Related Questions

લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?

જયારે તમારા લગ્ન થાય છે ત્યારે તમે તમારા મનમાં આદર્શ લગ્નજીવનનું ચિત્રપટ્ટ દોરો છો, “મારુ લગ્નજીવન આવું હશે ને તેવું હશે.” પણ ધીમે-ધીમે આદર્શ લગ્નજીવનનું તમારું ચિત્ર, ચિત્ર જ રહે છે. આની પાછળનું કારણ શું છે ?

પરમ પૂજ્ય દાદાશ્રીએ, લગ્નજીવનમાં થતી સમસ્યાઓની પાછળ રહેલા અગણિત કારણો દર્શાવ્યા છે. એમના દ્વારા થયેલા સત્સંગોમાંથી અમુક અંશો અહિ જેમ છે તેમ રજુ કરવામાં આવ્યા છે.

ભૂલો દર્શાવવી

તમારા જીવનસાથી એમનાથી થતી ભૂલોને અંગે પહેલાથી જાગૃત જ હોય તો તેમને ફરી ભૂલો દર્શાવવાનો શું હેતુ રહે છે ? પુરુષોને પોતાની પત્નીની ભુલો બતાવવાની અને ભૂલો કાઢવાની આદત હોય છે. પત્નીઓથી પણ આવું જ થતું હોય છે.

લોકો ઈરાદાપૂર્વક નાનામાં નાની અને દેખીતી ભૂલો દર્શાવતા હોય છે અને એટલે જ તેઓનું જીવન ક્લેશમય હોય છે. લોકો એવું વિચારે છે કે ભૂલ બતાવીએ તો તેઓ ભૂલ સુધારે. ઊલ્ટું, તેઓનું બગડે છે. તેઓ જ્યારે પોતે પોતાની ભૂલ વિશે વિચારે ત્યારે તમે એમની સાથે ભૂલ સુધારવાની વાત કરી શકો.

તમારા જીવનસાથી સાથે નિખાલસપણે,જેમ મિત્ર સાથે વર્તતા હોવ એવું વલણ અપનાવો. આપણે આપણા મિત્રોની સાથે દરરોજ દલીલ નથી કરતા ને ? આપણે એમને જાહેરમાં એમની ભૂલો બતાવીએ છીએ ? ના, કેમ કે આપણે એ મિત્રાચારી રાખવા માંગીએ છીએ! પરંતુ આવું જ તમારા જીવનસાથી માટે નથી વિચારતા! તમે એ જ ભૂલો એમને બતાવી શકો જે ભૂલોની એમને ખબર નથી.

જે ભૂલોની એમને ખબર નથી ભૂલો તરફ એમનું ધ્યાન દોરો અથવા એમની ભૂલો જુઓ. જે ભૂલોથી તમારા જીવનસાથી વાકેફ છે તેના વિશે જો તમે ટોક-ટોક કરશો તો તમે તેમના અહંકારને દુભાવશો અને અંતે સામા પક્ષે તેઓ પણ એ ક્ષણની રાહ જોશે કે ક્યારે બદલો લેવાય !!!

બીજાને દોષિત ઠરાવી પોતાની નિર્બળતાઓને છુપાવવી

જયારે આપણા જીવનમાં કંઇક ખોટું થાય છે ત્યારે આપણે હંમેશા લોકોને આરોપ આપતા હોઈએ છીએ. અને આવું જ લગ્નજીવનમાં પણ થાય છે. આપણે હંમેશા આપણી મુશ્કેલીઓ માટે આપણી પત્ની/પતિ ને ગુનેગાર ઠરાવીએ છીએ. પણ, જો આપણે એમ સ્વીકારીએ કે ભૂલ આપણી છે, તો જ આપણે લગ્નજીવન સંબંધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ.

દુનિયામાં આવું જ છે, એવું કહીને લોકો પોતાની નબળાઈ છુપાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને પોતાની નબળાઈ છુપાવે છે તેના કારણે એ નબળાઈ એમ ને એમ રહે છે. નબળાઈ શું કહે છે ? તે કહે છે કે, ”જ્યાં સુધી તમે મને નહિ સ્વીકારો ત્યાં સુધી હું નહિ જાઉં.”

સંબંધોમાં વિશ્વાસ (ભરોસા) ની ઉણપ

શંકા, એ અત્યારે મોટાભાગના ઘરોમાં કલેશનું મૂળ કારણ છે. આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઉદ્ભવે છે ને એ સ્પંદનોના ભડકારૂપે પરિણમે છે. અને જો નિઃશંક થાયને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળા થાય તો પછી ભડકા શી રીતે શમે? બે માંથી એકને નિઃશંક થયે જ છૂટકો. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગૃત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણા પોતાના માટે મૃત્યુ સમાન છે. કારણ કે એ શંકા તો માણસને મરણ સુધી છોડે નહીં.

દુ:ખનું કારણ, અન્ય સાથે સ્પર્ધા

જે ક્ષણથી આપણે આપણા જીવનસાથીની અથવા પોતાની સરખામણી બીજા સાથે કરીએ છે, ત્યારથી જ દુઃખ શરુઆત થાય છે અને એ જ લગ્નજીવનની સમસ્યાઓનું કારણ છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એમ માનો ને, કે તમારે ત્યાં બહુ વખતના જૂના સોફાસેટ છે. હવે તમારા મિત્રને ઘેર સોફાસેટ હોય જ નહીં એટલે તે આજે એ નવી જાતના સોફાસેટ લાવ્યા. એ તમારા 'વાઇફ' જોઇ આવ્યાં. પછી ઘેર આવીને કહે કે, 'તમારા ભાઇબંધને ઘેર કેવા સરસ સોફાસેટ છે! ને આપણે ત્યાં ખરાબ થઇ ગયા છે.' તે આ દુઃખ આવ્યું !!! ઘરમાં દુઃખ નહોતું તે જોવા ગયા ત્યાંથી દુઃખ લઇને આવ્યા!

