Related Questions

ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?

દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે અનુસંધાન સધાય છે અને તેના થકી ધર્મ માર્ગે પ્રગતિના પગરણ મંડાય છે.

મનુષ્યો ભગવાનની ભક્તિ કોઈ ને કોઈ કારણસર કરતા હોય છે. મોટે ભાગે તેમાં આપણે ભગવાન પાસેથી કંઈક માંગણી કરીએ છીએ.

ભક્તના પ્રકારો

ભક્તના ચાર પ્રકારો છે. કેટલાક જીવનમાં દુઃખો આવી પડે તો તેને દૂર કરવા ભગવાનની ભક્તિ ને પૂજા કરે છે. આવી ભક્તિ કરનાર ભક્તને આર્તભક્ત કહેવાય છે. જેઓ દુઃખ પડે ત્યારે જ ભગવાનને યાદ કરે છે. એટલું જ નહીં, ઘણા સંસારિક લાભ માટે ભગવાનને ભજે છે જેમને અર્થાર્થી ભક્ત કહેવાય છે.

શરીરમાં દુઃખાવો થાય તો પ્રભુને પ્રાર્થના કરે કે, “હે ભગવાન! મારું દુઃખ દૂર કરો!” કેટલાક પોતાના કે કુટુંબીજનોના દુઃખ દૂર થાય એના માટે બાધા રાખે, મંદિરમાં નારિયેળ ચડાવે, ઉપવાસ કરે. ધંધો સારો ચાલે, ઘરમાં દીકરો આવે, પરીક્ષામાં માર્ક્સ સારા આવે, નોકરી લાગી જાય વગેરે અર્થે પૂજા-અર્ચના કરતા લોકો પણ જોવા મળે છે. પણ આવા ભક્તો જેવું પોતાનું કામ થઈ જાય અને જીવનમાં સુખ આવે ત્યારે ભગવાનને ભૂલી જતાં હોય છે.

સંસારિક હેતુથી બાધા લેવી કે ધાર્મિક ક્રિયાઓ કરવી તે દરેકનો પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે. પણ સંસારમાં ભૌતિક સુખો માટે આપણે કઈ રીતે ભગવાન પાસે અરજીઓ નાખીએ અને ભક્તિ કરી શકીએ?

ખરેખર આપણે ભગવાનની ભક્તિ કોઈ સંસારિક હેતુ માટે નહીં પણ પોતાની અંદર બિરાજેલા ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે કરવી જોઈએ. નીચેની કડીઓમાં આવી ભક્તિ ડોકાય છે.

અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા.

જેમને ભગવાનના દર્શનની તાલાવેલી લાગી હોય, સાચું જાણવાની કામના હોય, ભગવાનનો સાક્ષાત્કાર કરવાની એકમાત્ર ઝંખના હોય, તેવા ભક્તને જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. જિજ્ઞાસુ ભક્તિમાં જેમને ભગવાન શું હશે? કેવા હશે? ક્યાં રહેતા હશે? મને કેવી રીતે મળશે? મને ક્યારે મળશે? એવા પ્રશ્નો ઊભા થાય છે.

છેવટે આવે છે જ્ઞાની ભક્ત, જેમને પ્રત્યક્ષ ભગવાનનો ભેટો થાય અને ત્યારે એમની પરાભક્તિ શરૂ થાય છે. ત્યાં સુધી બધી અપરાભક્તિ એટલે કે, પરોક્ષ ભક્તિ કહેવાય છે. પરોક્ષ ભક્તિથી ભલે પુણ્ય બંધાય, સંસારમાં ભૌતિક સુખો મળે, પણ ભગવાન ના ભેગા થાય. સંસારમાં અનેક સંતો, ભક્તો થઈ ગયા જેમની જબરજસ્ત ભક્તિ હતી તો પણ તે પરોક્ષ ભક્તિ કહેવાય.

ભક્તિના પ્રકારો

ભક્તિ એટલે જ્ઞાન પ્રમાણે ચાલવું. પહેલા જ્ઞાન હોય કે, ભગવાન શું છે ? કેવા છે? એ જાણ્યા પછી “ટુ એપ્રોચ નીયર એન્ડ નીયર” એટલે કે, ભગવાનની નજીક ને નજીક જવું તે ભક્તિ. જેમ આપણને એરપોર્ટ પહોંચવાનું જ્ઞાન હોય, પછી આપણે એ રસ્તે જઈએ અને એરપોર્ટનો સાક્ષાત્કાર થાય (એરપોર્ટ પહોંચાય), તેમ જ્ઞાન પ્રમાણે ભક્તિ થાય એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય.

ભક્તિ બે પ્રકારની હોય છે. એક જ્ઞાન થવા માટેની ભક્તિ અને બીજી જ્ઞાન થયા પછીની ભક્તિ એટલે કે જ્ઞાનભક્તિ. ભક્તિમાર્ગમાં ભક્ત ભગવાનને ભજે છે, એટલે ભક્ત અને ભગવાન જુદા અસ્તિત્વ છે. જ્યારે ‘હું પોતે જ પરમાત્મા છું’ એવું જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાનમાર્ગ છે!

અનંત અવતાર આપણે ભગવાનની ભક્તિ કરી છે, છતાં આપણી પૂર્ણાહુતિ નથી થઈ. પૂર્ણાહુતિ ક્યારે થાય કે જ્યારે ભક્ત અને ભગવાન આ બે જુદા છે જ નહીં, એક જ છે, એવું ભાન થાય ત્યારે. ભગવાન અને હું અભેદ સ્વરૂપે છીએ. મારું આત્મસ્વરૂપ એ જ પરમાત્મા સ્વરૂપ છે, જે હું પોતે જ છું, એવું જ્ઞાન થાય પછીની ભક્તિ, ભગવાન ને ભક્ત આખી વાત જ ન્યારી બની જાય છે અને એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે.

પૂર્ણ મોક્ષ એકલા ભક્તિમાર્ગથી કે એકલા જ્ઞાનમાર્ગથી નથી. એક બાજુ જ્ઞાનમાર્ગનો એક પાટો નંખાય અને બીજી બાજુ સમાંતરે ભક્તિમાર્ગનો બીજો પાટો નંખાય ત્યારે આ ભવની ગાડી મોક્ષના સ્ટેશને પહોંચે! જેટલું જ્ઞાન લાધે તેટલી ભક્તિ સ્વયં પ્રગટ થાય છે. સ્વરૂપજ્ઞાન વિનાની ભક્તિથી સંસારફળ મળે ને બંને સાથે થાય ત્યાં મોક્ષ આવી મળે!

એટલે ભગવાનની ભક્તિ, આરાધના આપણે પરમાત્માના સાક્ષાત્કારની ઈચ્છા સાથે કરવી જોઈએ. ભગવાન પાસે બીજા કોઈ સંસારિક લાભને બદલે, પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થાય તેવી યાચના ભક્તિમાં કરવી જોઈએ.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવદ્ ગુણો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન કેવી રીતે થઈ શકાય?
  17. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
  18. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on