Related Questions

લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી ?

આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ/પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા ઘટી ગઈ છે. અને જયારે અથડામણ થાય છે ત્યારે વધુ ગુંચવાળા ઉભા થાય છે. એના બદલે વિજ્ઞાન એમ કહે છે કે, જેટલી સમજણ વિકાસ પામે એટલી શ્રદ્ધા વધે. શ્રદ્ધા વધવાથી પરિણામ આવશે. શ્રદ્ધા વિના કંઈપણ મદદરૂપ નહિ થાય. આજે કોઈ પણ ક્રિયા અગર જો સાચી સમજણ સહિત કરવામાં આવે તો જીવન સુખરૂપ બનશે અને તમારા જીવનસાથીને પણ ખુશી આપશે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ, લગ્નજીવનમાં ઉભા થતા કલેશ અને સમસ્યાઓને ઉકેલવા વિવિધ માર્ગો દર્શાવ્યા છે. એમના સાથે થયેલા સત્સંગો માંથી લીધેલા આંશિક અવતરણો નીચે દર્શાવ્યા છે, જે વાંચનારને વૈવાહિક જીવનમાં ઉભા થતા કલેશને ટાળવામાં મદદરૂપ થઇ વળશે.

સમસ્યાઓ ફક્ત ઘરની ચાર દીવાલ પુરતી સીમિત રાખો

ઘરની સમસ્યાઓ ફક્ત ઘરની ચાર દીવાલ પુરતી સીમિત રાખવી. આ જ રીતે તમે બંને એક કુટુંબની જેમ સાથે રહી શકશો. જો તમે ફક્ત આટલો જ બદલાવ લાવશો, તો સુખરૂપ પરિણામ આવશે.

જયારે જીવનસાથી ક્રોધિત થાય ત્યારે શાંતપૂર્ણ વલણ અપનાવો

જયારે તમારા પતિ/પત્ની ક્રોધિત થઇ જાય ત્યારે જો તમે શાંતિભર્યું વલણ અપનાવી ચેતી જશો, તો તમે લગ્નજીવન માટે યોગ્ય પાત્ર ગણાશો. ક્લેશ તો હોવો જ ના જોઈએ. જો તેઓ ક્રોધ કરે અને સામે પક્ષે તમારાથી પણ ક્રોધ થઇ જાય તો આપણે સમય પર સાવચેતીના પગલા ચુકી ગયા એમ કહેવાય. જયારે તમને લાગે કે, તેઓ ક્રોધિત છે ત્યારે શાંતિથી કામ લેવું. 

હકારાત્મક વલણ અપનાવો..

જયારે આપણે બીજા જોડે વ્યવહારમાં આવ્યે ત્યારે તેમના સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના ગુનો જોવા સ્વાભાવિક છે. પણ અંતે આપણે તેમના નકારાત્મક ગુનો પર વધારે ધ્યાન આપતા થઈ જઈએ છીએ. આ સમસ્યા નો ઉકેલ લાવવા માટે તમારા પતિ/પત્નીના સદગુણો નોંધી તેને અથડામણ થાય ત્યારે વાંચી શકાય. તમને આશ્ચર્ય થશે કે આ એક નાના પગલાથી તમારા લગ્નજીવનમાં કેટલો સકારાત્મક બદલાવ આવી શકે.

સહન નહિ, સમાધાન લાવો

સહન કરવા કરતાં વૈવાહિક જીવનમાં ઉભા થતા કલેશ કેમ કરીને ટળે એ વિચારવું વધારે સારું છે. સમજણથી, વિચાર કરીને એનો ઉકેલ લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને તે સ્પ્રીંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાન-મેદાન કરી નાખે. સહનશીલતા તો સ્પ્રીંગ છે. સ્પ્રીંગ ઉપર ભાર નહીં મૂકવો કોઈ દહાડો ય. એ તો ઠીક છે થોડા પૂરતું. હવે બહારના લોકો સાથેના વ્યવહારમાં અમુક હદ સુધીનું ચાલે પણ અહીં ઘરના માણસો ઉપર ભાર મૂકાય નહીં. સ્પ્રીંગ તો કૂદશે. સહનશીલતા અમુક હદ સુધીની બરાબર કહેવાય.

ઝીણવટથી વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ કયા કારણો છે! સમજણ વગર એકલું સહન કર કર કરશો તો સ્પ્રીંગ કૂદશે. માટે, વિચારવાની જરૂર છે. આપણે વિચારતા નથી એટલે સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે ! એ બધું એનું સમાધાન કરી આપશે.

શાંતિ મેળવવાની ચાવી – જીવનસાથી સાથે એડજસ્ટ થવું.

દુનિયામાં કોઈ બે વ્યક્તિને મેળ પડે નહી અને લગ્નજીવનમાં ઉભા થતા કલેશનું એક કારણ છે. આ સમજ્યા પછી ઉકેલ લાવવા માટે એક જ ઉપાય છે, “એડજસ્ટ એવરીવ્હેર ”. “મારું કુટુંબ” નો અર્થ શું કે અમારામાં કલેશ નહીં કોઈ પ્રકારનો. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાના ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ, “એડજસ્ટ એવરીવ્હેર”. જે ઘરમાં ભાંજગડ છે ત્યાં ભગવાન રહેતા નથી.          

