Related Questions

ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?

ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન ભગવાનમાં કેમ ટકતું નથી.

કેટલાક કહેતા હોય છે કે માળા ફેરવતી વખતે થોડી વાર બરાબર ફેરવાય, પણ પછી માળા ફરતી હોય પણ આપણું ચિત્ત એકાગ્ર હોય એવું ના લાગે.

પરંતુ જો કોઈએ પૈસાની નોટો ગણવા આપી હોય તો જરા પણ ચિત્ત આઘુંપાછું નથી થતું. એનું કારણ એ છે કે પૈસામાં પ્રીતિ છે, પ્રભુમાં પ્રીતિ નથી! પ્રભુમાં જેટલી પ્રીતિ થશે એટલું એકાગ્ર થવાશે, પછી બીજું ગમશે જ નહીં. ભગવાનનું મહત્ત્વ સમજાય ત્યારે તેમની પર પ્રીતિ થાય. પૈસાનું મહત્ત્વ તો બધાને લોકસંજ્ઞાથી ખબર જ છે કે એનાથી ગાડી, દાગીના વગેરે જેવી મોંઘી ચીજવસ્તુઓ લઈ શકાય, પરંતુ ભગવાનનું મહત્ત્વ શું છે એ ખબર નથી પડતી. કારણ કે, ગાડીઓ, દાગીના બધું દેખાય છે, પણ ભગવાન દેખાતા નથી અને એમનું મહત્ત્વ પણ દેખાતું નથી. એટલે ભગવાનનું મહત્ત્વ સમજવું અઘરું પડે છે. સંસારનો મોહ ભગવાન પર પ્રીતિ નથી થવા દેતો.

જો આપણે શોપિંગમાં ગયા હોઈએ તો એક કલાક નીકળી ગયો હોય તો ઘર પણ યાદ ના આવે, ખાવાનું બનાવવાનું પણ યાદ ના આવે, કશું યાદ ના આવે! શોપિંગમાં એટલી બધી એકાગ્રતા હોય છે કે આપણે ખોવાઈ જઈએ છીએ! કારણ કે શોપિંગમાં રસ છે અને ભગવાનમાં એવો રસ જાગ્યો નથી.

ભગવાનમાં રસ જગાડવાની જરૂર છે. ભગવાનમાં રસ ક્યારે જાગે? સત્ સમાગમથી, સત્સંગથી અને સારા સારા આધ્યાત્મિક શાસ્ત્રોના વાંચનથી. ખાસ કરીને પ્રત્યક્ષ સત્સંગથી બહુ ફેર પડે.

મન શા માટે અસ્થિર થઈ જાય છે એની અનોખી સમજણ આપતાં પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:

પ્રશ્નકર્તા: જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસીએ ત્યારે જ ખરાબ વિચાર આવે છે.

દાદાશ્રી: હા. તે જ વખતે ખરાબ વિચાર આવે. પણ નહીં તો આખો દહાડો સારા વિચાર હોય છે?

પ્રશ્નકર્તા: એવું નહીં. પણ આમ નોવેલ (નવલકથા) કશું વાંચીએ તો આપણું મન એમાં સ્થિર થઈ જાય બિલકુલ.

દાદાશ્રી: તે નોવેલ વાંચે ત્યારે સ્થિર થાય ને! નોવેલ એટલે શું? લપસવું. તે લપસવામાં મન સ્થિર જ હોય. ઉપર ચઢાવવામાં મન જરા અસ્થિર થાય.

પ્રશ્નકર્તા: આપણે એક જગ્યાએ એને સ્થિર કરવું છે.

દાદાશ્રી: પણ તમે પોતે અસ્થિર છો. અસ્થિર બીજાને સ્થિર કેમ કરીને કરી શકે?

પ્રશ્નકર્તા: પણ મન સ્થિર થાય તો આપણે સ્થિર થઈ શકીએ.

દાદાશ્રી: પણ પહેલાં તમે જ અસ્થિર છો, મનને લીધે. હવે મનને સ્થિર કેવી રીતે કરી શકો તમે? એ તો કોઈની મદદ લેવી પડે.

પ્રશ્નકર્તા: ધાર્મિક કાર્યમાં બેઠાં હોય તો કાયા, વચનથી સ્થિર રહેવાય છે, પણ મનથી અસ્થિર રહેવાય છે.

દાદાશ્રી: મનથી અસ્થિર રહેવાય તે બહુ નુકસાન. કાયા તો સ્થિર રહે, એ તો રહ્યું તોય શું ને ના રહ્યું તોય શું? મનના ઉપર આવતા ભવનો આધાર છે અને કાયાનો આધાર તો ઘસાઈ જવાનો.

મન સ્થિર થવામાં શું ફાયદો હશે, એવો તમે હિસાબ કાઢ્યો છે?

પ્રશ્નકર્તા: શાંતિ મળે.

આગળ, તેઓશ્રી મન અસ્થિર થવા વિશે કહે છે, “આપણે જાણી-જોઈને અસ્થિર કર્યું? આપણને હિતાહિતની ખબર નથી, પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એની ખબર નહીં હોવાથી મનનો ગમે તેવો ઉપયોગ કર્યો. પોતાનું હિતનું શેમાં ને અહિતનું શેમાં એવું જો ખબર હોત તો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન તો આઉટ ઓફ કંટ્રોલ (કાબુ બહાર) થઈ ગયું. હવે હિતાહિતની સમજણ આપે એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી સ્થિર થાય.”

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on