જીવનમાં સમજીને દરેક પ્રસંગે આપણે જાતે જ સામાને એડજસ્ટ નહિ થઈ જઈએ તો ભયંકર અથડામણ થયા જ કરશે. જીવન વિષમય જશે અને અંતે તો જગત મારી-ઠોકીને ય એડજસ્ટમેન્ટ આપણી પાસેથી લેવડાવશે જ ! મને-કમને એડજસ્ટ થવું જ પડવાનું છે જ્યાં-ત્યાં આપણે સામે ચાલીને, તો સમજીને કેમ ના એડજસ્ટ થવું કે જેથી કેટલીય અથડામણો ટાળી શકાશે ! ને સુખ-શાંતિ સ્થપાશે !
Life is nothing but adjustment .(જીવન એડજસ્ટમેન્ટ સિવાય કશું જ નથી !) જન્મ્યા ત્યાંથી જ મરતાં સુધી એડજસ્ટમેન્ટ લેવાં પડે ! પછી રડીને લો કે હસીને !મા-બાપ અને છોકરાં સાથે તો ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ શું નથી લેવાં પડતાં ? જો સમજીને એડજસ્ટ થઈ જાય તો શાંતિ રહે ને કર્મ ના બાંધે. કુટુંબમાં, ફ્રેન્ડસ્માં, ધંધામાં, બધે જ, બોસ જોડે કે વેપારી કે દલાલ જોડે કે તેજી-મંદીના વાયરાઓ જોડે આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ તો કેટલાં દુઃખના ડુંગરો ખડકાય ?
માટે 'એડજસ્ટ એવરીવ્હેર'ની માસ્ટર કી લઈને જે જીવે, તેને જીવનમાં કોઈ તાળું ના ખૂલે એવું ના બને ! જ્ઞાની પુરુષ પૂજ્ય દાદાશ્રીનું સોનેરી સૂત્ર જીવનમાં 'એડજસ્ટ એવરીવ્હેર' કરી દઈએ તો સંસાર સુખમય જાય !
પ્રશ્નકર્તા : હવે તો જીવનમાં શાંતિનો સરળ માર્ગ જોઈએ છે.
દાદાશ્રી : એક જ શબ્દ જીવનમાં ઉતારશો ? ઉતારશો, બરોબર એક્ઝેક્ટ ?
પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ, હા
દાદાશ્રી : 'એડજસ્ટ એવરીવ્હેર' આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલાં રીએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે 'એડજસ્ટ એવરીવ્હેર' ! આ કળિયુગનાં આવાં ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવને, તો ખલાસ થઈ જશો !
ંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ 'એડજસ્ટ' થતાં તો આવડવું જ જોઈએ. સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે, ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. 'એડજસ્ટ એવરીવ્હેર.' દરેક જોડે 'એડજસ્ટમેન્ટ' થાય, એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે 'એડજસ્ટ' થયા વગર કેમ ચાલે?
સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. ત્યારે આ ઘૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઈને મરી જઈશ ! જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ ય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને 'તું ખોટો છે' એવું ના કહીએ. કારણ કે એનો એ 'વ્યુ પોઈન્ટ' છે. ત્યારે લોક એને 'નાલાયક' કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી ? 'સાવ જુઠ્ઠો કેસ જિતાડી આપીશ' એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદ્દન જુઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનું ય ચાલે છે ને ? કોઈને ય અમે ખોટો ના કહીએ. એ એના 'વ્યુ પોઈન્ટ'થી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે, તેનું ફળ તને શું આવશે.
છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે, આવું કંઈથી લઈ આવ્યો ? એના કરતાં એડજસ્ટ થઈએ કે, આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાંની આવી ? બહુ સસ્તી મળી ? આમ એડજસ્ટ થઈ જઈએ.
આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે 'આ ચાદર મેલી છે' પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિયજ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.
મોટામાં મોટું દુઃખ શેનું છે ? 'ડિસ્એડજસ્ટમેન્ટ'નું, ત્યાં 'એડજસ્ટ એવરીવ્હેર' કરે તો શું વાંધો છે ?
દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ (સિધ્ધાંત) હોવાં જ જોઈએ. છતાં ય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય, તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે.
પ્રશ્નકર્તા : 'એડજસ્ટમેન્ટ'ની વાત છે, એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં સુધી એડજસ્ટમેન્ટમાં આવવું ?
દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. 'દાદા'નું 'એડજસ્ટમેન્ટ'નું વિજ્ઞાન છે. અજાયબ 'એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં 'એડજસ્ટ' નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ?! આ 'ડિસ્એડજસ્ટમેન્ટ' એ જ મૂર્ખાઈ છે. 'એડજસ્ટમેન્ટ'ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દૂરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચઢે, એનાથી ચઢાવીએ. છેવટે ગટરના પાણીએ પણ ચઢાવીએ !!
સંસારમાં બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તો વાંધો નથી. પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ. એટલે કામ કાઢી લેવા જેવું છે
આપણી વાત સામાને 'એડજસ્ટ' થવી જ જોઈએ. આપણી વાત સામાને 'એડજસ્ટ' ના થાય તો તે આપણી જ ભૂલ છે. ભૂલ ભાંગે તો 'એડજસ્ટ' થાય. વીતરાગોની વાત 'એવરીવ્હેર એડજસ્ટમેન્
આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને 'જ્ઞાની' થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ.
તારા 'રિવોલ્યુશનો' અઢારસોના હોય ને સામાના છસોના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે, તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવા પડે.
પ્રશ્નકર્તા : 'રિવોલ્યુશન' એટલે શું ?
દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે, તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલું ય દેખાડી દે, એના બધા પર્યાયો 'એટ એ ટાઈમ' દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો 'રિવોલ્યુશન' ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ 'રિવોલ્યુશન' ફરતા !
આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી વાઈફને સો 'રિવોલ્યુશન' હોય ને તમારા પાંચસો 'રિવોલ્યુશન' હોય અને તમને વચ્ચે 'કાઉન્ટરપુલી' નાખતાં આવડે નહીં એટલે તણખાં ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો એન્જિન હઉ તૂટી જાય. 'રિવોલ્યુશન' સમજ્યા તમે? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એનાં 'રિવોલ્યુશન' પચાસ હોય ને તમારા પાંચસો હોય. કોઈને હજાર હોય, કોઈને બારસો હોય. જેવું જેનું 'ડેવલપમેન્ટ' હોય, તે પ્રમાણે 'રિવોલ્યુશન' હોય. વચ્ચે 'કાઉન્ટરપુલી' નાખો તો જ એને તમારી વાત પહોંચે. 'કાઉન્ટરપુલી' એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારા 'રિવોલ્યુશન' ઘટાડી નાખવા પડે. હું દરેક માણસની જોડે 'કાઉન્ટરપુલી' નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી. કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઈના આટલાં જ 'રિવોલ્યુશન' છે. એટલે તે પ્રમાણે હું 'કાઉન્ટરપુલી' ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ 'રિવોલ્યુશન' ગોઠવી દઈએ, એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય.
પ્રશ્નકર્તા : કોઈ પણ સામાના લેવલ ઉપર આવે તો જ વાત થાય ?
દાદાશ્રી : હા, એના ' રિવોલ્યુશન' પર આવે તો જ વાત થાય . આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં 'રિવોલ્યુશન' ક્યાંના ક્યાંય જઈ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! 'કાઉન્ટરપુલી' તમને નાખતાં ના આવડે, તેમાં ઓછાં 'રિવોલ્યુશન'વાળા એન્જિનનો શો દોષ? એ તો તમારો દોષ કે 'કાઉન્ટરપુલી' નાખતાં ના આવડી !
પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું છે, તો 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને ?
દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશીય કહે કે, 'બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.
સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં, આપણે એને 'ફીટ' થઈએ તો આ દુનિયા સરસ છે અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર' ! આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે 'એડજસ્ટમેન્ટ' એક જ વાત પર લેવાનું હોય, તો તે વખતે બધે શી રીતે પહોંચી વળાય ?
દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તો ય લઈ શકાય. એક પૂછે, 'મારું શું કયુર્ં ?' ત્યારે કહીએ, 'હા, બા. તારા કહ્યા પ્રમાણે કરીશું.' બીજાને ય એમ કહીએ, 'તમે કહેશો તેમ કરીશું.' 'વ્યવસ્થિત'ની બહાર થવાનું નથી. માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો. મુખ્ય વસ્તુ 'એડજસ્ટમેન્ટ' છે. 'હા'થી મુક્તિ છે. આપણે 'હા' કહ્યું તો પણ 'વ્યવસ્થિત'ની બહાર કંઈ થવાનું છે ? પણ 'ના' કહ્યું તો મહા ઉપાધિ !
ઘરનાં ધણી-ધણીયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે 'એડજસ્ટ' થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે 'એડજસ્ટ' થઈ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો હતો. પણ તે બીજાને નહોતો કહેતો, પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી 'એડજસ્ટ' કર્યું ! એવું 'એડજસ્ટ' થઈએ તો ઉકેલ આવે. આ 'એડજસ્ટ એવરીવ્હેર' નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો, તેથી જ ગાંડા થયા. આ કૂતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરુ રાખે પણ પછી તો બહુ છંછેડ છંછેડ કરીએ તો એ ય બચકું ભરી લે. એ ય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં, 'એડજસ્ટ એવરીવ્હેર.'
જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી, એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું, એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો, તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ 'એડજસ્ટમેન્ટ' આવડે, એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. આ બહારવટિયા મળી જાય તેની જોડે 'ડિસ્એડજસ્ટ' થઈએ તો એ મારે. એનાં કરતાં આપણે નક્કી કરીએ કે એને 'એડજસ્ટ' થઈને કામ લેવું છે. પછી એને પૂછીએ કે, 'ભઈ, તારી શી ઈચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ.' તેને એડજસ્ટ થઈ જઈએ.
એટલે એડજસ્ટ થતાં ના આવડે એ માણસને માણસ કેમ કહેવાય ? સંજોગોને વશ થઈને એડજસ્ટ થઈ જાય, એ ઘરમાં કશું ય ભાંજગડ ના થાય. અમે ય હીરાબાને એડજસ્ટ થતાં જ આવ્યા હતા ને ! એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભે ય કોઈ વસ્તુનો નહીં અને વેર બાંધશે તે જુદું ! કારણ કે જીવ સ્વતંત્ર છે દરેક અને પોતે સુખ ખોળવા આવ્યા છે. બીજાને આપવા એ આવ્યો નથી. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય.
પ્રશ્નકર્તા : સુખ ખોળવા આવે તો દુઃખ મળે એટલે પછી વેર બાંધે ?
દાદાશ્રી : હા, એ તો પછી ભઈ હોય કે બાપા હોય પણ મહીં અંદરખાને વેર બાંધે એનું. આ દુનિયા આવી બધી. આ વેર જ બાંધે ! સ્વધર્મમાં વેર કોઈની જોડે ના થાય.
વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવું, તેને આ કાળમાં જ્ઞાન કહ્યું છે. હા, એડજસ્ટમેન્ટ લેવું. તૂટતું હોય એડજસ્ટમેન્ટ તો ય એડજસ્ટ કરી લેવું. આપણે એની જોડે ખરાબ બોલી ગયાં. હવે, બોલી જવું એ આપણા હાથની વાત નથી. તમારાથી બોલી જવાય કે ના બોલી જવાય, કોઈ ફેરો ? બોલી ગયા, પણ પછી તરત જ આપણને ખબર પડે ભૂલ થઈ. ખબર તો પડ્યા વગર ના રહે, પણ તે વખતે પાછાં આપણે એડજસ્ટ કરવાં જતાં નથી એ, પછી એને તરત જ જઈને કહેવાનું કે, 'ભઈ, મારાથી તો તે ઘડીએ ખરાબ આવું બોલી જવાયું, ભૂલ થઈ ગઈ. માટે માફ કરજે !' એટલે એડજસ્ટ થઈ ગયું. વાંધો ખરો એમાં ?
પ્રશ્નકર્તા : ના, કશો વાંધો નહીં.
'ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ.' સામાને 'સેટલમેન્ટ' લેવા કહેવાનું, 'તમે આમ કરો, તેમ કરો.' એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય? સામાની સો ભૂલ હોય તો ય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં 'લૉ' (કાયદો) તો જોવાતો હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઈ ગયેલાં છે !! ઘેર જાય તો વાઈફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઈએ ને ? કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે ઓહોહો, આને કેટલો બધો અકળાટ હશે, તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે.
પ્રશ્નકર્તા : એ એડજસ્ટ કેવી રીતે થવું, એ જરા સમજાવો.
દાદાશ્રી : હવે વાઈફ સામી થઈ, આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું, અવળું-સવળું બોલવા માંડી, 'આટલાં મોડાં આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ', એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે 'હા, આ વાત ખરી છે તારી, તું કહેતી હોય તો પાછો જઉં, નહીં તો તું કહેતી હોય તો મહીં બેસું.' ત્યારે કહે, 'ના પાછાં ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના !' પણ પછી કહીએ, 'તું કહું તો ખાઉં, નહીં તો હું તો સૂઈ જાઉં.' ત્યારે કહે, 'ના, ખઈ લો.' એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફળાવી ઉપરથી, તો ચાનો કપ છણકો મારી આપે, તે ત્રણ દા'ડા સુધી ચાલ્યા જ કરે.
આ વાઈફે જમવાનું બનાવ્યું હોય, તેમાં ભૂલ કાઢવી એ બ્લન્ડર્સ . ના કઢાય એવું . જાણે પોતે ભૂલ ના કરતો હોય એવી વાત કરે છે ! હાઉ ટુ એડજસ્ટ ? એડજસ્ટમેન્ટ લેવું જોઈએ . જેની સાથે રહેવાનું કાયમ એની સાથે એડજસ્ટમેન્ટ ના લેવું જોઈએ ? આપણા થકી કોઈને દુઃખ થાય એ ભગવાન મહાવીરનો ધર્મ કેમ કહેવાય તે ? અને ઘરના માણસને તો અવશ્ય દુઃખ ના થવું જોઈએ .
વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે 'એડજસ્ટ એવરીવ્હેર' થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો . મતભેદ ના પાડવા ! એટલે મેં શબ્દ આપ્યો છે અત્યારે લોકોને, 'એડજસ્ટ એવરીવ્હેર' ! એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે એડજસ્ટમેન્ટ દાદાએ કહ્યું છે, એ કઢી થોડી પછી ખઈ લેવી . હા , કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં, ઘરમાં ઝઘડો ના હોય ! પોતે મુશ્કેલીમાં , કોઈ જગ્યાએ મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું 'એડજસ્ટમેન્ટ' કરી લે તો ય સંસાર રૂપાળો લાગે .
પ્રશ્નકર્તા : હું 'વાઈફ' જોડે બહુ 'એડજસ્ટ' થવા જાઉં છું, પણ થવાતું નથી.
દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું 'કાઉન્ટર વેઈટ' છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી એટલે તો અમે બધું 'વ્યવસ્થિત' છે, એવું કહ્યું છે ને ?
પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે.
દાદાશ્રી : તે સીધા કરવા જ જોઈએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી.
વાઈફ એ શું વસ્તુ છે ?
પ્રશ્નકર્તા : આપ કહો.
દાદાશ્રી : વાઈફ ઈઝ ધી કાઉન્ટર વેઈટ ઓફ મેન. એ જો કાઉન્ટર વેઈટ ના હોય તો ગબડી પડે માણસ.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : આ ઈન્જીનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે, નહીં તો ઈન્જીન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેઈટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણું ય હોય નહીં, આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. નહીં તો આ આવે કે ?!
પ્રશ્નકર્તા : ના આવે.
દાદાશ્રી : એ કાઉન્ટર વેઈટ છે એનું.
પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે-ના સમજે એ એનો પુરુષાર્થ ?
દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, 'દાદા ભગવાન ! આને સદ્બુદ્ધિ આપજો.' આટલું કહેવું પડે. કંઈ એને અધ્ધર ના લટકાવાય, ગપ્પું નથી. આ 'દાદા'નું 'એડજસ્ટમેન્ટ'નું વિજ્ઞાન છે, અજાયબ 'એડજસ્ટમેન્ટ' છે આ અને જ્યાં 'એડજસ્ટ' નહીં થાય, ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ? આ 'ડિસ્એડજસ્ટમેન્ટ' એ જ મૂર્ખાઈ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો 'પોઈઝન' પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દો ને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે !! માટે બીબી કહે છે કે, 'તમે નાલાયક છો.' તો કહેવું 'બહુ સારું.'
પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભાં થવાનું કારણ શું ? સ્વભાવ ના મળે તેથી ?
દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ 'જ્ઞાન' મળે તેનો એક જ રસ્તો છે, 'એડજસ્ટ એવરીવ્હેર'! કોઈ તને મારે તો ય તારે તેને 'એડજસ્ટ' થઈ જવાનું.
અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય તેટલાં પૂરતું આપણે 'એડજસ્ટ' થવાનું. ઘરમાં વાઈફ જોડે ઝઘડો થયો હોય તો, ઝઘડો થયા પછી વાઈફને હોટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.
જગતની કોઈ વસ્તુ આપણને ફીટ થાય નહીં. આપણે એને ફીટ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને ફીટ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે એડજસ્ટ એવરીવ્હેર. આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી.
અથડામણ ટાળો' આટલું જ વાક્ય જો જીવનમાં સીધેસીધું ઊતરી ગયું, તેનો સંસાર તો રૂપાળો થશે જ પણ સીધો સડસડાટ મોક્ષ પણ સામે ચાલીને આવશે! આ નિર્વિવાદ વાક્ય છે !
અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય દાદાશ્રીએ આપેલાં આ સૂત્રને અપનાવી કેટલાંય લોકો તરી ગયાં ! જીવન સુખ-શાંતિમય થયાં ને મોક્ષના રાહી બની ગયા ! આ માટે માત્ર દરેકે દ્રઢ નિશ્ચય કરવાનો છે કે 'મારે કોઈની ય અથડામણમાં આવવું નથી. સામો ખૂબ અથડાવા ફરે તો ય મારે અથડાવું નથી જ, ગમે તે રીતે.' બસ, આટલો જ નિશ્ચય જેનો થશે, એને કુદરતી રીતે અંદરથી જ સૂઝ પડવા માંડશે, અથડામણ ટાળવાની !
રાત્રે અંધારામાં રૂમમાંથી બહાર નીકળવું હોય ને સામી ભીંત આવે તો આપણે શું કરીએ ? ભીંતને લાત મારીને કહીએ કે 'તું વચ્ચે ક્યાં આવી ? ખસી જા, આ મારું ઘર છે ?!' ત્યાં તો કેવાં ડાહ્યા થઈને આંધળાની જેમ હાથથી બારણું ફંફોળતા શોધીને નીકળી જઈએ છીએ. કેમ ? તો ત્યાં સમજણ છે કે આડાઈ કરીશ તો ભીંતે માથું અથડાશે ને ફૂટશે !
સાંકડી શેરીમાંથી રાજા પસાર થતો હોય ને સામો આખલો મારફાડ કરતો આવે, ત્યાં રાજા આખલાને શું એમ કહે કે, 'ખસી જા, મારું રાજ છે, મારી શેરી છે. મને રસ્તો આપ ?!' ત્યાં તો આખલો સામો શું કહે, 'તું રાજા, તો હું મહારાજા ! આવી જા !' એટલે ત્યાં ભલભલા રાજાના ય રાજાને ધીમે રહીને ખસી જવું પડે ને ઓટલે ચઢી જવું પડે. કેમ ? અથડામણ ટાળવા.
આ સાદી વાત પરથી એટલું જ સમજીને નક્કી કરવાનું કે જે કોઈ આપણને અથડાવા આવે, તે ભીંત ને આખલા જેવાં જ છે. માટે આપણે અથડામણ ટાળવી હોય તો ડાહ્યા થઈને ખસી જાવ ! જ્યાં ને ત્યાં અથડામણ સામે આવે તો તેને ટાળજો ! જીવન નિષ્ક્લેશમય જશે ને મોક્ષ થશે.
'કોઈની ય અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે.'આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોંચીશ. તારી ભક્તિ અને અમારું વચનબળ બધું જ કામ કરી આપે. સામાની તૈયારી જોઈએ. અમારું એક જ વાક્ય જો કોઈ પાળે તો તે મોક્ષે જ જાય. અરે, અમારો એક શબ્દ 'જેમ છે તેમ' આખો જ ગળી જાય તો ય મોક્ષ હાથમાં આવી જાય તેમ છે. પણ એને 'જેમ છે તેમ' ગળી જા.
અમારો એક શબ્દ એક દહાડો પાળે તો ગજબની શક્તિ ઉત્પન્ન થાય ! અંદર એટલી બધી શક્તિઓ છે કે ગમે તેવી અથડામણ કોઈ નાખી જાય તો ય તે ટાળી શકાય. જે જાણી-જોઈને ખાઈમાં પડવાની તૈયારીમાં છે, એવાંની જોડે અથડામણમાં બેસી રહેવું છે ? એ તો ક્યારે ય મોક્ષે નહીં જાય પણ તને ય એની જોડે બેસાડી રાખશે. અલ્યા, એ ક્યાંથી પોસાય ? જો તારે મોક્ષે જ જવું હોય તો આવાં જોડે બહુ દોઢડાહ્યા ય નહીં થવાનું. બધી જ બાજુથી ચોગરદમથી સાચવવાનું, નહીં તો તમારે આ જંજાળમાંથી છૂટવું હશે તો ય જગત, નહીં છૂટવા દે. માટે ઘર્ષણ ઉત્પન્ન કર્યા વગર 'સ્મૂથલી' બહાર નીકળી જવાનું છે. અરે, અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે જો તારું ધોતિયું ઝાંખરામાં ભરાયું હોય ને તારી મોક્ષની ગાડી ઊપડતી હોય તો મૂઆ ધોતિયું છોડાવવા ના બેસી રહીશ ! ધોતિયું મૂકીને દોડી જજે. અરે, એક ક્ષણ પણ એકેય અવસ્થામાં ચોંટી રહેવા જેવું નથી. તો પછી બીજા બધાની તો વાત જ શી કરવી ? જ્યાં તું ચોંટ્યો એટલે તું સ્વરૂપને ભૂલ્યો.
જો ભૂલેચકેય તું કોઈની અથડામણમાં આવી ગયો, તો તેનો નિકાલ કરી નાખજે. સહજ રીતે એ અથડામણમાંથી ઘર્ષણની ચકમક ઉડાડ્યા વગર નીકળી જજે.
આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. માટે અથડામણ ટાળો. અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ ક્હ્યું છે. દરેક માણસ, અરે, જીવમાત્ર વેર રાખે. વધું પડતું થયું કે વેર રાખ્યા વગરે રહે નહીં. તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે. આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું !
કોઈ માણસ બહુ બોલે તો એનાં ગમે એવાં બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ. એ ધર્મ છે. હા, બોલ તો ગમે તેવાં હોય. એ કંઈ બોલને એવી શરત હોય છે કે 'અથડામણ જ કરવી.' આ તો સવાર સુધી અથડામણ કરે એવાં લોક. અને આપણાં લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય !
આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી. સામા તો અથડાવાનાં જ છે. 'તમે કેમ અથડાયા?' ત્યારે કહે, 'સામો અથડાયો એટલે!' તે તમે આંધળા અને એ આંધળો થઈ ગયો.
પ્રશ્નકર્તા : અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય ?
દાદાશ્રી : માથું ફૂટી જાય ! તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ?
પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.
દાદાશ્રી : હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે 'એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !' ભૂલ પોતાની જડે એટલે થઈ ગયો ઊકેલ, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે 'સામાની ભૂલ છે' એવું ખોળવા જઈશું તો કોઈ દહાડો ય આ પઝલ સોલ્વ નહીં થાય. 'આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે અને ઉપાયો કરવા, એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે, તો આપણે એમ કહેવું કે 'હું તો પહેલેથી જ વાંકો છું.'
બુદ્ધિ જ સંસારમાં અથાડી મારે છે. અરે, એક બાયડીનું સાંભળીને ચાલે તો ય પડતી આવે, અથડામણ થઈ જાય, તો તો આ તો બુદ્ધિબેન ! તેમનું સાંભળે તો ક્યાંનો ક્યાંય ફેંકાય જાય. અરે, રાત્રે બે વાગે ઉઠાડીને બુદ્ધિબેન અવળું દેખાડે. બૈરી તો અમુક વખત ભેગી થાય પણ બુદ્ધિબેન તો નિરંતર સાથે ને સાથે જ રહે. તે બુદ્ધિ તો 'ડીથ્રોન' (ફેંકાવી દે) કરાવે તેવી છે.
જો તમારે મોક્ષે જ જવું હોય તો બુદ્ધિનું જરાય સાંભળવાનું નહીં. બુદ્ધિ તો એવી છે કે જ્ઞાની પુરુષનું પણ અવળું દેખાડે. અલ્યા, જેનાં થકી તને મોક્ષ પ્રાપ્ત થાય તેમ છે, તેમનું જ અવળું દીઠું ? તે તમારો મોક્ષ તમારાથી અનંત અવતાર છેટો થઈ જશે !
અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની ય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું-ખોટું ભગવાન જોતાં જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે 'એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને ?' ત્યારે કહે, 'ના.' 'બસ, અમારે એટલું જ જોઈએ.' એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો દ્વંદ્વ જ હોતો નથી ને !
ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ? ભીંત જોડે આપણે ન્યાય માંગીએ કે 'ખસી જા, ખસી જા.' તો ? અને આપણે કહીએ કે 'હું અહીં રહીને જ જવાનો છું.' તો ? કોનું માથું ફૂટી જાય ?
પ્રશ્નકર્તા : આપણું.
દાદાશ્રી : એટલે કોણે ચેતવું પડે ? એમાં ભીંતને શું ? એમાં કોનો દોષ ? જેને વાગ્યું તેનો દોષ. એટલે ભીંત જેવું જગત છે.
ભીંતને અથડાવ તો મતભેદ ભીંત જોડે પડે ખરો ? ભીંતને તમે અથડાઈ ગયા કોઈ વખત કે બારણાંને, તો તે ઘડીએ મતભેદ પડે બારણાં જોડે કે ભીંત જોડે ?
પ્રશ્નકર્તા : એ બારણું તો નિર્જીવ વસ્તુ છે ને ?
દાદાશ્રી : એટલે જીવને માટે જ તમે એમ માનો છો કે આ એ અથડાયો મારી જોડે, આ દુનિયામાં જે અથડાય છે એ બધી જ નિર્જીવ વસ્તુ હોય છે. અથડાય છે એ જીવંત ના હોય, જીવંત અથડાય નહીં. નિર્જીવ વસ્તુ અથડાય. એટલે તમારે ભીંત જેવું જ તરત સમજી લેવાનું એટલે ડખો નહીં કરવાનો ! આમ થોડીવાર પછી કહીએ, 'હેંડો, ચા કાઢો.'
હવે વાઈફને કોઈ પાડોશી બઈ જોડે વઢવાડ થયેલી હોય અને એનું મગજ તપી ગયેલું હોય અને આપણે બહારથી આવ્યા તો એ તપી ગયેલું બોલે, તો આપણે શું કરવું પાછું ? આપણે તપી જવું પાછું ? એવાં સંજોગો ઊભા થાય છે, ત્યાં આગળ એડજસ્ટ થઈને આપણે ચાલવું જોઈએ. કયા સંજોગમાં હવે તપેલી છે આજે, કોની જોડે તપી ગયેલી હોય, શું ખબર પડે ? એટલે આપણે પુરુષ થયા, મતભેદ ન પડવા દઈએ. એ મતભેદ પાડે તો ય વાળી લેવું. મતભેદ એટલે અથડામણ !
