Related Questions

પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?

‘બાહ્ય જગત સાથે અથડામણ ટાળવી એ યોગ્ય છે, પરંતુ મારા પરિવાર સાથે હું ઝઘડા થતા કઈ રીતે ટાળી શકું?’

avoid clashes

તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઈએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે તેમને પણ તમારા પ્રત્યે પ્રેમ હોય, તેવી વ્યક્તિ સાથે તમે કઈ રીતે અથડાઈ શકો? આવી અથડામણોનો અંત આવવો જોઈએ. પારિવારિક ઝઘડાઓને કારણે આપણે શા માટે બધું બરબાદ કરીએ? તેવું આપણને શોભે નહીં.

દરરોજ સવારે એવી પ્રતિજ્ઞા લો કે કોઈના પણ દોષ જોવા નથી અને આખા દિવસ દરમિયાન કોઈની પણ સાથે અથડામણમાં આવવું નથી. જો આપણે કોઈને દુઃખ આપીએ છીએ, તો આપણે ખુશ ન રહી શકીએ. બીજાને ખુશ કરીને જ આપણે ખુશી મેળવી શકીએ છીએ. જો તમે તમારા ઘરમાં સુખ આપો છો, તો તમને પણ બદલામાં ચોક્કસ સુખ મળશે. જગત ભોગવટા માટે નથી બન્યું, તે તો આનંદ માણવા માટે છે.

તમારો સૌથી મોટો ધ્યેય એ હોવો જોઈએ કે જે વ્યક્તિએ તમારી કાળજી લીધી છે, તેનું રક્ષણ કરવું જોઈએ. ભલે તેઓ ભૂલો કરે તો પણ તેમનું ધ્યાન રાખો. તમારા પરિવારના સભ્યોને ક્યારેય ધમકાવશો નહીં. માતા-પિતા, દાદા-દાદી, બાળકો, પતિ-પત્ની, આ બધા લોકો તમારા જ પરિવારના સભ્યો છે ને! તેમના દોષ ન જોવા જોઈએ.

અથડામણો દરરોજ થતી નથી. તે ત્યારે જ થાય છે જ્યારે તમારા ગતભવના કર્મો ફળ આપવા માટે પાકી જાય છે. આવું જ્યારે બને ત્યારે એડજસ્ટ થાવ. અને તેની ખાતરી રાખો કે અથડામણો થવાથી તમે તમારા સ્નેહીજનોથી વિખૂટા ન પડી જાવ. સામી વ્યક્તિ તમારી સાથે ભેદ પાડવા આવે તો પણ તમારે તેમની સાથે ભેદ ન પડવા દેવો. આ અથડામણોના કારણે તમારા સંબંધોમાં ક્યારેય દૂરી ન આવવા દેશો. જો આવું થાય તો વહેલી તકે તેને સાંધવાનો પ્રયત્ન કરો.

પારિવારિક અથડામણોને ટાળવા માટે તમારા ઘરના લોકોની પ્રકૃતિને ઓળખો

ઘરના દરેક લોકોના વ્યક્તિત્વને ઓળખો. ઘરમાં પચાસ માણસો પણ હોઈ શકે, પરંતુ તમને તેમની પ્રકૃતિની ઓળખાણ ન હોવાથી મતભેદો થાય છે. તમારે તેમના તફાવતો ઓળખવા જોઈએ. જો ઘરની કોઈ વ્યક્તિ સતત તમને ફરિયાદ કર્યા કરે છે, તો તે તેમની પ્રકૃતિ છે. અને પછી તેવું સમજી જવું જોઈએ કે આ સામી વ્યક્તિની ટેવ છે, તેથી તમે અસરમુક્ત રહી શકશો. આપણો સાચો સ્વભાવ આ બધી ટેવોની પેલે પાર છે. આ જ્ઞાનથી બધી પરિસ્થિઓનો ઉકેલ આવશે. પરંતુ, જો તમે કોઈ એવી પરિસ્થિતિમાં જકડાઈ જશો, તો અથડામણો ચાલુ જ રહેશે. ઉદાર અને કૃતજ્ઞ બનો, જે કંઈ પણ આવે છે તેને સાગરની માફક ખુશીથી સ્વીકારી લો અને આગળ વધો. દરેક વ્યક્તિ તમારી નિખાલસતાની નોંધ લેશે અને તમારી પ્રશંસા પણ કરશે.

