Related Questions

ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?

Parent Child

બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્‍ટિંગની કળા છે. બાળકને સંસ્કારી કઈ રીતે બનાવવું તે જાણવા માટે તમારે કેટલીક સકારાત્મક પેરેન્‍ટિંગની વાતો જાણવી જરૂરી છે. શું તમે જાણો છો કે બાળકો જે કંઈ પણ તમારામાં જુએ છે તે જ શીખે છે? તમારું નિરીક્ષણ કરીને જ બાળકો શીખે છે. તમે જે કંઈ કરશો, તેની તેઓ નકલ કરશે. તેથી જો તમે સારા અને સંસ્કારી વ્યક્તિ બનશો, તો તેઓ પણ બનશે. બાળઉછેરની આ ખૂબ જ મહત્ત્વની ચાવી છે.

જો તમે શાકાહારી છો, તમે દારૂ નથી પીતા અને તમે તમારા જીવનસાથી સાથે આદર સહિત વર્તન કરો છો, તો તમારા બાળકો પણ તમારા આવા ગુણોની નોંધ લેશે. તેઓ જોશે કે, બીજાના માતા-પિતા કેવા ઝઘડે છે, જ્યારે તેમના માતા-પિતા તેવું નથી કરતા. તેઓ આવું માત્ર સાદા નિરિક્ષણથી જ શીખશે.

જો તમે એવું સમજો છો કે કઈ રીતે ગુલાબના છોડની માવજત કરવી જોઈએ, તો પછી તે ખરેખર ખૂબ સુંદર રીતે ખીલી ઊઠશે. અને જો તમને આવી સમજણ નહીં હોય તો પછી, તમે મહિના સુધી તો છોડને પાણી પાવાનું જ ભૂલી જશો અને તેથી તે સૂકાઈ જશે. તેથી, માતા-પિતાએ બાળકને ઉછેરવા માટેની કળા શીખી જ લેવી જોઈએ.

પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા વર્ણવેલા સર્ટિફાઈડ માતા-પિતાના ગુણોને જાણવા માટે નીચે વાંચો, જો કઈ રીતે બાળકને શિસ્તબદ્ધ બનાવવું તે જાણવું હોય તો આ ગુણો અતિ મહત્ત્વના છે.

  • સર્ટિફાઈડ માતા-પિતા બનવા માટે, ઘણા બધા ગુણોની જરૂર છે. તે ખૂબ મોટી જવાબદારી છે. જો માતા-પિતા એવી વાણી બોલે કે જે બાળકના હૃદયને સ્પર્શી જાય તો, પછી તેઓ સર્ટીફાઈડ પિતા અથવા માતા ગણાય છે.
  • માતા-પિતા ખૂબ પ્રભાવશાળી હોવા જોઈએ. જો માતા પિતા બાળક ઉપર ગુસ્સે ન થાય તો પછી, તે બાળક માતા-પિતા કરશે તેવું જ ખરેખર કરશે.
  • બાળકો તેમના પોતાના જ કર્મોના હિસાબો લાવેલા હોય છે, પરંતુ તેની ઉપર પણ, તેઓ તેમની આસપાસ જે થતું હોય તેનું નિરીક્ષણ કરીને ખરેખર વધુ સજ્જ થતા હોય છે. કેટલીક વસ્તુઓ બહારથી સારી દેખાતી હોય છે, પરંતુ જો તેની પાસે ખોટી સમજણ હશે, તો તેને મનમાં થશે, ‘આ આવા શા માટે છે?’ તેને એવું સમજાવવું જોઈએ કે, ‘સમસ્યા પોતાની અંદર જ છે.’ માતા-પિતાએ ક્રોધ-માન-માયા-લોભ એ બધું સદંતર બંધ કરી દેવું જોઈએ, કારણ કે, તેમના નૈતિક અને સંસ્કારી ગુણોને જોઈને, બાળકો પણ તેની નકલ કરશે.
  • માતા-પિતામાં જે મહત્ત્વનો એક ગુણ હોવો જોઈએ તે એ છે કે તેમની નબળાઈઓ કોઈને પણ જણાઈ ન આવે ખાસ કરીને તેમના બાળકોને, તેની ખાતરી રાખવી જોઈએ. જો આ બધી નબળાઈઓ ઊભી થાય તો પણ માત્ર તેમને જ અસર થવી જોઈએ. બીજા કોઈને નહીં, બાળકને પણ મુશ્કેલી ન થવી જોઈએ. આ રીતે તમારે જીવવું જોઈએ. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું તેની આ એક અસરકારક ચાવી છે.

