Related Questions

બીજાને શા માટે મદદ કરવી?

પ્રશ્નકર્તા: હું જાણવા માંગતો હતો કે, આપણે શા માટે લોકોની સેવા કે મદદ કરવી જોઈએ? આ બાબતે આપ મને સલાહ આપો.

દાદાશ્રી: અને આ લાઈફ જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઈ જાતની તમને અડચણ નહીં આવે. તમારી જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે અને આમ કૂદાકૂદ કરશો તો એકેય ઈચ્છા પૂરી નહીં થાય. કારણ કે એ રીતે તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંઘી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની.

એટલે ઓબ્લાઈઝિંગ નેચર કર્યો કે રસ્તે જતાં જતાં, અહીં પાડોશમાં કો'કને પૂછતા જઈએ કે ભઈ, હું પોસ્ટ ઓફિસ જઉં છું, તમારે કંઈ કાગળ નાખવાના છે ? એમ પૂછતા પૂછતા જઈએ, શું વાંધો પણ ? કોઈ કહેશે, મને તારી પર વિશ્વાસ નહીં આવતો. ત્યારે કહીએ, ભઈ, પગે લાગીએ છીએ. પણ બીજાને વિશ્વાસ આવે છે તેને તો લઈ જઈએ.

આ તો મારો નાનપણનો ગુણ હતો તે હું કહું છું, ઓબ્લાઈઝિંગ નેચર અને પચ્ચીસ વર્ષે મારા બધા ફ્રેન્ડ સર્કલ મને સુપર હ્યુમન કહેતા'તા.

હ્યુમન કોને કહેવાય કે જે આપે-લે, સરખા ભાવે વ્યવહાર કરે. સુખ આપ્યું હોય તેને સુખ આપે, દુઃખ આપ્યું હોય તેને દુઃખ ન આપે, એવો બધો વ્યવહાર કરે એ મનુષ્યપણું કહેવાય.

એટલે જે સામાનું સુખ લઈ લે છે એ પાશવતામાં જાય છે. જે પોતે સુખ આપે છે ને સુખ લે છે એવો માનવ વ્યવહાર કરે છે એટલે મનુષ્યમાં રહે છે અને જે પોતાનું સુખ બીજાને ભોગવવાં આપી દે છે એ દેવગતિમાં જાય છે, સુપરહ્યુમન. પોતાનું સુખ બીજાને આપી દે, કોઈ દુઃખીયાને, એ દેવગતિમાં જાય.

×
Share on