Related Questions

અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?

પ્રશ્નકર્તા : અરિહંત ભગવાન એટલે કે ચોવીશ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું ?

દાદાશ્રી : ના, વર્તમાન તીર્થંકર જ અરિહંત ભગવાન કહેવાય. મહાવીર ભગવાન છે તે ત્યાં આગળ મોક્ષમાં જઈને બેઠા. આમ કહે છે કે 'અમારા ચોવીસ તીર્થંકરો' અને એક બાજુ વાંચે છે 'નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં'. આપણે તેમને કહીએ, 'આ બે છે ?' ત્યારે એ કહે, 'હા, બે છે.' મેં કહ્યું, 'અરિહંત દેખાડો જોઈએ.' ત્યારે કહે, 'આ ચોવીસ.' અલ્યા, એ તો સિદ્ધ થયા છે. અત્યારે સિદ્ધ છે એ તો. તમે સિદ્ધને અરિહંત કહો છો પાછાં ? શાને અરિહંત કહેતા હશે આ લોકો ?

arihant and sidhdha

પ્રશ્નકર્તા : એ ચોવીસ તીથંકરો તો બધાં સિદ્ધ થઈ ગયા.

દાદાશ્રી : તો પછી તમે કહેતા નથી લોકોને કે ભઈ, આ સિદ્ધ થયેલાને અરિહંત શું કામ કહો છો ?! આ તો બીજા પદમાં, સિદ્ધાણંમાં જાય. અરિહંતનું પદ ખાલી રહ્યું, તેની આ ઉપાધિ છેને ! તેથી અમે કહીએ કે અરિહંતને મૂકો. સીમંધર સ્વામીને મૂકો. શા હારુ કહીએ છીએ તમને સમજાયું ? પેલા ચોવીસ તીર્થંકર ભગવંતો અરિહંત કહેવાય કે સિદ્ધ કહેવાય ? એ અત્યારે એમની દશા સિદ્ધ છે કે અરિહંત છે ?

પ્રશ્નકર્તા : અત્યારે સિદ્ધમાં છે.

દાદાશ્રી : સિદ્ધ છેને ? તમને ખાતરી છેને ? સો ટકાની ને ?

પ્રશ્નકર્તા : હા, સો ટકાની.

દાદાશ્રી : તો પછી એ સિદ્ધાણંમાં મૂકેલાં છે. સિદ્ધાણંમાં પહોંચી ગયું. ત્યાર પછી અરિહંતમાં કોણ હવે ? અરિહંત એટલે હાજર હોવા જોઈએ. વાત ગમી ? અત્યારે માન્યતા અવળી ચાલ્યા કરે છે. ચોવીસ તીર્થંકરોને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે 'નમો સિદ્ધાણં' બોલીએ, તેમાં એ આવી જ જાય છે તો અરિહંતનું ખાનું બાકી રહે છે, અરિહંતનો ભાગ બાકી રહે છે. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી. માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવાં જોઈએ. વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી એમનાં નામથી એમને માની અને કામ લેવું પડશે, તો જ નમસ્કાર મંત્ર પૂર્ણ થાય. ચોવીસ તીર્થંકરો  તો સિદ્ધ થઈ ગયા, તે બધાં 'નમો સિદ્ધાણં'માં આવી જાય છે. જેમ કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે કહીએ કે 'એય, કલેક્ટર અહીં આવો.' તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ?

પ્રશ્નકર્તા : લાગે જ.

દાદાશ્રી : એવી રીતે આમને અરિહંત માનીએ તો બહુ જ મોટું નુકસાન થાય છે. એમને નુકસાન થતું નથી, કારણ કે એ તો વીતરાગ છે. પણ આપણને બહુ જ નુકસાન થાય છે, જબરજસ્ત નુકસાન થાય છે.

મહાવીર ભગવાન ને એ બધાં તીર્થંકરો મોક્ષે લઈ જવા કામ નહીં આવે, એ તો મોક્ષે ગયા અને આ આપણે 'નમો અરિહંતાણં' બોલીએ છીએ, તે એમને લાગતું નથી. એમને તો 'નમો સિદ્ધાણં' લાગે. આ 'નમો અરિહંતાણં' ક્યાં પહોંચે છે આપણે બોલીએ છીએ તે ? જ્યાં બીજા ક્ષેત્રોમાં અરિહંતો છે, જ્યાં જ્યાં છે, ત્યાં એમને પહોંચે છે. હંમેશાં પોસ્ટ તો એની જગ્યાએ જ પહોંચવાની. કંઈ ત્યાં આગળ મહાવીર ભગવાનને પહોંચવાની નહીં. ત્યારે લોકો શું સમજે છે, આ 'નમો અરિહંતાણં' બોલીને આપણે મહાવીર ભગવાનને નમસ્કાર પહોંચાડીએ છીએ. એ ચોવીસ તીર્થંકરો તો મોક્ષમાં જઈને બેઠાં છે, એ તો 'નમો સિદ્ધાણં' થયા, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે આજે સિદ્ધ ભગવાન કહેવાય. અને વર્તમાન તીર્થંકર હોય, તેને અરિહંત કહ્યા !

પ્રશ્નકર્તા : વાત સમજમાં બેઠી આજે. અરિહંતાણં બોલીએ છીએ, પણ અરિહંત તો આ સીમંધર સ્વામી જ છે, એ હવે સમજાયું. 

×
Share on