Related Questions

ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?

ઘરાકીના પણ નિયમ છે !   

પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને ? 

દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઇમ ખોલવી. લોકો સાત વાગ્યે ખોલતા હોય ને આપણે સાડા નવ વાગ્યે ખોલીએ તે ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણે ય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઇ જાય ત્યારે તમે ય સૂઇ જાઓ. રાતે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરે એ કોના જેવી વાત ! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે ? એનું ફળ સવારે મળી જ જાય છે ને ? એવું ધંધામાં બધે છે. 

પ્રશ્નકર્તા : દાદા, હમણાં દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું ? 

દાદાશ્રી : આ 'ઇલેક્ટ્રિસિટી' જાય એટલે તમે 'ઇલેક્ટ્રિસિટી ક્યારે આવે, ક્યારે આવે', એમ કરો તો જલદી આવે ? ત્યાં તમે શું કરો છો? 

પ્રશ્નકર્તા : એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઇએ. 

દાદાશ્રી : સો વાર ફોન ના કરો ? 

પ્રશ્નકર્તા : ના. 

દાદાશ્રી : આ લાઇટ ગઇ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને ? 

પ્રશ્નકર્તા : એટલે આપણે નિઃસ્પૃહ થવું ? 

દાદાશ્રી : નિઃસ્પૃહ થવું એ ય ગુનો છે ને સસ્પૃહ થવું તે ય ગુનો છે. લાઇટ આવે તો સારું એટલું આપણે રાખવું, સસ્પૃહ-નિઃસ્પૃહ રહેવાનું કહ્યું છે. ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઉધામા ના નાખવા. 'રેગ્યુલારિટી' અને ભાવ ના બગાડવો, એ 'રિલેટિવ' પુરુષાર્થ છે. ઘરાક ના આવે તો અકળાવું નહીં ને એક દહાડો ઘરાકનાં ઝોલેઝોલાં આવે ત્યારે બધાંને સંતોષ આપવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરોને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઇએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને ઘેર બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઇને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ તો રાખો ને ! 

આ તો ઘરાક આવે તો શાંતિથી પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, 'આજે ખર્ચો માથે પડશે. આટલી નુકસાની ગઇ' એ ચક્કર ચલાવે, ચિડાય અને નોકરને ટૈડકાવે ય ખરો. આમ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કર્યા કરે ! ઘરાક આવે છે તે ય 'વ્યવસ્થિત'ના હિસાબથી જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો ? ના, ત્યાં તો દબાઇ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભાં થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે.   

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
  14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on