સંસાર વ્યવહારમાં આપણે કહેતાં હોઈએ છીએ કે, “વાવો તેવું લણો!”, તમે બીજાનું નુકસાન કરશો તો તમારું નુકસાન થશે. પણ નુકસાન થતું કઈ રીતે અટકાવવું તેની સમજણ પ્રાપ્ત થતી નથી. મા-બાપની સેવા કરવી જોઈએ, બીજાનું ભલું કરવું જોઈએ તો સુખી થવાય, પણ કઈ રીતે કરવું એની પ્રેક્ટિકલ રીત જડતી નથી. પરિણામે, ગણિતમાં રકમ આપીને જવાબ બતાવી દીધો હોય, પણ દાખલો ગણવાની રીત ન આપી હોય ત્યારે જે ગૂંચવાડો થાય તેવી દશા લોકોની થાય છે. જેમ કોઈ મશીન બગડ્યું હોય ને અવાજ કરતું હોય તો ઠોકાઠોક કરીએ કે, “નકામું છે, આ લોકો સસ્તા મશીન આપે છે, પૈસા પડાવે છે.” તો કકળાટ વધે. એને બદલે વિગતમાં જવું પડે કે મશીન ક્યાં અટકે છે? કયો પાર્ટ બગડ્યો છે? પછી બગડેલા પાર્ટને રિપ્લેસ કરીએ ત્યારે મશીન ચાલુ થાય અથવા ખખડતા પાર્ટ પર લૂબ્રિકેશન કરીએ તો અવાજ બંધ થાય. આને વ્યવહારિક કળા કહેવાય છે. આવી જ વ્યવહારિક કળા વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પણ આવડવી જોઈએ. જુદા જુદા પ્રકારના વ્યવહારના સોલ્યુશન માટે જુદી જુદી કળાઓ જોઈએ તો જીવનમાંથી ક્લેશ દૂર થાય.
મનુષ્ય જીવનનો ધ્યેય
જીવનનૈયાને કઈ મંઝિલે પહોંચાડવી છે તે નક્કી કર્યા વિના, દિશા જાણ્યા વિના એને હંકાર્યે જ જઈએ તો મંઝિલ ક્યાંથી મળે? હલેસાં મારી મારીને થાકી જવાય, હારી જવાય ને અંતે મધદરિયે ડૂબી જવાય.

આપણને વિચાર આવવો જોઈએ કે સંસારમાં મારા જીવનનો હેતુ શો છે? જન્મ્યા, નાનપણથી મોટા થયાં, ભણ્યાં-ગણ્યાં, નોકરી-ધંધો કર્યાં, પરણ્યાં, બાળકો થયાં, એમને પરણાવ્યાં, ઘરડાં થયા અને છેવટે નનામી નીકળી. જીવન ગુજારતા હતા, તે પોતે જ ગુજરી ગયા. દેહ છૂટતી વખતે કશું હાથમાં ના આવ્યું. ઘર, બંગલો, ગાડી, પૈસા, કુટુંબ જ નહીં, આપણું નામ પણ અહીંનું અહીં જ રહી ગયું. જોડે શું આવ્યું? આપણી જ ગૂંચો, આપણા જ રાગ-દ્વેષ.
મનુષ્યગતિ માંથી ચારે ગતિમાં જવાના કર્મો બાંધી શકાય છે. ચારગતિની ભટકામણથી મુક્ત થઈને મોક્ષે પણ મનુષ્યદેહે જ જઈ શકાય છે. લોકોના સુખ માટે જીવન જીવીએ તો ફરી મનુષ્યમાં અવાય અથવા દેવગતિમાં જવાય અને સ્વરૂપનું ભાન પ્રાપ્ત થાય, તો મોક્ષગતિમાં જઈ શકાય એટલી મનુષ્યપણાની સિદ્ધિ છે. જેમ એક એન્જિન લાવીને ચલાવ્યા કરીએ, પણ એની સાથે પટ્ટો જોડીને પાણી કાઢવાનું કે કંઈક દળવાનું કામ ન કાઢીએ તો એ એન્જિન નકામું જાય. તેમ આખી જિંદગી દોડધામ કરીએ, પણ સાથે જીવનનો કોઈ ધ્યેય ન બંધાયો હોય તો જીવન નકામું જાય છે.
