Related Questions

દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?

લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે.

પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે. પરંતુ પૈસા કમાવવા પાછળ સાચું કારણ શું છે? જો પૈસા મહેનતનું ફળ છે, તો પછી મજૂરો આ દુનિયાના સૌથી વધુ પૈસાદાર લોકો હોવા જોઇએ. પરંતુ, તેઓ તો ગરીબ છે! વધુમાં, જો પૈસા બુધ્ધિથી કમાવાતા હોય તો પછી, કોઇ પણ ચાર્ટૅર્ડ એકાઉંટન્‍ટ કે એન્‍જિનિયર બેરોજગાર ન હોવા જોઇએ.

વાસ્ત્વિક રીતે તો, પૈસા એ આપણા પૂર્વે કરેલા પુણ્ય કર્મોનું ફળ છે. પૂર્વ જન્મમાં, આપણે જે કંઇ સત્કર્મો કર્યા હશે, ધર્મનું પાલન કર્યું હશે કે દાન કર્યું હશે તેનાથી આપણા પુણ્ય કર્મો બંધાયા. આજે તેના પરિણામે આપણા ઘરમાં સારા પ્રમાણમાં પૈસા હશે.

જો કે, જો આપણે દેવી લક્ષ્મીજી સતત આપણા ઘરમાં નિવાસ કરે તેવું ઇચ્છતા હોઇએ કે આપણે તેને આપણા ઘરમાં આવકારવા ઇચ્છતા હોઇએ, તો પછી આપણે તે સંબંધી કેટલીક કાળજી રાખવી જોઇએ. આપણે ખાતરી રાખવી જોઇએ કે આપણે ઘરમાં ક્લેશ થવા ન દેવો જોઇએ, આપણે બીજાને દુ:ખ ન પહોંચાડવું જોઇએ, આપણે સંવાદિતા રાખવી જોઇએ, નિષ્ઠાવાન બનવું જોઇએ, સાંસારિક વ્યવહારમાં પ્રામાણિક, ઉદાર અને નિખાલસ બનવું જોઇએ. તેનાથી પુણ્ય કર્મ બંધાય છે અને પછીના ભવમાં દેવી લક્ષ્મીજી આપણા ઘરમાં કાયમ રહે છે.

જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો શાંત રહો અને ધીરજ સાથે ખરાબ સમય પસાર થવા દો. આવી પરિસ્થિતિ શા માટે ઊભી થઇ છે અને કઈ રીતે તેમાંથી બહાર આવી શકાય તે માટે સમજણ મેળવો.

દેવી લક્ષ્મીજી તેમની પાછળ પડવાથી પ્રાપ્ત થતી નથી, કે સખત મજૂરી કરવાથી પણ પ્રાપ્ત થતી નથી. તે આપણી બુધ્ધિનું સીધેસીધું ફળ પણ નથી, કે તે કોઇ અપ્રમાણિક રસ્તેથી પણ પ્રાપ્ત થતી નથી. યાદ રાખો કે જો તમે જે પરિસ્થિતિમાં છો તે માટે કોઇને જવાબદાર ઠેરવતા નથી કે કોઇ ખોટી રીતો અપનાવતા નથી, તો સમય જતાં આપણે જીવનના આ ખરાબ સમયમાંથી બહાર આવી શકીએ છીએ અને સારા કર્મો કરવાથી ભવિષ્યમાં સારો જ સમય આવે તેની ખાતરી રહે છે.

સાચી પૂજા તો એ છે કે જેની આપણે પૂજા કરીએ છીએ તેમના કાયદાઓનું આપણે પાલન કરીએ.

અપ્રમાણિક રીતે પૈસા મેળવો કે બનાવો નહિ. જો કોઇ તેમના આ નિયમોનું ઉલ્લંઘન કરે તો પછી દેવી લક્ષ્મીજી કઈ રીતે પ્રસન્ન રહે? જે કોઇ પૈસા અપ્રમાણિક રીતે મેળવેલ હોય તે પૈસા કમાવવાનો સાચો રસ્તો નથી. કદાચ વ્યક્તિને એવું લાગશે કે, ‘હું ખોટી રીતો અપનાવીને ખૂબ પૈસા કમાયો.’ પરંતુ તે કોઇ રસ્તો નથી. આજે તે જે પૈસા કમાય છે તે તો પુર્વે તેણે જે સારા કામો કરેલા હોય તેનું ફળ છે, પરંતુ અવિચારી પણે અને બેફામ રીતે તે મેળવવાથી, પછીના જન્મમાં તે ગરીબ બને છે અને આ રીતે પોતે જ પૈસા માટે અડચણો ઊભી કરે છે. આ જન્મમાં પણ, કપટથી મેળવેલી સંપત્તિ વ્યક્તિના જીવનને ખૂબ દુ:ખદાયી બનાવી દે છે.

