Related Questions

અંડરહેન્ડને ઠપકો આપીએ તો કેવી રીતે માફી માંગવી?

પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલા.

દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નહીં. તમારે પોતાને માટે નહીં, સરકારને માટે એ સિન્સીયારિટી (વફાદારી) કહેવાય.

પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાંને તો દુઃખ થયું હશે ને ?

દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ કડક સ્વભાવથી લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું.

પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું ?

pratikraman

દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવને લઈને સરકારનું કામ કરવામાં, જે જે દોષો, લોકોને દુઃખ થાય એવું કર્યું છે, એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું.

પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં જે જે દોષ થયા હોય, તેને યાદ કરીને આપણે ક્ષમા માગીએ છીએ. તો દોષો ઘણા બધા હોય અને એમાં અત્યાર સુધી આપણે ભૂલી ગયા હોઈએ, તો ફરી એની યાદ તાજી કરીને શા માટે દુઃખી થવું ?

દાદાશ્રી : એ દુઃખી થવા માટે નથી. જેટલો ચોપડો ચોખ્ખો થયો એટલું ચોખ્ખું થયું. એ છેવટે ચોપડો તો તમારે ચોખ્ખો કરવો પડશે. નવરાશનો વખત કલાક એમાં કાઢો, તો શું બગડી જાય ?

પ્રશ્નકર્તા : દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે.

દાદાશ્રી : એ લાંબું બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું.

×
Share on