દુનિયામાં કોઈને પણ વ્યક્તિ શારીરિક કે વાચિક દુર્વ્યવહારોથી સુધારી શકાતા નથી. જ્યારે તમે ઉદાહરણ ઊભું કરો છો, ત્યારે તેમનામાં સુધારો આવે છે. સાચા વ્યવહારનું બીજ વાવીએ તો તેમને ફાયદો થાય છે.

અહીં બાળકને શિસ્તબદ્ધ રીતે અને સુટેવોવાળા કઈ રીતે ઉછેરવા, તેની કેટલીક પોઝિટિવ પેરેન્‍ટિંગ ટિપ્સ આપેલ છે:

  • બાળકોને તેમનું કામ કરવા માટે સમજાવવાની જરૂર છે.
  • ક્યારેક સાચી સમજણ આપતી સાવચેતીપૂર્વકની વાતો બાળકને પાછું વાળે છે.
  • કુંટુંબમાં દરેકની સાથે યોગ્ય રીતે વાતો કરો. જ્યારે બાળક નાનું હોય ત્યારે તેને નાનું નાનું કામ સોંપો અને તેના સારા વર્તનની પ્રશંસા કરો. અને તેની ખરાબ આદતો પર ધ્યાન ન આપો. જે કંઈ પણ સારી આદતો તમે બાળકમાં રોપવા ઈચ્છો છો, તેના માટે સકારાત્મ અભિગમ અપનાવો, તે આદત માટે બાળકે લીધેલ નાના પગલાની પણ પ્રશંસા કરો અને તે માટે બાળકે કશું પણ ખોટું કર્યું હોય, તો તેને જરા પણ યાદ ન અપાવો. ધીરજ રાખો, કારણ કે, તેમાં થોડો સમય લાગશે.
  • જ્યારે બાળકોને ઠપકો આપવામાં આવે છે, ત્યારે તેઓ સત્ય કહેતા નથી અને વસ્તુઓને છુપાવવાનું શીખે છે.આ રીતે જગતમાં કપટ ઊભું થાય છે. આ જગતમાં કોઈને ઠપકો આપવાની જરૂર નથી. જો તમારો છોકરો મૂવી જોઈને ઘરે આવે છે અને તમે તેને ન જોવા માટેનું કહેશો, તો ફરી વખત એ મૂવી જોવાનું વિચારશે ત્યારે કશું ખોટું બહાનું બતાવશે. જો માતા ખૂબ જ કડક હશે, તો તેના બાળકોને ખબર નહીં પડે કે બીજાઓ સાથે કેવી રીતે વાતચીત કરવી.
  • જો તમે બાળકોને મારતા રહેશો, તો પછી તેઓ બહાર રક્ષણ શોધશે.કિશોરાવસ્થામાં આવતા ‘બોયફ્રેન્‍ડ’ કે ‘ગર્લફ્રેન્‍ડ’ શોધશે, તેવું એનું પરિણામ આવશે. તેઓને મનમાં એવું થવું જોઈએ કે, ‘હું ક્યારે ઘરે જઉં, જેથી મારા પિતા સાથે બેસી શકું?’ એટલો બધો પ્રેમ હોવો જોઈએ. તેના બદલે આપણે માર્યા કરીશું, તો તેઓને પ્રેમ અનુભવાશે નહીં અને બીજી દિશામાં દોરવાઈ જશે. મારવાથી કે શિક્ષા કરવાથી કાયમી શિસ્ત કેળવી શકાય નહીં, પ્રેમ જ માત્ર એવી સરળ અને વ્યવહારુ ચાવી છે, જે બાળકને કઈ રીતે શિસ્તબદ્ધ બનાવવું તે શીખવે છે.
  • ઘૃણામાં છૂપાયેલો પ્રેમ અંતે તો નિષ્ફળ જ જાય છે: જો તમારો પુત્ર દારૂ પીને આવે અને તમને દુ:ખ પહોંચાડે તો તમે કહેશો કે, “આ છોકરો મને ખૂબ દુ:ખ પહોંચાડે છે.” પરંતુ, આ જ તમારી ભૂલ છે. (છોકરો તો તેના કર્મોના હિસાબો પૂરા કરે છે.) તેથી, તમારા ભાવ અને અભિગમ બગાડ્યા વિના શાંતિથી સહન કરો. તેના માથે પ્રેમથી હાથ ફેરવો અને તેને કહો, “બેટા, આવું ન થવું જોઈએ.” તેને પ્રેમથી સમજાવો; તેના પ્રત્યે કોઈ નફરત ન દર્શાવો. તમે ખરેખર તો તેને નફરત કરવા લાગો છો, કારણ કે, તમે માનો છો કે, ‘તે ખરાબ છે.’ પરંતુ, જો તમે ઘૃણા ત્યાગી દેશો અને પછી પ્રયત્ન કરશો, તો કામ થશે.
  • બાળકો સાથે બાળકની જેમ વાતચીત કરો. જો તમે વડીલની જેમ વર્તન કરશો, તો તે તમારાથી ડરશે. તમારે તેમને સમજાવીને તેમની ભૂલો બતાવવી જોઈએ. તમારાથી તેઓને ડરવા માટેનું કોઈ કારણ ન હોવું જોઈએ. તમારે શુદ્ધ પ્રેમ સ્વરૂપ બનવું જોઈએ.
  • ભય માત્ર આંખોથી જ હોવો જોઈએ, હાથ દ્વારા નહીં. તેથી જ્યારે તેઓ કોઈ ભૂલ કરે છે અને ત્યારે તેને મારવાને બદલે, જો તમે તેને દરરોજ જેવો પ્રેમ કરતા હોવ તે આપવાનો બંધ કરી દો, તો તેઓ સહજ રીતે જ અંદરથી સમજી જશે. તેઓને ખ્યાલ આવશે કે તેમને શિક્ષા કરવામાં આવી રહી છે અને તેઓ સચેત થઈ જશે.
  • મુશ્કેલ સમસ્યાઓ સમભાવ અને કરૂણાથી ઉકેલવી જોઈએ.