ક્લેશનું કારણ
આ દુષમ કાળમાં મનુષ્યો એટલા દુઃખોમાં ઘેરાઈ ગયા છે કે સહન નથી કરી શકતા. પરિણામે માણસોનું મગજ ક્રેક થઈ જાય કે ડિપ્રેશન અને હતાશામાં ડૂબી જાય છે. પૈસાની મુશ્કેલીઓ, તબિયતની મુશ્કેલી, બાળકોના ઉછેરના પડકારો, પતિ-પત્નીના સંબંધોમાં ક્લેશ, સાસુ-વહુ વચ્ચેના કકળાટ, જેનો કોઈ અંત જ નથી. આ ક્લેશમય જીવનનું મુખ્ય કારણ અણસમજણ જ છે! પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “તમામ દુઃખોનું મૂળ તું પોતે જ છે!” પહેલું મૂળ કારણ અજ્ઞાનતા છે. તેમાંય, વ્યવહારિક અણસમજણને કારણે જીવનમાં નાના-મોટા ક્લેશ થયા કરે છે અને પોતે દુઃખી થાય છે. જેમ બળતો ગોળો બીજાને દઝાડે, તેમ પોતે દુઃખિયો હોય તો બીજાને દુઃખ આપ્યા વગર રહે નહીં.

મા-બાપની બાળકો પ્રત્યેની અતિશય લાગણીઓ, મોહ, મમતાને તેમજ એકબીજાની જરૂરિયાત સમજી ન શકવાને કારણે બંને વચ્ચે કચકચ ચાલુ જ હોય છે. ઘરમાં સૌથી નજીકનો જે સંબંધ પતિ અને પત્નીનો છે, જેમાં બંને એકબીજાની હૂંફથી બંધાયેલા હોવા છતાં સૌથી વધારે ક્લેશ ત્યાં જ થાય છે. એટલું જ નહીં, કુટુંબમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, સગા ભાઈ-બહેનોના વ્યવહારમાં, તેમજ વ્યવસાયમાં બૉસ-અન્ડરહેન્ડ, બિઝનેસ પાર્ટનર, સમકક્ષ કર્મચારી કે વેપારી સાથેના વ્યવહારમાં ક્લેશ ચાલ્યા જ કરતો હોય છે. અરે! સંસાર છોડીને ત્યાગી તરીકે જીવન જીવે ત્યાં પણ ગુરુ-શિષ્ય વચ્ચે, સહાધ્યાયીઓમાં, સંઘપતિ સાથે વ્યવહાર તો ઊભો રહે જ છે. એટલે જીવનના દરેક ક્ષેત્રમાં ક્લેશ વિનાનું જીવન જીવતા આવડવું જ જોઈએ.
તમામ ધર્મોનો સાર
તમામ ધર્મનો સાર એટલો જ છે કે આપણા મન-વચન-કાયાથી કોઈપણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન થાય. પછી ઘર હોય તો તેમાં ક્લેશ કરીને દુઃખ ના આપીએ. નોકરી-ધંધો કરીએ તો અનીતિ અને અપ્રમાણિકતાથી કોઈને દુઃખ ના આપીએ. બૉસ તરીકે આપણી હાથ નીચે કામ કરનારને દુઃખ ના આપીએ અને કર્મચારી તરીકે ઉપરીને બૂમ ના પાડવી પડે તેમ સિન્સિયર રહીને કામ કરીએ. પતિ અને પત્ની તરીકે એકબીજાને દુઃખ ના આપીએ. મા-બાપ તરીકે બાળકોને કચડ્યા વગર સંસ્કાર આપીએ અને બાળકો તરીકે મા-બાપની દિલથી સેવા કરીએ. ટૂંકમાં, કોઈપણ રીતે બીજાને દુઃખ થાય એ અધર્મ છે. મંદિરમાં જઈને પૂજાપાઠ કે ક્રિયાઓ કર્યા કરવી એ જ ધર્મ નથી, પણ ક્લેશ વિનાનું જીવન જીવવું, કોઈને દુઃખ ના આપવું એ ધર્મ છે.

