આત્મજ્ઞાન: શાશ્વત સુખનું પ્રવેશદ્વાર

પોતે જ શાશ્વત સુખનું ધામ છે, છતાં, દુન્યવી વસ્તુઓમાંથી સુખને શોધવા માટે ફાંફાં મારી રહ્યા છીએ! જ્યાં સુધી હકીકતમાં “પોતે કોણ છે” તે જાણ્યું નહીં, ત્યાં સુધી બધું જ ક્ષણભંગુર અને વિનાશી છે. જયારે ‘પોતે’ ખરા અર્થમાં કોણ છે, તેનું ભાન થાય છે, ત્યારે શાશ્વત સુખને પામી શકાય છે.

આત્મજ્ઞાન એટલે ‘પોતે’ ખરેખર કોણ છે, તેને જાણવું.

શું તમને ખબર છે, કે હકીકતમાં તમે પોતે કોણ છો? શું તમે ખરેખર ‘ચંદુ’ છો કે ‘ચંદુ’ તમારું નામ છે?

તમારા નામને જ તમારી ઓળખાણ માનવામાં આવે છે! પરંતુ શું તમારા સ્કુલના મિત્રો તમને ચંદુ કે ચંદુલાલના નામથી નથી બોલાવતા? તમારા માતા-પિતા તેમનો પ્રેમ તેમની આગવી રીતે વ્યક્ત કરે છે અને તમારી પત્ની પણ તમને અલગ રીતે બોલાવે છે. તમે તમારા નામને કાયદાકીય પદ્ધતિથી બદલી પણ શકો છો. પણ શું તમારું નામ બદલાવાથી તમે પણ બદલાઈ જાઓ છો? શું નામ બદલવાથી તમારું અસ્તિત્વ બદલાય છે? ના!

તો પછી ખરેખર તમે કોણ છો? તમારી સાચી ઓળખ શું છે?

ચાલો, આ પ્રશ્નને હવે બીજી રીતે જોઈએ. તમે કહો છો, કે ‘મારું માથું’, ‘મારું શરીર’, ‘મારા પગ’, ‘મારી આંખો’, ‘મારા કાન’ પરંતુ તમે એમ નથી કહેતા, કે ‘હું માથું છું’, ‘હું શરીર છું’ વગેરે. એનો અર્થ એ થયો કે શરીર અને શરીરના અંગો વગેરે બધું ‘મારા’માં જાય છે. એવી જ રીતે, તમે એમ કહો છો, કે ‘મારી ઘડિયાળ’, ‘મારા ચશ્મા’, ‘મારું ઘર.’ તમે એમ નથી કહેતા, કે ‘હું ઘડિયાળ છું’, ‘હું ચશ્માં છું’ વગેરે, એનો અર્થ એમ થાય, કે તમારી માલિકીની વસ્તુઓ પણ ‘મારા’માં જાય છે. તો પછી આ બધું જે ‘મારા’માં જાય છે, તો તેનો માલિક કોણ છે? ‘મારા’માં આવતી તમામ વસ્તુઓને બાજુ પર રાખીને, તમારી પાસે ફક્ત માલિકીવાળો - "હું" બાકી રહે છે. તે "હું" ને ચોક્કસપણે સમજવાની જરૂર છે અને તે આત્મજ્ઞાન થવાથી પ્રાપ્ત થશે.

 

"પોતે 'પોતાના' સેલ્ફને સમજે તો પોતે જ પરમાત્મા છે!"

- દાદા ભગવાન

જ્ઞાની પુરુષ દ્વારા જાણો ‘હું કોણ છું’

જેમ સોનાને બીજી ધાતુઓથી જુદું પાડવા માટે સોનીની જરૂર પડે છે, તેવી જ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જ્ઞાની પુરુષની આવશ્યકતા છે. જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાનવિધિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી શકાય છે.