બાકી, આ તો જીવતાં જ નથી આવડતું. પૈણતાં નહોતું આવડ્યું, તે મહાપરાણે પૈણ્યા ! બાપ થતાં નથી આવડતું, એમ ને એમ બાપ થઈ ગયો. છોકરાઓ ખુશ થઈ જાય એવું હવે જીવન જીવવું જોઈએ. સવારમાં બધાએ નક્કી કરવું જોઈએ કે 'ભઈ, આજે કોઈની સામસામે અથડામણ ન આવે, એવું આપણે વિચાર કરી લો.' અથડામણથી ફાયદો થાય છે એ મને દેખાડો. શું ફાયદો થાય છે ?
પ્રશ્નકર્તા : દુઃખ થાય.
દાદાશ્રી : દુઃખ થાય એટલું જ નહીં, આ અથડામણથી અત્યારે તો દુઃખ થયું, પણ આખો દહાડો બગડે અને આવતો ભવ પાછું મનુષ્યપણું જતું રહે. માણસપણું તો ક્યારે રહે કે સજ્જનતા હોય તો માણસપણું રહે. પણ પાશવતા હોય, ગોદા માર માર કરે, શીંગડા માર માર કરે, ત્યારે પછી ત્યાં આગળ માણસપણું ફરી આવે ?! ગાયો-ભેંસો શીંગડા મારે કે માણસ મારે ?
પ્રશ્નકર્તા : માણસ વધારે મારે.
દાદાશ્રી : તો માણસ મારે તો પછી એને જાનવરમાં જવું પડે. એટલે ત્યાં આગળ બે પગને બદલે ચાર પગ ને પૂછડું વધારાનું પાછું ! ત્યાંનું કંઈ જેવું તેવું છે ! ત્યાં કંઈ દુઃખ નથી ? બહુ છે. જરા સમજવું પડે, આમ કેમ ચાલે તે !
અથડામણ, એ અજ્ઞાનતા જ આપણી !
પ્રશ્નકર્તા : જીવનમાં સ્વભાવ નથી મળતા, તેથી અથડામણ થાય છે ને ?
દાદાશ્રી : અથડામણ થાય, તેનું જ નામ સંસાર છે !
પ્રશ્નકર્તા : અથડામણ થવાનું કારણ શું ?
દાદાશ્રી : અજ્ઞાનતા. જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી નિર્બળતાની નિશાની છે. લોક ખોટાં નથી. મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી-જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે 'ભઈ, મને આ સમજણ પડતી નથી.' બાકી, લોક ભૂલ કરતાં જ નથી, લોકો મતભેદ પાડે એવાં છે જ નહીં. જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે.
પ્રશ્નકર્તા : અથડામણ ટાળવી હોય તો ય થાંભલો વચ્ચે ઊભો હોય, તો આપણે બાજુએ રહીને ખસી જવું. પણ થાંભલો જ આપણા પર પડે તો ત્યાં શું કરવું ?
દાદાશ્રી : પડે એટલે પછી ખસી જવાનું.
પ્રશ્નકર્તા : ગમે તેટલું ખસી જવા જઈએ તો ય થાંભલો આપણને વાગ્યા વગર રહે નહીં. દાખલા તરીકે, આપણી પત્ની અથડાય.
દાદાશ્રી : અથડાય, તે ઘડીએ આપણે શું કરવું, તે ખોળી કાઢવાનું.
પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે, એનું કારણ આપણો અહંકાર છે ?
દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે, તે આપણો અહંકાર ઓગાળી નાખે છે અને તે ય પેલો 'ડ્રામેટિક' અહંકાર જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવાં દેતાં નથી. આપણે તો નાનું બાળક સામું હોય તો ય કહીએ, હવે છૂટકારો કર.
પ્રશ્નકર્તા : દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને?
દાદાશ્રી : અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો ? સહન કરવું અને 'સ્પ્રીંગ' દબાવવી, એ બે સરખું છે. 'સ્પ્રીંગ' દબાવેલા કેટલાં દહાડા રહેશે? માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો 'સ્પ્રીંગ' ઊછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે.
એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણને ખબર નથી પડતી કે આ કયા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણાં 'જ્ઞાન'માં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો 'શુધ્ધાત્મા' છે. આ જે આવ્યું, તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ 'જ્ઞાન' ઈટસેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો, તે પાછો આવ્યો એમ ને ?
દાદાશ્રી : એ પોતે શુધ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુધ્ધાત્મા છીએ, એ પણ શુધ્ધાત્મા છે. હવે બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય, તે પેલો આપે કંઈક. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે ને સામો નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઈ ગયો. આ 'સોલ્યુશન' હોય, ત્યાં પછી સહન કરવાનું રહેે જ નહીં ને ?
આવો ફોડ નહીં પાડો, તો સહન કરવાથી શું થશે ? એક દહાડો એ 'સ્પ્રીંગ' કૂદશે. કૂદેલી સ્પ્રીંગ તમે જોયેલી ? મારી 'સ્પ્રીંગ' બહુ કૂદતી હતી. ઘણાં દહાડા હું બહુ સહન કરી લઉં ને પછી એક દહાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાન દશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું, ચોપડામાં પદ્ધતિસરનું જોઈ લેવું, કોઈ વસ્તુ ચોપડા બહારની હોતી નથી.
પ્રશ્નકર્તા : દાદા, આ અહંકારની વાત ઘરમાં ય ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતાં હોય, એમાં ય કંઈ અહંકાર વચ્ચે ટકરાતાં હોય, ત્યાં ય લાગુ પડે. ત્યાં પણ સમાધાન જોઈએ ને ?
દાદાશ્રી : હા, સમાધાન જોઈને ને ! એ આપણે ત્યાં જ્ઞાનવાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે ? ત્યાં પછી જુદો પડતો જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના પડે !!!
પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરાવવું ના જોઈએ ને ?
દાદાશ્રી : ટકરાય છે, એ તો સ્વભાવ છે. ત્યાં માલ એવો ભરેલો લાવ્યા છે. એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવું કે ભાઈની આદત જ છે આવી. એવું આપણે જાણવું. એટલે પછી આપણને અસર નહીં કરે. કારણ કે આદત, આદતવાળાની અને 'આપણે' આપણાવાળા ! અને પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગડ. બાકી, ટકરામણ તો થાય. ટકરામણ ન થાય એવું બને જ નહીંને ! એ ટકરામણથી આપણે એકબીજા સાથે જુદા ન પડાય એવું જોવાનું ફક્ત. ટકરામણ તો અવશ્ય થાય. એ તો બૈરી-ભાયડાને ય થાય. પણ તે એકનાં એક રહીએ છીએ ને પાછાં ?! એ તો થાય. એમાં કોઈના પર કંઈ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો.
પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરામણો ન થાય એવો સતત ભાવ રહેવો જોઈએને ?
દાદાશ્રી : હા, રહેવો જોઈએ. એ જ કરવાનું ને ! એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાનાં ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું. કારણ કે એક પડ જતું જ રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળાને ? મને તો જ્યારે ટકરામણ થતી હતી, એટલે નોંધ કરતો હતો કે, આજે સારું જ્ઞાન મળ્યું ! ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહેને ! એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં ભાંજગડ નથી. ટકરાયા પછી સામસામે જુદું નહીં પડવું. એ અહીંયા પુરુષાર્થ છે. આપણું મન સામાથી જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતાં હોઈશું ? તમારી જોડે ય મેળ પડે છે કે નથી પડતો ? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાં ય ટકરામણ નથી થતી ને ?
ટકરામણ તો થાય. ટકરામણ તો આ વાસણો ખખડે કે ના ખખડે ? પુદ્ગલનો સ્વભાવ છે ટકરાવું તે. પણ માલ ભર્યો હોય તો. ના ભર્યો હોય તો નહીં. અમારે ય ટકરામણ થતી હતી. પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ. કારણ કે અમારું જ્ઞાન અનુભવજ્ઞાન છે અને અમે નિકાલ કરીને આવેલા છીએ, આ જ્ઞાનથી ! બધું નિકાલ કરી કરીને આવેલાં છીએ અને તમારે નિકાલ કરવાનો બાકી છે.
પ્રશ્નકર્તા : ઘર્ષણ કોણ કરાવે છે ? જડ કે ચેતન ?
દાદાશ્રી : પાછલાં ઘર્ષણ જ ઘર્ષણ કરાવે છે ! જડ કે ચેતનનો આમાં સવાલ જ નથી. આત્મા આમાં હાથ ઘાલતો જ નથી. આ બધું ઘર્ષણ પુદ્ગલ જ કરાવે છે. પણ જે પાછલાં ઘર્ષણ છે તે ફરી ઘર્ષણ કરાવડાવે છે. જેને પાછલાં ઘર્ષણ પૂરાં થઈ ગયાં છે, તેને ફરી ઘર્ષણ ન થાય. નહીં તો ઘર્ષણને એનાં ઉપરથી ઘર્ષણ, એનાં ઉપરથી ઘર્ષણ એમ વધ્યા જ કરે.
આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે, ત્યાં આગળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય.
માટે જ્યાં હો ત્યાંથી અથડામણને ટાળો. આ અથડામણો કરી આ લોકનું તો બગાડે છે, પણ પરલોક હઉ બગાડે છે ! જે આ લોકનું બગાડે, તે પરલોકનું બગાડ્યા વગર રહે નહીં ! આ લોક સુધરે, તેનો પરલોક સુધરે. આ ભવમાં આપણને કોઈ પણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પરભવે પણ અડચણ છે જ નહીં અને અહીં અડચણ ઊભી કરી તો બધી ત્યાં જ આવવાની છે.
પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, 'સમભાવે નિકાલ' કરવાની આપણી વૃતિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે, તો શું કરવું આપણે ?
દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું પઝલ સોલ્વ કર્યા કરવું.
પ્રશ્નકર્તા : આ અથડામણ થાય છે, તે 'વ્યવસ્થિત'ના આધારે જ હશેને ?
દાદાશ્રી : હા. અથડામણ છે તે 'વ્યવસ્થિત'ના આધારે ખરી પણ એવું ક્યારે કહેવાય ? અથડામણ થઈ ગયા પછી. 'આપણે અથડામણ નથી કરવી' એવો આપણે નિશ્ચય હોય. સામે થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે, અથડાવું તો નથી જ. પણ એમ છતાં અથડામણ થઈ જાય ત્યારે આપણે કહેવું, 'વ્યવસ્થિત છે.' પહેલેથી જ 'વ્યવસ્થિત છે' માનીને હેંડીએ તો તો 'વ્યવસ્થિત'નો દુરુપયોગ થયો કહેવાય.
પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે, 'એણે મને આમ કહ્યું, તેમ કહ્યું.' એ જ ગુનો છે.
અથડામણ ના થાય, તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે.
પ્રશ્નકર્તા : સંસાર વ્યવહારમાં જે અહમ્ રહે છે કોઈ વખત, તો એને લીધે તણખા બહુ ઝરે.
દાદાશ્રી : એ તો અહમ્ના તણખા ઝરતાં નથી. એ દેખાય છે અહમ્ના તણખા પણ વિષયના આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ના હોય. વિષય બંધ થાય ત્યારે પછી એ ઈતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો બ્રહ્મચર્ય વ્રત લઈને રહે વરસ દહાડા માટે, તો એમને હું પૂછું છું. ત્યારે કહેશે, 'તણખા એકુંય નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં, સ્ટેન્ડ સ્ટીલ !' હું પૂછું પાછો, હું જાણું આવું થઈ જાય હવે. એટલે એ વિષયને લીધે હોય છે.
પ્રશ્નકર્તા : પહેલાં તો અમે એમ સમજતા'તા કે આ ઘરનાં કામકાજ બાબતમાં અથડામણ થતી હશે. તે ઘરનાં કામમાં હેલ્પ કરવા બેસીએ, તો ય અથડામણ.
દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જ્યાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે, ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો, તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ય ના દે. એનો પ્રભાવ પડે.
પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, 'સમભાવે નિકાલ' કરવાની આપણી વૃતિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે, તો શું કરવું આપણે ?
દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો 'સમભાવે નિકાલ' કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું પઝલ સોલ્વ કર્યા કરવું.
પ્રશ્નકર્તા : આ અથડામણ થાય છે, તે 'વ્યવસ્થિત'ના આધારે જ હશેને ?
દાદાશ્રી : હા. અથડામણ છે તે 'વ્યવસ્થિત'ના આધારે ખરી પણ એવું ક્યારે કહેવાય ? અથડામણ થઈ ગયા પછી. 'આપણે અથડામણ નથી કરવી' એવો આપણે નિશ્ચય હોય. સામે થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે, અથડાવું તો નથી જ. પણ એમ છતાં અથડામણ થઈ જાય ત્યારે આપણે કહેવું, 'વ્યવસ્થિત છે.' પહેલેથી જ 'વ્યવસ્થિત છે' માનીને હેંડીએ તો તો 'વ્યવસ્થિત'નો દુરુપયોગ થયો કહેવાય.
કોઈની અથડામણમાં આવે એટલે પાછાં દોષો દેખાવા માંડે ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. પાંચસો-પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહૂતિ પાસે આવી રહી છે.
કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે ત્યારે હ્રદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ ? મેં શું ખોટું કર્યું આમાં ? છતાં ય ઉત્તર મળતો નથી એટલે પછી મહીં રહેલા વકીલો વકીલાત કરવાની ચાલુ જ કરી દે કે મારી આમાં કંઈ જ ભૂલ નથી. આમાં તો સામાની જ ભૂલ છે ને ? છેવટે એવું જ મનાવી લે, જસ્ટીફાય કરાવી દે કે 'પણ એણે જો આવું ના કર્યું હોત તો પછી મારે આવું ખરાબ શું કામ કરવું પડત કે બોલવું પડત? આમ પોતાની ભૂલ ઢાંકે ને સામાની જ ભૂલ છે એમ પૂરવાર કરે ! અને કર્મોની પરંપરા સર્જાય !
