Related Questions

વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?

પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે.

દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે. ત્યારે જગત બંધ થઈ જશે.

બધી શબ્દથી લઢાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે ! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે, વઢેલા હોય આપણી જોડે, તેની જોડે ય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછા.

સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડા જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે 'તમારામાં અક્કલ નથી.' સામાન્ય માણસ તો અણસમજણનાં માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે, પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે. પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.

સામાને 'તમે ના સમજો' એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. 'તમે ના સમજો' એવું ના કહેવાય. પણ 'તમને સમજણ પાડીશ' એવું કહેવું. 'તમે ના સમજો' કહે તો, સામાના કાળજે ઘા વાગે.

આપણે સુખમાં બેઠાં હોય ને સહેજ કો'ક આવીને કહે, 'તમારામાં અક્કલ નથી.' એટલું બોલે કે થઈ રહ્યું, ખલાસ ! હવે એ કંઈ પથરો માર્યો છે ?

શબ્દની જ અસર છે જગતમાં. છાતીએ ઘા લાગે, તે સો સો અવતાર સુધી ના જાય. 'છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.' કહેશે. અસર જ છે આ ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે.

કેટલીક બહેનો મને કહે છે, 'મારા ધણીએ મને કહ્યું'તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષે ય ભૂલાતું નથી.' ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે ?! તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ.

આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં ? લાકડીઓ કે ધોલો નથી મારતા ? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં. ત્યારે વચનબાણ જ માર માર કરે.

શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથા ય અપશબ્દ બોલતો હોય ને, તો ય જોખમ. અને સારા શબ્દો અમથા અમથા બોલતા હોય તો ય હિતકારી છે. પણ ખોટા શબ્દો, અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે અપશબ્દ કોને કહેવાય ? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા ય અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કંઈ કહે નહીં. ઘરમાં જ કહે ને ! પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર. (!) પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે. ઘરમાં પાઠ કોણ ભણાવડાવે ? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ ને ?! 

×
Share on