આત્મજ્ઞાનનો અનુભવ કેવી રીતે કરવો: જ્ઞાનવિધિ, ભેદજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રયોગમાં સહભાગી થઈને

જ્ઞાનવિધિ એ અક્રમ વિજ્ઞાનનો, બે કલાકનો એક અનોખો પ્રયોગ છે. જેમાં પહેલી ૪૮ મિનિટમાં જ્ઞાની પુરુષ દ્વારા વાક્યો બોલાવવામાં આવે છે આવે છે, જે મુમુક્ષુઓએ તેમની પાછળ બોલવાના હોય છે. આને “ભેદવિજ્ઞાન” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા થકી આત્મા એ અનાત્માથી જુદો પડી જાય છે. ત્યારબાદ, જ્ઞાનવિધિમાં પાંચ આજ્ઞાની સમજ વ્યવહારિક ઉદાહરણો દ્વારા આપવામાં આવે છે. આ પાંચ આજ્ઞા આત્માનુભવને પોષણ અને રક્ષણ આપનારી છે અને તે સમતા અને શાંતિથી જીવન જીવવામાં મદદરૂપ થાય છે.

જ્ઞાનવિધિ માટે મુમુક્ષુએ પોતે હાજર રહેવું જરૂરી છે. શું તમે એક કાગળના દીવાથી બીજા દીવાને પ્રગટાવી શકો? ના! એના માટે તો પ્રગટેલા દીવાની જરૂર પડે. એવી જ રીતે, સ્વરુપ જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાની પુરુષની હાજરી પણ અત્યંત જરૂરી છે.

જ્ઞાનવિધિનો લાભ અઢાર વર્ષથી ઉપરની વયની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. જ્ઞાનવિધિ એ સહુને માટે અમૂલ્ય ભેટ સમાન છે, એનું મૂલ્ય શી રીતે હોઈ શકે? માટે આ જ્ઞાનવિધિ નિ:શુલ્ક છે, તથા અહીં પોતાના ધર્મ કે ગુરુને બદલવાની કોઈ જરૂર નથી. આ જ્ઞાન ધર્મ, જાતિ અને સામાજિક હોદ્દાઓથી પર અને દરેક માટે સમાન છે.

આ અમૂલ્ય અનુભવ કરવા માટે ફક્ત પરમ વિનય અને ખુલ્લા હૃદયની જ જરૂર છે.

close

જ્ઞાનવિધિની માહિતી

જ્ઞાનવિધિ એ અક્રમ વિજ્ઞાનનો બે કલાકનો એક અનોખો પ્રયોગ છે. એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં દેહ અને આત્મા જુદા છે, એવું અનુભવમાં આવે છે.

play

જ્ઞાનવિધિ બાદ: આત્મજ્ઞાન પ્રાપ્તિના લક્ષણો કયાં છે?

“આત્મા પ્રાપ્ત થયાની નિશાની શી? ત્યારે કહે, જાગૃતિ, નિરંતર જાગૃતિ.”

~દાદા ભગવાન

જ્ઞાનવિધિ પ્રાપ્ત થયા બાદ, ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ બેસે છે, અને એની જાગૃતિની શરૂઆત થાય છે.

  • હકીકતમાં “કર્તા કોણ છે”, એની સાચી સમજણ પ્રાપ્ત થવાથી બધી ચિંતાઓ મટી જાય છે અને પ્રતિકુળ સંજોગોમાં પણ સ્થિર રહી શકાય છે.
  • ક્રોધ, માન, માયા અને લોભની આંતરિક નબળાઈઓ ધીમે ધીમે ઘટે છે અને આત્માનો આનંદ વધે છે.
  • અક્રમ વિજ્ઞાનની વૈજ્ઞાનિક સમજણથી, જીવમાત્ર પ્રત્યે શાશ્વત સુખ, શાંતિ અને અભેદતાની શરૂઆત થાય છે.
  • આખું જગત સુખ-શાંતિને પામે, મોક્ષને પામે, એ ભાવ સાથે જીવમાત્ર પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમની શરૂઆત થાય છે.
  • જીવમાત્ર સાથે અભેદતાની લાગણી લાગણી વધે છે કારણ કે, ‘આત્મા’ તો બધામાં સરખો જ છે.

જ્ઞાનવિધિના અનુભવો

લાખો લોકોએ આ આત્મજ્ઞાનનો અનુભવ કર્યો છે અને આત્માની જાગૃતિમાં રહીને જીવન વ્યવહારની ફરજો પૂરી કરે છે.

જ્ઞાનવિધિ માટેનું ફોર્મ

આપ જ્ઞાનવિધિમાં ભાગ લેવા ઈચ્છો છો? તો આપ આ ફોર્મ ભરીને આપના નજીકના સ્થળે યોજાનારી આગામી જ્ઞાનવિધિની માહિતી મેળવી શકો છો.

×
Share on