Related Questions

પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?

avoid clashes

કુટુંબમાં આપણે એકબીજા સાથે રાત-દિવસ એક છત નીચે રહેતાં હોઈએ એટલે નાની-મોટી અથડામણ થયા વગર રહે નહીં. તેવા સમયે કઈ સમજણ હાજર રાખવી જેથી અથડામણ ન થાય અને સંબંધો સચવાય તેની અહીં વિગત મળે છે.

પરિવારમાં મતભેદ એટલે અથડામણ! દરેકની પ્રકૃતિ અને વિચારસરણી જુદા જુદા હોવાથી સંજોગોવશાત્ મતભેદ થઈ જાય છે. માટે, ઘરમાં દરેક વ્યક્તિની પ્રકૃતિ ઓળખીને કામ લેવું. જેમ આપણે કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રાચારી કરવી હોય તો તેની ઓળખાણ પડે તે માટે ઝીણવટથી નિરીક્ષણ કરીએ અને તેની પસંદ, નાપસંદ, સ્વભાવ વગેરેને ઓળખવાનો પ્રયત્ન કરીએ. પણ પતિ-પત્ની કે બાળકો સાથેના વ્યવહારમાં આપણે ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લઈએ છીએ અને પ્રકૃતિનું ઝીણવટથી નિરીક્ષણ નથી કરતા. પરિવારમાં બહુ બધા માણસો હોય, તે દરેકની સાથે મેળ નથી પડતો. પરિણામે વાતેવાતે અથડામણ થઈ જાય છે.

કુટુંબની દરેક વ્યક્તિના પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઈએ. આપણે મોટેભાગે વ્યક્તિની પ્રકૃતિના દોષ જોઈએ છીએ, તેથી તેમના પ્રત્યે અભાવ થયા કરે. તેના બદલે જો સારા ગુણોને જોઈએ તો કોઈ દોષિત ન દેખાય. ધારો કે, એક બગીચામાં જુદાં-જુદાં ફૂલો એકબીજા સાથે વાતો કરી શકતા હોય અને તેમાં જો ચંપો ગુલાબને કહે કે, “તારામાં ભલીવાર નથી, તારામાં તો કાંટા છે”. તો સામે ગુલાબ ચંપાને કહે કે, “તું તો જરાય સારો નથી દેખાતો.” અને પરિણામે બંનેમાં વઢંવઢા થઈ જાય. તેવી જ રીતે આ સંસાર પણ બગીચો છે. તેમાં જો આપણે એકબીજાની ભૂલો કાઢીએ તો ઝઘડા વધ્યા જ કરે.

ઘરની વ્યક્તિઓમાં મતભેદ ન પડવા દેવો. મતભેદ થઈ જાય તો વાળી લેવું. એટલે કે, આપણો મત છોડી દેવો અને વ્યક્તિ સાથે ભેદ ન પડે તેમ સાચવી લેવું. એકબીજાની પ્રકૃતિ જુદી જુદી હોય, વિચારો જુદા જુદા હોય, ત્યારે આપણે સામાના વિચારોને તોડી ન પાડવા. ઘરની કોઈ વ્યક્તિથી વસ્તુનું, કામકાજને લગતું કે પૈસાનું નુકસાન થતું હોય, ત્યારે ધીરજથી કામ લેવું જોઈએ. આપણે જો વ્યક્તિની ભૂલ કાઢીને ગુસ્સો કરી મૂકીએ, તો વ્યક્તિનું દિલ તૂટી જશે.

દરેક સંબંધમાં એક સૂત્ર અપનાવી લેવું જોઈએ કે, “વસ્તુની કિંમત નથી, વ્યક્તિની કિંમત છે.” લાખોનું નુકસાન થાય તો પણ ઘરની વ્યક્તિઓના દિલને સહેજ પણ ઠેસ ના વાગે તે રીતે સોલ્યુશન લાવવું જોઈએ. ઘરની વ્યક્તિઓ પ્રેમથી જીતાશે તો ફરીથી ભૂલ કરતાં અટકશે અને તેમનો ઉત્સાહ ટકી રહેશે.