માટે, દરરોજ સવારના દિલથી પાંચ વાર પ્રાર્થના કરવી, “પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો!” અને તેમ છતાં કોઈને ભૂલથી દુઃખ દેવાઈ જાય તો તેનો હૃદયપૂર્વક પસ્તાવો કરી ધોઈ નાખવાથી જીવન ખરેખર શાંતિમય જાય છે.
ધર્મના શાસ્ત્રો કે પ્રવચનોના આધારે પોતે સમજતો થાય કે સામો ગાળો ભાંડે છે, મારું નુકસાન કરે છે કે દેહમાં દર્દ ઉત્પન્ન થાય છે, એ તમામ મારા જ કર્મના ઉદયથી છે એમ સમજણ ફિટ થાય તો સમતાથી કર્મ પૂરું થાય અને જીવનમાં આંતરિક કે બાહ્ય ક્લેશ ટાળી શકાય.
અંતે, વ્યવહાર આદર્શ જોઈશે!
આદર્શ વ્યવહાર એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય તે. ઘરના, બહારના, આડોશી-પડોશી કોઈને પણ આપણા થકી દુઃખ ના થાય તે આદર્શ વ્યવહાર કહેવાય. છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ મનમાં તે બદલ માફી માંગી લેવી અને ફરી દુઃખ ન અપાય તે માટે નિશ્ચય કરવો જોઈએ.
આદર્શ વ્યવહાર જીવનની શરૂઆતથી જ હોવો જોઈએ. તેમાં વડીલોનો વિનય રાખવો. ઘરમાં ઘરડાં મા-બાપને તરછોડીને બહાર મંદિરમાં ધર્મના મોટા મોટા કામો કરતા હોઈએ તો તે આદર્શ વ્યવહાર નથી. જેનો વ્યવહાર આદર્શ હોય તેની તો આસપાસ સુગંધી ફેલાય.
મા-બાપ અને બાળકો વચ્ચે ક્લેશરહિત જીવન
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “મા કે બાપ તરીકેની જવાબદારી દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી કરતાંય વધારે છે!” આજકાલ કોઈપણ નોકરી લેવા જઈએ તો ગ્રેજ્યુએટ થયાનું સર્ટિફિકેટ જોઈએ છે, પણ લગ્ન પહેલાં કે બાળકોને જન્મ આપતા પહેલાં કોઈ પ્રકારનું સર્ટિફિકેટ માંગવામાં નથી આવતું. સંસારવ્યવહારના બધા જ્ઞાન માટે સર્ટિફિકેટ હોય છે તો આદર્શ માતા-પિતા બનવા કેમ નહીં? ઘરમાં માતા-પિતા પાસેથી બાળકોને સૌથી વધારે સંસ્કાર મળે છે. માટે મા-બાપ પાસે બાળકને ક્યાં કેટલું કહેવું, ક્યાં એન્કરેજ કરવું, ડિસ્કરેજ કરવું તેની સમજણ હોવી જરૂરી છે. છતાં પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી આપણને કેટલીક એવી સમજણ મળે છે જે આપણને એક સર્ટિફાઈડ મધર અને ફાધર બનવામાં મદદરૂપ થઈ શકે છે.

