Related Questions

કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વર્તવું?

કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ કરીને, પતિને એવી ફરિયાદ હોય છે કે તેમની પત્ની કાયમ કચકચ કરે છે અને પત્નીની એવી ફરિયાદ હોય છે કે એમના પતિ પોતાને કરવાનું કામ ક્યારેય કરતા જ નથી. વારંવાર થતાં ઝઘડા ફક્ત નિરાશા, દુઃખ અને મતભેદમાં જ પરિણમે છે. આનો ઉકેલ પ્રેમ અને સાચી સમજણથી કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ કળા શીખવામાં રહેલો છે.

પોતાનું વર્તન બદલવું

ક્યારેય પોતાની જાતને એવું પૂછ્યું છે કે પત્ની શા માટે આપણી સાથે કચકચ કરે છે? એમને આપણા વર્તનથી દુઃખ થયું છે, એટલે તેઓ કચકચ કરે છે. એમને દુઃખ ના થવું જોઈએ. જો એમને દુઃખ રહેતું હોય, તો આપણે માફી માંગવી પડે. આપણને એ બાબતનો ખ્યાલ રહેવો જોઈએ કે આપણા તરફથી એમને સુખ મળવું જોઈએ. આપણે અંદરખાને તપાસ કરવી કે, “મારાથી એવી કઈ ભૂલો થઈ જાય છે કે જેનાથી પત્નીને દુઃખ થઈ જાય છે?” જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણે શું ખોટું કરી રહ્યાં છીએ, ત્યારે તેમને દુઃખ ન થાય તે માટે પોતાનું વર્તન સુધારવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ.

પતિ તરીકેની ભૂમિકા નિભાવવી

ઓફિસમાં આપણે કર્મચારીની ભૂમિકા ભજવતાં હોઈએ, પછી ઘરે પતિની ભૂમિકા. બધું આવડવું જોઈશે ને? નહીં તો પત્ની મુશ્કેલીમાં મૂકશે. આપણને ના આવડે એટલે જ ને? આવડતું હોય તો કંઈ મુશ્કેલીમાં ના મૂકે! પત્ની પજવવા નથી આવ્યાં, એ તો ઘર માંડવા આવ્યાં છે. બંનેમાંથી એક જણની કચાશ રહી જાય એટલે સામી વ્યક્તિ કચકચ કર્યા કરે. આવડત નથી એટલે જ તેઓ કચકચ કરે છે.

કચકચ કરતી પત્ની સાથે કળાથી ઉકેલ લાવીએ

પત્ની કચકચ કરે ત્યારે આપણે કળાપૂર્વક વ્યવહાર કઈ રીતે કરી શકીએ એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:

પ્રશ્નકર્તા: ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યાં જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો!

દાદાશ્રી: તો એમને હાથમાં આપી દેવું. એમને સોંપી દેવી ગાડી. ભાંજગડ જ નહીં, ડાહ્યો માણસ! કચકચ કરતો હોયને તો એને કહીએ, 'અલ્યા, તું ચલાવ, બા!’

પ્રશ્નકર્તા: ત્યારે એ કહેશે, 'મારો જીવ ના ચાલે.’

દાદાશ્રી: કેમ? ત્યારે કહીએ, તમને શું થાય પાછો વાંધો? એ તો એને સોંપી દે. આ તો ડ્રાઈવર હોયને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું.

પ્રશ્નકર્તા: પત્નીનો પક્ષ ના લઈએ તો ઘરમાં ઝઘડો થાય ને?

દાદાશ્રી: પત્નીનો જ પક્ષ લેવાનો. પત્નીનો લેજોને, કશો વાંધો નહીં. કારણ કે પત્નીનો પક્ષ લઈએ તો જ રાતે સૂઈ રહેવાયને નિરાંતે, નહીં તો સૂવાય શી રીતે? ત્યાં કાજી-બાજી ના થવું.

પ્રશ્નકર્તા: પાડોશીનો પક્ષ તો લેવાય જ નહીં ને?

દાદાશ્રી: ના, આપણે હંમેશાં વાદીના જ વકીલ રહેવું, પ્રતિવાદીના વકીલ ના થવું. આપણે જે ઘરનું ખઈએ તેના જ... અને સામાના ઘરની વકીલાત કરીએ, ખઈએ આ ઘેર. એટલે સામાને ન્યાય તોલીએ નહીં તે ઘડીએ! અન્યાયમાં આપણી વાઈફ હોય તોય આપણે એના હિસાબે જ ચાલવું. ત્યાં ન્યાય કરવા જેવું નહીં કે આ તારામાં જ અક્કલ નથી તેથી આ... કાલ જમવાનું ત્યાં આગળ છે, તું તારી કંપનીમાં જ વકીલાત કરું છું! એટલે પ્રતિવાદીના વકીલ થઈ જાય.

×
Share on