Related Questions

ભગવાન કોણ છે?

ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે? ખરેખર ભગવાન એટલે શું?

દરેક ધર્મ અને સંપ્રદાયમાં લોકો પોતાને જે ઇષ્ટદેવમાં શ્રદ્ધા હોય તેમને ભગવાન ગણે છે. દુનિયામાં ભગવાન વિશેની જે કોઈ માન્યતાઓ પ્રવર્તે છે તે પ્રમાણે ભગવાનની કલ્પના કરે છે. જેમ કે, કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય તો તેમને મુરલીવાળા, ગાયવાળા કે ગીતાવાળા કૃષ્ણ ભગવાન દૃષ્ટિમાં આવે. જેઓ રામ ભગવાનમાં માનતા હોય તેમને ધનુષ્ય-બાણવાળા કે રામ-લક્ષ્મણ-સીતાવાળા ભગવાન ખ્યાલમાં આવે. જેઓ શિવ ભગવાનમાં માનતા હોય તેમને જટાધારી કે લિંગવાળા શંકર ભગવાન લક્ષમાં આવે. જેઓ મહાવીર ભગવાનમાં માનતા હોય તેમને પદ્માસન વાળીને બેઠેલા, વીતરાગ મહાવીર ભગવાન ખ્યાલમાં આવે. પછી તેમને જ ભગવાન કહેવાય એવું લોકો માને છે.

પણ ખરેખર આ બધા ભગવંતોએ પોતે કોને ભગવાન તરીકે ઓળખાવ્યા છે એની જો તપાસ કરીએ તો જાણવા મળે કે શ્રીરામ ભગવાન, શ્રીકૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન અને શિવ ભગવાન દરેકે સ્પષ્ટ કહ્યું છે, કે અમે પોતે ભગવાન નથી. આપણે ચિત્રપટ ઉપર જેમને જોઈએ છીએ, તેને તો એ દરેકે વિનાશી કહ્યું છે. કૃષ્ણ ભગવાનને પગમાં પારધીનું બાણ વાગ્યું ને દેહનું મૃત્યુ થયું. મહાવીર ભગવાનનું પણ નિર્વાણ થયું. રામચંદ્રજી પણ દેહના બંધનથી મુક્ત થઈ મોક્ષે ગયા. એટલે બધાના દેહનો અંત આવ્યો. એમણે પોતે પણ કહ્યું હતું કે જે દેખાય છે તે દેહ છે, જેને એક દિવસ બાળી મૂકશે, આ દેહસ્વરૂપે અમે છીએ જ નહીં.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું હતું, કે તું આટલા વર્ષો મારી જોડે રહ્યો, પણ તું મને ઓળખતો જ નથી, હું આ છું જ નહીં. વાસ્તવમાં જે જીવે-મરે એ જીવ છે અને જન્મ-મરણથી મુક્ત એવો આત્મા એ જ શિવ સ્વરૂપ છે. મહાવીર ભગવાનની દેશના હોય, શ્રીરામચંદ્રજીને વસિષ્ઠ મુનિએ આપેલું જ્ઞાન હોય કે જીવ-શિવના ભેદની વાત, આ દરેકમાં આ જ વાતને સમર્થન મળે છે.

આપણે જેમને ભગવાન માનીએ છીએ, એ પોતે જ ના પાડે છે કે તમે જેને ભગવાન માનો છો, તે ભગવાન છે જ નહીં. તો પછી એમણે કોની ભગવાન તરીકે ઓળખાણ આપી છે? એ દરેકે ચોખ્ખું કહ્યું છે કે અમારી અંદર જે તત્ત્વસ્વરૂપે છે, જેને આત્મસ્વરૂપ કહીએ છીએ, તે જ ભગવાન છે. આપણે તેને પરમાત્મા કહીએ, ઈશ્વર કહીએ, પરમેશ્વર કહીએ, આત્મા કહીએ કે ભગવાન કહીએ, આ દરેક શબ્દ તત્ત્વસ્વરૂપ તરફ અંગૂલીનિર્દેશ કરે છે.

એનો અર્થ એવો નથી કે આપણે ભક્તિભાવથી ભગવાનની મૂર્તિની ભક્તિ કરીએ એ ખોટું છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં ભગવાનની પૂજા ભક્તિ કરવી એ શુભ ગણાય છે. જ્યાં સુધી અમૂર્ત ભગવાનની ઓળખાણ ન થાય ત્યાં સુધી એ કરવું હિતકારી પણ છે. જ્યારે અધ્યાત્મની દૃષ્ટિએ સાચા ભગવાનને જાણવા હોય, ઓળખવા હોય, તો તે તત્ત્વજ્ઞાન થકી શક્ય બને છે.

અત્યારે વર્તમાનકાળમાં પણ ઉચ્ચ કક્ષાના જ્ઞાનીઓ જે તત્ત્વજ્ઞાનને પામેલા છે, તેઓ પણ પોતાના અનુભવથી આ જ વાતને સમર્થન આપે છે કે દેહ તો વિનાશી છે, પંચમહાભૂતમાં ભળી જશે. પણ આપણી અંદર જે આત્મા છે તે અવિનાશી છે અને તે જ ભગવાન છે. દરેક જીવમાં ભગવાન રહેલા છે, પણ તે અવ્યક્ત સ્વરૂપે છે. પણ આ ચામડાની આંખથી ભગવાન ન દેખાય, એ તો દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય ત્યારે ભગવાન દેખાય. આ દિવ્યચક્ષુ આપણને જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થાય છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on