પરમ પૂજ્ય દાદાશ્રીએ સામાન્યમાં સામાન્ય માણસને સર્વ રીતે સમાધાન કરાવે એવું એક જીવનોપયોગી સૂત્ર આપ્યું કે આ જગતમાં ભૂલ કોની ? ચોરની કે જેનું ચોરાય એની ? આ બેમાં ભોગવે છે કોણ ? જેનું ચોરાયું એ જ ભોગવે ને ! જે ભોગવે તેની ભૂલ ! ચોર તો પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે, આજે પોતાની ભૂલનો દંડ આવી ગયો. પોતે ભોગવે પછી કોને દોષ દેવાનો રહે ? પછી સામો નિર્દોષ જ દેખાય. આપણા હાથથી ટી-સેટ તૂટે તો કોને કહીએ ? અને નોકરથી તૂટે તો ?! એના જેવું છે ! ઘરમાં, ધંધામાં, નોકરીમાં બધે જ 'ભૂલ કોની છે ?' ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ ? એની ભૂલ. ભૂલ છે ત્યાં સુધી જ ભોગવટો છે. જ્યારે ભૂલ ખલાસ થઈ જશે ત્યારે આ દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ સંયોગ પોતાને ભોગવટો આપી નહીં શકે.
આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ, 'ભોગવે એની ભૂલ.' આ એક જ ન્યાય છે. તેનાથી આખું જગત ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો છે.
એક ક્ષણવાર જગત કાયદા વગર રહેતું નથી. ઈનામ આપવાનું હોય તેને ઈનામ આપે છે. દંડ આપવાનો હોય તેને દંડ આપે છે. પણ કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે. સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે. પણ સામાની દ્રષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દ્રષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દ્રષ્ટિ હોય, ત્યાં સુધી ન્યાય કેમ દેખાય?
આ આખું જગત 'આપણી' માલિકીનું છે. આપણે 'પોતે' બ્રહ્માંડના માલિક છીએ ! છતાં આપણને દુઃખ ભોગવવું કેમ પડ્યું, તે ખોળી કાઢને? આ તો આપણે આપણી ભૂલે બંધાયા છીએ. કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત. અને ખરેખર તો મુક્ત જ છે, પણ ભૂલને લીધે બંધન ભોગવે છે !
આ પોતે જ ન્યાયાધીશ ને પોતે જ ગુનેગાર ને પોતે જ વકીલ, તે ન્યાય કઈ બાજુ લઈ જાય ? પોતાની બાજુ જ. પછી પોતે પોતાને ફાવતો જ ન્યાય કરે ને ! તે પોતે નિરંતર ભૂલો જ કરે. આમ ને આમ જીવ બંધાયા કરે છે. મહીંથી ન્યાયાધીશ બોલે છે કે તમારી ભૂલ થઈ છે. તે પાછો મહીંનો જ વકીલ વકીલાત કરે કે આમાં મારો શો દોષ ? એમ કરીને જાતે જ બંધનમાં આવે ! પોતાના આત્મહિત માટે જાણી લેવું જોઈએ કે, કોના દોષે બંધન છે. ભોગવે એનો જ દોષ. દેખીતી રીતે ચાલુ ભાષામાં અન્યાય છે પણ ભગવાનની ભાષાનો ન્યાય તો એમ જ કહે છે કે, 'ભોગવે તેની ભૂલ.' એ ન્યાયમાં તો બહારના ન્યાયાધીશનું કામ જ નહીં.
જગતની વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન લોકોના લક્ષમાં જ નથી અને જેનાથી ભટક ભટક કરવું પડે, એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, તેમાં ભૂલ કોની ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ? 'ભોગવે તેની ભૂલ!' આ 'દાદા' એ જ્ઞાનમાં 'જેમ છે તેમ' જોયું છે કે, તેની જ ભૂલ છે.
જે દુઃખ ભોગવે તેની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ. પણ ભ્રાંતિનો કાયદો નિમિત્તને પકડે. ભગવાનનો કાયદો-રિયલ કાયદો, એ તો જેની ભૂલ હોય તેને જ પકડે. આ કાયદો એક્ઝેક્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ છે જ નહીં. એવો કોઈ જગતમાં કાયદો નથી કે જે કોઈને ભોગવટો આપી શકે ! સરકારનો ય કાયદો ભોગવટો ના આપી શકે !
પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખોને ! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.
જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાંક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાંક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી ? પોતે એવાં હિસાબ લાવ્યો છે તેથી.
'આ' એક જ શબ્દ ઘેર લખી રાખ્યો હોય ને તો ભોગવતી વખતે જાણજો કે આ ભૂલ કોની? એટલે આ કેટલાંય ઘરોમાં મોટા અક્ષરે દિવાલો ઉપર લખેલું રાખે છે કે 'ભોગવે એની ભૂલ !' ભૂલાય જ નહીં ને પછી વાત !
પ્રશ્નકર્તા : દુઃખ આપનારને ભોગવવું તો પડશે જ ને ?
દાદાશ્રી : પછી એ ભોગવે તે દહાડે એની ભૂલ ગણાશે. પણ આજે તમારી ભૂલ પકડાઈ.
એટલે એક જ શબ્દ અમે લખ્યો છે કે આ દુનિયામાં ભૂલ કોની છે ? પોતાને સમજવા માટે એક વસ્તુને બે રીતે સમજવાની છે. ભોગવે તેની ભૂલ એક રીતે ભોગવનારને સમજવાની છે અને જોનારે 'હું એને મદદ કરી શકતો નથી, મારે મદદ કરવી જોઈએ.' એવી રીતે જોવાનું છે.
આ જગતનો નિયમ એવો છે કે આંખે દેખે, તેને ભૂલ કહે છે અને કુદરતનો નિયમ એવો છે કે કોણ ભોગવે છે, તેની ભૂલ છે.
હમણે એક સાઈકલવાળો જાય છે, તે પોતાના રાઈટ વે(સાચા રસ્તા) ઉપર છે અને એક સ્કૂટરવાળો ઊંધે રસ્તે આવ્યો, રોંગ વે(ખોટા રસ્તા)થી અને પેલાનો પગ તોડી નાખે. હવે ભોગવવાનું કોને આવ્યું ?
પ્રશ્નકર્તા : સાઈકલવાળાને. જેનો પગ તૂટ્યો હોય એને.
દાદાશ્રી : હા. આ બે જણમાં કોને ભોગવવું પડે છે આજે ? ત્યારે કહે, પગ તૂટ્યો તેને. એને આજે આગળનો હિસાબ મળ્યો, આ સ્કૂટરવાળાના નિમિત્તે. હવે પેલાને અત્યારે કશું દુઃખ નથી. એ તો જ્યારે પકડાશે ત્યારે એનો ગુનો જાહેર થશે. પણ જે ભોગવે એની ભૂલ.
પ્રશ્નકર્તા : જેને વાગ્યું, એનો શું ગુનો ?
દાદાશ્રી : એનો ગુનો, આગળનો હિસાબ એનો, તે આજે ચોખ્ખો થયો. કોઈ પણ હિસાબ વગર કોઈને પણ કંઈ પણ દુઃખ ના થાય. હિસાબ ચોખ્ખા થાય ત્યારે દુઃખ થાય. આ એનો હિસાબ આવ્યો, તેથી પકડાયો. નહીં તો આટલી બધી દુનિયા પકડાતી નથી. તમે કેમ નીડર થઈને ફરો છો ? ત્યારે કહે, આપણો હિસાબ હશે તો થશે. નહીં હિસાબ હોય તો શું થવાનું ? એવું કહે છે ને આપણા લોકો ?
પ્રશ્નકર્તા : ભોગવવું ના પડે, એને માટેનો શો ઉપાય ?
દાદાશ્રી : મોક્ષમાં જવાનું. કિંચિત્માત્ર કોઈને દુઃખ ના આપીએ, પોતે દુઃખ જમે કરી લઈએ કો'ક આપે તે, તો ચોપડા આપણા ચોખ્ખા થઈ જાય. કોઈને આપીએ નહીં, નવો વેપાર શરુ કરીએ નહીં અને જૂનો હોય તે માંડવાળ કરી દઈએ, તો ચૂકતે થઈ જાય.
પ્રશ્નકર્તા : તો જેનો પગ ભાંગ્યો એ ભોગવનારે એમ માનવાનું કે મારી ભૂલ છે, એટલે એણે પેલા સ્કૂટરવાળા સામે કંઈ કરવું જ નહીં જોઈએ ?
દાદાશ્રી : કરવું નહીં જોઈએ, એવું નહીં. આપણે શું કહીએ છીએ કે માનસિક પરિણામ ના બદલાવા જોઈએ. વ્યવહારિક જે થતું હોય, તે થવા દો પણ માનસિક રાગ-દ્વેષ ના થવાં જોઈએ. જેને 'મારી ભૂલ છે' એવું સમજાય છે, તો એને રાગ-દ્વેષ ના થાય.
વ્યવહારમાં આપણને પોલીસવાળો કહેશે કે નામ લખાવો તો આપણે લખાવવું પડે. વ્યવહાર બધો કરવો પડે પણ નાટકીય, ડ્રામેટીક, રાગ-દ્વેષ નહીં કરવાના. આપણને 'આપણી ભૂલ છે' એવું સમજાયું પછી, એ સ્કૂટરવાળા બિચારાનો શો દોષ ? આ જગત તો ઊઘાડી આંખે જુએ છે, એટલે એને પૂરાવા તો આપવા પડેને, પણ આપણને એની પ્રત્યે રાગ-દ્વેષ ના હોવાં જોઈએ. કારણ કે એની ભૂલ છે જ નહીં, આપણે એવો આરોપ કરીએ છીએ કે એની ભૂલ છે, એ તમારી દ્રષ્ટિથી અન્યાય દેખાય છે. પણ ખરેખર તમારી દ્રષ્ટિનો ફેર હોવાથી અન્યાય દેખાય છે.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : કોઈ તમને દુઃખ દેતો હોય તો એની ભૂલ નથી. પણ તમે જો દુઃખ ભોગવતા હોય તો તમારી ભૂલ. આ કુદરતનો કાયદો. જગતનો કાયદો કેવો ? દુઃખ દે, એની ભૂલ.
આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ વાપરે, યથાર્થ રીતે સમજીને જો વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.
એક 'ભોગવે એની ભૂલ' આટલું કહ્યું, તો એક બાજુનું આખું પઝલ ઊડી ગયું અને બીજું 'વ્યવસ્થિત' કહ્યું, તો બીજી બાજુનું પઝલ પણ ઊડી જાય. જે પોતે દુઃખ ભોગવવું પડે છે, એ પોતાનો જ દોષ ! બીજાં કોઈનો દોષ નહીં. જે દુઃખ દે, એની ભૂલ નહીં. દુઃખ દે, એની ભૂલ સંસારમાં અને આ ભોગવે એની ભૂલ, એ ભગવાનને ત્યાંના કાયદામાં.
જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે ? તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત છે.
આ કળિયુગમાં એક્સિડન્ટ (અકસ્માત) અને ઈન્સિડન્ટ (ઘટના) એવાં હોય છે, તે માણસ મૂંઝાઈ જાય છે. એક્સિડન્ટ એટલે શું ? કે 'ટુ મેની કૉઝીઝ એટ એ ટાઈમ' (અસંખ્ય કારણો એક જ વખતે) અને ઈન્સિડન્ટ એટલે શું ? કે 'સો મેની કૉઝીઝ એટ એ ટાઈમ' (ઘણાં કારણો એક જ વખતે) તેથી જ અમે શું કહીએ છીએ કે 'ભોગવે તેની ભૂલ' અને પેલો તો પકડાશે, ત્યારે એની ભૂલ સમજાશે.
આ તો પકડાયો, તેને ચોર કહે છે. આ ઓફિસમાંથી એક જણને પકડે એને ચોર કહે, પણ તેથી કરીને શું ઓફિસમાં બીજા કોઈ ચોર નથી ?
પ્રશ્નકર્તા : બધા જ છે.
દાદાશ્રી : પકડાયા નથી ત્યાં સુધી શાહુકાર. કુદરતનો ન્યાય તો બહાર પાડ્યો જ નથી કોઈએ. તેથી ટૂંકો ને ટચને ! ઊકેલ તેથી આવે ને ! શોર્ટ કટ ! આ એક જ વાક્ય સમજવાથી સંસારનો બોજો ઘણો ખરો ઊડી જાય.
ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે, તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઈને, વકીલને ય પૂછવાની જરૂર નથી. આ કોઈનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતી હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે ક્યારેક પણ ચોરી કરી હશે, તો આજે પકડાયો માટે તે ચોર ને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે.
હું તમારી ભૂલ ખોળવા રહું જ નહીં. જગત આખું સામાની ભૂલ જુએ છે. ભોગવે છે પોતે પણ ભૂલ સામાની જુએ છે. તે ઊલટાં ગુના ડબલ થતાં જાય છે અને વ્યવહાર ગૂંચવાડો પણ વધતો જાય છે. આ વાત સમજી ગયાં એટલે ગૂંચવાડો ઓછો થતો જાય.
પ્રશ્નકર્તા : કોઈ પથરો આપણને મારે ને વાગ્યું તો એનાથી આપણને ઈજા થાય અને વધારે ઉદ્વેગ થાય.
દાદાશ્રી : ઈજા થાય છે એટલે ઉદ્વેગ આવે, નહીં ? અને ડુંગર ઉપરથી ઢેખાળો ગબડતો ગબડતો માથા ઉપર પડે, ને લોહી નીકળ્યું તો ?
પ્રશ્નકર્તા : એ પરિસ્થિતિમાં કર્મના આધીનથી આપણને વાગવાનું હશે તો વાગી ગયું, માનીએ.
દાદાશ્રી : પણ ડુંગર ઉપર એને ગાળ ના ભાંડો ? ગુસ્સો ના કરો તે ઘડીએ ?
પ્રશ્નકર્તા : એમાં ગુસ્સો આવવાનું કારણ આવતું નથી. કારણ કે સામે કોણે કર્યું, એને આપણે ઓળખતા નથી.
દાદાશ્રી : કેમ ત્યાં ડહાપણ આવે છે ?! સહજ ડહાપણ આવે કે ના આવે ? એવું આ બધા ડુંગરો જ છે. આ હંમેશાં ય ઢેખાળો નાખે છે, ગાળો ભાંડે છે, ચોરીઓ કરે છે, એ બધા ડુંગરો જ છે, ચેતન નથી. આ એ સમજાઈ જાય તો કામ નીકળી જાય.
