Related Questions

બીજાની મજાક ઉડાડવામાંથી કેવી રીતે દૂર રહેવું? અને તેના માટે કેવી રીતે પશ્ચાતાપ કરવો?

મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (તેજ મગજ) હોય તે કરે. હું તો બધાની મશ્કરી કરતો હતો. સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.

પ્રશ્નકર્તા : મને તો હજુએ મશ્કરી કરવાનું મન થયા કરે છે.

દાદાશ્રી : મશ્કરી કરવાનાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ અને એનું જોખમેય એટલું જ છે પછી. એટલે અમે જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું.

pratikraman

પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં શું શું જોખમ આવે ? કઈ જાતનાં જોખમ આવે ?

દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહેશે, 'આને બુદ્ધિ નથી તેનો આ લહાવો લે છે.' ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામાવાળિયા કર્યો. પેલાને ધોલ મારી હોત તો એ સમજી ગયો, એટલે પોતે માલિક થાય. પણ આ તો બુદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે 'ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે તેને તું સપડાવે છે ! આવી જા.' એ તો પછી આપણા સાંધા તોડી નાખે.

પ્રશ્નકર્તા : અમે તો આ જ ધંધો મુખ્ય કરેલો.

દાદાશ્રી : પણ હજુ એનાં પ્રતિક્રમણ કરી શકો ને ! અમે એ જ કરેલું ને ! અને એ તો બહુ ખોટું. મારે તો એ જ ભાંજગડ પડી હતી. પેલી બુદ્ધિ અંતરાઈ રહી હતી તે શું કરે ? બળવો તો કરે જ ને ! તે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ (!) ને ! તેથી આ મશ્કરીવાળાને વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું.

કોઈ આમ આમ ચાલતા હોય, ને એને જો હસીએને, મશ્કરી કરીએને, તો ભગવાન કહેશે, 'લ્યો આ ફળ.' આ દુનિયામાં મશ્કરી કોઈ પણ પ્રકારની ના કરશો. મશ્કરી કરવાને લઈને જ આ બધાં દવાખાનાં ઊભાં થયાં છે. આ પગ-બગ બધા જે ભંગાર માલ છે ને, તે મશ્કરીઓનું ફળ છે. તે અમારુંય આ મશ્કરીનું ફળ આવેલું છે.

તેથી અમે કહીએ છીએ ને, 'મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. ભલેને, ગધેડો છે પણ આફ્ટર ઓલ (અંતે તો) શું છે ? ભગવાન છે. હા, છેવટે તો ભગવાન જ છે ને ! જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ! મશ્કરી કોઈની કરાય નહીં ને ! આપણે હસીએને, તો ભગવાન જાણે કે 'હા, હવે આવી જા ને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.'

પ્રશ્નકર્તા : હવે એના ઉપાયમાં પ્રતિક્રમણ તો કરવાં જ પડેને ?

દાદાશ્રી : હા, કરવાં જ પડેને ! છૂટકો જ નહીં.

પ્રશ્નકર્તા : દાદા આપની સાક્ષીએ જાહેર કરીને માફી માગીને પ્રતિક્રમણ કરું છું, કહીએ તો ?

દાદાશ્રી : 'દાદા ! આપની સાક્ષીએ' બોલોને, તોય ચાલે. 'આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું.' તો પહોંચી જાય.

×
Share on