Related Questions

ગુરુમાં આપણને શ્રદ્ધા હોય તો શું ફાયદો થાય?

guru

પ્રશ્નકર્તા: ગુરુમાં આપણને શ્રદ્ધા હોય, પછી ગુરુમાં ગમે તે હોય, પણ આપણી શ્રદ્ધા હોય તો તે ફળે કે ના ફળે?

દાદાશ્રી: આપણી શ્રદ્ધા ફળે, પણ ગુરુ પર અભાવ ના આવે તો આપણી શ્રદ્ધા ફળે. ગુરુ વખતે ગાંડું કાઢે તોય અભાવ ના રહે તો આપણી શ્રદ્ધા ફળે.

પ્રશ્નકર્તા: એટલે આપણો જો ભાવ હોય તો ગુરુ કરતા આપણે આગળ વધીએ ને?

દાદાશ્રી: વધો, ચોક્કસ વધો! પણ તમે તમારો ભાવ ના બગાડો તો. અને ગુરુની મહીં ભગવાન બેઠા છે, જીવતા જાગતા. પેલા ભીમે લોટું મૂક્યું હતું તોય ચાલ્યું હતું. તમારી શ્રદ્ધા જ કામ કરે છે ને! માણસે ગુરુ કર્યો હોય અને એ ગુરુ જ્યારે કો'ક ફેરો જરાક વાંકું બોલે, એટલે માણસને પછી ભૂલ કાઢવાની ટેવ હોય ને, તો એ પડી જાય. જો તારામાં ગુરુને સાચવવાની શક્તિ હોય, તો ગુરુ ગમે તેવા ગાંડા કાઢે અગર તો ગુરુને સનેપાત થાય, તોય સાચવે તો કામનું. પણ ઠેઠ સુધી નભાવતા જ નથી ને! નભાવતા આવડતું જ નથી ને!

પ્રશ્નકર્તા: અયોગ્ય પુરુષમાં પણ પૂર્ણ શ્રદ્ધાથી સ્થાપના કરી હોય, તો એ ફળ આપે કે નહીં?

દાદાશ્રી: કેમ નહીં? પણ એ સ્થાપન કર્યા પછી આપણે ફરવું ના જોઈએ.

આ બધું શું છે? તમને ખરી હકીકત કહું? હું તમને ખુલ્લું કહી દઉં? આ ગુરુ તો ફળ નથી આપતા, તમારી શ્રદ્ધા જ ફળ આપે છે. ગુરુ ગમે તે હશે, પણ આપણી દ્રષ્ટિ ફળ આપે છે. આ મૂર્તિયે ફળ નથી આપતી, તમારી શ્રદ્ધા જ ફળ આપે છે ને જેવી જેવી તમારી સ્ટ્રોંગ શ્રદ્ધા, તેવું તરત ફળ!

એવું છે, આ જગતમાં શ્રદ્ધા આવે ને ઊડી જાય. એક જ્ઞાની પુરુષ એકલા જ એવા છે કે જે શ્રદ્ધાની જ મૂર્તિ, બધાને શ્રદ્ધા આવી જાય. એમને દેખતા, વાત કરતા શ્રદ્ધા આવી જાય. જ્ઞાની પુરુષો શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. એ તો કલ્યાણ કરી નાખે! નહીં તોય તમારી શ્રદ્ધા જ ફળ આપે છે.

×
Share on