એક માણસ હતો, જે દરરોજ મોડી રાતે ઘરે આવતો. તે રાતે ઘરની બહાર જે કંઈ કરતો હતો, તેનું વર્ણન કરવા જેવું નથી. તે માણસને ઠપકો આપવામાં આવે કે ઘરની બહાર કાઢી મૂકવામાં આવે તો સમગ્ર કુટુંબને નુકસાન થાય તેમ છે. જ્યારે તેનો મોટો ભાઈ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને મારી નાખવાની તે ધમકી આપે છે. તેનું કુટુંબ મારી પાસે સલાહ લેવા આવ્યું. મેં તેઓને કહ્યું કે, તમારે કોઈએ તેને કંઈ પણ કહેવું નહીં, નહીં તો તેનું અવળું પરિણામ આવશે. વધારામાં, જો તેઓ તેને ઘરની બહાર કાઢી મૂકશે, તો તો એ ગુનેગાર બની જશે. મેં તેઓને કહ્યું કે તેના પર ધ્યાન આપ્યા વિના તેને ઘરમાં રહેવા દો અને તે જે કરે તે કરવા દો. તેના પ્રત્યે કિંચિંતમાત્ર રાગ-દ્વેષ ન રાખો. તમારે બધાએ તેના પ્રત્યે સમભાવ અને કરૂણા રાખવાની. ત્રણ-ચાર વર્ષ પછી તે માણસ સારો વ્યક્તિ બની ગયો. આજે તે કુટુંબની અમૂલ્ય સંપત્તિ સમાન છે. માટે, બાળકને શિસ્તબદ્ધ બનાવવાની બાબતમાં સમભાવ અને કરૂણા અત્યંત આવશ્યક છે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on