Related Questions

બાળકો સાથે કઈ રીતે વાત કરવી?

બાળકો સાથે કઈ રીતે વાત કરવી? - પેરેન્ટિંગનું એ ખૂબ મહત્ત્વનું પાસું છે.

બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે:

  • એના માટે તો દવા બીજી કરવા કરતા એના મા-બાપે ગુસ્સાનો દેખાવ ન દેખે એવી રીતે રહેવું જોઈએ. એ દેખીને થાય છે કે મારા ફાધર કરે છે, હું એના કરતા સવાયો ગુસ્સો કરું ત્યારે ખરો. એ તો તમારે બંધ કરી દો, તો એની મેળે બંધ થઈ જશે.
  • આ તો મારીઠોકીને સમજાવવા માંગે છે! તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ. તમે કહ્યું ને મને કે તમારી વાત મને ગમે છે જ. તો તમારાથી એટલું થાય.
  • સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહો ને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. જેવી રીતે તમને સત્તાનો રોફ જમાવતો મેનેજર કે સાથી કર્મચારી પસંદ નથી, તેવી રીતે તેમને પણ નથી. જ્યારે તમે બાળક સાથે વાત કરો છો, ત્યારે જો તમારા ચહેરા પર ઘૃણા હશે તો સમજી લેવું કે તેનું અવળું પરિણામ આવશે.
  • જો તેઓ કશું ઊંધુ કરે છે, તો માત્ર ટૂંકમાં તેમને વાત કરો કે, ‘આવું વર્તન આપણા પરિવારમાં શોભાસ્પદ નથી.’ અથવા ‘આના પર વિચાર કર, શું આવું કરવું તને યોગ્ય લાગે છે?’ અથવા ‘અત્યારે જે કાંઈ બન્યું તે તને ગમે છે.‘ કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડા વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. આ બાળક અને મા-બાપ વચ્ચેના અસરકારક વાર્તાલાપની ચાવી છે.
  • બાળકો વસ્તુને સમજવા અને નિર્ણય લેવા માટે સક્ષમ હોય છે. જ્યારે તેઓ કશું ખોટું કરે છે, ત્યારે તેમને તરત જ ખ્યાલ આવી જાય છે. પરંતુ જ્યારે તમે તેમની નિંદા કરવાનું શરૂ કરો છો, ત્યારે તો સામા થાય છે અને જડ બની જાય છે.
  • બાળકો સાથે કઈ રીતે અસરકારક વાતો કરવી તેનો સાચો રસ્તો એ છે કે તેમને તેમની લાગણીઓને મુક્ત રીતે તમારી સાથે વ્યક્ત કરવા દો. તેમને ડર લાગવો, દુ:ખ થવું, ગૂંચામણ થવી એવું તો ચાલ્યા કરે. લાગણીઓ અમુક સમય પૂરતી જ હોય છે. નાની વાતોથી શરૂઆત કરો જેમ કે, જ્યારે તેઓ કહે કે, ‘મારો મિત્ર આજે મને ચીડવતો હતો’, ત્યારે તેવો ત્વરિત નિર્ણય આપવાની ઉતાવળ ન કરો કે તે ખોટો હતો કે તેનો મિત્ર ખોટો હતો, એવી કોઈ સલાહ પણ ન આપો જેમ કે, ‘લોકો તેને જ ચીડવે છે જે સહેલાઈથી ચીડાઈ જતા હોય છે.’ માત્ર એવો દુ:ખી ચહેરો રાખી કહો, ‘અરે દીકરા, એવું કરે છે!’ અથવા શાંતિથી પ્રશ્નો પૂછીને તે પરિસ્થિતિને વિગતવાર જાણવાનો પ્રયાસ કરો. તરત જ સમાધાન આપવાનું કે નિર્ણૅય આપવાનું ટાળો, તેમને તેની મેળે જ શોધવા દો. તેમને આત્મવિશ્વાસુ વ્યક્તિ બનવા માટે મદદ કરો.

