Related Questions

દાનનાં કેટલાં અને ક્યાં પ્રકાર છે?

દાદાશ્રી: કેટલાં પ્રકારના દાન છે એવું જાણો છો તમે ? ચાર પ્રકારનાં દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન.

charity

પહેલું આહારદાન !

પહેલા પ્રકારનું દાન છે તે અન્નદાન. આ દાનને માટે તો એવું કહ્યું છે કે ભઈ, અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, 'કંઈક મને આપો, હું ભૂખ્યો છું.' ત્યારે કહીએ, 'બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.' એ આહારદાન. ત્યારે અક્કલવાળા શું કહે, આ તગડાને પણ અત્યારે ખવડાવશો પછી સાંજે તમે શી રીતે ખવડાવવાના હતા ? ત્યારે ભગવાન કહે છે, તું આવું ડહાપણ ના કરીશ. આ ભાઈએ ખવડાવ્યું તો આજનો દહાડો તો એ જીવશે. કાલે પછી એને જીવવા માટે કોઈ મળી આવશે. પછી કાલનો વિચાર આપણે નહીં કરવાનો. તમારે બીજી ભાંજગડ નહીં કરવાની કે કાલે એ શું કરશે ? એ તો કાલે એને મળી આવે પાછું. તમારે એમાં ચિંતા નહીં કરવાની કે કાયમ અપાય કે ના અપાય ?મારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો, જે કંઈ અપાય તે. આજ તો જીવતો રહ્યો, બસ ! પછી કાલે વળી એને બીજું કંઈ ઉદય હશે, તમારે ફિકર કરવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે ?

દાદાશ્રી : અન્નદાન સારું ગણાય છે. પણ અન્નદાન કેટલું આપે ? કંઈ કાયમને માટે આપે નહીં ને લોકો. એક ટંકેય ખવડાવે તો બહુ થઈ ગયું. બીજે ટંકે પાછું મળી રહેશે. પણ આજનો દિવસ, એક ટંકેય જીવતો રહ્યોને ! હવે એમાંય આ લોકો વધ્યું-ઘટ્યું આપે છે કે નવું બનાવીને આપે છે ?

પ્રશ્નકર્તા : વધેલું હોય તે જ આપે. પોતાની જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે ?

દાદાશ્રી : છતાં એનો સદ્ઉપયોગ કરે છે, મારા ભઈ ! પણ નવું બનાવીને આપે ત્યારે હું કહું કે કરેક્ટ છે. કંઈ વીતરાગોને ત્યાં કાયદા હશેને કે ગપ્પેગપ્પ ચાલશે ?

પ્રશ્નકર્તા : ના, ના, ગપ્પાં હોય ?!

દાદાશ્રી : વીતરાગને ત્યાં ના ચાલે, બીજે બધે ચાલે..

ઔષધદાન !

અને બીજું ઔષધદાન. એ આહારદાનથી ઉત્તમ ગણાય. ઔષધદાનથી શું થાય ? સાધારણ સ્થિતિનો માણસ હોય તે માંદો પડ્યો હોય ને દવાખાનામાં જાય એટલે ત્યાં આગળ કોઈ કહેશે કે, 'અરે, ડૉક્ટરે કહ્યું છે પણ દવા લાવવાના પચાસ રૂપિયા મારી પાસે નથી. એટલે દવા શી રીતે લાવું ? ત્યારે આપણે કહીએ કે 'આ પચાસ રૂપિયા દવાના અને દસ રૂપિયા બીજા. અગર તો ઔષધ આપણે મફત આપીએ ક્યાંકથી લાવીને. આપણે પૈસા ખર્ચીને ઔષધ લાવીને એને ફ્રી ઑફ કોસ્ટ (મફત) આપવું. તો એ ઔષધ કરે તો એ બિચારો કંઈ ચાર-છ વર્ષ જીવે. અન્નદાન કરતાં ઔષધદાનથી વધારે ફાયદો છે. સમજાયું તમને ? કયો ફાયદો વધારે ? અન્નદાન સારું કે ઔષધદાન ?

પ્રશ્નકર્તા : ઔષધદાન.

દાદાશ્રી : ઔષધદાનને આહારદાનથી વધારે કિંમતી ગણ્યું છે. કારણ કે એ બે મહિના ય જીવતો રાખે. માણસને વધુ ટાઈમ જરા જિવાડે. વેદનામાંથી થોડી ઘણી મુક્તિ કરે.

બાકી, અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાં-છોકરાં બધાં કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કંઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુખીયો માણસ આવ્યો, તેને જે તૈયાર હોય તે તરત આપી દેવું.

ઊંચું જ્ઞાનદાન !

પછી એનાથી આગળ જ્ઞાનદાન કહ્યું. જ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, લોકોને સમજણ પાડી સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય અગર તો મોક્ષે પણ જાય.

એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જ્યાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિનાં માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે.

પ્રશ્નકર્તા : પણ તે પૈસા વધ્યા હોય તો તેનું દાન તો કરેને ?

દાદાશ્રી : દાન એ ઉત્તમ. જ્યાં દુઃખ હોય ત્યાં દુઃખ ઓછાં કરો અને બીજું સન્માર્ગે વાપરવા. લોકો સન્માર્ગે જાય એવું જ્ઞાનદાન કરો. આ દુનિયામાં ઊંચું જ્ઞાનદાન ! તમે એક વાક્ય જાણો તો તમને કેટલો બધો લાભ થાય ! હવે એ પુસ્તક લોકોના હાથમાં જાય તો કેટલો બધો લાભ થાય !

પ્રશ્નકર્તા : હવે બરાબર સમજાયું.

દાદાશ્રી : હા, એટલે આ જેની પાસે પૈસા વધારે હોય તેણે જ્ઞાનદાન મુખ્ય કરવું જોઈએ.

હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી. એ તો સ્લીપ થયા કરે. એ વાંચે તો આનંદ તો થાય એમાં પણ નીચે અધોગતિમાં જયા કરે.

ઊંચામાં ઊંચું અભયદાન !

અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન.

પ્રશ્નકર્તા : અભયદાન જરા વધુ સમજાવો.

દાદાશ્રી : અભયદાન એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. એનો દાખલો આપું. હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં બાવીસ-પચ્ચીસ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બાર-સાડાબાર વાગેલા હોય. તે ચાલતો આવું એટલે પેલા બૂટ ખખડે. અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યુંને ?!

પ્રશ્નકર્તા : હા, એની ઊંઘમાં પણ વિક્ષેપ પડ્યોને ?

દાદાશ્રી : હા, પાછું તે ચમક્યું ને, તે એનો સ્વભાવ ના છોડે. પછી કોઈ ફેરો ભસેય ખરું, સ્વભાવ પડેલો છે. એટલે એનાં કરતાં ઊંઘવા દઈએ તો શું ખોટું ? તેમાં પોળવાળાને ના ભસે.

માટે અભયદાન, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવાં ભાવ પહેલાં રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે. પણ ભાવ જ ના કર્યા હોય તો ? એટલે આને મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. ઊંચામાં ઊંચું દાન જ આ છે પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં. માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું.

એટલે આ ચાર પ્રકાર સિવાય બીજું કોઈ પ્રકારનું દાન નથી એમ ભગવાને કહેલું છે. બીજાં બધાં તો દાનની વાત કરે છે એ બધી કલ્પનાઓ છે, આ ચાર પ્રકારનું જ દાન છે. આહારદાન, ઔષધદાન, પછી જ્ઞાનદાન અને અભયદાન. બનતાં સુધી અભયદાનની ભાવના મનમાં કરી રાખવી. 

×
Share on