ઘરમાં કોઈ એમ પણ કહેશે કે, “તમે સાવ મૂર્ખ છો.” આ સમયે તમારે સ્વીકારવું જોઈએ કે તે વ્યક્તિ આ રીતે બોલે છે તે તેની ટેવ છે. આ રીતે તમારે એડજસ્ટ થવાનું. જો તમે તેમનું અપમાન પાછું આપશો, તો તમે થાકી જશો અને અથડામણો ચાલું જ રહેશે. તે લોકો તમારી સાથે અથડાય છે, પરંતુ જો તમે પણ સામે અથડાશો તો એવું સાબિત થશે કે તમે પણ આંધળા છો. તમારે માનવજાતની જુદી જુદી પ્રકૃતિને સમજવી જોઈએ, જેથી તમે સહેલાઈથી એડજસ્ટ થઈ શકશો.

વ્યક્તિઓની કિંમત ઘણી છે, જ્યારે વસ્તુઓ બદલી શકાય એમ છે

જ્યારે તમે તમારી ઘરની વ્યક્તિઓ કરતા વસ્તુઓ પર વધુ ભાર મૂકો છો, ત્યારે તમે અજાણતા જ મોટું નુકસાન કરી રહ્યા છો. ઘરની વસ્તુઓની કિંમત અમુક ડોલર હોય છે, પરંતુ જ્યારે તમે કોઈ વ્યક્તિને દુ:ખ આપો છો, ત્યારે તમે હજારો ડોલર ગુમાવો છો. શું તે ખરેખર યોગ્ય છે?

જો તમે બંને સોફા માટે ઝઘડો છો, તો સોફાને બાજુ પર મૂકી દો. તે સોફો માત્ર અમુક ડોલરનો જ પડશે. પણ શું તેના માટે ઝઘડવું યોગ્ય છે? તે માત્ર નફરતના બીજ વાવશે. તેને દૂર હટાવી દો. કોઈ પણ વસ્તુ કે જે તમારા ઘરમાં અથડામણનું કારણ બને છે, તેને દૂર ફેંકી દો. તેની પાછળનું કારણ એ છે કે તમારા ઘરના લોકો અમૂલ્ય છે, જ્યારે તમારા ઘરની વસ્તુઓ બદલી શકાય છે. તમે નવી વસ્તુઓ ખરીદી શકો છો, પરંતુ જેને તમે અત્યંત પ્રેમ કરો છો તેના હૃદયને કઈ રીતે સાંધી શકશો?

તમારે તમારા ઘરના દરેક લોકોને કહેવું જોઈએ કે, “આપણે એકબીજાના દુશ્મનો નથી; કોઈને પણ કોઈની સાથે ઝઘડવું ન જોઈએ. અભિપ્રાયોમાં ભેદ પાડવાની કોઈ જરૂરિયાત નથી. આપણી પાસે જે કંઈ પણ છે તે એકબીજા વચ્ચે વહેંચીએ અને ખુશ રહીએ.” આ રીતે તમારે બધું વિચારવું અને કરવું જોઈએ. તમારે તમારા ઘરના લોકો સાથે ક્યારેય ઝઘડવું ન જોઈએ. જેની સાથે તમે એક જ ઘરમાં રહેતા હોય તે લોકોની સાથે તમે કઈ રીતે ઝઘડી શકો? બીજાને દુ:ખ આપીને કોઈ પણ વ્યક્તિ સુખી ન થઈ શકે અને આપણે બીજાને સુખ આપીશું તો જ સુખી થઈ શકીશું. જો આપણે ઘરમાં બીજાને ખુશ રાખીશું, તો જ આપણે ખુશ રહી શકીશું.

×
Share on