તમે બંગલો બાંધ્યો ના હોય ને તમારા ભાઇબંધે બંગલો બાંધ્યો ને તમારાં 'વાઇફ' ત્યાં જાય, જુએ ને કહે કે, 'કેવો સરસ બંગલો તેમણે બાંધ્યો ! અને આપણે તો બંગલા વગરનાં!' એ દુઃખ આવ્યું!!! એટલે આ બધાં દુઃખો ઊભાં કરેલાં છે.

અભિપ્રાય અંગેનો મતભેદ

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, "વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગ્રત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે! આ વાસણોને (માણસોને) તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે, આ તો આવા છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે! અને પેલાં વાસણોને કંઇ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે, બે વાસણો જોડે હોય તો ખખડે! મેર ચકકર, આપણે કંઇ વાસણ છીએ? એટલે આપણને ખખડાટ જોઇએ? આ દાદાને કોઇએ કોઇ દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નું ય ના આવ્યું હોય એવું!! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે.”

લગ્નજીવનમાં કલેશનું નિર્માણ મનમાં ઉભા થયેલા મતભેદના કારણે થાય છે, જયારે પતિ-પત્ની એકબીજા સાથે સહમત ના થાય અને સામે જોવાનું ટાળે. જો આ મતભેદ ના ઉકેલાય, તો બીજે દિવસથી બન્ને વચે નો અંતર વધવા માંડે અને ધીમે ધીમે એકબીજા પ્રત્યે અણગમા માં બદલાઈ જાય છે. ત્યાર પછી બન્ને વચ્ચે વેરવૃત્તિ વધતા લગ્નજીવનમાં સમસ્યાઓ ઉદ્ભવે છે.

સમાધાનનો અભાવ

આજના યુગમાં લોકો પાસે પોતાના જીવનસાથી અને બાળકો સાથેની સમસ્યાઓમાં સમાધાન લાવવાની ક્ષમતા ખૂટી ગઈ છે અને જયારે કલેશ થાય છે ત્યારે તેઓ સુક્ષ્મત કક્ષાએ મૂંઝવણ અનુભવે છે.

પ્રશ્નકર્તા: ધણી તો એમ જ કહેને, કે 'વાઈફ' સમાધાન કરે, હું નહીં કરું!

દાદાશ્રી: હંઅ, એટલે 'લિમિટ' પૂરી થઈ ગઈ. 'વાઈફ' સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી 'લિમિટ' થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે 'વાઈફ' રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું.

બુદ્ધિના કારણે થતો કલેશ

પ્રશ્નકર્તા: મતભેદ કેમ પડે છે, એનું કારણ શું ?

દાદાશ્રી: મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે ! તો એ ય ટાઢી પડી જાય પછી. પણ આપણે ય અક્કલવાળા અને એ ય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય તે ?!

તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ?

પ્રશ્નકર્તા: એમને વધારે પડે છે.

દાદાશ્રી: ઓહોહો! મતભેદ એટલે શું ? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે ?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય ?

પ્રશ્નકર્તા: તૂટી જાય.

દાદાશ્રી: અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એનાં કરતાં આખી રાખીએ એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું.

પ્રશ્નકર્તા: પણ બેમાંથી મૂકે કોણ ?

દાદાશ્રી: સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું.એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમે ધીમે ધીમે ધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમે ધીમે છોડી દઉં, નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું ? હવે છોડી દેતાં આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને! દોરડું તો પાછું ચલાવવું જ પડે ને! તમને કેમ લાગે છે ?

ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશે ય ના થવો જોઈએ!! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ.

જીવન જીવવાની કળા વિષે અજાગૃતિ

બધા જ ઘર્ષણોનું મૂળ કારણ ઘોર અજ્ઞાનતા છે. જીવન જીવવાની કળા સ્ત્રી-પુરુષોને ખરી રીતે આવડતી નથી. માણસને નથી પિતા થવાનું કે નથી ધણી થવાનું જ્ઞાન. એવી જ રીતે સ્ત્રીને, પત્ની થવાનું નથી જાણતી. તેઓ જીવન જીવવાની કળા જાણતા જ નથી. બધી જ ભૌતિક સુખ-સુવિધાઓ અને અનુકુળતા હોવા છતાં પણ દુઃખો છે. લોકો સુખના દરિયામાં રહેવા છતાં પાણીનું એક ટીપું શોધી રહ્યાં છે.

દાદાશ્રી: કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે ?

પ્રશ્નકર્તા: કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા.

દાદાશ્રી: તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન ના રહે.

પ્રશ્નકર્તા: એ તો પણ કોઈ કોઈવાર તો થવું જોઈએ ને એવું, કકળાટ.

દાદાશ્રી: ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય માણસને ત્યાં! કકળાટ શેને માટે હોય ? અને ક્લેશ હોય તો ફાવે ? તમને કેટલા મહિના ફાવે, ક્લેશ હોય તો ?

પ્રશ્નકર્તા: બિલકુલ નહીં.

દાદાશ્રી: મહિનો ય ના ફાવે, નહીં ?

ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી, એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે! એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ? 

×
Share on