Related Questions

જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?

જો કોઇ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછશો કે શા માટે તે આવું કરે છે અને તમારા મનમાં તે વ્યક્તિ માટે થોડો સમય ઘૃણા પણ ઉત્પન્ન થઇ જશે. આમ કરવાથી, તમે જુના હિસાબ ચુકવતા ચુકવતા નવું ખાતું તે વ્યક્તિ સાથે ખોલી નાખો છો. જ્યારે તે વ્યક્તિ તમે ગત ભવમાં તેને દીધેલું પાછું આપવા આવે છે, ત્યારે તે સ્વીકારી અને જમા કરવાને બદલે તમે તે વ્યક્તિનો ખૂબ તિરસ્કાર કરો છો. તે વ્યક્તિ તરફથી એક પણ નાનકડું અપમાન તમે સહન કરી શકતા નથી અને ઉપરથી તમે તે વ્યક્તિનું ઘણી બધી વખત અપમાન કરી નાખો છો. હવે માનવ બુધ્ધિ આ ઊંડાણ સુધી કઇ રીતે પહોંચી શકે? તે સમજવાને બદલે લોકો ખૂબ ઊંડાણમાં ચીકાશ વાળા કર્મ પોતના માટે બાંધે છે અને ગૂંચામણ વધ્યા કરે છે. 

પરમ પૂજ્ય દાદા ભગવાને અપમાનના સમયે કઇ રીતે વર્તવું તેની ઘણી ચાવીઓ આપી છે, ચાલો આપણે તે જોઇએ:

  • જ્યારે કોઇ તમારા ઉપર તીવ્ર ગાળોનો વરસાદ વરસાવે ત્યારે તમારે ચેતી જવું જોઇએ અને તે વ્યક્તિ સાથે અથડામણ ટાળવી જોઇએ. વિવાદમાં ઊતરવું જોઇએ નહી.
  • બીજી વ્યક્તિઓનો વ્યૂપોઇન્‍ટ સમજવાની કોશિશ કરો. શા માટે તેઓ ગુસ્સે થઇ જાય છે અને તમારા પર ગાળોનો વરસાદ વરસાવે છે?  એક વખત તમે તેમના ગુસ્સાનું કારણ સમજી જશો પછી તમે સમસ્યાનું શાંતિથી સમાધાન લાવી શકશો. સામી વ્યક્તિનો ગુસ્સો ઠંડો પડે ત્યાં સુધી રાહ જૂઓ. પછી શાંતિથી તે બાબત પર ચર્ચા કરો અને બન્ને તરફ સ્વીકાર્ય હોય તેવો ઉકેલ લાવો.
  • જ્યારે કોઇ તમારા પર બૂમબરાડા કરીને તમારું અપમાન કરે છે, ત્યારે તે વ્યક્તિ તે વસ્તુ વારંવાર કર્યા જ કરશે. તે સમયે તમે તેના બૂમબરાડા પાછળ શું કહેવા તે વ્યક્તિ માગે છે તેનું કારણ શોધો. તેમના શબ્દો પર ધ્યાન ન રાખો, તેઓ શું ઇચ્છે છે અને કરે છે તેના પર ધ્યાન આપો.
  • જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે આવેશમાં આવવાના બદલે શાંત અને સ્વસ્થ રહો. જો તમે સામી પ્રતિક્રિયા આપશો તો તમે બળતામાં ઘી હોમો છો. અંતે સમગ્ર વાતાવરણ સળગી ઊઠશે અને તમને બન્નેને નુકસાન થશે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે : ‘અપમાન પચાવવાથી અનંત શક્તિઓ ઉત્પન્ન થાય છે’.
  • તરત જ કોઇ પ્રતિક્રિયા ન આપો. જ્યારે તમે અપમાનિત થાવ છો ત્યારે તમે સૌ પ્રથમ સામે પાછી ગાળો ફેંકવાનું વિચારો છો, નહીં! પરંતુ અંદરની ગડમથલ શાંત થવા દો. પછી સામી વ્યક્તિ પાસે જાવ અને તેનો વ્યૂપોઈન્‍ટ સમજો. તમે જે વિચારો છો તે વસ્તુની તેની સાથે ચર્ચા કરો, તમે શા માટે તેવું કર્યું તે સમજાવો. તો પછી તે વ્યક્તિ તમારી જેમ તે વસ્તુને જોઇ શકશે. આ રીતે અપમાન સામે વર્તવું જોઇએ.
  • હકારાત્મક (પોઝીટિવ) દ્રષ્ટિકોણ કેળવો. સામી વ્યક્તિ ગમે તેવા ખરાબ શબ્દો બોલે કે ગાળાગાળી કરે, પરંતુ તમને માર્યું તો નથી ને તેવું વિચારો. તેનાથી અપશ્બ્દોની તીવ્રતા ઘટી જશે.
  • એવી સમજણ કેળવો કે જે કંઇ પણ બની રહ્યું છે તે તમે પૂર્વે વાવેલું તે તમારા કર્મોનું જ ફળ છે. તમને અપમાનિત કરવા પાછળ સામી વ્યક્તિનો કોઇ દોષ નથી. તે તમારા કર્મો ખપાવવા માટે માત્ર નિમિત્ત જ છે. આ સમજણ તમને કોઇ અસર ન થવામાં અને ભોગવટામાં ન આવી જવાય તે માટે મદદ કરશે. તેવું સ્વીકારો કે “તમે પૂર્વ જન્મમાં કશું ખોટું કર્યું હશે તેથી તમે આ જ્ન્મમાં અપમાનિત થાવ છો”. તે તમારી સાથે આવું બોલે છે કારણ કે તમારો પોતાનો જ દોષ છે. આમ કરીને તે તમને તમારા પૂર્વ જન્મના ગુનાઓમાંથી મુક્ત કરે છે. તમને તે વ્યક્તિ માટે કોઇ ખરાબ ભાવના ન થવી જોઇએ. ઊલ્ટાનું, તમે તે વ્યક્તિના ઋણિ બનો છો કારણકે તે તમને તમારા કર્મોથી છોડાવે છે અને છતાં પણ તમે તે વ્યક્તિનો તિરસ્કાર કરો છો!

જ્યારે કોઇ તમારું અપમાન કરે છે અને તમારું મન સ્‍‍હેજ પણ તે વ્યક્તિ માટે બગડતું નથી ત્યારે તમે ખરું તપ કર્યું કહેવાય. જ્યારે આવા પ્રકારનું તપ થાય છે ત્યારે પોતાની અનંત શક્તિઓ ઉત્પન્ન થાય છે. 

×
Share on