખવા માટે વર્કશોપ અને સેમિનારમાં ભાગ લેતા હોઈએ છીએ. પરંતુ, શું તમે આ કુશળતાનો પ્રયોગ તમારા પતિ/પત્ની સાથેના વ્યવહાર માટે કર્યો છે?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે,દુનિયાને નથી જીતવાનુંઘરને જીતવાનું છે.

married life

ચાલો, આપણે નીચે દર્શાવેલ અનુભવો દ્વારા આપણા પતિ/પત્ની સાથેના વ્યવહારને ઉકેલવાની કળા શીખીએ. પરમ પૂજ્ય દાદાશ્રી સાથે થયેલા સત્સંગોમાંથી લીધેલા આંશિક અવતરણો નીચે દર્શાવવામાં આવ્યા છે.

તમારા પતિ/પત્નીના વ્યક્તિત્વને ઓળખો            

શું તમે જેની સાથે રહો છો, એમના વ્યક્તિત્વની ઓળખાણ ના કરવી જોઈએ? તમારા પતિ/પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો શીખવા માટે, સૌથી પ્રથમ તમારે એમના વ્યક્તિત્વના દરેક પાસાને સમજવાની જરૂર છે. આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ થયા બાદ, જો તમે પ્રયત્ન કરો તો તમે એમના વ્યક્તિત્વને સરળતાથી ઓળખી શકશો. એકવાર તમે જો આ રીત અપનાવશોતો તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરવાનું તમારી માટે સરળ થઈ જશે.

જ્યારે તમે તમારા જીવનસાથીના વ્યક્તિત્વનો અભ્યાસ કરશો, ત્યારે તમને એમના ગમા-અણગમા વિશે સમજાશે, જેથી તમે અથડામણ ટાળી શકાય તેવું વર્તન કરી શકશો. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ગુલાબને નજીકથી નિહાળીએ છીએ, ત્યારે આપણે એવી પણ તકેદારી રાખીએ છીએ કે એના કાંટા આપણને ના વાગે. તેવી જ રીતે, જો તમારા જીવનસાથીને સવારે વહેલા ઉઠવાની ટેવ હોય અને તમને મોડું ઉઠવું ગમતું હોય, તો એમાં તમે એમના સાથે એડજસ્ટ થતા શીખશો તો એનાથી સમસ્યાઓને ટાળી શકશો.

સંજોગો પ્રમાણે પરિવર્તનશીલ બનો 

જો પતિ-પત્ની બંને એકબીજા સાથે એડજસ્ટ થવાનો દ્રઢપણે નિશ્ચય કરેતો જ તેનો ઉકેલ આવશે. જો એક વ્યક્તિ પકડ રાખે છે, તો બીજાએ પોતાની વાત છોડીને એમને એડજસ્ટ થવું પડશે. જો તમે એડજસ્ટ નહીં થાઓ, તો તમે તમારું માનસિક સંતુલન ખોઈ બેસશો. કારણ કે, તમે જો બીજાને દુઃખ આપ્યું હશે, તો તમારે બહુ જ ઉદ્વેગ સહન કરવો પડે છે, એવો નિયમ છે. જો તમે કૂતરાને એકવાર, બેવાર અથવા તો ત્રણ વાર ઉશ્કેરશો, તો પણ તે તમને કશું નહીં કરે. પરંતુ, જો તમે એને હેરાન કર્યા જ કરશો, તો એ તમને કરડશે. કૂતરાને પણ એટલો ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ ગેરવર્તન કરે છે. આ સમજવા જેવું છે. કોઈને ઉશ્કેરવું નહીં. એડજસ્ટ એવરીવ્હેર.

તમારા બંનેના ઈન્ટરેસ્ટ (રુચિઓ) સચવાય, એવો સંભવિત વચલો રસ્તો શોધો

પરણિત દંપતીના જુદા જુદા ઈન્ટરેસ્ટ હોવા સ્વાભાવિક છે, તો તેમાં તમે એવા કયા ઉપાય કરશો કે જેથી તમને ગમતી પ્રવૃત્તિનો આનંદ માણી શકો અને સાથે જ એવું કરો કે જેથી તમારી પતિ/પત્ની પણ ખુશ રહે? એકબીજાના ઈન્ટરેસ્ટ બદલ્યા વગર, એક નાની ચાવી વાપરો અને છે સમાધાનપૂર્વક ઉકેલ લાવો. તમને બહાર જવું ગમતું હોય અને તમારા પતિ/પત્નીને ઘરે સમય પસાર કરવાનું ગમતું હોય, તો એમાં તમે એવું કંઈક કરી શકો કે જેથી તમે બંને પોતાની રીતે આનંદ માણી શકો. અમુક રાતો ઘરે રહો અને અમુક રાતો બહાર જાઓ. આવી રીતે તમારા સંબંધ પર અસર ના થાય તેમ એકબીજાનો સાથ પણ માણી શકશો અને બંનેની ઈન્ટરેસ્ટ પણ જળવાઈ રહેશે. નિખાલસ પ્રેમ અને એકબીજાનો જેમ છે તેમ સ્વીકાર કરવો, એ જ સુખી લગ્નજીવનની રહસ્ય ચાવી છે.

ડહાપણવાળા શબ્દોનો પ્રયોગ કરતા શીખો

તમારા પતિ/પત્ની સાથે વાત કરતી વખતે તમે જે શબ્દોનો પ્રયોગ કરો છો તેની સાથે, તમે એ વાતને કેવી રીતે કહો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. તમારે એવી રીતે બોલવું કે સામે પક્ષે કોઈ ઉશ્કેરાટ ઉત્પન્ન ના થાય. પ્રસ્તુત અર્કમાં એક બહેનનો, પરમ પૂજ્ય દાદાશ્રી સાથેનો અનુભવ દર્શાવ્યો છે.