ગુનેગાર દેખાય છે, તે તમારી જોડે ક્રોધ-માન-માયા-લોભ, મહીં જે શત્રુઓ છે ને, તે દેખાડે છે. પોતાની દ્રષ્ટિથી ગુનેગાર નથી દેખાતો, ક્રોધ-માન-માયા-લોભ દેખાડે છે. જેને ક્રોધ-માન-માયા-લોભ નથી, એને કોઈ ગુનેગાર દેખાડનાર છે જ નહીં ને એને કોઈ ગુનેગાર દેખાતું ય નથી. ખરી રીતે ગુનેગાર જેવું કોઈ છે જ નહીં. આ તો ક્રોધ-માન-માયા-લોભ પેસી ગયા છે અને તે 'હું ચંદુભાઈ છું' એ માનવાથી પેસી ગયા છે. એ 'હું ચંદુભાઈ છું'ની માન્યતા છૂટી ગઈ એટલે ક્રોધ-માન-માયા-લોભ જતાં રહેશે. છતાં ઘર ખાલી કરતાં એમને જરા વાર લાગે. બહુ દહાડાનાં પેસી ગયેલાં ને !
પ્રશ્નકર્તા : કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતાં નથી.
દાદાશ્રી : એ ના સમજતાં હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો કેમ ના મળ્યો આપણને ! આમનો જ સંયોગ આપણને કેમ બાઝયો ? જે જે વખતે આપણને કંઈ પણ ભોગવવું પડે છે, તે આપણી જ ભૂલનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : તો આપણે એમ સમજવાનું કે મારાં કર્મો એવાં છે ?
દાદાશ્રી : ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઈ નથી કે જે આપણને સહેજ પણ કિંચિત્માત્ર દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે, તો તે આપણી જ ભૂલ છે. તત્ત્વનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે 'ભોગવે તેની ભૂલ'.
કોઈ સ્ત્રી અને પુરુષ બે જણ ખૂબ ઝઘડતાં હોય અને બેઉ સૂઈ ગયા પછી આપણે છાનામાના જોવા જઈએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઈ આમ આમ પાસા ફેરવતા હોય તો આપણે સમજવું કે આ ભઈની ભૂલ છે બધી, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ હોય તે ભોગવે અને તે ઘડીએ જો ભઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતા હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. 'ભોગવે તેની ભૂલ.' આ તો બહુ ભારે 'સાયન્સ' છે, જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે.
આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, ગપ્પું નથી આ. આનું રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે અને નિરંતર આ વર્લ્ડને રેગ્યુલેશનમાં જ રાખે છે.
કોઈનો દોષ નથી. દોષ કાઢનારાનો દોષ છે. જગતમાં દોષિત કોઈ છે જ નહીં. સહુ સહુના કર્મના ઉદયથી છે. બધા ભોગવી રહ્યા છે, તે આજે ગુનો કરતો નથી. ગયા અવતારના કર્મના ફળમાંથી આ થાય છે બધું. આજ તો એને પસ્તાવો થતો હોય પણ પેલું થઈ ગયું હોય, કોન્ટ્રેક્ટ થઈ ગયો હોયને, કોન્ટ્રેક્ટ કરી નાખેલો એટલે શું થાય ? થયે જ છૂટકો છે.
આ દુનિયામાં જો તમારે કદિ કોઈની ભૂલ ખોળી કાઢવી હોય તો જે ભોગવે છે, તેની ભૂલ છે. વહુ સાસુને દુઃખ દે છે કે સાસુ વહુને દુઃખ દે છે, એમાં કોને ભોગવવું પડે છે ? સાસુને. તો સાસુની ભૂલ છે. સાસુ વહુને દુઃખ દેતી હોય, તો વહુએ એટલું સમજી જવું જોઈએ કે મારી ભૂલ. આ દાદાના જ્ઞાનના આધારે સમજી જવું કે ભૂલ હશે, તેથી જ આ ગાળો દે છે. એટલે સાસુનો દોષ નહીં કાઢવો જોઈએ. આ સાસુનો દોષ કાઢવાથી ગૂંચાયું વધારે. કોમ્પ્લેક્સ થયા કરે છે અને સાસુને વહુ પજવતી હોય તો સાસુએ દાદાના જ્ઞાનથી સમજી જવું જોઈએ કે ભોગવે એની ભૂલ, એ હિસાબે મારે નભાવી લેવું જોઈએ.
સાસુ વહુને વઢે તો ય વહુ સુખમાં હોય અને સાસુને જ ભોગવવાનું હોય ત્યારે ભૂલ સાસુની જ ! જેઠાણીને સળી કરીને ભોગવવું પડે તે આપણી ભૂલ અને સળી ના કરી છતાં ય એ આપવા આવે તો તે પાછલાં ભવનું કશુંક બાકી હશે, તે ચૂકવવા આપ્યું. ત્યારે તમે પાછી ફરીથી ભૂલ ના કરતાં, નહીં તો ફરીથી ભોગવવું પડશે ! માટે છૂટવું હોય તો જે જે કંઈ કડવું-મીઠું આવે (ગાળો વગેરે), તે જમે કરી લેજો. હિસાબ ચૂક્તે થઈ જશે. આ જગતમાં હિસાબ વગર તો આંખે ય ભેગી ના મળે ! તો બીજું બધું હિસાબ વગર તે થતું હશે ? તમે જેટલું જેટલું જેને જેને આપ્યું હશે, તેટલું તેટલું તમને તે પાછું આપશે ત્યારે તમે જમે કરી લેજો ખુશ થઈને, કે હાશ ! હવે ચોપડો પૂરો થશે. નહીં તો ભૂલ કરશો તો પાછું ભોગવવું પડશે જ !
સરવાળા ને બાદબાકી, એ બેઉ નેચરલ એડજસ્ટમેન્ટ છે અને ગુણાકાર-ભાગાકાર આ મનુષ્યો બુદ્ધિથી કર્યા કરે છે. એટલે રાત્રે સૂઈ જાવ પછી મનમાં વિચારે કે આ પ્લોટ બધા મોંઘા પડી જાય છે, માટે અમુક જગ્યાએ સસ્તા છે તે લઈશું આપણે. તે ગુણાકાર કરતો હોય મહીં. એટલે સુખના ગુણાકાર કરે અને દુઃખના ભાગાકાર કરે. એ સુખના ગુણાકાર કરેને એટલે ફરી છે તે ભયંકર દુઃખો પ્રાપ્ત થાય અને દુઃખના ભાગાકાર કરે છતાં દુઃખ ઘટતાં નથી ! સુખના ગુણાકાર કરે ખરાં કે નહીં ?! આવું હોય તો સારું, આવું હોય તો સારું, કરે કે ના કરે ?! અને આ પ્લસ-માઈનસ થાય છે. ધીસ ઈઝ નેચરલ એડજસ્ટમેન્ટ. એ જે બસો રૂપિયા ખોવાઈ થઈ ગયા અગર તો પાંચ હજારનું ધંધામાં નુકસાન થઈ ગયું, માઈનસ થઈ ગયું, એ નેચરલ એડજસ્ટમેન્ટ છે. પેલા બે હજાર રૂપિયા ગજવામાંથી કાપીને લઈ ગયા, એ પણ નેચરલ એડજસ્ટમેન્ટ છે ! ભોગવે એની ભૂલ, આ ગેરન્ટીથી અમે જોઈને કહીએ છીએ.
પ્રશ્નકર્તા : એમ કહે છે સુખનાં ગુણાકાર કરે છે, એમાં ખોટું શું ?
દાદાશ્રી : ગુણાકાર કરવા હોય તો દુઃખનાં કરજો, સુખના કરશો તો ભયંકર આફતમાં આવી જશો. ગુણાકાર કરવાનો શોખ હોય તો દુઃખનાં કરજો કે એક ભઈને ધોલ મારી, તે એણે મને બે મારી તો સારું થયું, આવું બીજો કોઈ મારનાર મળે તો સારું. એટલે આપણું જ્ઞાન વધતું જાય. પણ જો દુઃખના ગુણાકાર ના ફાવે તો બંધ રાખજો, પણ સુખના ગુણાકાર તો ના જ કરજો !
સામાનું મોઢું તમને ચઢેલું દેખાયું તો તે તમારી ભૂલ. ત્યારે તેનાં 'શુધ્ધાત્મા'ને સંભારી એનાં નામની માફી માગ માગ કરીએ તો ઋણાનુબંધમાંથી છૂટાય.
પોતાની ભૂલના જ માર ખાય છે. પથ્થર નાખ્યો તેની ભૂલ નહીં, જેને વાગ્યો તેની ભૂલ ! તમારી આજુબાજુનાં છોકરાં-છૈયાંની ગમે તે ભૂલો કે કુકૃત્યો હશે પણ તમને તેની અસર થશે નહીં, તો તમારી ભૂલ નહીં અને તમને અસર થાય તો તમારી એ ભૂલ એવું નક્કી સમજી લેજો !
ભોગવે એની ભૂલ. એ ભગવાનની ભાષા ! અને અહીં ચોરી કરી ગયો, એને લોક ગુનેગાર ગણે. કોર્ટો હઉ, ચોરી કરે તેને જ ગુનેગાર ગણે.
એટલે આ બહારના ગુનાઓ અટકાવવા માટે લોકોએ અંદરના ગુના ચાલુ કર્યા. જે ભગવાનના ગુનેગાર થાય, એ ગુના ચાલુ કર્યા. અલ્યા મૂઆ, ભગવાનનો ગુનેગાર ના થઈશ. આ ગુનો થાય તો કશો વાંધો નહીં. બે મહિના જેલમાં જઈને પાછું અવાશે. પણ ભગવાનનો ગુનેગાર તું ના થઈશ. આપને સમજાયું ને આ ? આ વાત, જો ઝીણી વાત સમજાઈ જાય તો કામ નીકળી જાય. આ ભોગવે એની ભૂલ તો ઘણાં માણસોને સમજાઈ ગઈ. કારણ કે આ બધા કંઈ જેવાં તેવાં છે, બહુ વિચારશીલ લોકો છે. આપણે એક ફેરો સમજણ પાડી દીધી. હવે સાસુને વહુ દુઃખ દે દે કરતી હોય તો સાસુએ એક શબ્દ સાંભળ્યો હશે કે 'ભોગવે એની ભૂલ', એટલે વારે ઘડીએ દુઃખ દેતી હોય તો તરત જ એ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છેને ? તો એ નિવેડો આવશે, નહીં તો નિવેડો નહીં આવે ને વેર વધ્યા કરશે.
'ભોગવે તેની ભૂલ' એ કાયદો મોક્ષે લઈ જશે. કોઈ પૂછે કે મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ? તો અમે એને શીખવાડીએ કે તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે ? એ તારી ભૂલ. તારી શી ભૂલ થઈ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે ? આ તો આખો દહાડો ભોગવટો આવે છે, તે ખોળી કાઢવું જોઈએ કે શી શી ભૂલ થઈ છે !
ભોગવટાની સાથે જ ખબર પડી જાય કે આ ભૂલ આપણી. જો કદિ અમારી ભૂલ થાયને તો અમને ટેન્શન ઊભું થાય ને !
અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય ? સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય. સામાના ફોરેનમાં ભૂલો થાય, ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં, પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે. મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઈએ.
મહીંની પાર વગરની વસ્તી છે, તેમાં કોણ ભોગવે તે ખબર પડે. કોઈ ફેરો અહંકાર ભોગવે છે, તો તે અહંકારની ભૂલ છે. કોઈક વખતે મન ભોગવે છે, તો તે મનની ભૂલ છે, ક્યારેક ચિત્ત ભોગવે છે, તે વખતે ચિત્તની ભૂલ છે. આ તો પોતાની ભૂલમાંથી 'પોતે' છૂટો રહી શકે તેમ છે. વાત સમજવી પડશેને ?
ભૂલ કોની ? ભોગવે તેની ! શું ભૂલ ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે આ જગતમાં દોષિત જ કોઈ નથી. એટલે કોઈ ગુનેગાર પણ નથી, એમ સાબિત થાય.
આ દુઃખ દે છે, એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એ ય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એ ય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે !
અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ કે તમારી 'બાઉન્ડ્રી'માં કોઈને આંગળી ઘાલવાની શક્તિ નથી અને તમારી ભૂલ છે તો ગમે તે આંગળી ઘાલી જશે. અરે, લાકડી પણ મારી જશે ! 'અમે' તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે? બધું તમારું ને તમારું જ છે ! તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી. તમારો વ્યવહાર તમે જ બગાડ્યો છે. યુ આર હૉલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યૉર વ્યવહાર.
આ સાયન્સ છે, આખું વિજ્ઞાન છે. આમાં તો એક અક્ષરે ય ભૂલ નથી. વિજ્ઞાન એટલે તદ્દન વિજ્ઞાન જ છે આ તો. આખા વર્લ્ડને માટે છે. આ કંઈ અમુક ઇન્ડિયાને માટે જ છે, એવું નથી. ફોરેનમાં બધાને માટે છે આ !!
જ્યાં આવો ચોખ્ખો નિર્મળ ન્યાય તમને બતાવી દઈએ છીએ, ત્યાં ન્યાયાન્યાયનું વહેંચાણ ક્યાં કરવાનું રહે ? આ બહુ જ ઊંડી વાત છે. તમામ શાસ્ત્રોનો સાર કહું છું. આ તો 'ત્યાં'નું જજમેન્ટ(ન્યાય) કેવી રીતે ચાલી રહ્યું છે તે એક્ઝેક્ટ કહું છું કે, 'ભોગવે એની ભૂલ.' 'ભોગવે એની ભૂલ' આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે અમારી પાસેથી ! એને તો જે જે વાપરશે, તેનું કલ્યાણ થઈ જશે.