Parent Child

  • તેમના વર્તનમાં ભૂલો કાઢવાનું બંધ કરો. તે પરિસ્થિતિ સુધારવાને બદલે બગાડે છે. આ શબ્દો તો વ્યક્તિના મગજમાં સ્પંદન ઊભા કરે છે અને તેનાથી વસ્તુઓ ગતિમાં આવી જાય છે. આ બધું વૈજ્ઞાનિક છે, જ્યારે તમે બોલો છો કે, ’તું નકામો છે’, ‘તું કામનો છે’, તે શબ્દો કરતા ચાલીસગણું નુકસાન કરે છે. તેથી ‘તું બહુ આળસુ છે.’ તેવું કહેવાને બદલે હંમેશા હકારાત્મક અને ઉત્સાહ વધારનારા શબ્દો બોલો – તમે એવું પણ કહી શકો કે, ‘તને ખબર છે, જ્યારે તું કશું કામ કરતો હોય છે ત્યારે ખૂબ ખુશ લાગે છે.’ આવા જે શબ્દો તમે બોલો છો, તે તેમના મગજમાં માન્યતારૂપે બેસી જાય છે, જે આખી જિંદગી ચાલે છે. તેથી, જ્યારે બાળકો સાથે વાતો કરવાનું આવે છે, ત્યારે ખાતરી કરી લો કે તે શબ્દો હકારાત્મક છે.
  • તેમના મિત્રોની સામે કે કોઈ ત્રીજી વ્યક્તિની સામે તમારા બાળક સાથે માનપૂર્વક બોલો.
  • બાળકો કાચ જેવા હોય છે. તેમને કાળજીપૂર્વક સાચવો. તેઓ બહારથી સારા દેખાશે, પરંતુ અંદરથી તૂટી જશે.
  • જો તમને ઠપકો આપવાની જરૂર લાગતી હોય તો, તમારા ચહેરાના હાવભાવ બગાડ્યા વિના ઠપકો આપો. તમારો ચહેરો ખુશ રાખો અને પછી ઠપકો આપો. બાળકો સાથે કઈ રીતે અસરકારક વાતો કરવી, તેની આ એક ખૂબ સરળ ચાવી છે. જો તમારા ચહેરાના હાવભાવ બગડે છે, તેનો મતલબ એ છે કે તમે અહંકારપૂર્વક ઠપકો આપો છો. ઠપકો નાટકની જેમ ઉપલક જ હોવો જોઈએ.
  • સાચો પ્રેમ કોઈ પણ અપેક્ષા વિનાનો હોય છે. તે કોઈ દોષો જોતો નથી; અપેક્ષા રાખતો નથી અને આ પ્રેમ ક્યારેય વધતો કે ઘટતો નથી. ઘરમાં, તમારે આવા પ્રેમનું વાતાવરણ ઊભુ કરવું જોઈએ જેથી તમારા બાળકોને તમને છોડવા ન ગમે. પ્રેમ ગુસ્સા કરતા વધુ શક્તિશાળી છે. જગત પ્રેમથી જ સુધરે છે. તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી.

વાણી કેવી હોવી જોઈએ?

વાણી નીચે દર્શાવેલા ચાર ગુણવાળી હોય તો જ તે અસરકારક બને છે.

  • તે સત્ય હોવી જોઈએ.
  • તે પ્રિય હોવી જોઈએ. મધુર શબ્દોથી કહેવાયેલી હોવી જોઈએ. આપણે જે રીતે બોલીએ છીએ તે સામી વ્યક્તિને સ્વીકાર્ય હોવું જોઈએ.
  • તે કોઈના હિતમાં હોવી જોઈએ. તે આપણા સ્વાર્થ માટે ન બોલાવી જોઈએ.
  • તે મિત (ઓછા શબ્દોવાળી) હોવી જોઈએ. આપણે એટલું બધું ન બોલવું જોઈએ કે જેથી સામી વ્યક્તિ કંટાળી જાય.

