Related Questions

મતભેદ થવાના કારણો શું છે?

અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો? જો આપણે અથડામણ થવાના કારણો જાણીએ તો, આપણે તેના પ્રત્યે જાગૃત બની શકીએ અને અથડામણ પણ ટાળી શકીએ. અથડામણ થવાના અસંખ્ય કારણો હોય છે, તેમાંના અમુક કારણો નીચે દર્શાવેલ છે :

  • જ્યારે તમારી ઇચ્છા પૂર્ણ થતી નથી
  • જ્યારે તમારી અપેક્ષા મુજબ થતું નથી
  • જ્યારે કોઇ તમારું અપમાન કરે છે
  • જ્યારે કોઇ તમારી ભૂલો બતાવે છે
  • જ્યારે કોઇ તમને દુ:ખ આપે છે
  • જ્યારે સામી વ્યક્તિ કરતા તમારો દ્રષ્ટિકોણ અલગ છે
  • જ્યારે તમે ઇચ્છો તેવું વર્તન લોકો ન કરે
  • જ્યારે કોઇ તમારી વાત સાંભળે નહિ
  • જ્યારે કોઇ તમને મદદ ન કરે
  • જ્યારે કોઇ તમારી સાથે વિશ્વાસઘાત કરે
  • જ્યારે કોઇ તમારી ઉપર ગુસ્સે થાય
  • જ્યારે કોઇ તમને અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે
  • જ્યારે કોઇ કારણ વગર તમારી મજાક ઉડાવે
  • જ્યારે કોઇ તમારો અહમ દુભાવે
  • જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઇ તમને સતાવે
  • જ્યારે કોઇ તમને એક્નો એક સવાલ વારંવાર પૂછે
  • જ્યારે કોઇ તમને ત્વરિત નિર્ણય લેવા દબાણ કરે
  • જ્યારે કોઇ તમને ગણકારે નહિ
  • જ્યારે કોઇ તમારી પીઠ પાછળ બોલતું હોય અને તમને ખબર પડે
  • જ્યારે કોઇ એક જ વાર પર તમને ચીડવે
  • જ્યારે તમે ખૂબ વ્યસ્ત હોવ અને કોઇ તમારો સમય બગાડવા આવે
  • જ્યારે કોઇ તમને ગાઢ નિદ્રામાંથી જગાડે અથવા તમારી ઉંઘમાં ખલેલ પહોંચાડે
  • જ્યારે કોઇ તમને સમયસર જવાબ ન આપે
  • જ્યારે તમારે કોઇ એક જ વસ્તુ બીજાને સમજાવવા વારંવાર કરવી પડે
  • જ્યારે કોઇ તમારા અંગત જીવન વિશે પ્રશ્ન પુછે અથવા તેમાં દખલ કરે
  • તમે પહેલેથી સમજાવ્યા હોવા છતાં કોઇ એક જ વસ્તુ એવી રીતે ન કરે
  • જ્યારે તમે અમુક વસ્તુ કેટલીક વાર સહન કરો છો પરંતુ પછી તમારી સહન કરવાની હદ આવી જાય અને તમે સ્પ્રિંગની જેમ ઊછળી પડો છો
  • જ્યારે તમે તમારી ભુલ સ્વીકારી લો છો પરંતુ કોઇ તમને તે જ વાત સંભળાવ્યા કરે છે
  • જ્યારે તમે ચોખ્ખું રાખવાનો આગ્રહ રાખો છો અને કોઇ ગંદુ કરી નાખે છે
  • જ્યારે કોઇ વસ્તુ તમે જે જગ્યાએ રાખો છો તે જગ્યાએ મળતી નથી
  • જ્યારે તમને ન ભાવતી રસોઇ કોઇ બનાવે છે
  • જ્યારે અન્યની સામે કોઇ તમને સાથ ન આપે
  • જ્યારે તમે ટી.વી. ઉપર કંઇ જોવા ઇચ્છતા હોવ અને તેઓ કંઇ બીજું જોવા ઇચ્છતા હોય
  • જ્યારે તમારે ન ગમતી વ્યક્તિ સાથે રહેવું પડે છે અથવા વ્યવહાર કરવો પડે છે
  • જ્યારે કોઇ નકામી વાતો કર્યા કરે છે અને મુદાની અગત્યની વાત કરતા નથી
  • જ્યારે કોઇ તમારા વિશે ગેરસમજ કરે છે
  • જ્યારે કોઇ તમારો લાભ અને ગેરલાભ ઉઠાવે છે
  • જ્યારે તમને એમ છે કે તમે બહુ સરસ કામ કર્યુ છે અને કોઇ તમારી નિંદા કરે છે
  • જ્યારે તમને ખુબ ભુખ લાગી હોય અને વધારાનું કામ કરવું પડે છે
  • જ્યારે તમારે બિનજરૂરી કાયદાઓ અને નિયમોનું પાલન કરવું પડે છે

આવા તો અસંખ્ય કારણો છે...