બદ્રી-કેદારની જાત્રાએ લાખો લોકો ગયા ને એકાએક હીમ પડ્યું ને સેંકડો લોકો દટાઈને મરી ગયા. ત્યારે સાંભળીને દરેકને મહીં અરેરાટી વ્યાપી જાય કે કેટલાંય ભક્તિભાવથી ભગવાનના દર્શન કરવા જાય, તેને જ ભગવાન આમ મારી નાખે ?! ભગવાન ભયંકર અન્યાયી છે ! બે ભાઈઓ વચ્ચે મિલ્કતની વહેંચણીમાં એક ભાઈ બધું પચાવી જાય છે, બીજાને ઓછું મળે ત્યાં બુદ્ધિ ન્યાય ખોળે છે, છેવટે કોર્ટનો આશરો લે છે ને સુપ્રિમ કોર્ટ સુધી ઝઘડે છે. પરિણામે દુઃખીદુઃખી થતા જાય છે. નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે, ગુનેગાર વ્યક્તિ મોજ કરે છે ત્યારે આમાં ન્યાય શું રહ્યો ? નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે, ગાડીમાં ફરે ત્યાં કઈ રીતે ન્યાય સ્વરૂપ લાગે ?
આવાં તો ડગલે ને પગલે પ્રસંગો બને છે, જ્યાં બુદ્ધિ ન્યાય ખોળવા બેસી જાય છે અને દુઃખીદુઃખી થઈ જવાય છે ! પરમ પૂજ્ય દાદાશ્રીની અદ્ભૂત આધ્યાત્મિક શોધ છે કે આ જગતમાં ક્યાંય અન્યાય થતો જ નથી. બન્યું એ જ ન્યાય ! કુદરત ક્યારેય ન્યાયની બહાર ગઈ નથી. કારણ કે કુદરત એટલે કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે કોઈનું એના પર ચલણ હોય ! કુદરત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સિસ. કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક કાર્ય બને છે ! આટલાં બધામાં અમુક જ કેમ માર્યા ગયા ?! જેનો તેનો હિસાબ હતો તે તો ભોગ બન્યા, મૃત્યુના ને દુર્ઘટનાના ! એન ઇન્સિડન્ટ હેસ સો મેની કૉઝીઝ અને એન એક્સિડન્ટ હેસ ટુ મેની કૉઝીઝ ! પોતાને હિસાબ વગર એક મચ્છર પણ કરડી શકે નહીં ! હિસાબ છે તો જ દંડ આવ્યો છે. માટે જેને છૂટવું છે, તેણે એ જ વાત સમજવી કે પોતાની સાથે જે જે બન્યું તે ન્યાય જ છે !
'બન્યું એ જ ન્યાય' એ જ્ઞાનનો ઉપયોગ જેટલો જીવનમાં થશે એટલી શાંતિ રહેશે ને તેવી પ્રતિકૂળતામાં મહીં પરમાણુ પણ નહીં હાલે!
આ બધા શાસ્ત્રોમાં લખ્યું છે એટલું જગત નથી. શાસ્ત્રો તો એક અમુક ભાગ જ છે. બાકી, જગત તો અવક્તવ્ય ને અવર્ણનીય છે કે જે શબ્દોમાં ઊતરે એવું નથી. પછી તમે શબ્દોની બહાર ક્યાંથી લાવશો ? શબ્દોમાં ઊતરે નહીં તો શબ્દની બહાર તમે એનું વર્ણન ક્યાંથી સમજશો ? એવડું મોટું વિશાળ છે જગત. અને હું જોઈને બેઠો છું. એટલે હું તમને કહી શકું કે કેવી વિશાળતા છે !
જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી, કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે ! પણ કુદરત અન્યાયી થઈ જ નથી. કુદરતનો ન્યાય કેવો છે ? કે તમે જો ચોખ્ખા માણસ હો અને આજે જો તમે ચોરી કરવા જાવ, તો તમને પહેલાં જ પકડાવી દેશે. અને મેલો માણસ હોય, તેને પહેલાં દિવસે એને એન્કરેજ (પ્રોત્સાહિત) કરશે. કુદરતનો આવો હિસાબ હોય છે કે પેલાંને ચોખ્ખો રાખવો છે. એટલે એને ઊડાડી મારે, હેલ્પ નહીં કરે અને પેલાને હેલ્પ જ કર્યા કરશે. અને પછી જો માર મારશે, તે ફરી ઊંચો નહીં આવે. એ બહુ અધોગતિમાં જશે, પણ કુદરત એક મિનિટ પણ અન્યાયી થઈ નથી. લોકો મને પૂછે છે કે આ પગે તમને ફ્રેક્ચર થયું તે ? ન્યાય જ કર્યો છે આ બધું કુદરતે.
કુદરતના ન્યાયને જો સમજે-'બન્યું તે ન્યાય' તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી, એનું નામ જ્ઞાન. 'જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન અને 'જેમ છે તેમ' નહીં જાણવું, એનું નામ અજ્ઞાન.
એક માણસે બીજા માણસનું મકાન બાળી મેલ્યું, તો તે વખતે કોઈ પૂછે કે ભગવાન આ શું ? આનું મકાન આ માણસે બાળી મેલ્યું. આ ન્યાય છે કે અન્યાય ? ત્યારે કહે, 'ન્યાય. બાળી મેલ્યું એ જ ન્યાય.' હવે તેની ઉપર પેલો અજંપો કરે કે નાલાયક છે ને આમ છે ને તેમ છે. એ પછી એને અન્યાયનું ફળ મળે. ન્યાયને જ અન્યાય કહે છે ! જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે. એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી.
આ જગતમાં ન્યાય ખોળશો નહીં. જગતમાં ન્યાય ખોળવાથી તો, આખા જગતને લડાઈઓ ઊભી થઈ છે. જગત ન્યાય સ્વરૂપ જ છે. એટલે જગતમાં ન્યાય ખોળશો જ નહીં. જે બન્યું એ ન્યાય. જે બની ગયું એ જ ન્યાય. આ કોર્ટો ને બધું થયું, તે ન્યાય ખોળે છે તેથી ! અલ્યા મૂઆ, ન્યાય હોતો હશે ?! એના કરતાં શું બન્યું એ જો ! એ જ ન્યાય છે !
ન્યાય સ્વરૂપ જુદું છે અને આપણું આ ફળ સ્વરૂપ જુદું છે. ન્યાય-અન્યાયનું ફળ એ તો હિસાબથી આવે છે અને આપણે ન્યાય એની જોડે જોઈન્ટ કરવા જઈએ છીએ, પછી કોર્ટમાં જ જવું પડે ને ! અને ત્યાં જઈને થાકીને પાછાં જ આવવાનું છે છેવટે !
કોઈને આપણે એક ગાળ ભાંડી દીધી તો પછી એ આપણને બે-ત્રણ ભાંડી દે. કારણ કે એનું મન ઉકળતું હોય આપણી પર. ત્યારે લોક શું કહે ? તેં ત્રણ ગાળ ભાંડી, આણે એક જ ભાંડી હતી. તો એનો ન્યાય શું છે ? આપણને ત્રણ જ ભાંડવાની હોય. પાછલો હિસાબ ચૂકતે કરી લે કે ના કરી લે ?
પ્રશ્નકર્તા : હા, કરી લે.
દાદાશ્રી : પાછાં વાળી લો કે ના વાળી લો ? એના બાપને રૂપિયા આપેલા હોય આપણે, પણ પછી એ લાગમાં આવે તો આપણે વાળી લઈએ ને ?! પણ પેલો તો સમજે કે અન્યાય કરે છે. એવો કુદરતનો ન્યાય શું ? પાછલો હિસાબ હોય એ બધો ભેગો કરી આપે. અત્યારે ધણીને સ્ત્રી હેરાન કરતી હોય, તે કુદરતી ન્યાય છે. આ બૈરી બહુ ખરાબ છે અને બૈરી શું જાણે, ધણી ખરાબ છે. પણ કુદરતનો ન્યાય જ છે આ.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને ફરિયાદો કરવા આવો તમે. હું ફરિયાદ નથી સાંભળતો, એનું કારણ શું ?
પ્રશ્નકર્તા : હવે ખબર પડી કે આ ન્યાય છે.
દાદાશ્રી : આ અમારી શોધખોળ છે ને બધી ! ભોગવે એની ભૂલ. જો શોધખોળ કેવી સરસ છે ! કોઈની અથડામણમાં આવીશ નહીં. પછી વ્યવહારમાં ન્યાય ખોળીશ નહીં.
નિયમ કેવો છે કે જેવી ગૂંથણી કરેલી હોય, એ ગૂંથણી તેવી રીતે જ ઉકલે પાછી. અન્યાયપૂર્વક ગૂંથણી કરેલી હોય તો અન્યાયથી ઉકલે ને ન્યાયથી કરેલી હોય તો ન્યાયથી ઉકલે. એવી આ ગૂંથણીઓ ઉકલે છે બધી અને પછી લોક એમાં ન્યાય ખોળે છે. મૂઆ, ન્યાય શું ખોળે છે કોર્ટના જેવો ?! અલ્યા મૂઆ, અન્યાયપૂર્વક ગૂંથણી તેં કરી અને હવે ન્યાયપૂર્વક તું ઉકેલવા જાઉં છું. શી રીતે બને એ ?! એ તો નવડાથી ગુણેલું નવડાથી ભાગે તો જ એની મૂળ જગ્યા ઉપર આવે. ગૂંથણીઓ કંઈ ગૂંચઈને પડ્યું છે બધું. તેથી આ મારા શબ્દ જેણે પકડ્યા હોય, એનું કામ કાઢી નાખે ને !
પ્રશ્નકર્તા : હા દાદા, આ બે-ત્રણ શબ્દો પકડી ગયો હોય અને ખપી માણસ હોય, તેનું કામ થઈ જાય.
દાદાશ્રી : કામ થઈ જાય. બહુ દોઢ ડાહ્યો ના થાય ને, તો કામ થઈ જાય.
પ્રશ્નકર્તા : કોઈ કોઈનું ખૂન કરે, તો એ પણ ન્યાય જ કહેવાય ?
દાદાશ્રી : ન્યાયની બહાર ચાલતું નથી. ન્યાય જ કહેવાય, ભગવાનની ભાષામાં. સરકારની ભાષામાં ના કહેવાય. આ લોકભાષામાં ના કહેવાય. લોકભાષામાં તો ખૂન કરનારને પકડી લાવે કે આ જ ગુનેગાર છે અને ભગવાનની ભાષામાં શું કહે ? ત્યારે કહે, આ જેનું ખૂન થયું તે ગુનેગાર છે. ત્યારે કહે, આ ખૂન કરનારનો ગુનો નથી ? ત્યારે કહે, ના, ખૂન કરનાર જ્યારે પકડાશે, ત્યારે પાછો એ ગુનેગાર ગણાશે ! અત્યારે તો એ પકડાયો નથી અને આ પકડાઈ ગયો ! તમને સમજમાં ના આવ્યું ?
પ્રશ્નકર્તા : કોર્ટમાં કોઈ માણસ ખૂન કરીને નિર્દોષ છૂટી જાય છે, એ એનાં પૂર્વકર્મનો બદલો લે છે કે પછી એની પુણ્યૈથી એ આવી રીતે છૂટી જાય છે ? શું છે આ ?
દાદાશ્રી : એ જ પુણ્યૈ ને પૂર્વકર્મનો બદલો એક જ કહેવાય. એની પુણ્યૈ તે છૂટી ગયો અને કોઈએ ના કર્યું હોય તો ય બંધાઈ જાય, જેલમાં જવું પડે. એ એનો પાપનો ઉદય. એમાં છૂટકો જ નહિ.
બાકી, આ જે દુનિયા છે, આ કોર્ટોમાં કોઈ વખતે અન્યાય થાય, પણ આ દુનિયામાં અન્યાય કુદરતે કર્યો નથી. ન્યાયમાં જ હોય છે. ન્યાયની બહાર કુદરત કોઈ દહાડો ગઈ નથી. પછી વાવાઝોડા બે લાવે કે એક લાવે, પણ ન્યાયમાં જ હોય છે.
પ્રશ્નકર્તા : આપની દ્રષ્ટિએ વિનાશ થતાં દ્રશ્યો જે દેખાય છે, એ આપણાં માટે શ્રેય જ છે ને ?
દાદાશ્રી : વિનાશ થતું દેખાય, એને શ્રેય શી રીતે કહેવાય ? પણ વિનાશ થાય છે એ પદ્ધતિસર સાચું જ છે. કુદરત પેણે વિનાશ કરે છે તે ય બરોબર છે અને કુદરત જેને પોષે છે તે ય બરોબર છે. બધું રેગ્યુલર કરે છે, ઓન ધી સ્ટેજ ! આ તો પોતાના સ્વાર્થને લઈને લોકો બૂમો પાડે છે કે મારાં કપાસ બળી ગયા. ત્યારે પેલા નાના કપાસવાળા કહે છે, અમે ફાવ્યા. એટલે લોક તો પોતપોતાના સ્વાર્થને જ ગાય છે.
પ્રશ્નકર્તા : આપ કહો છો કે કુદરત ન્યાયી છે, તો પછી ધરતીકંપો થાય છે, વાવાઝોડા થાય છે, વરસાદ ખૂબ પડે છે. એ શા માટે ?
દાદાશ્રી : એ બધું ન્યાય કરે છે. વરસાદ વરસે છે, બધું અનાજ પકવે છે. આ બધું ન્યાય થઈ રહ્યું છે. ધરતીકંપ થાય છે એ ય ન્યાય થઈ રહ્યો છે.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
દાદાશ્રી : જેટલાં ગુનેગાર હોય એટલાંને જ પકડે. બીજાને નહીં. ગુનેગારને જ પકડે છે આ બધું ! આ જગત બિલકુલ ડિસ્ટર્બ થયેલું નથી. એક સેકન્ડ પણ ન્યાયની બહાર કશું ગયું નથી.
ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપે ય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. માટે ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે
ચોર ચોરી કરવામાં ધર્મ માને છે. દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે. એ લોકભાષા છે. ભગવાનની ભાષા નથી. ભગવાનને ત્યાં આવું તેવું કશું છે જ નહીં. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે 'કોઈ જીવને દુઃખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે !'