"એક બેન છે તે મને કહે છે, તમે મારા ફાધર હોય એવું લાગે છે, ગયા અવતારના. બેન બહુ સરસ, બહુ સંસ્કારી. પછી બેનને કહ્યું કે, આ ધણી જોડે શી રીતે મેળ પડે છે? ત્યારે કહે, 'એ કોઈ દહાડો બોલે નહીં. કશું બોલે નહીં.' ત્યારે મેં કહ્યું, 'કોઈક દહાડો કશુંક તો થતું હશે ને ?!'ત્યારે કહે, 'ના, કોઈક દહાડો ટોણો મારે.' હા, એટલે સમજી ગયો. ત્યારે મેં પૂછ્યું કે એ ટોણો મારે ત્યારે તમે શું કરો? તમે તે ઘડીએ લાકડી લઈ આવો કે નહીં? ત્યારે એ કહે કે 'ના, હું એમને કહું કે કર્મના ઉદયે તમે અને હું ભેગા થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શું કરવા કરો છો?' શેના માટે ટોણા મારવાના અને આ બધું શું છે? આમાં કોઈનો દોષ નથી. બધું કર્મના ઉદયનો દોષ છે. માટે ટોણા મારો એના કરતા કર્મને આપણે ચૂકતે કરી નાખો ને! એ વઢવાડ સારી કહેવાયને! અત્યાર સુધી તો બધી બહુ બઈઓ જોઈ, પણ આવી ઊંચી સમજવાળી તો આ બઈ એકલી જ જોઈ."

ક્લેશથી થતી બળતરાને ઠારો

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય,આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલા જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલા જેવું ક્લેશવાળું જીવન આજે પણ જીવીએ એમાં શું ફાયદો? એનો અર્થ જ શું? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએ ને? શું વહેંચીને લઈ જવાનું છે. ઘરમાં ભેગું ખાવું-પીવું ને કકળાટ શા કામનો? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે, મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે કે, તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોય ને, તો છોકરાંના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરના છોકરાંય સારા થાય.

સત્તાના દુરુપયોગથી પ્રભાવિત થશો નહીં

પ્રશ્નકર્તા: અહીંયા અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરે ને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.

દાદાશ્રી: પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે! ગાડું સારું ચાલે ને? આ ગાડાના બળદ ઢીલા હોય તો સારું કે પાવરવાળા?

પ્રશ્નકર્તા: પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલે ને? પાવર સારો કરતા હોય તો સારું.

દાદાશ્રી: એવું છે ને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટનું પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.

પ્રશ્નકર્તા: તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું.

દાદાશ્રી: સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને?

પ્રશ્નકર્તા: બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે.

દાદાશ્રી: ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.

પ્રશ્નકર્તા: હં... નહીં તો વધારે વંઠે.

દાદાશ્રી: આજ વંઠ્યું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો? માટે આ બે મિત્રો જ કહેવાય. સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે અને આવી દશા કરી નાખી. આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ગ્રીનકાર્ડવાળાને ?! આવું કરવા હારુ? તો પછી આ શોભે આપણને? તમને કેમ લાગે છે? ના શોભે આપણને! સંસ્કારી કોને કહેવાય? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે?

ક્યારેય દલીલ ન કરો

પ્રશ્નકર્તા: ક્લેશ ના થાય તેના માટે શું કરવાનું? એનો રસ્તો શું?

દાદાશ્રી: શેના માટે ક્લેશ થાય છે, એ કહો મને, તો હું તમને તરત જે માટે થતો હોય તેની દવા બતાવી દઉં.

પ્રશ્નકર્તા: પૈસા માટે થાય છે, છોકરાંઓ માટે થાય, બધા માટે થાય. નાની નાની બાબતમાં થઈ જાય.

દાદાશ્રી: પૈસા બાબતમાં શું થાય?

પ્રશ્નકર્તા: બચતા નથી ને, વપરાઈ જાય છે બધા.

દાદાશ્રી: એમાં ધણીનો શો ગુનો?

પ્રશ્નકર્તા: કશો ગુનો નહીં. એમાંથી ઝઘડો થઈ જાય, કોઈ કોઈવાર.

દાદાશ્રી: એટલે ક્લેશ તો કરવો નહીં. બસો ડૉલર ખોઈ નાખે તોય ક્લેશ ના કરવો. કારણ કે, ક્લેશની કિંમત ચારસો હોય. બસો ડૉલર ખોવાઈ જાય છે એના કરતા ડબલ કિંમતનો ક્લેશ થાય છે અને ચારસો ડૉલરનો ક્લેશ કરવો તેના કરતા બસો ડૉલર ગયા એ ગયા. પછી ક્લેશ ના કરવો. પછી વધવું-ઘટવું એ તો પ્રારબ્ધને આધીન છે.

કકળાટ કરવાથી પૈસો વધે નહીં. એ તો પુણ્યૈ પાકે તો વારેય ના લાગે, પૈસા વધવાને. એટલે જે જે બાબતોમાં થાય તે મને કહો ને કે પૈસાની બાબતમાં થાય. તો પૈસા વધારે વપરાઈ જતા હોય તો કચકચ નહીં કરવી. કારણ કે, છેવટે વપરાઈ ગયા એ તો ગયા, પણ ક્લેશ કરીએ ને તે પચાસ રૂપિયા વધારે વપરાયા તેને બદલે સો રૂપિયાનો ક્લેશ થઈ જાય. એટલે ક્લેશ તો કરવો જ ના જોઈએ.

×
Share on