ઉપરની ચાવીઓ આપણને સામાન્ય રીતે કોઈપણ સંબંધમાં અથડામણ અને ક્લેશ ટાળવામાં મદદરૂપ થાય છે. તેમ છતાં, કેટલાક સંબંધો જેમ કે, પતિ-પત્ની, મા-બાપ અને બાળકો, સગાં ભાઈ-બહેન તેમજ સાસુ-વહુ વગેરેમાં કેટલીક અનોખી સમજણ હાજર રાખવી પડે છે, જેથી સંબંધોમાં પ્રેમ અને આદર જળવાઈ રહે. પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી પ્રાપ્ત એવી જ કેટલીક સચોટ સમજણ નીચે દર્શાવેલ છે.

પતિ-પત્નીમાં ક્લેશરહિત જીવનની ચાવીઓ :

લગ્નગ્રંથિથી જોડાયા પછી, એક છતની નીચે સાથે રહેતાં પતિ અને પત્નીના જીવનમાં ક્લેશ થયા વગર રહેતો નથી. તેવામાં કઈ સમજણ ગોઠવીએ જેથી જીવન ક્લેશરહિત અને સુંદર બને તે નીચે દર્શાવ્યા છે.

  • એકબીજાના પતિ-પત્ની નહીં પણ મિત્ર બનીને રહેવું.
  • નાની નાની વાતોમાં મતભેદ ટાળવા, નહીં તો એ મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ લેશે.
  • વ્યવહારમાં એકબીજાની ભૂલ ન કાઢવી કે જેનાથી જુદાઈ ઊભી થાય.
  • બંનેએ એકબીજાની પ્રકૃતિને ઓળખીને કામ લેવું, જેથી રાગ-દ્વેષ વગર વ્યવહાર ઊકલી શકે.
  • એકબીજા માટે આદર કેળવવો. એકબીજાના દોષ ન જોવા.
  • પતિ કે પત્નીની બીજા કોઈની સાથે સરખામણી ન કરવી.
  • એકબીજા પર વધુ પડતા હક્ક કે પઝેસિવનેસ ન રાખવા પણ અપેક્ષા વિનાનો નિઃસ્વાર્થ પ્રેમ રાખવો.
  • એકબીજાના કામની વહેંચણી કરવી અને પછી તેમાં ડખોડખલ ન કરવી. એકબીજાને જરૂર પડે તો ચોક્કસ મદદ કરવી, પણ વણમાગી સલાહ આપવાનું ટાળવું.
  • કુટુંબમાં ‘મારું-તારું’ ન રાખવું. એકબીજાના પરિવાર માટે પણ એકતા જ રાખવી.
  • એકબીજાને સંપૂર્ણ સિન્સિયર અને વફાદાર રહેવું. લગ્ન સિવાય બહાર દૃષ્ટિ પણ ન બગાડવી.
  • પતિ-પત્નીના સંબંધમાં વિશ્વાસ હોવો જરૂરી છે. એકબીજા ઉપર શંકા ન કરવી.
  • એકબીજા પ્રત્યે વધુ પડતો મોહ, અપેક્ષા, આગ્રહ અને અભિપ્રાય ટાળવા, જેને કારણે નાની વાતમાં આંટી પડતાં છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે.

સુખી વૈવાહિક જીવન માટેની વિસ્તૃત સમજણ મેળવવા વાંચો, સુખી લગ્નજીવનની ચાવીઓ.