ન્યાય-અન્યાય તો એક કુદરત જ જુએ છે. બાકી, આ જે અહીં જગતનો ન્યાય-અન્યાય, તે દુશ્મનોને, ગુનેગારોને હેલ્પ કરે. કહેશે, 'હશે બિચારો, જવા દો ને !' તે ગુનેગાર હઉ છૂટી જાય. 'એમ જ હોય' કહેશે. બાકી, કુદરતનો એ ન્યાય એ તો છૂટકો જ નહીં. એમાં કોઈનું ના ચાલે !
પ્રશ્નકર્તા : કુદરત ન્યાયી છે, એનો આધાર શું ? ન્યાયી કહેવા માટે કોઈ બેઝમેન્ટ તો જોઈએ ને ?
દાદાશ્રી : એ ન્યાયી છે. એ તો તમારે જાણવા પૂરતું જ છે. તમને ખાતરી થશે કે ન્યાયી છે. પણ બહારનાં લોકોને કુદરત ન્યાયી છે એવું ક્યારેય પણ ખાતરી થવાની નથી. કારણ કે પોતાની દ્રષ્ટિ નથી ને !
બાકી, અમે શું કહેવા માંગીએ છીએ ? આફટર ઓલ, જગત શું છે ? કે ભઈ આમ જ છે. એક અણુ પણ ફેરફાર ના થાય એટલું બધું ન્યાય સ્વરૂપ છે, તદ્દન ન્યાયી છે.
કુદરત બે વસ્તુની બનેલી છે. એક સ્થાયી, સનાતન વસ્તુ અને બીજી અસ્થાયી વસ્તુ, જે અવસ્થા રૂપે છે. તેમાં અવસ્થા બદલાયા કરવાની અને એ એનાં કાયદેસર બદલાયા કરવાની. જોનાર માણસ પોતાની એકાંતિક બુદ્ધિથી જુએ છે. અનેકાંત બુદ્ધિથી કોઈ વિચાર કરતો જ નથી, પણ પોતાના સ્વાર્થથી જ જુએ છે.
કોઈનો એકનો એક છોકરો મરી ગયો, તો એમાં ઘરનાં માણસો જ રડે છે. બીજાં આજુબાજુવાળા બધા કેમ રડતાં નથી ? તે પોતાનાં સ્વાર્થથી રડે છે. જો સનાતન વસ્તુમાં આવો તો કુદરત ન્યાયથી જ છે !
આ બધી વાતમાં તાળો મળે છે?! તાળો મળે તો જાણવું કે બરોબર છે. જ્ઞાન ગોઠવી જુએ તો કેટલાં દુઃખ ઓછાં થઈ જાય !
અને એક સેકન્ડ પણ ન્યાયમાં ફેરફાર નથી થતો. જો અન્યાયી હોત ને તો કોઈ મોક્ષે જ જાત નહીં. આ તો કહેશે, સારા માણસને અડચણો કેમ આવે છે ? પણ લોકો એવી કોઈ અડચણ કરી શકે નહીં. કારણ કે પોતે જો કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે. પોતે ડખલ કરી છે તેથી આ બધું ઊભું થયું છે.
ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપે ય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. માટે ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે.
ચોર ચોરી કરવામાં ધર્મ માને છે. દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે. એ લોકભાષા છે. ભગવાનની ભાષા નથી. ભગવાનને ત્યાં આવું તેવું કશું છે જ નહીં. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે 'કોઈ જીવને દુઃખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે !'
બે પ્રકારના ન્યાય. એક વિકલ્પોને વધારનારો ન્યાય અને એક વિકલ્પોને ઘટાડનારો ન્યાય. તદ્દન સાચો ન્યાય વિકલ્પો ઘટાડનારો છે, કે બન્યું એ ન્યાય જ છે. હવે તું આની ઉપર બીજો દાવો ના માંડીશ. તું તારી બીજી વાત સંભાળ હવે, આની પર દાવો માંડીશ એટલે બીજી વાતો તારી જતી રહેશે.
ન્યાય ખોળવા નીકળ્યા એટલે વિકલ્પો વધતા જ જાય અને આ કુદરતી ન્યાય વિકલ્પોને નિર્વિકલ્પ બનાવતો જાય. બની ગયું, બને તે ન્યાય. અને તેમ છતાં ય પછી પાંચ માણસ લવાદ મૂકે તે ય પણ પેલાની વિરુદ્ધમાં જાય. તે પેલો એ ન્યાયને ગાંઠે નહીં એટલે કોઈને ગાંઠે નહીં. પછી વિકલ્પો વધતા જ જાય. પોતાની આજુબાજુ જાળું જ વીંટી રહ્યો છે એ માણસ કશું પ્રાપ્ત નથી કરતો. દુઃખી થયો પાર વગરનો ! એનાં કરતાં પહેલેથી જ શ્રધ્ધા રાખે કે બની ગયું એ ન્યાય.
અને કુદરત હંમેશાં ન્યાય જ કર્યાં કરે છે, નિરંતર ન્યાયને જ કરી રહી છે અને એ પુરાવા આપી શકે નહીં. પુરાવા 'જ્ઞાની' આપે કે ન્યાય કઈ રીતે ? એ બન્યું, 'જ્ઞાની' કહી આપે. એને સંતોષ કરી આપે અને તો નિવેડો આવે. નિર્વિકલ્પી થાય તો નિવેડો આવે.
ન્યાય-અન્યાય તો એક કુદરત જ જુએ છે. બાકી, આ જે અહીં જગતનો ન્યાય-અન્યાય, તે દુશ્મનોને, ગુનેગારોને હેલ્પ કરે. કહેશે, 'હશે બિચારો, જવા દો ને !' તે ગુનેગાર હઉ છૂટી જાય. 'એમ જ હોય' કહેશે. બાકી, કુદરતનો એ ન્યાય એ તો છૂટકો જ નહીં. એમાં કોઈનું ના ચાલે !
એક સેન્ટ પણ કોઈ રીતે આઘુંપાછું ન કરી શકે. આ એવું, એટલું બધું નિયમવાળું જગત છે. કોર્ટો ગમે તેવી હશે, કોર્ટો કળિયુગના આધારે હશે ! પણ આ કુદરત નિયમના આધીન છે. કોર્ટના કાયદા ભાંગ્યા હશે તો કોર્ટના તરફથી બહુ ગુનો લાગશે. પણ કુદરતના કાયદા ના તોડશો.
આ બધું રીઝલ્ટ છે. જેમ પરીક્ષામાં રીઝલ્ટ આવે ને, આ મેથેમેટિક્સ(ગણિત)માં સો માર્કમાંથી પંચાણું માર્ક આવે અને ઈંગ્લિશમાં સો માર્કમાંથી પચ્ચીસ માર્ક આવે. તે આપણને ખબર ના પડે કે આમાં ક્યાં આગળ ભૂલ રહે છે ? આ પરિણામ ઉપરથી, શું શું કારણથી ભૂલ થઈ એ આપણને ખબર પડે ને ? એવાં આ બધાં પરિણામ આવે છે. આ સંયોગો જે બધાં ભેગાં થાય છે, એ બધાં પરિણામ છે. અને એ પરિણામ ઉપરથી શું કૉઝ હતું, તે આપણને જડે.
અહીં રસ્તામાં બધાં ય માણસો આવતાં-જતાં હોય અને બાવળની શૂળ આમ ઊભી પડેલી હોય. લોક એટલું આવતું-જતું હોય, પણ શૂળ એમની એમ જ પડેલી હોય. અને આપણે કોઈ દહાડો બૂટ-ચપ્પલ વગર નીકળીએ નહીં, પણ તે દહાડે કોઈકને ત્યાં ગયા હોય ને ત્યાં બૂમ પડે કે એય ચોર આવ્યો, ચોર આવ્યો. તે આપણે ઊઘાડે પગે નાઠાં. તે શૂળ આપણને પગે વાગે. તે હિસાબ આપણો ! પાછી આમ આરપાર નીકળી જાય એવું વાગે ! હવે આ સંયોગ કોણ ભેગું કરી આપે છે ? આ 'વ્યવસ્થિત' ભેગું કરી આપે છે.
બસ, આ બધું પ્રોજેક્શન બધું તમારું જ છે. શા માટે લોકોને દોષ દેવો ?
પ્રશ્નકર્તા : ક્રિયાની પ્રતિક્રિયા છે આ.
દાદાશ્રી : એને પ્રતિક્રિયા ના કહેવાય. પણ આ પ્રોજેક્શન બધું તમારું છે. પ્રતિક્રિયા કહો તો પાછાં એક્શન એન્ડ રિએક્શન આર ઈક્વલ એન્ડ ઓપોઝીટ હોય.
આ તો દાખલો આપીએ છીએ, સીમીલી આપીએ છીએ. તમારું જ પ્રોજેક્શન છે આ. બીજા કોઈનો હાથ નથી એટલે તમારે ચેતવું જોઈએ કે આ જવાબદારી મારી ઉપર છે. જવાબદારી સમજ્યા પછી ઘરમાં વર્તન કેવું હોય ?
પ્રશ્નકર્તા : એના જેવું વર્તન કરવું જોઈએ.
દાદાશ્રી : હા. જવાબદારી પોતાની સમજે. નહિ તો પેલો કહેશે કે ભગવાનની ભક્તિ કરશે એટલે બધું જતું રહેશે. પોલમ્પોલ ! ભગવાનના નામથી પોલ મારી લોકોએ. જવાબદારી પોતાની છે. હૉલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ. પ્રોજેક્શન જ પોતાનું છે ને !
કોઈ દુઃખ આપે તો, જમે કરી લેવું. તે આપેલું હશે તે જ પાછું જમે કરવાનું છે. કારણ કે અહીં આગળ એમ ને એમ બીજાને દુઃખ આપી શકે, એવો કાયદો નથી. એની પાછળ કૉઝ હોવાં જોઈએ. માટે જમે કરી લેવું.
ફક્ત પોતાના દોષને લઈને જગત બધું ગેરકાયદેસર લાગે છે. ગેરકાયદેસર થયું જ નથી કોઈ ક્ષણે. બિલકુલ ન્યાયમાં જ હોય. અહીંની કોર્ટના ન્યાયમાં ફેરફાર પડી જાય. એ જૂઠ્ઠો નીકળે પણ આ કુદરતના ન્યાયમાં ફેર નહીં.
પ્રશ્નકર્તા : કોર્ટનો ન્યાય એ કુદરતનો ન્યાય ખરો કે નહીં ?
દાદાશ્રી : એ બધું કુદરત જ છે. પણ કોર્ટમાં આપણને એમ લાગે કે આ જજે આવું કર્યું. એવું કુદરતમાં લાગે નહીં ને ? પણ એ તો બુદ્ધિની લઢવાડ છે !
પ્રશ્નકર્તા : આપે કુદરતના ન્યાયને કોમ્પ્યુટર સાથે સરખાવ્યો પણ કોમ્પ્યુટર તો મિકેનિકલ હોય છે.
દાદાશ્રી : એનાં જેવું સમજાવવાનું સાધન બીજું કશું હોતું નથી ને એટલે આ મેં સીમીલી આપેલી. બાકી, કોમ્પ્યુટર તો કહેવા માટે છે કે ભઈ આ કમ્પ્યુટરમાં આ બાજુ ફીડ કર્યું, એવું આમાં પોતાનાં ભાવ પડે છે. એટલે એક અવતારનાં ભાવકર્મ છે તે ત્યાં પડ્યા પછી બીજા અવતારમાં એનું પરિણામ આવે છે. એટલે એનું વિસર્જન થાય. તે આ 'વ્યવસ્થિત'ના હાથમાં છે. તે એક્ઝેક્ટ ન્યાય જ કરે છે. જેવું ન્યાયમાં આવ્યું એવું જ કરે છે. બાપ પોતાનાં છોકરાને મારી નાખે એવું હઉ ન્યાયમાં આવે. છતાં એ ન્યાય કહેવાય. ન્યાયમાં ન્યાય જ કહેવાય. કારણ કે જેવો બાપ-દીકરાનો હિસાબ હતો, એવાં તે હિસાબ ચૂકવ્યાં. તે ચૂકવણી થઈ ગઈ. આમાં ચૂકવણી જ હોય છે, બીજું કશું હોતું નથી.
કોઈક ગરીબ માણસ લોટરીમાં એક લાખ રૂપિયા લઈ આવે છે ને ! એ ય ન્યાય છે ને કોઈનું ગજવું કપાયું તે ય ન્યાય છે.
પછી કોઈ ફેરો દાળમાં મીઠું વધારે પડ્યું હોય તે ય ન્યાય !
પ્રશ્નકર્તા : શું બને તે જોવાનું, એવું આપે કહ્યું છે. તો પછી ન્યાય કરવાનો જ ક્યાં આવ્યો ?
દાદાશ્રી : ન્યાય, હું જરા જુદું કહેવા માંગું છું. જુઓને, એમનો હાથ જરા ઘાસતેલવાળો હશે, તે હાથે લોટો ઝાલેલો હશે. તેથી ઘાસતેલવાળું સોડે બધું. હવે હું તો પાણી સ્હેજ પીવા ગયો, તો મને ઘાસતેલવાળું સોડ્યું. એટલે અમે 'જોઈએ ને જાણીએ' કે શું બન્યું તે ! પછી ન્યાય શો હોવો જોઈએ કે આપણે ભાગે ક્યાંથી આવ્યું ? આપણને કોઈ દહાડો ય નથી આવ્યું ને તે આજ ક્યાંથી આવ્યું ?! માટે આ આપણો જ હિસાબ છે. એટલે આ હિસાબને પતાવી દો. પણ એ કોઈ જાણે નહીં એ રીતે પતાવી દેવાનો. પછી સવારમાં ઊઠ્યા પછી એ બેન આવે ને પાછું એ જ પાણી મંગાવીને આપે તો અમે તે પાછું પી જઈએ. પણ કોઈ જાણે નહીં. હવે અજ્ઞાની આ જગ્યાએ શું કરે ?
પ્રશ્નકર્તા : બૂમાબૂમ કરી મૂકે.
દાદાશ્રી : ઘરનાં બધાં ય માણસો જાણી જાય કે ઓહોહો ! આજે શેઠનાં પાણીમાં ઘાસતેલ પડ્યું !