જૂદી જૂદી જગ્યાએ અસંખ્ય અથડામણો થાય અને મનની શાંતિ ગુમાવવી પડે તેના કરતાં તો શું શરૂઆતથી જ અથડામણને ટાળી દેવી એ જ સહેલો રસ્તો નથી? તેના માટે, તમારે અથડામણના સૂક્ષ્મ કારણો સમજવા જોઇએ, જે તમે ક્યારેય જાણ્યા નહિ હોય. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેને વિગતવાર સમજાવ્યા છે :

અથડાયા, આપણી જ ભૂલથી !

આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી. સામા તો અથડાવાનાં જ છે. 'તમે કેમ અથડાયા?' ત્યારે કહે, 'સામો અથડાયો એટલે.' તે તમે આંધળા અને એ આંધળો થઈ ગયો.

તો ચાલો જોઈએ શું કહે છે પરમ પૂજ્ય દાદા ભગવાન તેમના જ શબ્દોમાં:

પ્રશ્નકર્તા : અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય ? 

દાદાશ્રી : માથું ફૂટી જાય ! તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ? 

પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે. 

દાદાશ્રી : હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે 'એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !' પોતાની ભૂલ જડે એટલે ઉકેલ થઈ ગયો, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે 'સામાની ભૂલ છે' એવું ખોળવા જઈશું તો કોઈ દહાડોય આ પઝલ સોલ્વ નહીં થાય. 'આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે, બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે અને ઉપાયો કરવા, એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે, તો આપણે એમ કહેવું કે 'હું તો પહેલેથી જ વાંકો છું.' 

બુદ્ધિ જ સંસારમાં અથાડી મારે છે. અરે, એક બાયડીનું સાંભળીને ચાલે તોય પડતી આવે, અથડામણ થઈ જાય, તો આ તો બુદ્ધિબેન ! તેનું સાંભળે તો ક્યાંનો ક્યાંય ફેંકાય જાય ! અરે, રાત્રે બે વાગે ઉઠાડીને બુદ્ધિબેન અવળું દેખાડે. બૈરી તો અમુક વખત ભેગી થાય પણ બુદ્ધિબેન તો નિરંતર સાથે ને સાથે જ રહે. તે બુદ્ધિ તો 'ડીથ્રોન' (ફેંકાવી દે) કરાવે તેવી છે. 

અથડામણ સૂઝના અભાવથી 

કોઇ સમસ્યાનું સમાધાન ન મળવાના કારણે અથડામણ થાય છે. કંઇ એવું બને છે કે જેની સાથે આપણે વ્યવહાર કરવા સક્ષમ નથી હોતા અને આપણે ખૂબ આવેશમાં આવી જઇએ જેથી આપણી આસપાસના લોકો સાથે અથડામણ થઇ જાય છે. આમ, અથડામણનું મૂળ કારણ આપણી અજ્ઞાનતા જ છે. જો આપણે કોઇ સાથે અથડાઇએ છીએ તો તે આપણી જ અજ્ઞાનતાની નિશાની છે. 

ભીંત સાથે અથડાવું અને કોઇ સાથે મતભેદમાં ઊતરવું બન્ને સરખું જ છે. આ મૂળભૂત રીતે સરખી જ વસ્તુ છે. વ્યક્તિ ભીંત સાથે અથડાય છે કારણ કે તેને દેખાતું નથી તે જ રીતે વ્યક્તિ સાથે અથડામણમાં આવે છે કારણ કે તેને દેખાતું નથી. એક પોતાની સામે શું રહેલું છે તે જોઇ શકતું નથી તો એકને પોતાની સામે આવેલ પરિસ્થિતિનું શું સમાધાન છે તે દેખાતું નથી તેથી અથડાય છે. આ બધા શત્રુઓ – ક્રોધ-માન-માયા-લોભ આપણી સામે શું રહેલું છે તે જોઇ ન શકવાની ક્ષમતાને કારણે જ ઉદભવે છે. આ રીતે બધી સમજણ ગોઠવવી જોઇએ. અથડાઇએ છીએ તેમાં ભીંતનો કોઇ દોષ નથી જે વ્યક્તિને ઇજા થાય છે તેનો દોષ છે. અથડામણ થાય છે તે બધા માણસો ભીંત જેવા જ છે. જ્યારે તમે ભીંત સાથે અથડાવ છો ત્યારે શું તમે એવું વિચારો છો કે કોનો દોષ છે? શું તમે એવું સાબિત કરવા પણ મથો છો કે તમે સાચા જ છો? તમારે જેની જોડે અથડામણ થાય છે તે બધા માણસો ભીંત જેવાં જ છે તેવું વિચારવું જોઇએ. દરવાજા તરફ જોવું જોઇએ તો જ તમે અંધકારમાં પણ તમારો રસ્તો કાઢી શકશો. તમારે આ એક નિયમ નક્કી કરવાનો કે કોઇની જોડે અથડામણમાં આવવું નથી. 