મા-બાપ છોકરાંઓમાં ક્લેશરહિત જીવનની ચાવીઓ

  • બાળક જન્મે ત્યારથી જ તેમની સાથે, તેમનું વ્યક્તિત્વ બીજરૂપે લઈને આવે છે. મા-બાપની ફરજ ફક્ત તેમની માવજત કરવાની છે, જેથી તેઓ ખીલે.
  • બાળકો પ્રત્યે એકધારો પ્રેમ રાખવો. તેઓ સારું કરે તો વધી જાય અને ખરાબ કરે તો ઘટી જાય તેવો નહીં.
  • ઘરમાં પ્રેમવાળું વાતાવરણ રાખવું જેથી બાળકો ઘરની બહાર હૂંફ અને પ્રેમ ન ખોળે.
  • બાળકોનું અતિશય ધ્યાન રાખવાને બદલે તેમને જીવનમાં અનુભવ લઈને ઘડાવા દેવા. જીવનના પડકારો અને નિષ્ફળતાઓનો નીડરતાથી સામનો કરવા પ્રેરણા આપવી.
  • બાળકોના પોઝિટિવ ગુણોને પ્રોત્સાહન આપવું અને નેગેટિવ બાબતો પ્રત્યે મૌન રહેવું. એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ રાખવા, જેથી બાળકો અવળા રસ્તે ફંટાતાં અટકે.
  • બાળકો સાથે તેમના મિત્ર બનીને રહેવું.
  • બાળકો સાથે સત્તાવાહી સ્વરે નહીં પણ તેમને સમજાવીને વાત કરવી.
  • નાની નાની બાબતમાં બાળકોની ભૂલ ન કાઢવી, કચકચ ન કરવી, ઠપકો ન આપવો.
  • બાળકો સાથે દબાણ કે આગ્રહપૂર્વક નહીં પણ સમજાવીને કામ લેવું.
  • જેમ એક કાચના વાસણને સાચવીને વાપરીએ જેથી તે તૂટે નહીં, તેમ બાળકોનું મન પણ કાચ જેવું હોય છે. તેમને દુઃખ ન થાય તેવા વાણી વર્તન રાખવા.
  • બાળકો સૌથી વધારે ઘરમાં તેમના માતા-પિતાનું વર્તન જોઈને શીખે છે. માટે બાળકોને સુધારવા માટે સૌથી પહેલાં મા-બાપે સુધરવું.

મા-બાપના બાળકો સાથેના ક્લેશરહિત વ્યવહારની વિસ્તૃત સમજણ માટે વાંચો પોઝિટિવ પેરેંટિંગ.

સગા ભાઈ કે બહેન સાથેના સંબંધમાં ક્લેશરહિત જીવનની ચાવીઓ

ભાઈ-ભાઈ, ભાઈ-બહેન કે બહેન-બહેન વચ્ચે કોઈ કારણોસર મનભેદ થયો હોય, એકબીજાને દુઃખ થયું હોય તેવા સમયે, કયાં કારણથી દુઃખ થયું અને તેનું કઈ રીતે નિવારણ કરવું તેની સાચી સમજણ મળે તો ભાઈ-બહેનના સંબંધોમાંથી પણ ક્લેશ દૂર થઈ શકે છે.

મોટેભાગે ઘરની નજીકની વ્યક્તિઓમાં રાગ-દ્વેષ વધુ હોય છે. વાસ્તવિકતામાં, પૂર્વે જેમની વચ્ચે હિસાબ બંધાયો હોય તેવા જીવો એક કુટુંબમાં જન્મ લે છે. પછી રાગથી કે દ્વેષથી એ હિસાબ ઊકલે છે. તેમાં જો દ્વેષનો હિસાબ બંધાયો હોય ત્યારે એકબીજાને દુઃખ આપી દે છે કે દોષિત જુએ છે. અહીં સગા ભાઈ કે સગી બહેન સાથેના સંબંધમાં અથડામણ કઈ રીતે ટાળી શકાય તેની સમજણ મળે છે.

દિલથી ઘરડાં મા-બાપની સેવા કરવી

ભાઈઓ બહેનોમાં મોટેભાગે ઘરડાં મા-બાપને સાચવવા માટે ઝઘડા થતાં હોય છે. માતા-પિતા ઘરડાં થાય, બીમાર પડે, ત્યારે ભાઈઓ બહેનો માતા-પિતાની ચાકરી એકબીજાને માથે ઢોળી દેતાં હોય છે. જે મા-બાપે આપણને મોટા થતાં સુધી આપણા ઉપર અનેક ઉપકાર કર્યાં, તેમને જ ઘરડે ઘડપણ લાચારી અનુભવવી પડે છે. કહે છે ને કે મા-બાપ ચાર બાળકોને સાચવીને ઉછેરે, પણ ચાર બાળકો મા-બાપને ના સાચવી શકે! વાસ્તવિકતામાં મા-બાપની સેવા કરતા ઊંચું બીજું કોઈ પુણ્ય નથી. એટલે આપણા ભાગે આ સેવા આવી પડે તો ધનભાગ્ય માનવું. કેટલાક દીકરા-વહુઓ ઘરડાં મા-બાપને તરછોડ મારીને, અવગણીને બહાર મોટા દાન પુણ્યના કામો કે જાત્રાઓ કરતાં હોય છે. જો ઘરના માતા-પિતા અંદર અંદર દુઃખમાં ટળવળતાં હોય, તેમને ખાવા-પીવાની તકલીફ હોય તો બીજા કોઈ પુણ્યના કાર્યો કરેલા ફળે નહીં. પણ જો ઘરડાં મા-બાપની સેવા કરીને તેમની આંતરડી ઠારી હોય તો તેમના આશીર્વાદ આપણા જીવનમાં ઊતરે અને ઊંચું પુણ્ય બંધાય.