આ તેના જેવું છે કે જ્યારે ખૂબ ભારે વરસાદ આવે છે ત્યારે આપણને તે ખૂબ સારૂ લાગે છે. પરંતુ જ્યારે પાણી બધું જતું રહે છે ત્યારે? ત્યાં ખૂબ કાદવ કીચડ થઈ જાય છે અને બચાવ માટે આપણે ખરેખર સખત પરિશ્રમ કરવો પડે છે અને વસ્તુઓને નોર્મલ કરવા માટે તેના ડાઘ દૂર કરવા પડે છે. ખોટો પૈસો આ પૂરના પાણી જેવો છે,માટે તેની સાથે ‘સાવચેતી પૂર્વક વર્તન’ કરો.

કેટલાક અનાજ વેચવા વાળા સારી ક્વોલિટિના અનાજ સાથે ખરાબ અનાજ ભેળવી નફો વધારે છે, જ્યારે કેટલાક બિલમાં ચડાવેલ જથ્થાના પ્રમાણમાં ઓછો જથ્થો આપે છે. જે લોકો બીજાને છેતરે છે કે બીજા સાથે કપટ કરે છે કે બીજાની સંપત્તિ પડાવી લે છે તે વાસ્તવમાંતો ભગવાનને છેતરી રહ્યા છે.

સંપત્તિની દેવી તેઓ ઉપર કૃપા વરસાવે છે જ્યાં મન, વચન અને કાયાથી ચોરી કે કપટ નથી હોતું. જો કોઇ માણસ ભગવાનની કે દેવી લક્ષ્મીજીની પૂજા નથી કરતો, પરંતુ જ્યાં સુધી તે નૈતિક હોય છે, ત્યાં સુધી તેને લાભ જ થવાનો છે. આપણા તમામ સાંસારિક વ્યવહારોમાં નૈતિકતા એ પાયો હોવો જોઇએ.

દેવી લક્ષ્મીજીને આદર આપવાનું ક્યારેય ન ચૂકવું. પૈસાની બાબતમાં એવું ક્યારેય ન બોલવું કે, ‘મારે પૈસાની જરૂર નથી.’ ઘણા સાધુ સંતો પૈસાનો ત્યાગ કરતા હોય છે, જે યોગ્ય નથી. આવું કરવાથી, વ્યક્તિ એવા કર્મો બાંધે છે જેનાથી તેને સમગ્ર જીવન દરમિયાન આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે; તે પછીના ભવમાં પણ પૈસા જોઇ શકતો નથી.

જેટલું તમે પૈસાને યાદ કરો તેટલું તે તમારાથી દૂર જાય. આખો સમય તેને જ યાદ ન કર્યા કરો! સતયુગ દરમિયાન (કાળચક્રનો એવો સમય જેમાં મન, વચન અને કાયાની એકતા હતી), જે ક્ષણે વ્યક્તિ કશું વિચારે તે તેને તરત જ પ્રાપ્ત થઈ જતું. પરંતુ કળિયુગ (આપણે જેમાં છીએ તે અત્યારનો સમય) માં વ્યક્તિ જેટલું કશું મેળવવાની ઇચ્છ કરે તેટલું તે તેનાથી વધુ ને વધુ દૂર થતું જાય.

જ્યારે લક્ષ્મીજી આવે છે ત્યારે તેનું સ્વાગત કરો અને જ્યારે તે છોડીને જાય છે ત્યારે તેનો વિદાય સમારંભ મનાવો. મા લક્ષ્મીજીને પ્રાર્થના કરતી વખતે, બોલો, “ લક્ષ્મી માતા, તમારું આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત છે, જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે આવજો. આ તમારૂ જ ઘર છે, જ્યારે તમારે આવવું હોય ત્યારે આવજો અને જવું હોય ત્યારે ચાલ્યા જજો.” તમારે આટલું જ તેમને કહેવાની જરૂર છે.

જો પૈસા (ધન) તમને સામે ચાલીને આવતા હોય તો તમારે પૈસાને આંતરવા ન જોઇએ અને જો તે પ્રાપ્ત ન થતા હોય તો તેની પાછળ ન પડવું જોઇએ. જ્યારે તમારા ભાગ્યમાં લખેલું હશે ત્યારે તમને પૈસા પ્રાપ્ત થશે અને જ્યારે તે જવાના હશે તે સમયે તે જતા રહેશે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on