Related Questions

દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?

હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે ધનતેરસ જેવા તહેવારો પણ ઉજવવામાં આવે છે.

લોકોમાં એવી માન્યતા છે કે લક્ષ્મીજીની પ્રતિમાને ધનતેરસના દિવસે દૂધ, દહીં અને પવિત્ર જળથી સ્નાન કરાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

વાસ્તવિકતામાં લક્ષ્મીજીના કેટલાક કાયદા છે, તે પાળવાથી લક્ષ્મીજી રાજી રહે છે. લોકોમાં લક્ષ્મીજીના કાયદા વિશે બહુ જાણકારી નહીં હોવાથી લોકો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા પૈસા કમાવા પાછળ પડે છે. પણ તેનાથી લક્ષ્મીજી રાજી થવાને બદલે વધારે દૂર જાય છે.

લક્ષ્મીજીને ખોટી રીતે લેવાય નહીં એ પહેલો કાયદો. એ કાયદો તોડીએ પછી લાખ વખત લક્ષ્મીજીને નવડાવીએ તોય લક્ષ્મીજી રાજી ન થાય.

લક્ષ્મીજી ખૂટે છે શાથી? જ્યાં મનથી, વાણીથી કે વર્તનથી ચોરી થાય છે, ત્યાં લક્ષ્મીજીના અંતરાય પડે છે. જ્યાં મન-વચન-કાયાથી ચોરી ન થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.

કોઈના પૈસા ચોરી લીધા એ સ્થૂળ ચોરી કહેવાય. પણ કોઈને બુદ્ધિથી છેતરીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા, એ સૂક્ષ્મ ચોરી કહેવાય. એવી ટ્રિક અને લક્ષ્મીજીને વેર છે. ટ્રિક કરી કોને કહેવાય? “બહુ ચોખ્ખો માલ છે” એમ કહીને ભેળસેળવાળો માલ ગ્રાહકને પધરાવી દેવો અને પછી પોતે કમાઈ ગયા એની ખુશી મનાવવી તે. ખોટું કર્યા પછી જો પોતે પસ્તાવો લે તો પણ જોખમદારી ઘટે છે. એટલે આપણી ઈચ્છા પ્રામાણિકપણે વર્તવાની હોવી જોઈએ. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.

મન-વચન-કાયાથી સહેજ પણ ચોરી કરીએ તો ઘણી મહેનત કરવા છતાંય માંડ લક્ષ્મી પ્રાપ્ત થાય. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે, ચોરી. ભેળસેળ, કાળાબજાર અને ટ્રિકો કરીને મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોઈએ, તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જઈએ છીએ. પૂર્વે ચોરી કરી હોય તેનું પરિણામ એવું આવે કે આજે પ્રામાણિકપણે ખૂબ મહેનત કરે, તો પણ લક્ષ્મી ના મેળવી શકે.

જ્યાં લક્ષ્મી કમાવાની વધુ પડતી ચિંતા છે ત્યાં પણ લક્ષ્મીજી ન ટકે. પૈસા કમાવાના સાધારણ ઉપાયો જીવનમાં કરવા જ જોઈએ પણ વધુ પડતી ચિંતા ન કરવી. પણ આજકાલ લોકો દેખાદેખીથી લક્ષ્મીની ચિંતામાં પડે છે. પણ જરૂર પડ્યે લક્ષ્મીજી તો આવતા નથી. ખરેખર લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય એને ત્યાં લક્ષ્મીજી જાય.

લક્ષ્મીજીને તરછોડ પણ ના મરાય. કેટલાક ત્યાગી સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને “નહીં જોઈએ, નહીં જોઈએ” એમ કરે અને હાથ પણ ન અડાડે, તેનાથી લક્ષ્મીજીના મોટા અંતરાય પડે છે. પછી કેટલાય અવતાર લક્ષ્મીજીના દર્શન પણ ન થાય, અડવા પણ ન મળે. ઊલટું, લક્ષ્મીજીને વિનયથી વિનંતી કરવી જોઈએ કે, “આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો.”

લક્ષ્મીજી તો નારાયણ ભગવાનનાં પત્ની કહેવાય. જ્યાં ભગવાન હોય ત્યાં જાહોજલાલીની શી ખોટ પડે? પણ આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે! દરેક કામમાં લક્ષ્મીજી જ મુખ્ય છે એટલે લક્ષ્મીજી ઉપર જ વધારે પ્રીતિ છે. પણ જ્યાં સુધી લક્ષ્મીજી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. જ્યારે ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી ઉપર ને કાં તો નારાયણ ઉપર. લક્ષ્મીજી ઉપર પ્રીતિ બેસે, પણ લક્ષ્મીજી તો આજે છે ને કાલે નથી. પણ જો ભગવાન ઉપર પ્રીતિ બંધાઈ હશે તો તે ક્યારેય છોડશે નહીં અને આપણને નિરંતર આનંદ અને મુક્તિનો અનુભવ થશે. માટે, આપણે નક્કી કરવાનું છે કે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા પાછળ પડવું કે ભગવાનમાં પ્રીતિ રાખવી.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on