મિલકતમાં ભાગ મેળવવા ક્લેશ ન કરવો

મા-બાપ ગુજરી જાય એટલે એમની મિલકતનો ભાગ પડાવવા માટે પણ ભાઈ-બહેનમાં ઝઘડા થાય છે. ભાઈ-બહેન વચ્ચે પૈસા કે પ્રોપર્ટી માટે ઝઘડા કરીએ ત્યારે એ સમજવું કે પ્રોપર્ટી અહીં જ પડી રહેશે, પણ જે વેર બાંધ્યું તે આવતે ભવ આપણી જોડે આવશે. વિચારણા કરીએ તો છતે પૈસે પણ કેટલા લોકો સુખી થયા છે? કરોડો રૂપિયા હોવા છતાં લોકો ડોક્ટરની ગોળીઓ ખાઈને જીવે છે. મિલકત મળી પણ જશે તોય શું આપણે એને ભોગવવા કાયમ અહીં રહીશું? છેવટે આપણે કશું પોતાની જોડે નહીં લઈ જઈએ, ઊલટું સાડા પાંચ ફૂટ જમીનને આપણો દેહ આપીને જઈશું. ઝઘડા કરીને કોર્ટે ચડવાને બદલે પ્રાર્થના કરવી કે ઘરમાં બધાને સદ્‌બુદ્ધિ આવે, શાંતિ થાય અને ઝઘડા ન થાય. આપણને ઓછું મળે, વધારે મળે કે ન મળે, પણ પ્રેમથી સમાધાન લાવવું અને શાંતિથી જીવવું.

અભિપ્રાય અને પૂર્વગ્રહ ટાળવા

આપણી નજીકની વ્યક્તિઓ સાથે જ વધુ પડતા રાગ-દ્વેષ અને ક્યારેક વેર બંધાય છે. વ્યવહારમાં કંઈક બની જાય એટલે આપણને અભિપ્રાય પડી જાય કે “આ આવા જ છે, આવું જ કરે છે.” પછી એ અભિપ્રાય ગાઢ થાય એટલે પૂર્વગ્રહ બંધાય. સામો કંઈક કરે એ પહેલાં જ ઊભું થાય કે, “આ હમણાં આવું જ કરશે.” પાંચ પ્રસંગોમાંથી એકાદ-બે વખત આપણા પૂર્વગ્રહ પ્રમાણે બને, જ્યારે બાકીનો વખત એમ ના પણ બને. પણ આપણા અભિપ્રાય અને પૂર્વગ્રહને કારણે વ્યક્તિઓ સાથે ભેદ પડ્યા કરે અને પ્રેમ તૂટતો જાય. એટલું જ નહીં, આપણે આપણા અભિપ્રાયો ઘરમાં બીજા લોકોને કહીને સંભળાવીએ, એટલે એમના કાનમાં પણ ઝેર રેડાય.

ખરેખર તો દરેક વ્યક્તિ આપણા કર્મના હિસાબે વર્તન કરે છે. જેમ સવારે વાદળાં ઘેરાયાં હોય અને દસ મિનિટ પછી ખસી જાય તો સૂર્યનારાયણ દેખાય. તેવી જ રીતે કોઈપણ પરિસ્થિતિ કે વ્યક્તિ કાયમ એકસરખી નથી રહેતી. ધારો કે, આપણને કોઈ વ્યક્તિ ઉપર એક વખત ગુસ્સો આવી ગયો, પણ બીજી ક્ષણે આપણને પસ્તાવો થતો હોય કે “અરેરે, ખોટો ગુસ્સો થઈ ગયો.” ત્યારે જો સામી વ્યક્તિ એવો અભિપ્રાય રાખે કે આ વ્યક્તિ કાયમ ગુસ્સો જ કરે છે તો એ ખોટું ઠરે. એકાદ વખત બનેલો વ્યવહાર જોઈને કાયમ માટે “એ આવું જ કરશે” એવો અભિપ્રાય ન આપવો જોઈએ.

×
Share on