પ્રશ્નકર્તા : આખું ઘર હાલી જાય !
દાદાશ્રી : અરે, બધાંને ગાંડા બનાવી દે ! અને બૈરી તો બિચારી પછી ચામાં ખાંડ નાખવાનું ય ભૂલી જાય ! એક ફેરો હાલ્યું એટલે શું થાય ? બીજી દરેક વસ્તુમાં હાલી જાય !
પ્રશ્નકર્તા : દાદા, એમાં આપણે ફરિયાદ ના કરીએ એ બરોબર, પણ પછી શાંત ચિત્તે ઘરનાંને કહેવાય ખરું ને કે ભાઈ, પાણીમાં ઘાસલેટ આવ્યું હતું. હવેથી ધ્યાન રાખજો !
દાદાશ્રી : એ કહેવાય ક્યારે ? ચા-નાસ્તો કરતાં હોય, હસતાં હોય, ત્યારે હસવામાં ને હસવામાં આપણે વાત કરી દેવાય.
અત્યારે અમે આ વાત ખુલ્લી ના કરી ?! એવું હસતાં હોય તો વાત ખુલ્લી કરી દેવાય.
પ્રશ્નકર્તા : એટલે સામાને ચોંટ ના લાગે એવી રીતે કહેવાનું ને ?
દાદાશ્રી : હા, એ રીતે કહેવાય. તો તે સામાને હેલ્પ કરે. પણ સૌથી સારામાં સારો રસ્તો એ જ કે મેરી ભી ચૂપ અને તેરી ભી ચૂપ !!! એના જેવું તો એકુંય નહીં. કારણ કે જેને નાસી છૂટવું છે એ જરા ય બૂમ ના પાડે.
પ્રશ્નકર્તા : સલાહના હિસાબે પણ કહેવાનું નહીં ? ત્યાં શું ચૂપ રહેવાનું ?
દાદાશ્રી : એ એનો હિસાબ બધો લઈને આવ્યો છે. ડાહ્યા થવા માટેનો પણ એ બધો હિસાબ લઈને જ આવેલો છે.
અમે શું કહીએ છીએ કે જો અહીંથી જવું હોય તો નાસી છૂટ ! અને નાસી છૂટવું હોય તો કશું બોલીશ નહીં. રાત્રે જો નાસી છૂટવું હોય ને આપણે બૂમાબૂમ કરીએ તો પેણે પકડી લે ને !
આ જગતમાં તું ન્યાય જોવા જાય છે ? બન્યું એ જ ન્યાય. તમાચા માર્યા તો આણે મારી ઉપર અન્યાય કર્યો એવું નહીં. પણ એ બન્યું એ જ ન્યાય. એવું જ્યારે સમજાશે ત્યારે આ બધો નિવેડો આવશે.
'બન્યું એ ન્યાય' નહીં કહો તો બુદ્ધિ કૂદાકૂદ, કૂદાકૂદ કરશે. અનંત અવતારથી આ બુદ્ધિ લોચા વાળે છે, મતભેદ પાડે છે. ખરી રીતે બોલવાનો વખત જ ના આવે. અમારે કશું બોલવાનો વખત જ ના આવે. જે છોડી દે એ જીત્યો. એ પોતાની જોખમદારી પર ખેંચે છે. બુદ્ધિ ગઈ એ શી રીતે ખબર પડે ? ન્યાય ખોળવા ના જઈશ. જે બન્યું એને ન્યાય કહીએ એટલે એ બુદ્ધિ જતી રહી કહેવાય. બુદ્ધિ શું કરે ? ન્યાય ખોળ ખોળ કરે. ને તેથી આ સંસાર ઊભો રહ્યો છે. માટે ન્યાય ના ખોળો !
ન્યાય ખોળવાનો હોતો હશે ? જે બન્યું એ કરેક્ટ, તરત તૈયાર. કારણ કે 'વ્યવસ્થિત' સિવાય કશું બનતું જ નથી. નકામી હાયવોય ! હાયવોય !!
ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ બગાડે છે.
પ્રશ્નકર્તા : એવું થાય છે. આપણે કોઈનું નામ લેતાં નથી, તો અમને લોક શું કરવા દંડા મારે છે ?
દાદાશ્રી : હા. તેથી તો આ કોર્ટો, વકીલો બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટોનું શી રીતે ચાલે ? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ! પણ વકીલો ય કેવાં પુણ્યશાળી, ને અસીલો ય સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત કરતા હોય. તો પેલો બેસી રહે થોડીવાર. સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને પચાસ રૂપિયા આપે. એટલે ન્યાય ખોળશો નહીં તો બધું ગાડું રાગે પડશે. તમે ન્યાય ખોળો છો એ જ ઉપાધિ છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, એવો વખત આવ્યો છે ને કોઈનું ભલું કરતાં હોય, તો એ જ દંડા મારે.
દાદાશ્રી : એનું ભલું કર્યું અને એ પછી દંડા આપે છે, એનું નામ જ ન્યાય. અને એ મોઢે કહેવાનું નહીં. મોઢે કહીએ ત્યારે પાછું એના મનમાં એમ થાય કે આ લીહટ થઈ ગયા છે.
પ્રશ્નકર્તા : આપણે કોઈની જોડે બિલકુલ સીધા ચાલતા હોઈએ, તો ય આપણને લાકડી મારે.
દાદાશ્રી : લાકડી મારી તે જ ન્યાય ! શાંતિથી રહેવા નથી દેતા ?
પ્રશ્નકર્તા : બુશકોટ પહેર્યો, તો કહેશે, બુશકોટ કેમ પહેર્યો ? અને આ ટીશર્ટ પહેર્યું, તો કહે, ટીશર્ટ કેમ પહેર્યું ? એ ઉતારી નાખીએ તો ય કહે, કેમ ઉતારી નાખ્યું ?
દાદાશ્રી : એ જ ન્યાય આપણે કહીએ છીએ ને ! અને તેમાં ન્યાય ખોળવા ગયા, તેનો માર પડે છે આ બધો. એટલે ન્યાય ખોળવો નહીં. આ અમે સાદી-સીધી શોધખોળ કરેલી છે. ન્યાય ખોળીને તો આ બધાને સોળા પડી ગયા. ને બન્યું એનું એ જ પાછું. સરવાળે તો એનું એ જ આવ્યું હોય. તો પછી શા માટે પહેલેથી ના સમજીએ. આ તો અહંકારની ડખલ છે ખાલી !
બન્યું એ જ ન્યાય ! માટે ન્યાય ખોળવા જશો નહીં. તારા ફાધર કહે, 'તું આવો છે, તેવો છે.' એ બન્યું અને એ જ ન્યાય છે. એની પર દાવો નહીં આપવાનો કે તમે આ શા સારું આમ બોલ્યા ? આ વાત અનુભવની છે અને નહીં તો ય ન્યાય તો કરવો જ પડશે ને છેવટે થાકીને ય ! સ્વીકારતા હશે કે નહીં લોકો ? એટલે આમ ફાંફાં મારે, પણ હતો તેનો તે જ ? તો રાજીખુશીથી કરી લીધું હોય તો શું ખોટું ? હા, મોઢે એમને કહેવાનું નહીં, નહીં તો પાછાં ઊંધે રસ્તે ચાલે. મનમાં જ સમજી જવાનું કે બન્યું એ જ ન્યાય.
પ્રશ્નકર્તા : બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે બહુ માર ખવડાવે છે.
દાદાશ્રી : તે બુદ્ધિ કાઢવી હોય તો બુદ્ધિ કંઈ જતી ના રહે. બુદ્ધિ તો આપણે એનાં કારણોને કાઢીએને તો આ કાર્ય જતું રહે. બુદ્ધિ એ કાર્ય છે. એનાં કારણો શું ? જે બન્યું, વાસ્તવિકતામાં શું બન્યું, એને ન્યાય કહેવામાં આવે, ત્યારે એ જતી રહે. જગત શું કહે ? વાસ્તવિકતાનું બનેલું ચલાવી લેવું પડે. અને ન્યાય ખોળ ખોળ કરે ને તેમાં ઝઘડાં ચાલુ રહે.
એટલે એમ ને એમ બુદ્ધિ ના જતી રહે. બુદ્ધિ જવાનો માર્ગ, એનાં કારણો ના સેવીએ તો બુદ્ધિ, એ કાર્ય ના થાય.
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે બુદ્ધિ એ કાર્ય છે અને એનાં કારણો શોધો તો એ કાર્ય બંધ થઈ જાય.
દાદાશ્રી : એનાં કારણોમાં, આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ એનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે. ન્યાય શેના માટે ખોળો છો ? ત્યારે પેલી વહુ શું કહે ? 'પણ તું મારી સાસુને ઓળખતી નથી. હું આવી ત્યારથી તો એ દુઃખ દે છે. એમાં મારો શો ગુનો ?'
કોઈ ઓળખ્યા વગર દુઃખ દેતું હશે ? એમાં ચોપડે જમે હશે તો તને આપ આપ કરે છે. ત્યારે કહે, 'પણ મેં તો એનું મોઢું જ જોયું નહોતું.' 'અરે, પણ તે આ ભવમાં નથી જોયું. પણ આગલા ભવના ચોપડા શું કહે છે ?' માટે જે બને એ જ ન્યાય !
આ તો બધું વહોરી લીધેલું દુઃખ છે અને થોડું ઘણું જે દુઃખ છે, તે બુદ્ધિને લીધે છે. બુદ્ધિ હોયને દરેકમાં ? એ ડેવલપ બુદ્ધિ દુઃખ કરાવડાવે. ના હોય ત્યાંથી દુઃખ ખોળી લાવે. મારે તો બુદ્ધિ ડેવલપ થયા પછી જતી રહી. બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ ! બોલો, મઝા આવે કે ના આવે ? બિલકુલ એક સેન્ટ બુદ્ધિ રહી નથી. ત્યારે એક માણસ મને કહે છે કે, 'બુદ્ધિ શી રીતે જતી રહી ? તું જતી રહે, તું જતી રહે કરે તેનાથી ?' મેં કહ્યું, 'ના. અલ્યા, એવું ના કરાય.' એણે તો અત્યાર સુધી આપણો રોફ રાખ્યો. મૂંઝાયા હોય ને ત્યારે ખરે ટાઈમે 'શું કરવું, શું નહીં ?' એનું બધું એ માર્ગદર્શન આપે. એને કાઢી મૂકાતી હશે ? ત્યારે મેં કહ્યું, 'જે ન્યાય ખોળે છેને, એને ત્યાં બુદ્ધિ કાયમને માટે રહે છે.' 'જે બન્યું એ ન્યાય' એવું કહે તો બુદ્ધિ જતી રહે. ન્યાય ખોળવા ગયા એ બુદ્ધિ !
ન્યાય ખોળવાનો થયો એટલે બુદ્ધિ ઊભી થઈ જાય, બુદ્ધિ જાણે કે હવે મારા વગર ચાલવાનું નથી અને આપણે કહીએ કે એ ન્યાય છે, એટલે બુદ્ધિ કહેશે, 'હવે આ ઘેર આપણો રોફ પડે નહીં', એ વિદાયગીરી લે અને જાય. કોઈ એવા હોય ત્યાં પેસી જાય. એની આસક્તિવાળા તો બહુ લોક હોય ને ! બાધાઓ રાખે, મારી બુદ્ધિ વધે એવી ! અને તેટલો સામો ત્રાજવામાં બળાપો વધતો જ જાય. બેલેન્સ તો પકડે ને હંમેશાં ? બેલેન્સ એનું સામું જોઈએ જ ! અમારે બુદ્ધિ ખલાસ એટલે બળાપો ખલાસ !
હવે શાસ્ત્રકારો શું લખે, 'બન્યું એ ન્યાય' કહે નહીં. એ તો ન્યાય એ જ ન્યાય કહે. અલ્યા મૂઆ, તારાથી તો અમે રખડી મર્યા ! એટલે થિયરેટિકલ એવું કહે કે ન્યાય એ જ ન્યાય, ત્યારે પ્રેક્ટિકલ શું કહે છે, બન્યું એ જ ન્યાય. પ્રેક્ટિકલ વગર દુનિયામાં કશું કામ થાય નહીં. એટલે આ થિયરેટિકલ ટક્યું નથી.
એટલે શું બન્યું ત્યારે એ જ ન્યાય. નિર્વિકલ્પી થવું છે તો શું બન્યું છે એ ન્યાય. વિકલ્પી થવું હોય તો ન્યાય ખોળ. એટલે ભગવાન થવું હોય તો આ બાજુ જે બન્યું એ ન્યાય અને રખડેલ થવું હોય તો આ ન્યાય ખોળીને રઝળપાટ કર્યા જ કરવાનું નિરંતર.
એટલે બન્યું એને ન્યાય કહેશો ને તો નિર્વિકલ્પ રહેશો અને લોક નિર્વિકલ્પ થવા માટે ન્યાય ખોળવા નીકળ્યા છે. વિકલ્પોનો એન્ડ આવે એ રસ્તો મોક્ષનો ! વિકલ્પો ઊભા ના થાય એવો છે ને આપણો માર્ગ ?
મહેનત કર્યા વગર આપણા અક્રમ માર્ગમાં માણસ આગળ વધી જાય. આપણી ચાવીઓ જ એવી છે કે મહેનત કર્યા વગર આગળ વધી જાય.
હવે બુદ્ધિ જ્યારે વિકલ્પો કરાવડાવે ને, ત્યારે કહી દેવું, જે બન્યું એ ન્યાય. બુદ્ધિ ન્યાય ખોળે કે મારાથી નાનો થયો, મર્યાદા રાખતો નથી. એ રાખી એ જ ન્યાય અને ના રાખી તે ય ન્યાય. જેટલો બુદ્ધિનો નિર્વિવાદ થશે એટલે નિર્વિકલ્પ થાય પછી !
આ વિજ્ઞાન શું કહે છે ? ન્યાય તો આખું જગત ખોળી રહ્યું છે. એના કરતાં આપણે જ સ્વીકારી લોને કે આ બન્યું એ જ ન્યાય. પછી જજો ય ના જોઈએ ને વકીલે ય જોઈએ નહીં. અને નહીં તો ય છેવટે એવું જ રહે ને પાછું માર ખાઈને ?