જો પતિ અને પત્ની બંને સાથે મળીને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ લેવાનું નક્કી કરે તો, બંને માટે લક્ષ સાધવું શક્ય છે. દાખલા તરીકે, જયારે માણસના એક હાથમાં દુ:ખાવો હોય ત્યારે તે કોઈને કહેવાને બદલે બીજા સારા હાથથી પેલા દુ:ખતા હાથને મસાજ કરી શકે છે. આવી જ રીતે, જો તમે એડજસ્ટ થાવ તો તમારું કામ પૂરું થશે. ક્લેશથી કશું જ પ્રાપ્ત નથી થતું. ક્લેશ ના ગમવા છતાં થઈ જાય છે ને ?? જો સામે પક્ષે તમારા સાથી અડગ છે અને પકડ રાખે છે, તો તમારે પકડ છોડી દેવી અને સુઈ જવું. પણ, જો તમે બંને ખેંચશો તો તમારા બંનેમાંથી કોઈ સુઈ નહિ શકે અને તમારી આખી રાત બગડશે. બહારના વ્યવહારમાં, ભાગીદારીમાં, ધંધામાં અને આવી બધી બાબતોમાં તમે બહુ કાળજી રાખો છો, તો શું તમે તમારા જીવનસાથીની બાબતમાં આટલા જ કક્ષાની કાળજી ના રાખી શકો ?

ક્લેશને સમાધાન પૂર્વક ઉકેલવાનો ભાવ રાખો

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, આપણે તો 'સામાનું સમાધાન કરવું છે' એટલું નક્કી રાખવું. 'સમભાવે નિકાલ' કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. વાઇફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, માબાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે 'આપણે સમભાવે નિકાલ કરવો છે' એટલે એક દહાડો એ નિકાલ થઇ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે, આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઇએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે 'સમભાવે નિકાલ' કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી. 

પ્રતિક્રમણ – એક શક્તિશાળી સાધન

જયારે તમે વૈવાહિક જીવનમાં સંઘર્ષોથી પસાર થતા હોવ તો તેની અસર તમારા લગ્નજીવનના બાહ્ય સંબંધો પર ના થવી જોઈએ. આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ! કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા ? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું.

એકતા રાખવી

તમારા પતિ/પત્ની સાથે એકતા સાધો. આપણે એમની સાથે એકતા નહિ રાખીએ તો બીજા કોની પાસે રાખશું ? એકતાનો અર્થ શું ? ક્યારેય ભેદ ન કરવો. આપણી એકતા એટલી અનહદ હોવી જોઈએ કે એ જ એક એવા વ્યક્તિ છે કે જેમની સાથે આપણે નિશ્ચય કર્યો છે કે ક્યારેય ભેદ થવા દેવો નથી.

એટલું જ નહિ, તમારા મનમાં પણ જીવનસાથી પ્રત્યે ભેદ ન હોવો જોઈએ, સામે પક્ષે તેમને પણ આપણે ભેદ રાખ્યો છે એવો અનુભવ ના થવો જોઈએ. એમની વાણી જયારે અનુચિત નીકળે તો પણ તમારે એમને એટલો જ આદર આપવો અને જયારે તમને એવો અનુભવ થાય કે મતભેદ વધી રહ્યો છે, ત્યારે તમારે સમાધાન માટે પ્રથમ પગલું ભરવું અને એમની સાથે વાત કરીને ઉકેલ લાવવો કે જાણે કંઈ જ બન્યું નથી. માત્ર એક આવી પુરુષાર્થની પા-પા પગલી તમારા બંનેની એકતામાં ભેદ નહી લાવે.

મૌન રહેવું એ ઉકેલ નથી

૧. પ્રશ્નકર્તા: અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?

દાદાશ્રી: ના થઈ શકે. આપણે તો સામો મળે તો 'કેમ છો ? કેમ નહીં ? 'એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહે તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો,જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને! અમારી કંઈ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોંશિયાર-ભણેલા, તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.'એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.

૨. ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ?

પ્રશ્નકર્તા: મતભેદની કોઈ દવા નથી.

દાદાશ્રી: હેં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં. બેન પેલી રૂમમાં બોલે નહીં,એમ અબોલા થઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાં ય ઘા રૂઝાતો નથી. સવારમાં ય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમે ય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે.

આત્મજ્ઞાનની પ્રાપ્તિ

આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, એ વૈવાહિક જીવનનાં મતભેદોને ઉકેલવાની સૌથી મહત્વની ચાવી છે. વૈવાહિક જીવનમાં થતા મતભેદોને સાચી સમજણથી ઉકેલવાની એક નવી જ દ્રષ્ટી આત્મજ્ઞાન થકી પ્રાપ્ત થશે.

×
Share on