Related Questions

મૂર્તિપૂજાનું મહત્વ શું છે?

આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા કેમ જાય છે? ખ્રિસ્તીઓ ચર્ચમાં ક્રાઈસ્ટની આરાધના કેમ કરે છે?

ખરેખર મૂર્તિપૂજા પાછળ મોટું આધ્યાત્મિક વિજ્ઞાન છૂપાયેલું છે. જ્યાં સુધી પોતાની અંદરના અમૂર્ત આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર નથી થતો ત્યાં સુધી મૂર્તિ જરૂરી છે.

ફક્ત ધર્મસ્થાનકોએ મૂકાતી મૂર્તિને જ મૂર્તિ નથી કહેતા. ઈશ્વરનું રટણ કરતો મંત્ર પણ મૂર્તિ છે, ધર્મના શાસ્ત્રો પણ મૂર્તિ છે, શબ્દો પણ મૂર્તિ છે અને ગુરુ પણ મૂર્તિ છે. ટૂંકમાં આત્મા સિવાય પાંચ ઈન્દ્રિયથી જેટલું અનુભવમાં આવે છે એ મૂર્તિ છે. એ દરેક મૂર્ત માધ્યમ અમૂર્ત સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો કરે છે.

મૂર્તિ કોની મૂકવામાં આવે છે? જેમનો આત્મા સંપૂર્ણ નિરાવરણ થઈને વ્યક્ત થયો છે તેવા મહાન પુરુષોની મૂર્તિ મૂકવામાં આવે છે. ભગવાનની મૂર્તિઓની મંદિરમાં સ્થાપના કરવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા પાછળ પણ વિજ્ઞાન છે. આખો દિવસ સંસારના મોહ-માયામાં અટવાયેલા મનુષ્યોને મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઘડીભર માટે સંસાર વિસ્મૃત થાય છે. ભગવાનની મૂર્તિના દર્શન કરતા ત્યાં ચિત્ત ચોંટે, એટલે ઘર-પરિવારના, નોકરી-ધંધાના ને લક્ષ્મીના વિચારોની લિંક તૂટે છે. સંસારના અવિરત કકળાટમાં ભગવાનને જોઈને એક વિરામ મળે છે.

મોટે ભાગે મંદિરની મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સાધુ, સંતો, આચાર્યો કે જ્ઞાનીઓ દ્વારા થઈ હોય છે. મૂર્તિના દર્શન કરતા એ પ્રતિષ્ઠા ફળ આપે છે, લોકોને શાંતિ ને સ્થિરતા ઉત્પન્ન થાય છે. જો પદ્ધતિસર પ્રતિષ્ઠા ન થઈ હોય, તો પણ રોજ અનેક માણસો મૂર્તિના દર્શન કરે, તો તેમના ભાવથી રોજ મૂર્તિમાં જીવંત ભગવાનની પ્રતિષ્ઠાનું આરોપણ થયા કરે છે અને પછી મૂર્તિ ફળ આપનારી બની જાય છે.

મંદિરમાં જઈને ભક્તિ કરવાથી શુભ કર્મનું બીજ પડે છે. જેમ માણસ સિનેમા જોવા જાય તો સાંસારિક ભાવ થાય અને મંદિરમાં જાય તો ધર્મના શુભ ભાવ થાય. મૂર્તિપૂજાથી સંસારમાં પુણ્યકર્મ બંધાય છે અને સારું ઘર, સારો પરિવાર, સારી લક્ષ્મી, સારું આરોગ્ય, સારો દેહ પ્રાપ્ત થાય છે.

પછી જેમ જેમ મનુષ્ય ભગવાનની મૂર્તિની પ્રાર્થના, ભક્તિ કરે છે, તેમ તેમ અંદર જાગૃતિ વધે છે. ભગવાનના દર્શન કરતાં કરતાં અંદરથી સ્ફૂરે છે કે, ભગવાને જે પ્રાપ્ત કર્યું, તે મારે પ્રાપ્ત કરવું છે. પછી મનુષ્ય તે માર્ગે જવાના રસ્તા શોધે છે, સંતો કે જ્ઞાનીઓ પાસે જાય છે. ભગવાનના મૂર્ત સ્વરૂપની ભક્તિ કરતી વખતે યાચના થાય છે કે, “આપને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે, તે જ સ્વરૂપ મને પ્રાપ્ત થાઓ.”

ભગવાનની મૂર્તિને સ્થાપિત કરીને જે ભક્તિ કરીએ એ પરોક્ષ ભક્તિ છે. પરોક્ષ ભક્તિથી ધીમે ધીમે ઉપર ચડાયા કરે. જ્યાં સુધી પોતાની અંદર બિરાજેલા પરમાત્માના દર્શન થતાં નથી, ત્યાં સુધી મૂર્તિ થકી પરોક્ષ ભક્તિ કરવી જોઈએ, જે છેવટે અમૂર્ત ભગવાનના સાક્ષાત્કાર સુધી લઈ જાય છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on