કોઈ પણ આગ્રહ, અપેક્ષા અને પૂર્વગ્રહ વગર બોલો

આ ખૂબ મહત્ત્વની બાબત છે, જ્યારે બાળક સાથે અસરકારક વાતો કરવાનું આવે છે. માતા-પિતાએ બાળક માટે ‘આ’ કર કે ‘પેલું’ કર તેવો આગ્રહ ન રાખવો જોઈએ. જો તમે આગ્રહ કરો તો પણ, તે તમારું સાંભળશે કે માનશે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ. તે જે કંઈ પણ કરે તે સ્વીકારવા માટે તમારે તૈયાર રહેવું જોઈએ. જ્યારે તમે બાળકને ખૂબ દબાણ કરો છો, ત્યારે અંતે તે તમારી સામે બળવો કરે છે. આવું એટલા માટે કે, જ્યારે તમે આગ્રહ કરો છો, ત્યારે તેની પાછળ તમારો અહંકાર કામ કરે છે. પહેલા તમારો અહંકાર ઊભો થાય છેઅને તે બાળકના અહંકારને દબાવે છે, માટે પરિસ્થિતિ વધારે તણાવયુક્ત બની જાય છે.

એ રીતે બોલો કે તેનો અહંકાર ઊભો ન થાય. તમારે બાળકને વસ્તુઓ સમજાવવી જોઈએ; તમારે તેની સમજણ અને જીવન પ્રત્યેનો અભિગમ ફેરવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારા અહંકારને હટાવી દો; કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ ન રાખોઅને પ્રેમપૂર્વક તેને સમજાવો. પૂર્વગ્રહ એટલે જો તમે તમારા પુત્રને ગઈકાલે ઠપકો આપ્યો હોય, તો તે વસ્તુ તમે તમારા મગજમાં ભરી રાખો છો કે, ‘તે ખરેખર આવો જ છે. તે ખરેખર તેવો જ છે.’ અને પછી તમારો અહંકાર વધતો જાય છે અને તમે ફરીથી તેને ઠપકો આપો છો. તેથી તેનાથી ઝેર ફેલાય છે. માટે, આગ્રહ નહીં, અપેક્ષા નહીં અને પૂર્વગ્રહ નહીં, તે બાળકો સાથે વાત કરતા પૂર્વેની પ્રાથમિક શરત છે.

જીવનના સિદ્ધાંતો

જો સાંસારિક જીવનમાં થોડા સિદ્ધાંતો વણાયેલા હોય, તો પછી જીવનમાં કોઈની સાથે કોઈ પણ સમસ્યા રહેશે નહીં. સૌથી મહત્ત્વનો સિદ્ધાંત એ છે કે, ઘરમાં કે બહાર કોઈને નાની નાની વાતો પર કંઈ પણ કહેવું નહીં. તમારે માત્ર કોઈ ખાસ મહત્ત્વની બાબતો કે જે તમને આવશ્યક લાગતી હોય તેના વિશે જ બોલવું જોઈએ, પરંતુ તે જરૂરી હોય છતાં પણ તે વારંવાર ન કહેવી જોઈએ.

જેમાં તમારે ધ્યાન આપવું જરૂરી છે તે બાબતો, જેમ કે, જ્યારે બાળક માંસાહાર, દારૂ લેતો હોય; જ્યારે તે કોઈ લફરામાં હોય; જ્યારે તેઓ અભ્યાસ ન કરતા હોય, વગેરે. બીજી બાબતો જેમ કે, તે કારનું એક્સિડન્‍ટ કરે, ધંધામાં નુકસાન કરી આવે; કશું ભૂલી જાય, વગેરે સામાન્ય બાબતો છે. માતા-પિતાએ શાંત રહેવું જોઈએ અને પરિસ્થિતિને પ્રેમ અને સમભાવથી ઉકેલવી જોઈએ. જો તમે આવી બાબતો સ્વીકારી લેશો, તો બાળકો મહત્ત્વની પરિસ્થિતિઓમાં તમારી વાત જરૂરથી સાંભળશે. પરંતુ, જો તમે દરેક નાની નાની બાબતોમાં ટોકવાનું ચાલુ રાખશો, તો તમે તમારા શબ્દોની શક્તિ ગુમાવશો. માતા-પિતાનું સ્વમાન અને ખેંચાણ એવું હોવું જોઈએ કે માત્ર તમારી હાજરીથી જ બાળકનું માનસ પરિવર્તન થઈ જાય અને કશું કહેવાની પણ જરૂર ન રહે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on