Related Questions

ધંધામાં નીતિમત્તા એટલે શું?

પ્રશ્નકર્તા : આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ ?

Business

દાદાશ્રી : એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર ચાલવું જોઈએ. એ નિષ્ઠા એવી છે કે બહુ સંકડાશમાં આવી જાય છે ત્યારે આત્મશક્તિનો આવિર્ભાવ થાય. ને સંકડાશ ના હોય ને જબરજસ્ત પૈસા-બૈસા હોય, ત્યાં સુધી આત્મા-બાત્મા પ્રગટ થાય નહીં, પ્રામાણિકપણું એક જ રસ્તો છે. બાકી ભક્તિથી થાય એવું કશું બને નહીં, પ્રામાણિકપણું ના હોય અને ભક્તિ કરીને એનો અર્થ નથી. પ્રામાણિકપણું જોડે જોઈએ જ. પ્રામાણિકપણાથી માણસ ફરી માણસ થઈ શકે છે. માણસ ફરી માણસના અવતારમાં આવે છે અને જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહકનું પડાવી લે છે, અણહકનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે. એમાં કોઈ મીનમેખ ફેરફાર કરનારું નથી. કારણ કે એનો સ્વભાવ આવો બંધાયો, અણહકનું ભોગવી લેવાનો. એટલે ત્યાં જાય તો ભોગવાય ત્યાં આગળ. ત્યાં તો કોઈ કોઈની બૈરી જ નહીં ને ! બધી બૈરીઓ પોતાની જ ને ! અહીં મનુષ્યમાં તો પરણેલા લોકો એટલે કોઈની સ્ત્રી ઉપર દ્રષ્ટિ ના બગાડીશ પણ તે હવે ટેવ પડી ગયેલી હોય, આદત પડી ગયેલી હોય, તે પછી ત્યાં જાય, ત્યારે રાગે પડે એનું. એક અવતાર, બે અવતાર ભોગવી આવે ત્યારે પાંસરો થાય. એને પાંસરો કરે છે આ બધા અવતારો. પાંસરો કરીને પાછો અહીં આવે છે. પાછો,

ફરી પાછો આડો થયો તો ફરી પાંસરો કરે. આ બધું પાંસરા કરતાં કરતાં પાંસરો થઈ ગયો કે પેલા મોક્ષને માટે લાયક થઈ ગયો. આડાઈઓ હોય ત્યાં મોક્ષ થાય નહીં.

નીતિમય પૈસા લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તિમાં જાય, અને પોતે ત્યાં આગળ જે ગુંચો પાડેલી તેનું પાછું ભોગવવું પડે.

ભગવાનને ના ભજે ને નીતિ રાખે તો ય બહુ થઈ ગયું. ભગવાનને ભજતો હોય ને નીતિ ના રાખતો હોય તો એનો અર્થ નથી. એ મીનિંગલેસ છે. છતાં આપણે પાછું એવું ના કહેવું. નહીં તો એ પાછો ભગવાનને છોડી દેશે અને અનીતિ વધારે કર્યા કરશે. એટલે નીતિ જેવું રાખવું. એનું ફળ સારું આવે.

જગતમાં સુખ એક જગ્યાએ છે. જ્યાં સંપૂર્ણ નીતિ હોય, દરેક વ્યવહારમાં સંપૂર્ણ નીતિ હોય ત્યાં આગળ સુખ છે, અને બીજું જે સમાજસેવક હોય, અને તે પોતાને માટે નહીં, પણ પારકાને માટે જીવન જીવતો હોય તો એને બહુ જ સુખ હોય, પણ એ સુખ ભૌતિક સુખ છે, એ મૂર્છાનું સુખ કહેવાય.

આ વાક્યો તમારી દુકાને લગાડશો :

(૧) પ્રાપ્તને ભોગવો - અપ્રાપ્તની ચિંતા ના કરશો.

(૨) ભોગવે તેની ભૂલ.

(૩) ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ !

કશું દુનિયામાં છે નહીં એવું નથી. બધી જ ચીજ દુનિયામાં છે. પણ 'સકલ પદાર્થ હૈ જગમાંહિ, ભાગ્યહીન નર પાવત નહીં' એવું કહે છે ને ? એટલે જેટલી કલ્પના આવે એટલી બધી જ ચીજ જગતમાં હોય, પણ તમારા અંતરાય ના હોવા જોઈએ, તો ભેગી થાય.

સત્યનિષ્ઠા જોઈએ. ઈશ્વર કંઈ મદદ કરવા નવરો નથી. કોઈને ય કશી મદદ કરવા એ નવરો નથી. તમારી સાચી દાનત હશે તો તમારું ફળશે.

લોક કહે છે, 'સાચાને ઈશ્વર મદદ કરે છે !' પણ ના, એવું નથી. ઈશ્વર સાચાને મદદ કરતો હોય તો ખોટાવાળાએ શું ગુનો કર્યો છે ? તો ઈશ્વર પક્ષપાતી છે ? ઈશ્વરે તો બધે નિષ્પક્ષપાતી રહેવું જોઈએને ? ઈશ્વર એવી કોઈને મદદ કરતો નથી. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વરનું નામ યાદ કરતાંની સાથે જ આનંદ થાય. તેનું કારણ શું છે કે એ મૂળ વસ્તુ છે. અને તે પોતાનું સ્વરૂપ જ છે. એટલે યાદ કરતાંની સાથે આનંદ થાય. આનંદનો લાભ મળે. બાકી ઈશ્વર કશું કરી આપે નહીં. આપવાનું એ શીખ્યા જ નથી. અને એમની પાસે કશું છે પણ નહીં તો શું આપે ?

×
Share on