માતા-પિતા દિવસમાં અનેક વખત નેગેટિવ શબ્દો બોલીને બાળકોને સુધારવા માટે ટોક ટોક કરે તો બાળકોના માનસ પર અવળી અસર પડે છે. તેઓ ડિપ્રેશનમાં જાય છે અથવા સામા થાય છે. બાળકો સાથે મિત્રની જેમ વાત કરવી. તેમને કાચના વાસણની જેમ સાચવવા. જેમ એક માળી ગુલાબના ફૂલને પોષણ આપે, સાચવે, રક્ષણ કરે અને કાંટા કાઢી લે, તેમ મા-બાપે બાળકોની પ્રકૃતિના પોઝિટિવ ગુણોને ખીલવવા અને તેમની પ્રકૃતિ ઓળખીને કામ લેવું. બાળક સારું કરી આવે તો અતિશય રાગ નહીં ને ખરાબ કરે તો દ્વેષ નહીં, તેવો પ્રેમ મા-બાપે બાળકો પર રાખવો જોઈએ. એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખીને વ્યવહાર કરવો. બાળકોને લાગે કે મારી ભૂલ માટે મને વઢે છે, પણ બાકી બીજી બધી રીતે મારા પર પ્રેમ રાખે છે. અતિશય વહાલ પણ નહીં રાખવું અને વ્યવહારમાં સાવ ઉપલક પણ ના થઈ જવું. બંને વચ્ચે બેલેન્સ રાખવું. ક્યારેય બાળકોની ભૂલ થાય તો હાથ ન જ ઉપાડવો. મારવાથી તેઓ બહારથી સાજા દેખાય, પણ અંદરથી ભાંગી પડે છે. નાછૂટકે બાળકોને સલાહ આપવી. બાળકોને સુધારવા પહેલાં મા-બાપે પોતે સુધરવું. મા-બાપના આચાર, વિચાર અને સંસ્કાર એટલા ઊંચા હોય કે બાળકો પર તેમનો પ્રભાવ પડે. અંતે તો બાળકો પ્રેમથી વશ થાય. મા-બાપ તરફથી બાળકોને એટલો બધો પ્રેમ મળતો હોય કે બાળક કોઈ ખરાબ લાઈન પર ચડ્યું હોય અને મા-બાપ એક જ વખત કહે કે, “આ આપણને શોભે નહીં.” તો બીજા દિવસથી એનું બંધ થઈ જાય.
જુદી જુદી પરિસ્થિતિમાં બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો તેની વિસ્તૃત સમજણ માટે વાંચો: પોઝિટિવ પેરેન્ટિંગ: મા-બાપ છોકરાંનો વ્યવહાર.
પતિ-પત્નીમાં ક્લેશરહિત જીવન
પતિ અને પત્ની એકબીજાને આખી જિંદગી સુખ આપવા માટે લગ્ન કરે છે. પણ પછી તપાસ કરીએ તો લગ્નજીવનમાં જાણ્યે અજાણ્યે બંનેને એકબીજાથી દુઃખ થતું હોય છે. તેમાંય કળિયુગના કાળનો પ્રભાવ એવો વિપરીત હોય છે કે ના હોય ત્યાંથી પતિ-પત્નીમાં મતભેદ, શંકા, આક્ષેપો, દગા-ફટકા વગેરે ઊભા થઈ જાય અને બંને એકબીજાને દુઃખ આપી દે છે. ખાસ કરીને પતિ-પત્નીમાં પોતાના મતનો આગ્રહ, પોતે સાચા છે અને સામો ખોટો છે એ ઠરાવવાની પકડને કારણે શરૂઆતમાં મતભેદ થાય, જેમાંથી વધીને મનભેદ થાય છે. વાત વધુ વણસે તો છૂટાછેડાની નોબત આવીને ઊભી રહે છે.
