જ્ઞાનવિધિ શું છે ?
પ્રશ્નકર્તા : આપકી જ્ઞાનવિધિ ક્યા હૈ ?
દાદાશ્રી : જ્ઞાનવિધિ તો સેપરેશન (છૂટું પાડવું) પુદ્ગલ અને આત્માનું ! શુદ્ધ ચેતન અને પુદ્ગલ, બેનું સેપરેશન.
પ્રશ્નકર્તા : યે સિધ્ધાંત તો ઠીક હી હૈ લેકીન ઉસકી પદ્ધતિ ક્યા હૈ ?
દાદાશ્રી : આપવાનું એવું કશું હોતું નથી, અહીં બેસીને આ જેમ છે એમ બોલવાની જરૂર છે ('હું કોણ છું' એનું ભાન, જ્ઞાન કરાવવાનો બે કલાકનો જ્ઞાન-પ્રયોગ હોય છે. તેમાં પછી અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માનાં ભેદ પાડનારાં ભેદવિજ્ઞાનનાં વાક્યો બોલાવવામાં આવે છે. હવે તે બધાએ બોલવાના હોય છે. ત્યાર બાદ એક કલાક 'પાંચ આજ્ઞાઓ' દાખલા સાથે વિગતવાર સમજાવવામાં આવે છે, જે હવેે પછીનું જીવન કેવી રીતે પસાર કરવું કે જેથી નવાં કર્મો બંધાય નહી, જૂના કર્મો સંપૂર્ણ પૂરાં થાય ને સાથે સાથે 'હું શુધ્ધાત્મા છું'નું લક્ષ કાયમ રહ્યાં કરે !)
જરૂર, ગુરુની ? જ્ઞાનીની ?
પ્રશ્નકર્તા : દાદા મળ્યા પહેલાં કોઈને ગુરુ માન્યા હોય તો ? તો એણે શું કરવું ?
દાદાશ્રી : તો એમને ત્યાં જવાનું ને ! અને ના જવું હોય તો જવું એવું ફરજિયાત નથી. આપણે જવું હોય તો જવાનું અને ના જવું હોય તો ના જવું. એમને દુઃખ ના થાય એટલા માટે ય જવું જોઈએ. આપણે વિનય રાખવો જોઈએ. અહીં આગળ 'જ્ઞાન' લેતી વખતે મને કો'ક પૂછે કે, 'હવે હું ગુરુ છોડી દઉ ?' ત્યારે હું કહું કે 'ના છોડીશ અલ્યા. એ ગુરુના પ્રતાપે તો અહીં સુધી આવ્યો છે.' ગુરુને લઈને માણસ કંઈક મર્યાદામાં રહી શકે. ગુરુ ના હોયને, તો મર્યાદા ય ના હોય અને ગુરુને કહેવાય કે 'મને જ્ઞાની પુરુષ મળ્યા છે. એમના દર્શન કરવા જાઉ છું.' કેટલાક માણસો તો તેમના ગુરુને મારી પાસે હઉ તેડી લાવે છે. કારણ કે ગુરુને પણ મોક્ષ જોઇતો હોય ને ! સંસારનું જ્ઞાને ય ગુરુ વગર થાય નહીં અને મોક્ષનું જ્ઞાનેય ગુરુ વગર થાય નહી. વ્યવહારના ગુરુ વ્યવહાર માટે છે અને જ્ઞાની પુરુષ નિશ્ચયને માટે છે. વ્યવહાર રિલેટિવ છે અને નિશ્ચય રિયલ છે. રિલેટિવ માટે ગુરુ જોઈએ અને રિયલ માટે જ્ઞાની પુરુષ જોઈએ.