Related Questions

વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?

અર્જુનને વિરાટ દર્શન!

પ્રશ્નકર્તા: કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે?

દાદાશ્રી: એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે, માટે કોઇ મારનાર નથી, કોઇ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડયું, બધા મરેલા દેખાડયા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. આમ કૃષ્ણને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિરાટ સ્વરૂપ, તેને આપણે 'વ્યવસ્થિત' કહીએ છીએ.

ગજવું કપાય તો ય 'વ્યવસ્થિત', એટલે કશું ના થાય આનાથી, આગળની વાસનાઓ ઊભી ના થાય, મોહ ના ઊભા થાય. મહી પ્રેરણા થઇ એટલે ચાલવા માંડવાનું. આ તો બધી મશીનરી કહેવાય, 'વ્યવસ્થિત'ની ચલાવી ચાલે.

Reference: Book Name: આપ્તવાણી 2 (Page #368 - Paragraph #2 to #4)

અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ!

પ્રશ્નકર્તા: વિરાટ સ્વરૂપ એ શું કહેવા માગે છે?

દાદાશ્રી: બીજાનો અહંકાર લઈ લે, એનું નામ વિરાટ પુરુષ કહેવાય.

પ્રશ્નકર્તા: વિરાટનું દર્શન થાય, એટલે અહંકાર જાય?

દાદાશ્રી: અહંકાર જાય તો જ વિરાટ સ્વરૂપના દર્શન થયાં કહેવાયને!

પ્રશ્નકર્તા: વિરાટનું દર્શન થવું એટલે જ્ઞાન થવું?

દાદાશ્રી: વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવું. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ! અને તેનું ફળ શું આવે? આપણને વિરાટ બનાવે!! વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીંને! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું, ત્યારે નમેલોને! નહીંતો નમે નહીં!!

એટલે લખ્યું છે ને, શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી ને અમારો અહમ્ લઈ લે છે. ત્યારે એક જણ મને કહે છે, તે તો સાચી વાત. તમે અહમ્ તો મારો લઈ લીધો! પણ ત્યારે એજ વિરાટ પુરુષ! ત્યાં પુસ્તકોના વિરાટ પુરુષ ખોળવા જાવ છો?! જે આપણો અહમ્ લઈ લે, એ વિરાટ પુરુષ! બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય? સાદી ને સીધી વાત! લોક મને કહે છે, 'તમારે વિરાટ પુરુષ થવાનો શોખ છે?' મેં કહ્યું કે આ ભૂત પાછું ક્યાં વળગાડું હું મહીં? એ.બી.સી.ડી.,એમ.બી.બી.એસ... ફલાણું ને ફલાણું તેમ. આ લફરાવાળો છું હું તો કંઈ?

લાખો અવતારેય અહમ્ જાય એવી વસ્તુ નથી. આ એકલી વસ્તુ નથી. પણ જ્યાં વિરાટ સ્વરૂપહોય, તે આપણો અહંકાર લઈ લે. વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુધ્ધિ ના હોય, છાંટોય બુધ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય તે જ લઈ શકે. એ વિરાટ પુરુષ કહેવાય. પોતાનો અહંકાર ખલાસ કરે એ જ્ઞાની, બીજાનો અહંકાર લઈ લે એ વિરાટપુરુષ!

Reference: દાદાવાણી December 2002 (Page #25 - Paragraph #10 to #16, Page #26 - Paragraph #1 & #2)

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.
×
Share on