પૂર્વજન્મનાં કર્મોનો હિસાબ 

અથડાવું એ કુદરતી છે. વ્યક્તિ જોડે પૂર્વજન્મના હિસાબ બંધાયેલ હોવાના કારણે અથડામણ થાય છે. જેની સાથે તમારે આવા હિસાબો નથી તેની સાથે અથડામણ ન થાય. તમારા પૂર્વજન્મના ઘર્ષણો ફરીથી ઘર્ષણ જન્માવે છે. ઘર્ષણ સંઘર્ષણને જન્માવે છે અને આ રીતે વધુ ને વધુ ઘર્ષણો થયા કરે છે. 

પણ જો અથડામણમાં સમજણથી વ્યવહાર કરવામાં આવે તો ખૂબ સારી આધ્યાત્મિક પ્રગતિ થઇ શકે છે. તે તમને ખૂબ ઉપર લઇ જશે. જેટલી અથડામણની તીવ્રતા વધુ તેટલું વ્ધુ ઉપર જઇ શકાશે. નદીના તીવ્ર પ્રવાહમાં પથ્થરો ઘસાઇ ઘસાઇને લીસા અને ગોળ થાય છે તે જ રીતે વ્યક્તિના જીવનમાં અથડામણો અને ઘર્ષણો થવાથી વ્યક્તિત્વને નિખારે છે.  

જો આ ઘર્ષણ ન થાય તો તમારો વિકાસ રૂંધાય છે. તેથી અથડામણ થાય તો નિરાશ થવાની જરૂર નથી, જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે પ્રતિક્રમણ કરો (માફી માગો). 

અથડામણ તો થશે જ. પરંતુ જેની સાથે અથડામણ થાય છે તેની સાથે ભેદ ન પડી જવો જોઇએ એ અગત્યનું છે. તમારે એ લક્ષમાં રાખવું જોઇએ કે ઘર્ષણથી અભેદતા તૂટી ના જાય. આ જ આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી છે.  

અથડામણ ટાળવા માટેનો તમારો સ્ટ્રોંગ નિશ્ચય હોવો જોઇએ. જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે તમારે તે વ્યક્તિની અંદર રહેલા શુધ્ધાત્મા પાસે માફી માગવી જોઇએ અને તે વ્યક્તિ સાથે સાચો મિત્રતાભર્યો વ્યવહાર રાખવો જોઇએ.  

તો પણ તે વ્યક્તિ સાથે તમારે ફરીથી અથડામણ થસે. તમારે ફરીથી પ્રતિક્રમણ કરવાના. આવી અથડામણો ચાલુ જ રહેશે, કારણકે તે કર્મોના ઘણા બધા પડ બંધાયેલા હશે, પરંતુ દરેક પ્રતિક્રમણથી અને તમારા ફરીથી ન અથડાવાના નિશ્ચયથી તે કર્મનું એક પડ જશે અને તમે મોક્ષના માર્ગે આગળ વધશો. એક દિવસ તમે તમામ અથડામણોથી મુક્ત થઇ જશો. 

અને જે વ્યક્તિ સાથે તમારે અથડામણ થઇ છે, તેનો દોષ જોવાઇ ગયો છે, અથવા તમારે ગંભીર મતભેદ તે વ્યક્તિ સાથે પડી ગયો છે તો તમારે તે બધા માટે અલગ પ્રતિક્રમણ કરવું જોઇએ., તમને બીજાનો દોષ દેખાયો તે જ તમારો દોષ છે તેવું સમજવું જોઇએ. કોઇ પણ જીવ પ્રત્યેનો જોયેલો એક નાનકડો દોષ પણ ખૂબ હાનિકારક છે. બન્ને તરફ તેનાથી નુકસાન જાય છે. જો કે તમે પ્રતિક્રમણ કરો છો તો તમારો દોષ ભૂંસાઇ જાય છે. તેથી જ્યારે પણ ઘર્ષણ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જેથી તેનો અંત આવશે. નહિતર તેના ખૂબ ભયંકર પરિણામો આવશે. 

બધી અથડામણનું મૂળ કારણ અજ્ઞાનતા

જ્યારે તમે ખરેખર કોણ છો તે સમજાય તો તમે બાહ્ય તેમજ આંતરિક શાંતિ મેળવી શકશો. તેથી કોઇપણ બાબત હોય, ‘તમારે’ અથડાવાનું નહિ. આમ, જ્યારે તમને તમારી જાતનું ખરું ભાન થશે, ત્યારે કોઇપણ પરિસ્થિતિ તમને ગૂંચવી નહિ શકે કે અસર નહિ કરી શકે. તમે સ્થિર રહી શકશો અને સમસ્યાનું સમાધાન મેળવી શકશો. ફક્ત જ્ઞાની પુરુષ જ આ અજ્ઞાનતાને દૂર કરી શકશે. 

×
Share on