Related Questions

‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?

અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે. સહન કરવું અને અથડામણ ટાળવી બન્ને તદન અલગ વસ્તુ છે. અથડામણ ટાળવાથી મતભેદ થતા પહેલા જ રોકાય જાય છે અને તે આપણા ભાવિ પર પણ અસર કરતું નથી, જ્યારે સહનશીલતા તો માત્ર તમારી ધીરજની જ કસોટી કરે છે.

ક્યારેક તમે એવી પરિસ્થિતિમાં મૂકાય જાવ છો કે જ્યાં તમે દરેકને સંતોષ આપી શકતા નથી અને અથડામણ ટાળી શકતા નથી. આનો અર્થ એવો પણ થતો નથી કે વ્યક્તિએ તે વસ્તુ સહન કરવી. પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે, “સહન કરવું અને ‘સ્પ્રિંગ દબાવવી’, એ બે સરખું છે. ‘સ્પ્રિંગ’ દબાયેલી કેટલા દહાડા રહેશે? માટે સહન કરવાનું તો શીખશો જ નહિ, સોલ્યુશન કરવાનું શીખો.” ફ્ક્ત સમાધાન મેળવવાથી જ અથડામણ ટાળી શકશો.

જ્યારે તમારે કોઇ બીજાના કારણે સહન કરવું પડે છે તેવું વિચારો છો ત્યારે સામી વ્યક્તિ શા માટે તમારી સાથે આવું વર્તન કરે છે તેની પાછળનું સાચું કારણ જાણો છો?

તે ખરેખર તો તમારા જ કર્મોનો હિસાબ છે. હા, તમને તમારા પૂર્વના હિસાબોની જાણકારી હોતી નથી, કે જેને તમે લાયક હોતા નથી તેવી વસ્તુ તમને સામી વ્યક્તિ શા માટે આપે છે અને તમે ગૂંચાય જાવ છો કે, “ શા માટે તે મારી સાથે આવું કરે છે? ” ખરેખર તો તમે પહેલા જે આપેલું તે જ તમને તે વ્યક્તિ પાછું આપે છે. તમારા કર્મોના હિસાબોનો ચોપડો ઊંડાણથી જૂઓ, કારણ કે કોઇ પણ નાનકડી ઘટના તમારી સાથે બને છે તે તમારા કર્મોના હિસાબના ચોપડાની બહાર હોતી નથી.

તમારી સાથે જે કંઇ પણ બને છે તે તમારા પોતાના પૂર્વ કર્મોના જ ફળ સ્વરૂપે હોય છે કે જે આજે ફળ આપવા તૈયાર થઇ ગયા છે અને તમને ચુકવાય જાય છે. તેથી તમારે ખુશ થવું જોઇએ કે તમે તે ચોક્ક્સ પ્રકારના કર્મથી મુક્ત થાવ છો. અને જે વ્યક્તિ આ તમને આપે છે તે તો આ ક્રિયાનો માત્ર નિમિત્ત છે, તેથી તમારે તેનો આભાર માનવો જોઇએ કારણ કે તેણે તમારા કર્મોના હિસાબને ખાલી કરવામાં મદદ કરી. આ જ સાચી સમજણ છે જે તમારા તમામ ગૂંચવાડાનો ઉકેલ લાવશે. હવે મને કહો, તમારે કશું સહન કરવાની જરૂર ખરી? 

સહન કરવાની આડઅસરો 

  • જ્યારે તમે પ્રશ્નનું નિરાકરણ લાવતા નથી અને તેને દિવસો સુધી સહન કરો છો, તો તે દબાયેલી સ્પ્રિંગની માફક એક દિવસ ઊછળી પડે છે. તેનાથી માત્ર તમે ક્રોધે જ નથી થતા પરંતુ બધાને દબડાવવા પણ મંડો છો.
  • જ્યારે તમે સહન કરો છો, ત્યારે તમને અંદર ઊંડુ દુ:ખ અનુભવાય છે અને તમે બાહ્ય રીતે અથડામણ ન કરતાં હોવા છતાં, તમે સામી વ્યક્તિ સાથે વેરના બીજ વાવો છો અને તેનાથી નવું કર્મ બંધાય છે, જેનો બદલો તમારે પછીના ભવમાં ચુકવવો પડે છે. તમે આવું ઇચ્છતા નથી, ખરું ને? તેથી “અથડામણ ટાળો. પરંતુ સહન કરવું એ સાચો રસ્તો નથી.”
  • સામી વ્યક્તિને સહન કરવાથી તે વ્યક્તિ માટે તમારા મનમાં ખરાબ અભિપ્રાયો બંધાય જાય છે. ભવિષ્યમાં, જ્યારે પણ તે વ્યક્તિ સાથે તમે વ્યવહાર કરો છો ત્યારે આ અભિપ્રાયો તમારી નજર સમક્ષ આવે છે અને તે તમારા વ્યવહારને અસર કરે છે. તેનાથી તમારા સંબંધોમાં કડવાશ પેદા થાય છે.
  • લોકો કે જેને લઘુતા ગ્રંથિ હોય છે તે બીજાની સામે સામી પ્રતિક્રિયા આપી શકતા નથી અને બીજા સાથે અથડામણમાં આવી શકતા નથી. તેઓ અંદર ને અંદર ગૂંચાયા કરે છે કારણ કે તેઓ તેમની હતાશાને બહાર ઠાલવી શકતા નથી અને ગુસ્સે થઇ શકતા નથી. આ તેમનો સહન કરવાનો રસ્તો છે. જ્યારે તેઓ વધુ પડતું સહન કરી શકતા નથી અને સહનશીલતાની તેઓની હદ આવી જાય છે ત્યારે તેઓ ખૂબ હતાશ થઇ જાય છે અને આ હતાશાને (ડીપ્રેશનને) કારણે તેમને માનસિક અસરો થઇ જાય છે અને શારિરીક તકલીફો પણ ઊભી થાય છે. અંતે જે વ્યક્તિ સહન કરે છે તેને ઘણું બધું ગુમાવવું પડે છે. 
×
Share on