Related Questions

કામકાજની જગ્યા પર આળસુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

પ્રશ્નકર્તા: મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે.

દાદાશ્રી: ખોટું છે એવું ન્યાય કોણ કરે?

પ્રશ્નકર્તા: આપણી બુદ્ધિ જેટલું કામ કરે, એ પ્રમાણે કરીએ.

દાદાશ્રી: હા, એટલો ન્યાય થાય.

પ્રશ્નકર્તા: પણ એવું છે ને, કે એક માણસને આપણે પચ્ચીસ રૂપિયા રોજનો પગાર આપતા હોય અને એ માણસ પાંચ રૂપિયાનું પણ કામ ના કરતો હોય, તો આપણને એમ તો લાગે ને કે આ બરોબર નથી?

દાદાશ્રી: પણ શાથી એ કામ નહીં કરતો હોય? કયા કારણથી એ કામ નહીં કરતો હોય?

પ્રશ્નકર્તા: એનો પ્રમાદી સ્વભાવ એટલા માટે.

દાદાશ્રી: એવા માણસ બધા લોકોને મળતા હશે?

પ્રશ્નકર્તા: બધાને મળતા હોય એમ કેમ કહેવાય?

દાદાશ્રી: તો તમને જ એવો માણસ કેમ ભેગો થયો? એનું કંઈ કારણ તો હશે ને?

પ્રશ્નકર્તા: આગળના મારા કર્મો એવા હોય એટલે મને ભેગો થયો.

દાદાશ્રી: તો પછી એનો શો દોષ? તો એની ઉપર ગુસ્સો કરવાનું કારણ જ ક્યાં રહ્યું? ગુસ્સો તો તમારી જાત ઉપર કરો કે, ‘ભઈ, મેં એવા કેવા કર્મ બાંધ્યા કે આ મને આવો મળી આવ્યો?’ પોતાની નબળાઈ તો પોતાને જ નુકસાન કરે. “ભોગવે એની ભૂલ.” એ કામ ના કરે ને તમે ગુસ્સો કરો તો તમને દુઃખ થાય એટલે ભૂલ તમારી છે. એ તો એવો ને એવો જ રહેશે, કાલે પણ એવું જ કરશે અને ઉપરથી તમારા ચાળા પાડશે. તમે પાછા ફરો કે તમારી પાછળ મશ્કરીઓ કરશે, કહેશે કે, 'ચક્કર જ છે ને, જવા દો ને એને!'

પ્રશ્નકર્તા: તો એને આપણી પાસે બેસાડીને સમજાવીને કહેવું કે, 'તારાથી આટલું કામ કેમ નથી થઈ શકતું? જ્યારે બીજા તો કેવું સરસ કામ કરે છે.' એને આવડતું ના હોય તો શીખવાડીએ, એવું કરવું?

દાદાશ્રી : હા, એને સમજ પડે, એને લાગણી ઉત્પન્ન થાય, એ રીતે સમજાવવું જોઈએ. 

×
Share on