ખરેખર પતિ-પત્નીએ એકબીજાને પૂરક થઈને રહેવું જોઈએ. પોતાનો મત પકડવાને બદલે સામાને શું ગમે છે, તેના આધારે પોતે એડજસ્ટ થઈ જવું જોઈએ. પતિ-પત્ની એકબીજાના મિત્ર તરીકે રહે તો દાંપત્યજીવન સુંદર બને. મિત્રતા હોય ત્યાં એકબીજા પ્રત્યે અતિશય રાગ-દ્વેષ નથી હોતા, કારણ કે ત્યાં અત્યંત અપેક્ષા, આસક્તિ અને માલિકીભાવ નથી હોતા. જેમ બે મિત્રો સાથે રહેતા હોય, કામમાં એકબીજાને મદદ કરતા હોય અને પૂરક થઈને જીવન ગુજારતા હોય તેમ. પણ એકબીજા સાથે એડજસ્ટ નહીં થવાથી, એકબીજા ઉપર માલિકીભાવ હોવાથી કે એકબીજાને સુધારવાના પ્રયત્નો કરવાથી પતિ-પત્નીની વચ્ચે નિરંતર અથડામણ થતી રહે છે. સામાને સુધારવા જતાં રિએક્શન આવે છે જેમાં ઝઘડા વધે છે.

તેમાંય બાળકો થયાં પછી પતિ-પત્ની એમની હાજરીમાં ઝઘડે તો બાળકોના માનસ પર ખરાબ અસર પડે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી.” જે ઘરમાં ક્લેશ નથી તે ઘર સ્વર્ગ જેવું સુંદર છે. પણ લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે, “વાસણ હોય તો ખખડે!” ત્યાં આપણે એ સમજવાની જરૂર છે કે મનુષ્યો એ કોઈ વાસણ જેવા નિર્જીવ નથી. એકબીજાને દુઃખ થાય તો સામસામા સ્પંદનો ફેંકાય છે.
પતિ-પત્નીએ તો એકબીજાને મદદ થાય તે રીતે જીવવું જોઈએ. પતિ કે પત્નીને કોઈ મુશ્કેલી હોય, તો કેમ કરીને તેની મુશ્કેલી દૂર થાય તે રીતે વ્યવહાર કરવો જોઈએ. તેમાંય પત્ની એ પતિને આશ્રિત કહેવાય. પોતાને આશ્રિત હોય તેને તો દુઃખ ન જ આપવું જોઈએ અને હાથ તો બિલકુલ ના ઉપાડવો જોઈએ. બેમાંથી એક જણ સંબંધને ફાડ ફાડ કરે તો બીજાએ તેને સાંધ સાંધ કરવું જોઈએ. એકબીજાની પ્રકૃતિનું નિરીક્ષણ કરીને તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. ઘરમાં પતિ-પત્નીનો વ્યવહાર એટલો સુંદર હોય કે બંનેને એમ થાય કે આવો જીવનસાથી મળ્યો તે મારાં નસીબ છે, બાકી ક્યાંથી મળે?
પતિ-પત્નીમાં સાચો પ્રેમ હોય તો તે કોઈપણ સંજોગોમાં વધ-ઘટ ના થાય. અત્યારે તો બંને થોડા મહિના એકબીજાથી દૂર રહે તો બીજી વ્યક્તિ તરફ આકર્ષાય. એ પ્રેમ ક્યાંથી કહેવાય? પ્રેમમાં તો અર્પણતા હોય. પતિ દૂર હોય તો પત્નીના ચિત્તમાં તે રહ્યા જ કરે અને પત્ની દૂર હોય તો પતિને આખો દિવસ યાદ આવ્યા કરે, એનું નામ લગની કહેવાય.
સુખી લગ્નજીવન માટેની સાચી સમજણ વિસ્તારથી મેળવવા વાંચો, જીવો સુખી લગ્નજીવન.
ઉપરી અને અન્ડરહેન્ડ વચ્ચે ક્લેશરહિત જીવન
નોકરી કે ધંધામાં કામ કરતા હોઈએ ત્યારે ઉપરી કે અન્ડરહેન્ડ સાથેનો વ્યવહાર ક્લેશરહિત રહે તો આસપાસ લોકોને કામ કરવામાં આનંદ આવે. જેમાં ઉપરી તરીકે આપણો વ્યવહાર રોફ વિનાનો હોય અને પોતાની હાથ નીચે કામ કરનારને બધી રીતે સાચવીએ. જ્યારે અન્ડરહેન્ડ તરીકે આપણો વ્યવહાર વિનયવાળો હોય, જેમાં પૂરી નિષ્ઠા અને ચોક્કસાઈથી કામ પૂરું કરીએ, તો વ્યવહાર દીપે.

મોટેભાગે નોકરી ધંધામાં ઉપરીઓ તેમના આશ્રિતોને કચડતા હોય અને સાહેબ સાથે સારી સારી વાતો કરતા હોય છે. કામ કરનારાઓને એવી ફરિયાદ રહેતી હોય છે કે ઉપરી ખૂબ કામ કરાવે છે, પૈસા પણ નથી આપતા અને ઉપરથી રોફ પણ મારે છે. આખું જગત અન્ડરહેન્ડ (હાથ નીચે કામ કરનારા)ને ટૈડકાવે એવું છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે આપણા હાથ નીચે જે પણ આવ્યા હોય તેમનું રક્ષણ કરવું. પછી એ ઘરમાં કામ કરતો નોકર હોય કે ઓફિસમાં સ્ટાફ. ધારો કે, નોકર ચાની ટ્રે લઈને જતો હોય અને પડી જાય તો શેઠ તેને વઢી મૂકે કે, “તારા હાથ ભાંગેલા છે? દેખાતું નથી?” હવે એ નોકરની ઈચ્છા નહોતી કપ-રકાબી તોડવાની. પણ એ નાનકડા નુકસાન બદલ આપણે નોકરને બધાની વચ્ચે વઢીને તેનું અપમાન કરીએ અને નોકરીમાંથી કાઢી પણ મૂકીએ. પછી નોકરનો અહંકાર દુભાય છે. તેને દુઃખ થાય કે, “હું ગરીબ છું એટલે શેઠ આમ વઢે છે.” એ પણ મનમાં આંટી વાળે અને વેર બાંધે, જે એ જ ભવે કે બીજા અવતારમાં વસૂલ થઈને રહે. ગુસ્સો કરવાને બદલે જો શેઠ લાગણીવાળું વલણ રાખે અને પહેલાં પ્રેમથી પૂછે કે, “ભઈ તું દઝાયો નથી ને?” અને પછી સમજણ આપે કે, “ઉતાવળે ના ચાલીશ હં!” તો નોકરને ઘા ન પડે અને વેર બંધાતું અટકી શકે.
આપણે એ સમજવું જોઈએ કે નોકરના આધારે પોતે શેઠ છે, અન્ડરહેન્ડના આધારે પોતે બૉસ છે. જો બધા કામ કરનારા જતા રહે તો પછી કોણ બૉસ ને કોણ અન્ડરહેન્ડ? તેમના આધારે તો કામ ચાલે છે. માટે, આપણા હાથ નીચે કામ કરનારને નોકર તરીકે નહીં પણ ઘરના માણસોની જેમ સાચવીએ. આપણો વ્યવહાર જોઈએ પછી નોકરો પણ શેઠને ઘરનાં વડીલ તરીકે વિનય રાખશે. પણ આપણે કામ કરનારની નાનકડી ભૂલ થાય ત્યારે, “તને નોકરીમાંથી કાઢી મૂકીશ!” એમ દાદાગીરી કરીએ તો પછી એ લોકો પણ આપણો વિનય નહીં રાખે.
આપણે બૉસ કે ટીમ લીડર તરીકે હોઈએ ત્યારે, આપણી હાથ નીચે કામ કરનારા માણસો ખરેખર મહેનત કરીને પ્રોજેક્ટ કે કાર્ય પૂરું પાડતા હોય છે. એ વખતે જો સારું કામ થાય તો તેનો શ્રેય આખી ટીમને વહેંચી દેવો જોઈએ અને કામ બગડી જાય તો તેનો આખો ટોપલો પોતાને માથે લેવો જોઈએ, અન્ડરહેન્ડને માથે ન નાખવો જોઈએ. પણ મોટેભાગે ઉપરી સારા કામની ક્રેડિટ પોતે લઈ લે અને કામ બગડવા માટે માણસોને જવાબદાર ઠેરવે. તો એનાથી કામ કરવાનો એ લોકોનો ઉત્સાહ ભાંગી પડે છે.
કોઈ ડિપાર્ટમેન્ટમાં ટીમમાં કામ કરતાં હોઈએ તો દરેક ટીમ મેમ્બરને બરોબરીનો દાવ આપવો જોઈએ. આપણે પોતાનો મત રજૂ કરીએ, પણ એને સામા પર ઠોકી ન બેસાડીએ. એના બદલે બધાને બોલવાનો મોકો આપીએ અને તેમનો પણ અભિપ્રાય જાણીએ. ઘણી વખત આપણા વિચારોની ઝડપ સામાની વિચારવાની ઝડપ કરતાં વધારે હોય છે. આપણે કોઈ પરિસ્થિતિમાં ફટાફટ ગ્રાસ્પિંગ કરીને નિર્ણય લઈ શકતા હોઈએ, જ્યારે સામાનું ગ્રાસ્પિંગ ધીમું હોય ત્યારે આપણી ધીરજ ખૂટી જાય અને આપણે અકળાઈ જઈએ છીએ. તે વખતે વધુ સમજણવાળી વ્યક્તિએ ઓછી સમજણવાળી વ્યક્તિના સ્તરે આવીને વાત કરવી જોઈએ. થોડી થોડીવારે, “તમને સમજણ પડી?” એમ ખાતરી કરીને આપણી વાત મૂકવી જોઈએ. જેમ આપણે નાના બાળક સાથે તેના લેવલ ઉપર ઊતરીને વાત કરીએ તે રીતે ધીરજથી કામ લેવું જોઈએ. જેમ એક ઝડપી રિવોલ્યુશનવાળા મશીનને ધીમા રિવોલ્યુશનવાળા મશીન સાથે પટ્ટાથી જોડી દઈએ તો બંનેની ઝડપ મેચ ન થતાં પટ્ટો તૂટી જાય, તેમ વ્યક્તિઓ વચ્ચેના સંબંધ પણ તૂટી જાય છે. માટે, સામી વ્યક્તિના સ્વભાવનું ઝીણવટથી નિરીક્ષણ કરીને એડજસ્ટમેન્ટ લેવું જોઈએ.
આપણી પાસે સત્તા હોય તો તેનો દુરુપયોગ લોકોને કચડવા માટે ન જ કરવો જોઈએ. જેની પાસે સત્તા હોય તે પોતાની સામે માથું ઊંચકનાર ફરી ક્યારેય ઊંચો ન આવે એવી રમત રમે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “જે સત્તાનો દુરુપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ અવતાર ન આવે. એક કલાક જ જો આપણી સત્તામાં આવેલા માણસને ટૈડકાવીએ તો આખી જિંદગીનું આયુષ્ય બંધાઈ જાય.” જેમ ખેતરમાં એક દાણો વાવીએ ને હજાર દાણા ઊગી નીકળે, તેવી રીતે આપણે સત્તા વાપરીને વ્યક્તિને એક વખત દુઃખ આપીએ તો તેમાંથી અનેકગણું થઈને એ દુઃખ આપણને જ પડે છે.